ગદ્યસુર

પ્રકરણ – 8 : આનંદોત્સવ

July 12, 2008 · 7 Comments

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
જમણી બાજુથી બીજા ‘નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

————————————————————-

       રાતના અંધકારમાં બન્ને કબીલાઓના માણસોથી અને બાકીના કબીલાઓના મુખીયાઓથી જોગમાયાની ગુફા ઉભરાઈ ગઈ. વચ્ચે તાપણું કરેલું હતું. એના પ્રકાશમાં જોગમાયાની તાજી રંગેલી લાલચોળ આક્રુતી ઝગમગી રહી હતી. એની સફેદ આંખો અને તેની વચ્ચે જડેલ ગોળમટોળ, કાળા અને ચમકતા પથ્થર જાણે કે, માતાજીની અબોલ વાણીને ઉજાગર કરી રહ્યાં હતાં. એની ચારે બાજુ અને એના પગ પાસે સુદર ફુલો અને લીલાછમ્મ વેલાઓથી નયનરમ્ય સુશોભન કરવામાં આવ્યું હતું. ગુફાની દીવાલો પણ આવા જ શણગારોથી સુશોભીત હતી. ગુફાના પ્રવેશ દ્વાર આગળના પથ્થરોની આડશ ખસેડી લેવામાં આવી હતી. અને ત્યાં પણ ઝાડી-ઝાંખરાં દુર કરી, વેલાઓ અને ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો. ત્રણ પ્રચંડકાય અને જોરાવર યુવાનો, હાથમાં મજબુત કડીયાળી ડાંગ ધારણ કરી, આજના આનંદોત્સવના રંગમાં ભંગ ન પડે તે માટે, ગુફાના દ્વારનું જંગલી પ્રાણીઓથી રક્ષણ કરી રહ્યા હતા.

     જોગમાયાના ભીંતચીત્રની આગળ છયે વસ્તીના વડીલો ઉભા હતા. તેમની સાથે ગોવો, રુપલી અને બન્નેનાં માવતર પણ હતાં. બન્ને વરઘોડીયાંના ચહેરા પર આનંદ અને ઉલ્લાસના પ્રતીક જેવો લાલચટ્ટાક હીંગળોક રંગ ચોપડેલો હતો. પાંચો, લાખો અને કાળુ તાપણાંની ગરમીમાં ત્રણ હરણને શેકી રહ્યા હતા. માતાની આક્રુતીની લગોલગ અખરોટ, બદામ, કાજુ વી.નો મોટો ઢગલો કરેલો હતો. એક ખુણામાં બે જુવાન ઢોલ ટીપી રહ્યા હતા. બાકીના સૌ, તાપણાંની આજુબાજુ ઢોલના તાલે તાલે, હીંચ અને રાસડા લઈ રહ્યાં હતાં. માતાજીના પગ આગળ ઉભેલા સૌ પણ પગની ધીમી થાપ આ તાલમાં લઈ રહ્યાં હતાં. રાંધણીયાઓની હીલચાલ પણ આ તાલ સાથે તાલ પુરાવી રહી હતી. કબીલાનાં બાળકો દુર ખુણે એમની રમતમાં મશગુલ હતાં. છોકરાઓ નાની નાની લાકડીઓ લઈ શીકાર અને ધીંગાણાના ખેલ ખેલી રહ્યા હતા. છોકરીઓ પથ્થરના પાંચીકા ઉછાળી રહી હતી. તાજી પ્રસુતીથી અશક્ત, બે માતાઓ પોતાનાં નવજાત બાળને ધવડાવતી; રમતાં બાળકોને સાચવતી હતી; અને આ બધું દ્રશ્ય ભાવવીભોર બનીને નીહાળી રહી હતી.

    સમગ્ર વાતાવરણ કોઈ અલૌકીક ભાવ, જોમ અને ઉન્માદથી છવાયેલું હતું. જોગમાયાની શક્તીનો પ્રભાવ દરેકનાં મન અને શરીરને અનેરા ઉત્સાહથી ભરી રહ્યો હતો. તાપણાના પ્રકાશને કારણે આગળ પાછળ ઘુમી રહેલા સૌના પડછાયા જોગમાયાના સ્વરુપને જીવંત બનાવી રહ્યા હતા. એ પડછાયાની ગતીના કારણે જોગમાયાનું મુખારવીંદ જાણે કે, કાંઈક કહી રહ્યું હોય તેવો ભાસ થતો હતો. આ આભાસ સૌના મનમાં એક જ ભાવ પ્રગટાવી રહ્યો હતો. માતાજી પોતાની ક્રુપા સૌની ઉપર વરસાવી રહ્યાં હતાં. અને એ ક્રુપાથી અભીભુત, એ સઘળાં, અબુધ માનવીઓ અનેરી શક્તીનો સંચાર પોતાના દેહના કણકણમાં અનુભવી રહ્યાં હતાં. એક સરખા તાલે ઢોલ અને પગનાં નર્તન સરસ મજાની સંવાદીતા સાધી રહ્યા હતાં. ધીમે ધીમે એ તાલની ઝડપ વધતી રહી હતી. ભાવ, ભક્તી અને શ્રધ્ધા આ નાચની સાથે જુગલબંધી કરી રહ્યાં હતાં.

    અને આ ભાવની ચરમ સીમા આવી પુગી. ઢોલ અતી તીવ્ર તાલે ડણકવા લાગ્યો. રાસની હીંચ સપ્તમ તાલને આંબવા લાગી.

    અને એ સીમાએ પહોંચતાંજ એકાએક બધું સ્થીર બની ગયું. ઢોલ રણકતો અને ડણકતો અટકી ગયો. બધા પગ સાવ સ્થીર અને નીશ્ચેષ્ટ બની ગયા. બાળકો એમની રમત અધુરી મુકીને, હવે શું થાય છે તે, જોવા, કુતુહલમાં તલપાપડ બની ગયાં. પ્રસુતાઓ એમનાં બચોળીયાંઓને કાખમાં ભરાવી ઉભી થઈ ગઈ. દ્વારપાળો પણ અંદર આવી ગયા. રાંધણકામ પણ પતી ગયું હતું. તૈયાર ભક્ષ્ય માતાજીના પગ આગળ મોટાં પાંદડા ઉપર મુકીને રસોઈયાઓ પણ ખડા થઈ ગયા. એક આધીભૌતીક ભાવસમાધી બધાંને ઘેરી વળી.

     કબીલાઓના સૌથી વયોવ્રુધ્ધ વડીલ તેમની હરોળમાંથી આગળ આવ્યા. તેમનું શરીર કોઈ અજીબો ગરીબ પ્રેરણાથી ધુણી રહ્યું હતું. જોગમાયાની પરમ શક્તી તેમના મુખમાંથી પવીત્ર વાણી વાટે પ્રગટવા માંડી. પહેલાં તો આ વાણીના શબ્દો સાવ અસ્પષ્ટ અને અર્થહીન લાગતા હતા. પણ ધીમે ધીમે, સમજી શકાય તેવી બોલીમાં, એ પરાવાણીનું રુપાંતર થવા માંડ્યું. માતાજી સ્વયમ્ એ વડીલના મુખે આવીને વસ્યાં હતાં અને તેમને બોલાવી રહ્યાં હતાં.

    “આજની આ વીશીષ્ઠ રાત્રીએ એક નવી શક્યતામાં આપણે સૌ પ્રવેશી રહ્યાં છીએ. આપણાં લાડીલાં રુપલી અને ગોવો એમનું સહજીવન જ શરુ નથી કરતાં; પણ નવા પ્રદેશમાં વસવાના અભરખા સેવી; એક નવા યુગની શરુઆત કરવાનાં છે. આપણી જાતીના ઘણા બધા પ્રશ્નોનો નીકાલ આવવાનો છે. માતાજીએ પોતાની ક્રુપા આપણી સૌની ઉપર વરસાવી છે. એના આશીષ આ જોડીને અને આપણને સૌને મળ્યા છે. એના પ્રતાપે આ જોડી નવા નવા સંશોધનો કરી આપણી અગવડોનો ઉકેલ લાવશે એવી મારી શ્રધ્ધા છે. આજની આ પવીત્ર અને યાદગાર ઘડીએ આપણે સૌ માતાજીને સાદર વંદન કરીએ. ”

     અને બધાં એક ધ્યાનમાં માતાજીને વંદી રહ્યાં. એની અલૌકીક ક્રુપા વરસી રહી હતી. અને એ શીતળ શીકરોમાં બધાં પોતાના ચૈતન્યને ભીંજાતું અનુભવી રહ્યાં. કોઈ દીવ્ય ચેતના એમના અણુએ અણુને વ્યાપી રહી હતી. ધીમે ધીમે આ ભાવસમાધી ઓસરતી ગઈ, અને બધાં ગુફાની એ ધરતી ઉપર, પોતાના જગતમાં પાછાં આવ્યાં.

      હવે રાંધણીયાઓનું સ્થાન ત્રણ પીરસણીયા સ્ત્રીઓએ લીધું. અણીદાર પથ્થરની છરીઓ વડે તેમણે શેકેલાં કાળજાં બહાર કાઢ્યાં અને સાફ કરી, વડીલને આપ્યાં. વડીલે ભાવપુર્વક માતાજીને તે સુકા મેવા સાથે અર્પણ કર્યાં; અને ભાવવીભોર સ્વરે માતાજીને તે આરોગવા વીનંતી કરી. માતાની આંખ પ્રસન્નતાથી સૌને હસતી લાગી. થોડીક વારે પોતે એમાંથી એકને પ્રસાદ રુપે આરોગ્યું અને બીજાં બે ગોવા અને રુપલીને આપ્યાં. ત્રણે જોગમાયાના આ પ્રસાદથી ક્રુતક્રુત્ય બની રહ્યાં.

    માતાજીએ એમના પ્રસાદનો સ્વીકાર કર્યો હતો. એમની આરત અને એમની શ્રધ્ધાને એણે પોંખી હતી. માતાજીએ બધા કબીલાઓને સુખ અને સમ્રુદ્ધીની આશીષ આપી હતી. એક નવું સર્જન, એક નવું જીવન, એક નવું ઉત્થાન, એક નવી છલાંગ, ભાવીના ગર્ભમાં અંકુરીત થઈ ચુક્યાં હતાં.

     એક સ્ત્રી સુકા મેવા આગળ લઈ આવી. ત્રણે જણીઓએ હવે બધાંને પ્રસાદની વહેંચણી શરુ કરી. સૌએ શીસ્તબધ્ધ રીતે, માતાજીએ આરોગેલો પવીત્ર પ્રસાદ ગ્રહણ કર્યો. એ પ્રસાદે તેમનાં થાકેલાં શરીરોને અનેરી શક્તીથી ભરી દીધાં. મધરાત થઈ ચુકી હતી. બધાં હવે ગુફામાંથી બહાર આવી, પર્વતની તળેટીમાં ઉતરવા માંડ્યાં. ઉંઘરેટાં હોવા છતાં બાળકો સૌથી આગળ દોડતાં હતાં. આ નવા જાગેલા ઉત્સાહમાં, એ ઢોળાવ ક્યાંયે કપાઈ ગયો. અડધી રાત વીતતામાં તો બધાં નદી કીનારે આવી પુગ્યાં અને નીંદરમાં ઘેરાઈ ગયાં. પરીતોષની ચરમસીમામાં આવૃત્ત, સૌના દીલો-દીમાગમાં ન સમજાય તેવાં શમણાં ઘુમી રહ્યાં હતાં.

    અને પુનમની શીળી ચાંદનીથી મલપતી એ રાતે, જંગલના એકાંત ખુણે, એક વ્રુક્ષની છાયામાં, પોચા ઘાસની પથારીમાં ગોવો અને રુપલી એમની રતીકેલીમાં મશગુલ બની એકમેકમાં સમાઈ, ખોવાઈ ગયાં હતાં.

—————–

  આ સાથે આ નવલકથાનો પ્રથમ ભાગ ‘પુર્વારંભ’ સમાપ્ત થાય છે. બીજો ભાગ  ‘સીધાં ચઢાણ’ ની શરુઆત આવતા અંકથી.

Categories: નવલકથા · સુરેશ જાની
Tagged:

7 responses so far ↓

  • સુરેશ // July 10, 2008 at 2:43 pm | Reply

    થોડીક તત્કાલીન વીગતોને બાજુએ મુકી દો તો એમ નથી લાગતું કે, આ ભાવજગત 21મી સદીના ઈંન્ટરનેટ યુગમાં પણ પ્રસ્તુત છે? વીજ્ઞાનના એક નવા તબક્કામાં પ્રવેશતો આ વાર્તાનો પ્રવાહ ‘ ધર્મ અને વીજ્ઞાન’ વચ્ચેની સંવાદીતાને ઉજાગર કરશે એ જ ભાવના.
    આજે પ્રસીધ્ધ થતો, આ અંગેનો, મારો નીચેનો લેખ વાંચવા ખાસ ભલામણ છે.
    http://antarnivani.wordpress.com/2008/07/12/religion_science/

  • ધર્મ અને વીજ્ઞાન « અંતરની વાણી // July 12, 2008 at 2:08 am | Reply

    [...]    મારા મતે, માનવમનના વીકાસના પ્રારંભીક તબક્કામાં ધર્મ અને વીજ્ઞાન વચ્ચે કોઈ સંઘર્ષ ન હતો. પ્રાગૈતીહાસીક કાળના એ અબુધ માનવીઓ, એ જંગલના જીવો સત્યની ઘણી વધુ નજીક હતા. અનેક જીવનસંઘર્ષોની વચ્ચે, ધર્મ અને વીજ્ઞાન બન્ને એમના જીવનમાં એક રુપ બનીને વીલસતા, પાંગરતા હતા. આવી જ પરીકલ્પના મારી નવલકથાના આજના પ્રકરણની પાર્શ્વભુમીમાં છે. એ વાંચવા અહીં ‘ક્લીક’ કરો. [...]

  • Chirag Patel // July 12, 2008 at 4:25 pm | Reply

    વાહ, દાદા! આ નવલકથાનો પહેલો ભાગ સમાપ્ત થતાં જ નવા સાહસની શક્યતાના દ્વાર સરસ ઉઘાડી દીધાં.

  • Nirlep Bhatt // July 13, 2008 at 7:11 am | Reply

    khub aabehub varnan karyu chhe…going well.

  • nilam doshi // July 25, 2008 at 7:08 pm | Reply

    khub saras …nice imagination..
    તમે તો સિધ્ધહસ્ત લેખક બની ગયા…દાદા અભિનંદન..

  • Jay Ashara // September 30, 2008 at 5:07 am | Reply

    Every end has new beginning… and the concept of the story itself has infinite way to go….

  • પ્રકરણ – 31 જોગમાયાની ગુફામાં « ગદ્યસુર // July 11, 2009 at 12:15 am | Reply

    [...] [...]

Leave a Comment