ગદ્યસુર

મનાલીમાં પર્વતારોહણ – એક અનુભવ – રાજેન્દ્ર ત્રીવેદી

September 21, 2007 · 7 Comments

      1966 ની સાલની આ વાત છે. હું ત્યારે મગજનો ડોક્ટર બન્યો ન હતો. નહીં તો આ ઘટના જે ઘટી તે કદાચ ન ઘટી હોત !

     વાત જાણે એમ છે કે, ગુજરાત યુનીવર્સીટી તરફથી મને મનાલી પર્વતારોહણ માટે નીયુક્ત કરવામાં આવ્યો હતો. દેશના અલગ અલગ પ્રાંતોમાંથી મારા જેવા નવલોહીયા બીજા સાત યુવાનો મનાલી માઉન્ટેનીયરીંગ સંસ્થામાં બેઝીક સ્નો- ક્લાઈમ્બીંગ   ટ્રેનીંગ માટે આવ્યા હતા. બધાનો ઉત્સાહ તો ભભુકે. તરવરાટ તો બાપુ, એવો કે  સીધા ટ્રેનીંગ પછી સીધું એવરેસ્ટ જ આપણું ગોલ ! કાંઈ ઓછું નો હાલે !    

      અમારા ઈન્સ્ટ્રક્ટરને તો આવા પ્રાથમીક જુસ્સાનો બહુ જ અનુભવ. તેમણે આખા કાર્યક્રમની રુપરેખા આપી. સાત દીવસમાં ત્રણ કેમ્પ કરવાના અને પર્વતના શીખર ઉપર પહોંચવાનું.  ખાસ ભાર દઈને તેમણે કહ્યું કે “ ટીમ વર્ક અને કામનું આયોજન બરાબર કરશો તો જ ફાવશો.  બધી જરુરીયાતોનું ચીવટથી લીસ્ટ બનવું જોઈશે.  બધી તૈયારી બરાબર  હોય તો પણ, જો હવામાન યોગ્ય ન હોય તો હાર સ્વીકારી શીખર સર કર્યા વીના પાછા જવા પણ તૈયારી રાખી લેજો.”  હવે અમારા મનોરથોના ધમસતા ઘોડા કાંઈ આવી સુફીયાણી સલાહ સાંભળતા હશે?  બે કાન ભગવાને શું કામ આપ્યા છે? !   

      ટીમના જોશે અને એકતાના સહારે, વીશ્વાસ સાથે અમારી આગેકુચ શરુ થઈ. મારા મનમા તો ગુંજે….

ભોમીયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી.

        બધાએ પહેલા કેમ્પ પર 17,000 ફુટની ઉચાઈએ પડાવ નાંખ્યો.  બીજા દિવસે પરોઢના ત્રણ વાગે અમે તો તૈયાર થઈ ગયા અને જોડીમાં આગળ પ્રયાણ શરુ કર્યું. અમારા ક્વાર્ટર-માસ્ટર બકરા, ખચ્ચર અને શેરપા સાથે નીકળેલા. સવારના દસેક વાગે તો બીજા કેમ્પ પર 19,000 ફુટની ઉંચાઈ પર અમે પહોંચી ગયા. ઠંડી તો ગાત્રો થીજવી નાંખે તેવી. ગરમ કપડાંની અંદરેય ઠંડી ઘુસી ગયેલી. ચાની બરાબર તલપ લાગેલી. ટેન્ટો પીચ કરી અમે તો ચા બનાવવા લાઈટર કે દીવાસળી શોધીએ. પણ લીસ્ટ બનાવી ચોકસાઈથી લાવ્યા હોઈએ તો  મળે ને? અમે તો એકમેકના મોંઢા સામું જોયા કરીએ.

          બાકીના સાથીઓ અગીયાર વાગે અમારી સાથે આવી પુગ્યા. અમે પહેલો સવાલ એ કર્યો ” અલ્યા! કોઈની પાસે દીવાસળી કે લાઈટર છે? “  નવા આવેલાના મોં ય શીયાંવીયાં થઈ ગયાં. એ લોકોય ભુલી ગયેલા. બધા ઠંડીમાં ભરબપોરે, સુર્યની હાજરી છતાં  બરાબર ઠઠરે. કોઈ નીચે ઉતરે અને પાછું આવે તો તો રાત પડી જાય. બરફ અને સ્નોના સામ્રાજ્યમાં આ પાયાની જરુરીયાતો વગર શી રીતે ચલાવવું? લીલોતરીને તો ક્યારનીય વીદાય આપી દીધેલી હતી. પહેલા દીવસે જે સ્નો વ્હાલસોયો લાગતો હતો તે,  હવે કરાળ કાળ જેવો લાગવા માંડ્યો.

       બધાએ નક્કી કર્યુ. ‘ ચાલો પાછા.  આવી ભુલ ઉતાવળના કારણે ફરીથી નહીં કરીએ.’ લાવેલ સામાન અને તંબુઓ ભરબપોરે બે નંબરના કેમ્પ પર મુકી, સાજે પાંચ વાગે લીલા તોરણે હંધા પાછા.

     આ અનુભવ ભલે નીશ્ફળતાનો હતો, પણ વ્યવસ્થીત થવાનો પાઠ અમે ત્યારથી બરાબર શીખી ગયા.  

—————————————————-

       જે થોડીક મોટી ઉમ્મરની વ્યક્તીઓને અધીકાર અને પ્રેમથી હું ‘તું ‘ કારે બોલાવી શકું તેવો રાજેન્દ્ર ; લગભગ મારી જ ઉમ્મરનો, અમદાવાદમાં મોટો થયેલો, મારી સાથે કોલેજના પહેલા વરસમાં માત્ર એક જ સાલ મારી સાથે ભણેલો, મારો નેટ મીત્ર છે.  અમે લગભગ એક વરસથી નેટ ઉપર ઘનીશ્ઠ પરીચયમાં આવ્યા છીએ.  તેની સાથે ફોન ઉપર ઘણી વાતો થાય છે. તેની પાસે વીવીધ પ્રકારના જીવંત અનુભવોનો, સમ્પર્કોનો  ઘણો મોટો ખજાનો છે.  મગજના ડોક્ટર (માનસ શાસ્ત્રી) તરીકે તેને જીવનના વીધ વીધ પાસાંઓનો, જીવનમાંથી સીધો મળેલો વીશદ અનુભવ છે. તદુપરાંત ભક્ત પીતા અને દેવી જેવાં માતાનો આધ્યાત્મીક વારસો પણ તેણે અકબંધ સાચવી રાખ્યો છે. તેના સ્વ. પીતાશ્રી મુળશંકર ત્રીવેદીના રચેલાં ભજનો તમે ‘  તુલસીદલ ‘ પર વાંચી શકશો.

      આપણે આશા રાખીએ કે, આ અનુભવકથા પાશેરામાં ( કે મણ રુની ગાંસડીમાં ?! )  પહેલી પુણી બની રહે. તેની પાસેથી માનવમનની ગહરાઈઓનાં અનેક શબ્દચીત્રો મેળવવાની આપણે આશા રાખીએ છીએ.

Categories: રાજેન્દ્ર ત્રીવેદી · સ્વાનુભવ

7 responses so far ↓

Leave a Comment