તે દીવસે પાર્કની મુલાકાતે ગયો હતો. પાનખર હવે પતવામાં છે. ઓતરાદા વાયરા અને ઠંડીનો ચમકારો શરુ થઈ ગયાં છે. ઠેકઠકાણે ખરેલાં પાંદડાં પડ્યાં છે. સાવ નીર્જીવ, શબ જેવાં, પવનના ઝપાટામાં દીશાવીહીન, આમથી તેમ અફળાતાં પાંદડાં.
આ ઝાડની નીચે ઘણાં બધાં પાંદડાનો ઢગલો પડ્યો છે. ઝાડ પર હતાં ત્યારે તેના રંગ નીખરેલા હતા. આ જ પાંદડાં ઝાડ પર હતાં ત્યારે કેટલાં સોહામણાં લાગતાં હતાં? માત્ર ઝાડની જ નહીં, આખા પાર્કની શોભામાં ચાર ચાંદ લાગી જતા હતા. અત્યારે એ સાવ મૃત થઈને પડેલાં છે.
હું થોડો આગળ ચાલું છું. આ બીજા ઝાડ પર તો એકેય પાંદડું બાકી નથી. ઠંડીના ચમકારામાં થરથરતું એ ઝાડ સાવ બોડું થઈ ગયું છે. તેની ઉપર તો શું, નીચેય એક પણ પાંદડું બચ્યું નથી. બધાંયને વાયરાનો સુસવાટો તાણી ગયો છે. તેની બધી સમૃદ્ધી નામશેશ થઈ ગઈ છે.
લ્યો… એની બાજુવાળા આ જનાબ હજી હવે પાનના રંગ ખીલવી, રંગીન મીજાજમાં મ્હાલી રહ્યા છે. તેમનો વારો હજુ હવે આવશે. પણ અત્યારે તો એ પુરબહારમાં છે. બાજુના મહાશય તો સદાકાળ હરીતપર્ણધારી જ છે. એ તો હમ્મેશ લીલા ને લીલા જ. તેમને કોઈ પાનખર વીચલીત કરી શકતી નથી. તેમની ખુમારી તો કાંઈ અજીબોગરીબ જ છે.
એની બાજુમાં જ એક કાપેલા ઝાડના થડનો, માંડ એક બે ઈંચ ઉંચો પાયો, માત્ર સમ ખાવા માટે ટુંટીયું વાળીને પડ્યો છે – જાણે કે, ઝાડની કબર. તેનો ક્રોસ સેક્શન/ આડછેદ જોતાં એ દાદા 60-65 વરસ જીવ્યા હોય એમ લાગે છે. લ્યો ! આ તો મારા જ સમવયસ્ક નીકળ્યા! તેની બધી ખુમારી ઓસરી ગયેલી છે.
દરેક ઝાડની પોતાની એક ખાનદાની રસમ હોય છે. એનું પોતાનું આગવું એક કેલેન્ડર હોય છે. દરેકનો પોતાનો એક મીજાજ, એક રંગ, એક નીયત જીંદગી હોય છે. તેનો અણુએ અણુ પોતાની પરંપરાને બરાબર પાળે છે. પાનખર હો કે વસંત – દરેક પોતાની નીયતી પ્રમાણે પાંદડાં ધારણ કરે છે અને વીખેરી દે છે. એ પાંદડાંય હમ્મેશ નથી રહેતાં અને એ થડ પણ નહીં.
પાર્કથી થોડે દુર ઝાડીઓવાળો પ્રદેશ છે. ત્યાં ગીચ ઝાડીની વચ્ચે પવનથી ઉડીને આવેલાં પાંદડાંઓના ઢગના ઢગ પડ્યા છે. વરસાદ આવશે, સ્નો પડશે, માટીના થરના થર તેમને આવરી લેશે. તે સૌ જ્યાંથી પ્રગટ્યાં હતાં, તે ધરતીનો એક અંશ બની જશે. એમાંથી રસ અને કસ ઉતરી, અન્ય વૃક્ષોનાં મુળીયાં સુધી પહોંચશે. ફરી એ નવપલ્લવીત કુંપળોમાં રસ સીંચન કરશે. બીજા જ કોઈ વૃક્ષનું કોઈ પાન, બીજી કોઈ પાનખરે, કોઈ બીજો જ રંગ મઘમઘાવશે.
ફરી જન્મ, ફરી મ્રુત્યુ. આ જ જીવનક્રમ હજારો વર્શોથી ચાલ્યો આવે છે , અને ચાલતો રહેશે.
—————————–
અને આ પાંદડાંની જેમ હું પણ વાર્ધકયમાં પ્રવેશી ચુક્યો છું. મારો રંગ તેમના જેવો આકર્શક નીખાર તો નથી જ આપતો! એક દીવસ તેમની જેમ હું પણ ખરી જઈશ. વાયરો મારા અવશેશોને ઉડાડીને ધરતીની સાથે એકરસ કરી નાંખશે. જેણે મારા જીવન દરમીયાન મારું પોશણ કર્યું છે; તે ધરતીના કણકણમાં મારું સમગ્ર અસ્તીત્વ ઓગળી જશે. મને ખબર નથી કે, જેને હું ‘હું’ કહું છું, તેનું પછી શું થશે.
આ જ તો પાંદડાની, થડની, મારી અને તમારી સૌની નીયતી છે.
7 responses so far ↓
સુનીલ શાહ // December 6, 2007 at 12:01 pm |
દરેક ઝાડની પોતાની એક ખાનદાની રસમ હોય છે. એનું પોતાનું આગવું એક કેલેન્ડર હોય છે. દરેકનો પોતાનો એક મીજાજ, એક રંગ, એક નીયત જીંદગી હોય છે. તેનો અણુએ અણુ પોતાની પરંપરાને બરાબર પાળે છે. પાનખર હો કે વસંત – દરેક પોતાની નીયતી પ્રમાણે પાંદડાં ધારણ કરે છે અને વીખેરી દે છે. એ પાંદડાંય હમ્મેશ નથી રહેતાં અને એ થડ પણ નહીં.
સુ.કાકા..બહુત ખુબ કહી..! આખરે કશું શાશ્વત નથી…સૌ પોતાની આવડત–સંસ્કાર–સમજ મુજબ જીવન જીવે અને જીવનના અંતીમ સત્ય તરફ પ્રયાણ કરે એ કુદરતી ક્રમને માણસ જેટલો જલ્દી–સાહજીકતાથી સ્વીકારી શકે તેટલો દુખી ઓછો થાય.
Chirag Patel // December 6, 2007 at 12:28 pm |
દાદા, આ અવલોકન બહુ જ ચોટદાર લખાયું છે.
jugalkishor // December 6, 2007 at 8:04 pm |
અતીશયોક્તી ન ગણશો, પણ ઝાડને ઓળખાવતાં ઓળખાવતાં તમે આગળ જતાં ‘દેખાયા કર્યા’ તે તમારા લેખને સાહીત્યીક રુપ આપે છે. કાકાસાહેબને વાંચ્યા છે ? મને આ લેખમાં તેમની આછેરી છાયા દેખાઈ. આ લેખ સાચ્ચે જ સુંદર થયો છે. સુ.ભાઈની વાતને ટેકો !
અભીનંદન.
pragnaju // December 9, 2007 at 4:17 pm |
સુંદર-
તેમાં”આ પાંદડાંની જેમ હું પણ વાર્ધકયમાં પ્રવેશી ચુક્યો છું. મારો રંગ તેમના જેવો આકર્શક નીખાર તો નથી જ આપતો! એક દીવસ તેમની જેમ હું પણ ખરી જઈશ. વાયરો મારા અવશેશોને ઉડાડીને ધરતીની સાથે એકરસ કરી નાંખશે. જેણે મારા જીવન દરમીયાન મારું પોશણ કર્યું છે; તે ધરતીના કણકણમાં મારું સમગ્ર અસ્તીત્વ ઓગળી જશે.” વાંચતા પંક્તીઓ યાદ આવી
હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!
વિલુપ્ત ગુંજનો થતાં
રહ્યા પ્રસન્ન રાગનાં,
લહર ગઈ સમેટી શ્વાસ
મ્હેકતા પરાગના;
તે દિવસો દૂર નથી જયારે એના પર
પાનખરની ઋતુ છવાઈ જશે
અને તે પાનખરની ઋતુની
કોઈ એકાદ સન્ધ્યાના એકાંત માઁ
વિતેલા દિવસોની યાદ આવશે
જેવી રીતે કોઇ વનમાઁ
હ્ર્દય દ્રાવક ગીત ગુનગુનાવી
તને પાઁસે બોલાવે છે
છેલ્લું આ કિરણ જતાં સુધી જ બસ ઉજાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!
હવે બિડાય લોચનો
રહેલ નિર્નિમેષ જે,
રાત અંધકારથી જ
રંગમંચને સજે,
હ્રદયમાં ભાર ભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!
neetakotecha // December 9, 2007 at 9:16 pm |
plsssssss દાદાજી આવી વાત ન કરો કાંઇ.
મને ગભરામણ થાવા લાગે.
તમારુ સ્વાસ્થ્ય ખુબ જ સરસ રહે અને બહુ લાંબુ રહે.
સાચ્ચુ કહુ મે અહિયાં જે વડીલો ને જોયા છે,
એ વડીલો ની હકારાત્મક વ્રુતી ને મારા વંદન છે.
અહિયા નાં વડિલો ને સ્વર્ગવાસી થાવા ની રજા છે જ નહી.
કારણ એમની આપેલી હિંમત ને લીધે તો અમારા જેવા ટકી રહ્યા છીયે.
આજ પછી આવુ કાંઇ લખવાનુ નહી.
આ એક દિકરી નો દાદાગીરી ભરેલો order છે.
ફક્ત આપને નહી બધા વડિલો ને…..
pragnaju // December 11, 2007 at 2:21 pm |
વાહ! કહેવું પડે.
તમારી અંગત વાતમાં માંગ્યા વગરની સલાહ અવિવેક ગણાય તેથી મારો અનુભવ લખું.અમારું તથા કેટલાક વૃધ્ધોનૂ આવું જ વલણ હતું.તેમા થોડા વખતમાં કેટલાક પ્રભુને પ્યારા થઈ ગયાં.છેવટનું અમારા ઘરમાં જ!
ત્યાં તારા જેવી,દોસ્ત જેવી દિકરીને માની ૫૦મી લગ્ન ગાંઠ ઉજવવાનો વિચાર આવ્યો.તે સાથે ઘણાં સૂચનો આવ્યાં.તેની દાદાગીરી એવી કે બધાએ આનંદ લુંટવાનો છે.અમે શરણાઈવાદન,લગ્નગીતો-ફ્ટાણા, સપ્તપદી, હાર +વીંટી પહેરાવવા,કેક કાપવો.ગાવુ,નાચવુ- ગીત સાથે +ગરબા,રાસ.
ફક્ત નોનવેજ અને નશાની ના પાડી.
તેમાં વધારે વખણાયો આ શુભેચ્છા સંદેશ.
પ્રજ્ઞાબેન અને પ્રફુલ્લભાઈ તેમનાં લગ્નની સુવર્ણજયંતી પ્રસંગે.
શાર્દુલ વીક્રીડીત
કાપ્યો પંથ પ્રવાસનો કર ગ્રહી, પ્રેમોર્મીના ભાવમાં.
જીવ્યાં સાથ શમાવી સ્વાર્થ સઘળા,અન્યોન્યના વ્હાલમાં.
ફાલ્યું વ્રુક્ષ વીશાળ, બાળ સઘળાં, કીલ્લોલતાં બાગમાં.
પ્રજ્ઞાબેન પ્રફુલ્લભાઈ જીવજો, ભાનુ તપે આભમાં
શોધો કોણે મોલલ્યો હશે?
RASHMIKANT C DESAI // December 12, 2007 at 1:46 pm |
૧૯૫૨-૩ માં ભણેલો તે કવિતા યાદ આવી. કવિ શ્રી મનસુખલાલ ઝવેરી અથવા કૃષ્ણલાલ શ્રીધરાણી હશે.
‘જેવી રીતે માળી ખરેલા પાન ક્યારામાં વાળી દિયે,
નવા અંકુર પાંગરવા કાજ એ પાનને બાળી દિયે,
તેમ મુજ જીવનના સૌ શેષનું કોઈને ખાતર કરજે,
કો’માં નવજીવન ભરજે
જ્યારે આ દેહ મહીં દેવે ધીરેલું આયખું ખૂટે’
તેથી જ તો મેં મારા શબને તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આપવાની વ્યવસ્થા કરી છે.