અહીં બાળકો જોડે રમતાં જાતજાતની પઝલો જોડે પનારો પડ્યો. ચીત્રવીચીત્ર આકારોની પઝલો. જેમ આકારો વીચીત્ર અને પઝલના ટુકડા વધારે, તેમ પઝલ સુલઝાવવી વધારે મુશ્કેલ. કોઈ પઝલમાં સીધાસટ આકાર તો હોય જ નહી. સીધાસટ હોય તો તેને પઝલ જ ન કહેવાય!
ટેન્ગ્રામની પઝલમાં સાત જ ટુકડા. અને સાતેય ટુકડા આમ તો માળા સાવ સીધાસટ. કોઈ પઝલમાં ન હોય તેવા- પાંચ ત્રીકોણ, એક ચોરસ અને એક શક્કરપારો. પણ એમાંથી હજ્જારો આકારો બનાવાય.
- ટેન્ગ્રામના સાત ટુકડા ( શડરીપુ જેવા ! )
—————————–
જીવનમાં આપણે ફાળે આવતા પ્રશ્નો, મુશ્કેલીઓ, વ્યથાઓ આ પઝલ જેવા જ નથી હોતાં? કોઈ સીધાંસટ તો મળે જ નહીં. દરેક પઝલની પોતાની ગરીમા! આપણને નાણવાનો તેનોય કેવો સુક્ષ્મ અહમ્ ?!
ટેન્ગ્રામ જેવા જીવનના સાવ સામાન્ય કોયડાઓ તો ભારે બળુકા. જાતજાતની ઘટમાળ રચી આપે. મુળમાં તો સાત જ ( શડરીપુ જેવા? ) પણ કેવી કેવી માયાઓ રચી શકે? કેલીડોસ્કોપની જેમ જાતજાતના અને ભાતભાતના આકારો બનતા જ જાય. એના ભેદ શોધવામાં જ આખી જીંદગી પસાર થઈ જાય.
પણ માળું, આ પઝલનો ઉકેલ લાવવાનીય એક મઝા નથી હોતી? જીવનમાં આવી કોઈ પઝલ જ ન હોય, તો એમ ન બને કે જીવન સાવ નીરસ બની જાય ?