ગદ્યસુર

એક મંદીરની શોધમાં - ભાગ-2

September 27, 2007 · 3 Comments

 ભાગ -1   :   ભાગ - 3         

        તળાવ ઘણું મોટું હતું. આરામ કરી બીજા દીવસની સવારે આગળ પ્રયાણ માટે બાથ ભીડી. સાથે માત્ર બે જ કનો હતી. આથી એમ નક્કી કર્યું કે કાફલો ત્યાં જ રહી પડાવ નાંખે, અને મુહોત, પીટર, એક ભોમીયો અને એક સશક્ત મજુર એટલા જ આગળ વધે. સાથે જરુરી ખોરાક અને ઝાડી ઝાંખરા કાપવાનો સામાન લીધો.

    પણ આટલા મોટા તળાવમાં ક્યાંથી કીનારે ઉતરવું? ભોમીયો હોંશીયાર હતો.

     તેણે કહ્યું - ” જો કોઈ મોટી જગ્યા હશે તો તેના લોકોએ તળાવમાંથી પાણી ત્યાં સુધી લઈ જવાની નીક કે નહેર બનાવી હશે.”

      મુહોતને આ વાત ઠીક લાગી. આથી તળાવની ઉત્તર દીશાના છેડે પહોંચી, આવી કોઈ નહેરની તપાસ શરુ કરી. ભાગ્યવશાત્  આવી એક સાંકડી નહેર મળી આવી પણ ખરી. તેમાં બન્ને કનો હંકારી. માંડ એક કનો જાય તેટલી પહોળાઈ હતી. કો’ક ઠેકાણે તો તે કચરાથી પુરાઈ ગયેલી પણ હતી. ત્યાં તો ચાલીને કનો ખેંચવી પણ પડી. ઘણે ઠેકાણે બે ય  કાંઠાં પરનાં ઝાંખરાં ભેગાં થઈ ગયા હતાં. તે કાપવા પણ પડ્યા.

      પણ થોડેક જ આગળ ગયા અને નહેર તો પુરી થઈ ગઈ. અને ત્યાંથી જ પત્થરથી લાદેલો દસેક ફુટ પહોળો રસ્તો શરુ થતો હતો. ચારે જણ ઉત્સાહમાં નાચી ઉઠ્યા. પણ એ આનંદ ક્ષણજીવી જ નીવડ્યો. રસ્તાની બન્ને બાજુથી દુર્ગમ ઝાડીઓ કેલાઈ ગયેલી હતી.એ ઝાડીઓ કાપતાં કાપતાં ચારેક કલાક પછી સાંજના સમયે તે લોકો  એક મોટા દરવાજા તરફ આવી પહોંચ્યા.

      મુસાફરી શરુ કર્યે એક મહીનો થઈ ગયો હતો. પણ આ શોધે તેમનામાં નવી આશાનો સંચાર કર્યો. દરવાજાની બન્ને બાજુ એક ખાસી મોટી માનવસર્જીત ખાઈ હતી. 200 વાર પહોળી તે ખાઈ બન્ને તરફ એક માઈલ સુધી વીસ્તરેલી હતી. પણ તેમને તો દરવાજાની અંદર શું છે તે જોવામાં વધારે રસ હતો. ખાઈ ઓળંગીને બધા આગળ વધ્યા, હવે રસ્તો વધારે વ્યવસ્થીત હતો, થોડે આગળ જતાં એક અદ્ ભુત દ્રશ્ય નજરે પડ્યું. પાંચ ઉંચા શીખરો વાળા  અને અત્યંત ઉંચી દીવાલોથી ઘેરાયેલા એક ભવ્ય મંદીરની સામે તેઓ આવી  પહોંચ્યા હતા. બહારની દીવાલો પર જાતજાતના શીલ્પ કોતરેલા હતા.  દીવાલ પર થોડે ઉપર નૃત્યાંગનાઓનાં સુમધુર શીલ્પો દેખાતાં હતા. મંદીરનો દરવાજો ઓળંગી તેઓ અંદર પેઠા.

     - નકશો

   -  મંદીર

                                            
      જગતના સૌથી મોટા મંદીરમાં પાંચસો વર્શ પછી કોઈ માનવે પગ મુક્યો હતો. આ અંગકોર વાટનું મહાન મંદીર હતું.  બધા ઉત્સાહમાં નાચી ઉઠ્યા. એક મહીનાની મહેનત અને મુશ્કેલીઓ સફળ નીવડી હતી. કમ્બોડીયાના ‘ તોન્લે સેપ ‘ તળાવની નજીક આવેલા આ મહાન મંદીરને ભુતકાળની કરાળ કંદરામાંથી તેમણે બહાર આણ્યું હતું.

( અર્વાચીન યુગની સાત અજાયબીઓમાંની એક,
ભારતના ભવ્ય ભુતકાળને ઉજાગર કરતા,
રાજા સુર્યવર્મન બીજાએ જેને બનાવવાની શરુઆત કરી હતી તે 
‘ અંગકોર વાટ ‘ ના મંદીર માટે વધુ માહીતી માટી અહીં ‘ક્લીક’ કરો )

     જગ્યાનું વીગતે અવલોકન કરતાં તેમને આ મંદીરની ભવ્યતાનો ખ્યાલ આવ્યો. ફુટબોલના નવ મેદાન થાય તેટલી મોટી જગ્યામાં આ મંદીર બનાવેલું હતું. ચારે બાજુ એક એક માઈલ લાંબી દીવાલો હતી અને તેની બહાર ચારે બાજુ ખાઈ. મંદીરની દીવાલો પર ઘણાં બધાં લખાણો કોતરેલાં હતાં. મોટા ભાગનાં લખાણો સંસ્કૃત ભાશામાં હતાં. જો કે, કોઈને પણ એ ભાશા આવડતી ન હતી. મુખ્ય ભાગમાં હીન્દુ દેવતાઓની મોટી મુર્તીઓ હતી. ક્યાંક ક્યાંક તો મુર્તીઓ પર સોનાના અવશેશો પણ દેખાતા હતા. વચ્ચે એક રાજાની મુર્તી પણ સ્થાપેલી હતી. કદાચ તે પણ દેવોની જેમ પુજાતી હશે તેમ લાગ્યું. કોઈ પણ ગ્રીક કે રોમન સ્થાપત્યને ઝાંખું પાડી દે તેટલી તેની ભવ્યતા હતી. બુદ્ધ સાધુઓ પણ આ જગ્યાનો  સાધના અને પુજા માટે તેનો ઉપયોગ કરતા હશે તેમ જણાયું.

    મદીરની પાછળની બાજુએ બીજો વધુ મોટો દરવાજો હતો; અને તેમાંથી આગળ વધારે મોટો રસ્તો જતો હતો. હજુ તેમને માટે વધારે રહસ્યો ખુલવાના બાકી હતા! 

     તેમણે ફરી આગળ પ્રયાણ શરુ કર્યું.

- વધુ આવતા અંકે

Categories: પુરાતત્વ · સત્યકથા

3 responses so far ↓

  • એક મંદીરની શોધમાં - ભાગ -1 « ગદ્યસુર // September 27, 2007 at 7:41 am

    [...] -1  :       ભાગ -2     :   ભાગ - 3 [...]

  • Chirag Patel // September 27, 2007 at 2:33 pm

    દાદા,

    તમે તો મને એક સરસ નવલકથા લખવાનો પ્લોટ પુરો પાડ્યો છે. (જો હું લખી શકું
    તો)
    —–
    આજથી 20 વર્ષ પછી વૃંદ મોટો થઈ ગયો છે અને તેણે ઈતીહાસમાં માસ્ટર્સ
    કર્યું છે. એક મોટા પ્રોજેક્ટમાં એ મારી મદદ માંગે છે. અને મને કાંઈક
    ધુંધળું યાદ આવે છે કે, સુરેશદાદા ઘણાં બધાં વીષયો પર લખતાં હતાં. એટલે
    પછી હું વર્ડપ્રેસની મદદથી 20 વર્ષ જુનાં આર્કાઈવ્સ સર્ચ કરું છું. અને
    મને મળી આવે છે ‘મંદીર’ પરની તમારી લેખમાળા. હું વૃંદને એમાં દર્શાવેલા
    માર્ગે આગળ વધવા પ્રેરું છું, અને તેની સફળતા બાદ સુરેશદાદાને શોધવા
    પ્રયત્ન કરું છું. અને મારા ભાગ્યે દાદાને મળું પણ છું (અમદાવાદમાં).
    ——
    દાદા, ખાલી મજાક માટે નથી લખ્યું. હું ખરેખર માનું છું કે આજે આપણે જે
    બીજ વાવીએ છીએ તે એળે નથી જતું. કોઈ બીજ એક જ દીવસે ઉગી નીકળે છે અને
    કેટલાંકને ઉગતાં વર્ષો નીકળી જાય છે! અને હું આવી નવલકથા લખવાની પણ ઈચ્છા
    ધરાવું છું.

  • Mansi patel // September 28, 2007 at 5:05 pm

    can not wait for part-3..jem jem agal vadhe che tem tem janvni ichha thay che ke su hase agal…

Leave a Comment