અમારી હેલ્થ ક્લબમાં બધે હોય છે તેમ સ્ટીમ સોના છે. તે દીવસે તેમાં તપાવા માટે મેં તેની તરફ પ્રયાણ કર્યું. થોડેક દુરથી તેની અંદર સ્ટીમનો વાલ્વ બંધ થયાનો અવાજ આવ્યો. એ વાલ્વ બંધ થવાની સાથે જ હું તેમાં પ્રવેશ્યો. સમગ્ર વાતાવરણ સાવ ધુંધળું હતું. એક ખુણામાં કે જ્યાં પ્રકાશ બહુ સીમીત હતો ત્યાં તો કાંઈ જ દેખાતું ન હતું. કદાચ કોઈ ત્યાં બેઠું હોય ? આથી સંભાળી સંભાળીને મેં ઓટલા ઉપર મારી જગ્યા લીધી. તાપમાન પણ માંડ જીરવી શકાય એટલું હતું. સહેજ હાથ કે પગ હલે અને એકદમ ગરમી ચચરી ઉઠે.
બે પાંચ મીનીટ થઈ અને ધીરે ધીરે વરાળ ઓસરવા માંડી. તાપમાન ઘટ્યું અને વાતાવરણ ઘણું સ્પશ્ટ થવા માંડ્યું. હવે બધું સાફ નજરે દેખાવા માંડ્યું. ગરમી હવે સહ્ય બનવા માંડી. અને ત્યાં તો એ મુઈ સ્ટીમ પાછી ચાલુ થઈ ગઈ. વાલ્વ ખુલી ગયો. અને એકદમ ગરમી વધવા માંડી. લગભગ અસહ્ય કહી શકાય એટલી બધી ગરમી. સહેજ હાથ હલાવ્યો અને ચરચરાટી. સોનામાં પ્રવેશ્યો ત્યારે હતી તેનાથી પણ વધારે ગરમી લાગવા માંડી.
અને છેવટે મારો નીત્યક્રમ પુરો કરી, હું તેમાંથી બહાર નીકળી ગયો અને રાહતનો દમ ખેંચ્યો. બહાર આવતાં એરકન્ડીશનમાં પ્રવેશ્યો હોઉં એવી ઠંડક લાગી.
જીવનમાંય આમ જ બને છે ને? શ્વાસ ભરતા થયા નથી અને રોવાનું શરુ. અસ્તીત્વ માટેનો સંઘર્શ. જીવવા માટેનો સંઘર્શ. એક આપત્તીમાંથી માંડ છુટ્યા નથી ને બીજી શરુ. આ ક્રમ અવીરત, સતત ચાલતો જ રહે. એ વ્યથાઓમાં શેકાયા જ કરવાનું. અને પાછું સ્વેચ્છાએ ! બહાર નીકળ્યા અને બધી વ્યથાઓનો અંત. પણ જાણી બુઝીને એ સોના નહીં પણ કથીર જેવી જીંદગી જીવ્યા વીના આપણને ચાલતું નથી. આમ જુઓ તો સોનાએ મને જીવનનું નકારાત્મક દર્શન આપ્યું.
પણ એ તપાવાથી ફાયદોય થાય છે જ ને? સ્ટીમની ગરમીથી લોહીમાંનો બધો કચરો નીકળી જાય તેમ બધી ખોટી માયા અને મમતા પ્રત્યે નીર્ભ્રાન્તી પણ થઈ જાય છે જ ને? જેણે આ સોના અને આ જીવન બનાવ્યું હશે, તેનો આ માટે કોઈ ઉદ્દેશ તો હશે જ ને?
શી ખબર? આપણે તો બાપુ! કાલે પણ એ સોનાની ગરમીમાં તપાવા અને આ જીવનના પરીતાપો સહેવા જરુર આવવાના. હવે એ વીદારી નાંખે તેવી ઉશ્મા સહન કરવાની ફાવટ આવી ગઈ છે ને !
Like this:
Be the first to like this post.
Pingback: સ્ટીમ સોનામાં વાલ્વ – એક અવલોકન « ગદ્યસુર
દાદાજી આપણે બધા માં થી હકારાત્મક વાતો ગોતવાનું અને મગજ શાંત રાખી ને જીવવાની કોશીશ કરીયે છીયે..ી સ્ટીમ સોના હોય કે જિંદગી હોય ..પણ ફહકીકત આપણૅ જ જાણતા હોઈયે છીયે કે
ે સ્ટીમની ગરમીથી લોહીમાંનો બધો કચરો નીકળી જાય તેમ બધી ખોટી માયા અને મમતા પ્રત્યે નીર્ભ્રાન્તી પણ થઈ જાય છે જ ..
પણ મના માં જે તુફાનો ચાલતા હોય છે એને કોઇ તાપ ઓછ્છુ નથી કરી શક્તુ..એમાં શેકાવે જ છુટકો અને જોવાનું છે કે છેલ્લે ગુજરી જાઈયે ત્યારે એ તાપ માં થી જ નીકળવુ પડે છે ભલે એનો અહેસાસ આપણને થાય કે નહી.
આ દુનીયા ફકત ખુશી નો દરિયો નથી,
આ જગત ફકત હાસ્ય નો ફુવારો નથી.
..
http://neeta-kotecha.blogspot.com/
દાદા, ઘણી અઘરી વાત એકદમ સરળ ઉદાહરણથી જણાવી દીધી. ધન્યવાદ.