ગદ્યસુર

ફ્લડલાઈટ – એક અવલોકન

August 11, 2007 · 2 Comments

     સવારના આઠ વાગ્યાનો સુમાર હતો. એક રસ્તા પરથી પસાર  થતાં બાજુની એક બહુ ઉંચી અને ઝગારા મારતી ફ્લડલાઈટ પર નજર પડી. લગભગ 15 જેટલા બહુ જ પાવરવાળા સોડીયમ દીવાઓ તેમાં ગોઠવવામાં આવેલા હતા. રાત્રે ઘણા દુર સુધીના વીસ્તારોમાં પ્રકાશ ફેલાવી આજુબાજુના વીસ્તારોને પ્રકાશીત કરવા તે રાખવામાં આવેલી હતી.   

      જાણે કે તે લાઈટ સુર્યની સામે હોડ ભરી રહી હતી. પણ તેના પ્રકાશનાં બધાં કીરણો સુર્યપ્રકાશ આગળ નીર્માલ્ય બની ગયેલાં હતાં.  ક્યાં એનો રાતનો રુઆબ અને ક્યાં સુર્યના પ્રચંડ સ્રોત આગળ તેની દયનીય સ્થીતી!

     આપણને થાય કે આમાં શું વીશેશ? પણ ………

————————————————————-

     સુર્ય  અને આ દેદીપ્યમાન લાઈટના સ્વરુપોને સરખાવીએ તો  આપણને થાય કે ‘ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી’ ?

    આપણે આપણી મહત્તામાં રાચતા હોઇએ છીએ, પણ સુર્ય પ્રકાશ જેવી વીભુતીઓના જીવન તરફ નજર કરીએ તો આપણી પામરતા, આપણા ક્ષુદ્ર સ્વાર્થો, આપણા નાના નાના ગણીતો, આપણી સીમાઓ, માન્યતાઓ, વીચારો એ સૌની ક્ષુલ્લકતા તરત ઉડીને આંખે વળગે.

    અને બીજી રીતે જોઇએ તો , ભલે આપણે તે ફ્લડલાઇટ  જેવો પ્રચંડ પ્રકાશ-રાશી ન ધરાવતા હોઇએ; કદાચ આપણે એક નાનું અમથું કોડીયું જ હોઇએ.  પણ એક નાની શી ઝુંપડીમાં ય  પ્રકાશ પાથરીએ તો પણ આપણું જીવન સાર્થક છે. આપણે સુર્યપ્રકાશના એક નાનાશા ય પ્રહરી બનીએ – અંધકારના નહીં.  

    આપણા વીચારની પ્રક્રીયાને આ બન્ને ભાવનું પ્રતીબીંબ પાડતી કરીએ તો?

Categories: અવલોકન