વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
જમણી બાજુથી બીજા ‘નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
————————————————————-
રુપલી હતાશ બની નદીમાં પડતું નાંખવા ગઈ; ત્યારથી તેના કબીલાના લોકો તેની શોધ ચલાવી રહ્યા હતા. કોઈક નદીકીનારે પણ જોઈ આવ્યા હતા; પણ કાંઠાની ભેખડ ઉપરથી તેની છેક નીચે સુતેલાં ગોવો અને રુપલી તેમને દેખાયાં ન હતાં. જંગલમાં બધે રુપલીની તલાશ કરવામાં આવી હતી. છેક પર્વત ઉપર પણ જવાનો ફરી આવ્યા હતા. પણ ક્યાંયથી રુપલીના કોઈ સગડ મળ્યા ન હતા. અને છેવટે બધાં હતાશ બનીને, અંતીમ પ્રયત્ન તરીકે, રુપલીને પાછી આપવાની આરત કરવા; પર્વત ઉપરની જોગમાયાની ગુફા તરફ વળ્યા.
ગોવા અને રુપલીને આ સૌનો શોરબકોર સંભળાઈ રહ્યો હતો. ગુફાની આડશમાંથી જ્યારે તેમણે બધા જાણીતા ચહેરા જોયા; ત્યારે બન્નેએ બહાર આવીને તેમનું અભીવાદન કર્યું. બધાંના જીવમાં જીવ આવ્યો, અને સૌ આનંદીત બની ઉઠ્યા. રુપલીએ ગોવા સાથેના નવા સંબંધની બધાંને શરમાતાં શરમાતાં જાણ કરી. રુપલીની મનોકામના જાણનારી તેની મા તો આવો સારો જમાઈ મળ્યાના હરખમાં ઘેલી ઘેલી બની ગઈ. તેણે બન્નેનાં ઓવારણાં લીધાં. બધી હતાશા ખંખેરાઈ ગઈ. આનંદના ધોધ વછુટ્યા.
બધાં જોગમાયાને નમન કરી; આ શુભ સંબંધના હરખમાં જોગમાયાના ચરણ આગળ મન મુકીને નાચ્યાં. થાકીને લોથપોથ થઈ ગયાં, એટલું નાચ્યાં. છેવટે બધું હાઉસન જાઉસન ગોવાનાં કોતરો ભણી રવાના થયું. નીચે ઉતરવાનો રસ્તો તો ક્યાંય કપાઈ ગયો.
જ્યારે બધાં લક્ષ્યની નજીક પહોંચાં ત્યારે; ગોવાના સ્વજનો શોકમાં ગરકાવ હતાં. હતાશા અને દુખની કાલીમા એમના ચહેરાને ઘેરી વળી હતી. તેમનાં ચીત્ત કાળભૈરવના કારમા પ્રકોપથી ક્ષુબ્ધ હતાં. ગોવો તો હમ્મેશ માટે વીદાય લઈ ચુક્યો હતો. રુપલીના કબીલાના બેચાર જણ રુપલીની ભાળ કાઢવા આવી ગયા હતા; અને બીજી મોંકાણના સમાચાર આપ્યા હતા. આ સમાચારે તેમના દુખ અને દર્દને ઓર વધાર્યું હતું. બબ્બે જુવાન જોધ અને આશાસ્પદ વ્યક્તીઓની પડેલી આ ખોટ જીરવી ન શકાય તેવી હતી. સૌનું જીવતર શોકની કાલીમાના ઓથારમાં ઝેર જેવું બની ગયું હતું. જાણે કે, છાતીમાં અણીદાર પથ્થર ભોંકાઈ રહ્યા હતા. હવે કોઈ આશા ન હતી; કોઈ ઉગાર ન હતો. ગોવાએ નદીની આમન્યા તોડી હતી એના કારણે આખી જાતી ઉપર જોગમાયા નારાજ હતાં. દુર્દૈવ અને વીનાશનો હવે કોઈ વીકલ્પ ન હતો. જમ પલક્યો હતો. બધાં અસહાય બની, ટુંટીયું વાળીને પોતાના બદનસીબને રડી રહ્યાં હતાં.
સુકાયેલા આંસુ અને ધુળથી ખરડાયેલા તેમના ચહેરા આ ટોળાંની વચ્ચે ગોવાને જોઈ મુસ્કરાઈ ઉઠ્યા. તેમના જાનમાં જાન આવ્યો. જોગમાયાએ તેમનો લાડીલો ગોવો પાછો આપ્યો હતો એટલું જ નહીં; તેની જીવન સંગીની પણ હવે એ કોતરોમાં રહેવા આવી ગઈ હતી. ગોવાના નદી ઓળંગવાના સાહસને જોગમાયાએ માન્ય કર્યું હતું. તેમના અંતરમાં આનંદના ઘોડાપુર ફરી વળ્યા. કદી ન બન્યું હોય તેવું બન્યું હતું. ગોવાએ નવી સીધ્ધીઓ હાંસલ કરી હતી. તેણે સફળતાથી નદી પાર કરી હતી અને તરીને પાછો પણ આવી શક્યો હતો. તેણે કાળભૈરવનો મુકાબલો કર્યો હતો અને તેને હંફાવ્યો હતો. તેણે પ્રતાપી વડવાઓનું નામ રોશન કર્યું હતું. તેણે નવી કેડી પાડી હતી. અને એ જાતીની શ્રેશ્ઠ કહી શકાય તેવી જીવન સંગીની પણ પામ્યો હતો.
ધીમે ધીમે બધાંને ભુલાનાં કાળાં કરતુતોની ખબર પણ પડી. તરત જ એક કાસદને ભુલાના કબીલા તરફ રવાના કરાયો; જેથી તેનાં કાળાં કરતુતોનો પર્દાફાશ થઈ શકે.
આનંદના આ માહોલમાં ગોવાએ જાહેર કર્યું કે, હવે ગોવો અને રુપલી નદી પારના એ નવા પ્રદેશમાં રહેવા જશે. તેણે એ પ્રદેશની નવી અને અમર્યાદ શક્યતાઓનું સવીસ્તર વર્ણન કર્યું. નદીની આ બાજુની બધી જ વ્યથાઓનો અને સમસ્યાઓનો કાયમી અંત આવી જવાનો હતો. એક નવાનક્કોર, સમ્રુધ્ધ અને બલીશ્ઠ સમાજની સંરચના હવે હાથવગી બની હતી. ગોવો આ નવા સમાજનો મોભી બનવાનો હતો. પોતાનાં સોનેરી શમણાં તેણે બધાંને ઉમંગથી વહેંચ્યાં અને પોતાના મીત્રોને આ નવા અભીયાનમાં જોડાવા લલકાર્યા.
ગોવાના ખાસ મીત્રો - પાંચો, લાખો અને કાળુ - તો આ વાત સાંભળી; આ નવા સાહસની શક્યતામાં નાચી ઉઠ્યા. બીજા દીવસે આ જુગલ જોડીના નવા સંબંધ અને નદી પારના વસવાટના નવા અભીયાન માટે જોગમાયાના આશીર્વાદ લેવા; બન્ને કબીલા ભેગા મળીને જોગમાયાની ગુફામાં આનંદ ઓચ્છવ ઉજવશે; એમ સર્વાનુમતે નક્કી થયું.
બીજા દીવસે ભુલાના ગામે મોકલ્યો હતો, તે કાસદ પાછો પણ આવી ગયો. તેણે સમાચાર આપ્યા કે, ભુલાની એના કબીલાએ હકાલપટ્ટી કરી હતી; અને ભુલો ભાગી છુટ્યો હતો. હવે બધાં સંકટ પાર પડી ગયાં હતાં. હવે કોઈ ભો રહ્યો ન હતો. ચાર પાંચ જુવાનો શીકાર કરવા ઉપડ્યા અને સ્ત્રીઓએ જોગમાયાને ધરવા જાતજાતનાં સુકા મેવા ઝાડ પરથી એક્ઠા કરવા માંડ્યા. બીજાઓએ જોગમાયાની સામે તાપણું કરવા લાકડાં ભેગાં કરવા માંડ્યા. બે ચાર સ્ત્રીઓ અને પુરુશો ગુફાને શણગારવા અને જોગમાયાના ચીત્રને ફરીથી રંગી, ઝગમગતું કરવા આગોતરા ઉપડ્યા.બાળકોની વાનરસેના આ હરખમાં ઠેકડા ભરવા લાગી.
સદીઓ પહેલાં જોગમાયાની ગુફામાં રહેતા, મુળ એક જ કબીલામાંથી ઉદભવેલા; પણ વસ્તીવધારાને કારણે તળેટીમાં, નદીકીનારાના કોતરોમાં વીસ્તરેલાં કુલ છ કબીલાઓ હતા. બધે એક જ સરખી માન્યતાઓ, એકસરખી રસમો અને વડવાઓ માટે એકસરખું સન્માન પ્રવર્તમાન હતાં. બધા માટે જોગમાયા એકમાત્ર આરાધ્યદેવી હતી. બધાં સંપીને રહેતા. દરેકનો શીકાર-પ્રદેશ, અંતરની ઉકલતથી નીશ્ચીત હતો. સારા નરસા પ્રસંગે બધા ભેગા મળી જતા અને અવસરને માણતા; અથવા અન્યોન્યના દુખમાં દીલાસો દેવા ભાગીદાર થતા. સીધી સાદી હૈયાઉકલતવાળો અને બહુ જ સાદા નીયમો અને નીયમનો વાળો, એ સમાજ હતો. તેમના જીવનમાં કુડકપટ અથવા મોટી અને ખોટી મહત્વાકાંક્ષાઓનો સદંતર અભાવ હતો. જીવનસંઘર્શની રોજબરોજની સમસ્યાઓ જ એટલી બધી હતી; અને સાધનો એટલાં ટાંચાં હતાં કે, બીજા કોઈ આડા તેડા વીચારો અથવા દુશ્ક્રુત્યો માટે સમય કે અવળમતીનો કોઈ અવકાશ જ ન હતો.
દરેક કબીલાના વડાને તે દીવસે રાતે જોગમાયાની ગુફામાં યોજાનાર આ આનંદોત્સવમાં ભાગ લેવા આમંત્રણ પાઠવી દેવાયાં. સમગ્ર વસ્તીનો સમાવેશ તો એ ગુફામાં હવે શક્ય જ ક્યાં હતો. ગોવાના નદીના સામા કીનારે જઈ; સફળતાથી પાછા ફરવાના અને ત્યાં નવો વસવાટ શરુ કરવાના તેના નુતન અભીયાનના સમાચાર પણ સર્વત્ર પ્રસરી ગયા. જ્યાં જ્યાં આ સમાચાર પહોંચ્યા; ત્યાં ત્યાં બધે નવી શક્યતાઓ માટેની નવી આશાઓ અને ઉલ્લાસ ઉભરવા માંડયાં. આનંદ અને મંગળના ઓઘ સર્વત્ર ઉમટી રહ્યા.
અને નદીના એક કીનારે ગોવો તેના ત્રણ મીત્રો સાથે, આગળ શું કરવું; તેની યોજના બનાવી રહ્યો.
- વધુ આવતા અંકે
2 responses so far ↓
CHANDRAVADAN MISTRY // July 11, 2008 at 8:34 am
Sueshbhai 7 chapters completed & making everyone wait for the 8th…..Keep writing & wishing you all the best !
nilam doshi // July 25, 2008 at 7:18 pm
saras…vaartano pravaah vahe jaay che..
Leave a Comment