હવે આગળનો રસ્તો એટલો કઠણ ન હતો કારણકે, મંદીરમાંથી પાછળની બાજુનો દરવાજો અને આગળ જતો રસ્તો, બન્ને ઘણા મોટા હતા. રસ્તો પણ રાજમાર્ગ જેવો લાગતો હતો. આ રસ્તા ઉપર પણ ઝાડીઓ તો છવાયેલી જ હતી. બે જ માઈલ ચાલ્યા બાદ તેઓ એક બીજા મોટા દરવાજાની સામે આવી પુગ્યા.
દરવાજાની બન્ને બાજુ એક કીલ્લાની મસ મોટી દીવાલ હતી. તેની અંદર એક મોટું શહેર, અતીતના ગર્ભમાં લપાઈને ઘોરતું હતું. તેની આ કુમ્ભકર્ણ નીદ્રાનો પ્રકૃતીએ પુરો લાભ ઉઠાવ્યો હતો. અહીં સંસ્કૃતી ઉપર પ્રકૃતીએ આક્રમણ કર્યું હતું ! વીશુવવૃત્તીય આબોહવાથી વકરેલી વનસ્પતી સૃશ્ટીએ માનવ ગેરહાજરીનો પુરો લાભ ઉઠાવ્યો હતો !
ખ્મેર પ્રજાનું આ ‘ અંગકોર થોમ ‘ શહેર હતું. 40 ચોરસ માઈલ વીસ્તારમાં ફેલાયેલું આ શહેર, કદાચ તેના સમયગાળાના વીશ્વમાં સૌથી મોટા શહેરોમાંનું એક હતું. પણ સર્વનાશની સુનામી તેની ઉપર મન મુકીને ફરી વળેલી હતી. ચારે બાજુ ખંડેરોના ઢગના ઢગ ખડકાયેલા હતા. સેંકડોની સંખ્યામાં મંદીરો, મોટા મહાલયો, અને હજારો નાનાં મોટાં ઘરો , આ બધાંની ઉપર સર્વનાશનું ઘોડાપુર ફરી વળેલું હતું. પાંચસો વર્શ સુધી વનરાજી આ બધા ઉપર વકરી અને વીફરી હતી. મકાનોની આખી ને આખી દીવાલો મદમસ્ત વૃક્ષોએ પાડી નાંખી હતી. મસ મોટાં વૃક્ષો ઘરોની છતને તોડી ફોડીને ઉપર વીલસી રહ્યાં હતાં. અનેક તુટેલાં શીલ્પો કકડા થઈને બાજુમાં પડ્યાં હતાં.
અહીં પણ, ધોળે દહાડે વાઘોની ત્રાડો અને જંગલી હાથીઓની ચીઘાડો સંભળાતાં હતાં.
સ્તબ્ધ બનેલી આ ટુકડી પાછી વળી. ગણતરીના દીવસોમાં જ બધા ગામમાં સહીસલામત પાછા આવી ગયા. ગરીબડી પ્રજાએ તેના ગજા પ્રમાણે મુહોત અને પીટરનું સન્માન કર્યું. મુહોત નોમ પેન્હ પાછો ફર્યો. ત્યાંની ફ્રેન્ચ સરકાર પણ આ શોધને આગળ ધપાવે તેવી સક્ષમ કે દુરંદેશી વાળી ન હતી, અને તેમની નજર તો વ્યાપાર, ધર્મ અને શાસનના પ્રસારથી વધારે આગળ જોઈ શકે તેમ ન હતી.
થોડા સમય બાદ મુહોત વતન જવા પાછો ઉપડ્યો. તેણે લાઓસમાંથી પસાર થઈને બર્મા જવાનું હતું. પણ લાઓસના જંગલોમાં જ તેનું મેલેરીયાના કારણે મૃત્યુ થયું. સદ્ ભાગ્યે તેનો સામાન તેના સાથીદારોએ સ્થાનીક ફ્રેન્ચ હકુમતને સુપ્રત કર્યો. છેવટે તેનો બધો સામાન 1861 ની સાલમાં પારીસ પાછો ફર્યો. તેની નોંધપોથીઓ પરથી આ બધી ઘટના પ્રકાશમાં આવી.
ત્રણ જ વર્શમાં આ નોંધપોથીઓ ફ્રાન્સ અને બ્રીટીશ જર્નલોમાં છપાઈ. ત્યારે પશ્ચીમના જગતને આ ભુલાયેલા મહાન સ્થાપત્યોની જાણ થઈ. ફ્રેન્ચ સરકાર સફાળી જાગી. આ સ્થળના સંશોધન અને વીકાસ માટે યોજનાઓ ઘડાઈ, અને અમલમાં મુકાઈ. સો વર્શ કામ ચાલ્યું અને પુરાણા સ્થાપત્ય અને ઈતીહાસના મહાન વારસા તરીકે, બન્ને સ્થળોનો થઈ શકે તેટલો સર્વાંગ વીકાસ કરવામાં આવ્યો.
આજની તારીખમાં ‘ અંગકોર વાટ’ અને ‘ અંગકોર થોમ ‘ કપુચી (કમ્બોડીયા) ના સૌથી વીશીશ્ટ સહેલાણી ધામો બની ગયાં છે અને અબજો ડોલરની કમાણી કમ્બોડીયાને કરાવે છે.
—————————————————————
ફ્રેન્ચ અને ડચ વીદ્વાનોએ દક્ષીણ ભારતના તજજ્ઞોની મદદથી, પ્રાપ્ત બધાં લખાણોનો અભ્યાસ કરી, અંગકોરના સામ્રાજ્યનો વીગતવાર ઈતીહાસ ખંખોળી નાંખ્યો છે ; અને તેને તવારીખવાર સંશોધીત કર્યો છે. ટુંકમાં તેની વીગત નીચે પ્રમાણે છે -
- ઈ.સ પુર્વે 800 – ભારતના વેપારીઓ અને સાગર ખેડુઓએ ત્યાંની જંગલી પ્રજાને હીન્દુ ધર્મ આપ્યો.
- ઈ.સ. 800 – ખ્મેર રાજા જયવર્મન બીજાએ 50 વર્શ રાજ્ય કરી અંગકોરના સામ્રાજ્ય અને રાજવંશની ની સ્થાપના કરી. તેણે પોતાની જાતને ખ્મેર પ્રજાના રાજા અને ઈશ્વરના અવતાર તરીકે સ્થાપીત કરી. તેના વંશજોએ અંગકોરમાં 600 વર્શ રાજ્ય કર્યું.
- ઈ.સ. 899 – તેના પુત્ર યશોવર્મને ’ અંગકોર થોમ ‘ શહેર બનાવવાની શરુઆત કરી.
- ઈ.સ. 1100 - અંગકોર થોમ શહેરની વીધીવત સ્થાપના
- ઈ.સ. 1200 – રાજા સુર્યવર્મને ‘ અંગકોર વાટ મંદીર’ બનાવવાની શરુઆત કરી.
- જયવર્મન સાતમાએ અંગકોર થોમ શહેરને ફરતો કોટ બનાવ્યો.
- ઈ.સ. 1400 – ગજા ઉપરાંતના મહાન સ્થાપત્યના ખર્ચા અને સીયામ ( અત્યારનું થાઈલેન્ડ ) ના આક્ર્મણ સામે અંગકોર ટકી ન શક્યું. ખ્મેર રાજા અને બધી વસ્તી ભાગીને ‘નોમ પેન્હ’ જઈને વસ્યા.
- બે વર્શ બાદ સીયામના આક્રમકો પાછા આવ્યા, પણ શહેર અને મંદીર બન્ને વેરાન બનેલાં હતાં.
- જંગલોમાં ઘેરાયેલી બન્ને જગાઓમાં પછીના કોઈ શાસકોને રસ ન હતો.
- લગભગ 1500 – પોર્ચુગીઝ લોકોએ પહેલી વાર ખંડેરો જોયાના સમાચાર આપ્યા, પણ આ પ્રદેશ વેપારી દ્રશ્ટીએ અગત્યનો ન હોવાથી આ વાત ભુલાઈ ગઈ.
- 1860 – કમ્બોડીયા, લાઓસ અને વીયેટનામ ફ્રેન્ચ શાસન નીચે આવ્યા. મુહોતનું સાહસ અને શોધ.
- 1863 – અંગકોરના જીર્ણોદ્ધારની શરુઆત.
- 2007 – અંગકોર વાટનો વીશ્વની સાત અજાયબીઓમાં સમાવેશ.