ગદ્યસુર

એક સાહિત્યપ્રેમીનો પ્રશંસનીય સાહિત્યિક અભિગમ – જય ગજજર

August 14, 2008 · 5 Comments

‘ગદ્યસુર’ ઉપર માત્ર ‘ઉંઝા’ અથવા તે આધારીત ‘સરળ’ જોડણીમાં લેખો પ્રકાશીત કરવાની પાયાની નીતીને બાજુએ મુકીને; કેનેડાસ્થીત, જાણીતા સાક્ષર, માનનીય શ્રી. જય ગજ્જરે મારા બીજા ઈ-પુસ્તક ‘ સ્વૈરવીહાર’ માટે અત્યંત પ્રેમ અને સદ્ ભાવ પુર્વક લખી આપેલી પ્રસ્તાવના,  તેમણે જે રીતે લખી છે તે જ રીતે, અહીં પ્રકાશીત કરતાં મને અત્યંત આનંદ થાય છે. પોણા ભાગની જીંદગી જે ભાષાની લખાણ-પધ્ધતીમાં વીતાવી; જેમાં કક્કો અને બારાખડી ઘુંટ્યા તેનો વીરોધ કે દ્વેશ સંભવીત જ શેં હોય? માત્ર તેમાં લોકોપયોગી સુધાર થાય અંને તે સરળ બને તે ગમે અને તેનો પ્રસાર વધે  એનો ધખારો હોય – એટલું જ…..

હવે તેમણે લખેલી પ્રસ્તાવના અણીશુધ્ધ તેમના જ શબ્દોમાં વાંચો -

————————————————————-

‘સુરેશ જાની’નું નામ ગુજરાતી બ્લોગ જગતમાં હવે અજાણ્યું નથી. વ્યવસાયે નિવૃત્ત એન્જિનિયર/ મેનેજર હોવા છતાં; એક પ્રખર સાહિત્યિક જીવ બની, નિવૃત્તિ મોજશોખમાં કે આળસુ બની વેડફી દેવાને બદલે ગુજરાતી ભાષાના અપ્રતિમ પ્રેમને કારણે; ગુજરાતી સાહિત્યના વિકાસ અને પ્રસાર માટે સાચા અર્થમાં ભેખ ધારણ કરી આ પ્રયોગશીલ ડોસાએ અમેરિકામાં આવી ચાર વર્ષના બનવાનું વેણ લીધું છે. (એમની એક કવિતામાં વર્ણવ્યા પ્રમાણે) એમની બ્લોગીંગની યાત્રા નિજાનંદ માટે ‘ગમતાંનો ગુલાલ’ છે.

કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ આવતાં, ‘જયાં ન પહોંચે રવિ; ત્યાં પહોંચે અદનો માનવી’ની જેમ; જેમને કદી મળ્યા ન હોઇએ, એવા કેટલાય લોકો સમયના વહેણ સાથે આત્મીય સ્વજન બની જાય છે. ઈ-મેઈલને કારણે ઘણા સાથે સંબંધોના તંતુ ગાઢ બંધાયા છે. શ્રી. જુગલકિશોર વ્યાસની જેમ જ સુરેશભાઈ મારે મન એમાંના એક સ્વજન બન્યા છે. એમની સાથે એમના બ્લોગ જગતને કારણે જ આત્મીય સંબંધ બંધાઈ ગયો અને મને એમણે એમના આ નવા ઈ-પુસ્તક “સ્વૈરવીહાર” માટે પ્રસ્તાવના લખવા, અચકાતાં અચકાતાં, વિનંતી કરી. એમના પ્રદાનથી અને ભેખથી પરિચિત હોઈ; હું એમને ના ન પાડી શકયો. મારે મન એમની સાહિત્યિક સેવાના એક પૂરક બની રહેવાનું આ અહોભાગ્ય કહો, કે સદભાગ્ય છે.

‘ઈ-પુસ્તક’ રૂપે તેઓ ગુજરાતી સાહિત્યમાં એક નવી દિશા ચીંધી રહ્યા છે. લેખકના કહેવા પ્રમાણે, એમણે આજસુધીમાં લખાયેલ સ્વાનુભવકથાઓ અને કાલ્પનિક વાર્તાઓ આ સંગ્રહમાં સમાવી લીધી છે. મનોરંજન સાથે પ્રેરણા પૂરી પાડવાનો લેખકનો આશય છે. લેખકે સમગ્ર સમગ્રી ત્રણ વિભાગમાં વહેચી છે.

  1. પ્રાસ્તાવિક

  2. સ્વાનુભવ કથાઓ

  3. વાર્તાઓ

સત્ય ઘટનાઓને સરળ અને રસપ્રદ શૈલીમાં રજૂ કરવાની લેખકની કુશળતા એમના પ્રત્યેક લેખમાં દષ્ટિગોચર થાય છે. રોજબરોજના પ્રસંગોને લેખકે આબેહૂબ રીતે આ પુસ્તકમાં વણી લીધા છે. સહૃદયી વાચકને લેખકની આત્મકથા વાંચતા હોય એવો આભાસ થાય તો નવાઈ નહિ. લેખકના બહોળા વાચનના પણ દર્શન થાય છે.

કનોઈન્ગ’માં હલેસાં મારતા હોય ત્યારે શૂન્ય પાલનપૂરીના શબ્દો યાદ કરે અને લલકારે-

‘અમારી અદાથી સફર કોણ કરશે’

ત્યારે લેખકનું કવિહૈયું ડોલતું હોય એવો સાક્ષાત્કાર થયા વિના રહેતો નથી. વળી ‘બેફામ’ની પંકિત -

‘સાથી વિના, સંગી વિના એકલા જવાના’

ટાંકી જીવનની ફિલસુફી રજૂ કરે છે.

‘કારની ચાવી’ ની વાતના અંતે મેકિસકન ભાઈની સલાહના શબ્દો ટાંકી લેખક બહુ સરળ રીતે જીવનમાં ઉતારવા જેવા શબ્દો ટાંકી; સાવ સામાન્ય ઘટનાને કેવું મહાન સ્વરૂપ આપે છે!

પરદેશમાં આવ્યા પછી પણ લેખક પત્નીનું નામ બોલતાં અચકાય છે એમ માની લેવાની જરૂર નથી. ‘મારી એ’ શબ્દો વાપરી ભારતીય પરંપરાના આગ્રહી હોવાની છાપ ઊભી કરે છે. ‘ ચાલુ દીવસની સવાર કેનેડામાં એ લેખમાં આધુનિક યુવાનની જેમ સાઠ વર્ષની મહીલામાં સોળ વર્ષની સુંદરીનાં દર્શન જોઈ હૈયાના પ્રેમનું ડોકિયું કરાવે છે! કેનેડાની વાસ્તવિકતા રમૂજભરી રીતે આલેખી અહીંની રહેણીકરણીનો સારો ચિતાર આપ્યો છે.

‘જયની એકલ મુસાફરી’ની વાત હોય કે ‘ટિકિટ મળી’ એ વાત હોય કે ‘નવ્વાણુ માર્ક’ની વાત હોય; પણ એ સૌમાં કયારેક આપણા પોતાના અનુભવો પણ યાદ આવી જાય છે. નવ્વાણુ માર્કના પ્રસંગ જેવો જ પ્રસંગ મારા જીવનમાં પણ બનેલો. અમદાવાદની સરસ્વતી હાઈસ્કૂલની મારી એસ.એસ.સી.ની પ્રિલિમિનરી પરીક્ષામાં મારા ગણિત શિક્ષકે મને નવ્વાણુ માર્ક આપેલા. મને આશ્ચર્ય થયેલું. પરિણામ આવતાં હું એમને મળવા ગયો. મેં સવાલ કર્યો, “સર, મેં આઠને બદલે બાર સવાલો કર્યા છે. પહેલા પાને મેં લખ્યું છે કે ‘ગમે તે આઠ તપાસો.’ પછી તમે એક માર્ક કયાં કાપ્યો એ બતાવશો?’ એ વખતે મારા શિક્ષકે મને જવાબ આપેલો, “તારે બોર્ડની પરીક્ષામાં બસોમાંથી બસો નહિ આવે એમ વિચારી મેં એક માર્ક કાપ્યો છે.” મેં મકકમતાથી જવાબ આપ્યો, “એવું કલ્પી તમે એક માર્ક કાપી ન શકો.” એમણે જરા ઉભરો કાઢી સો પૂરા માર્ક આપ્યા. જયારે એસ. એસ.સી. બોર્ડમાં ગણિતશાસ્ત્રમાં બસોમાંથી બસો માર્ક આવ્યા; ત્યારે માર્કશીટ લઈ હું એમને મળવા ગયો. એ ખુશ થઈ ગયા અને બરડો થાબડી સલાહ આપી, “જીવનમાં સદા આવી મકકમતા રાખજો અને ધ્યેય ઊંચું રાખજો.”મારી આ ઘટના ૧૯૫૩ની સાલની છે. એમાં કોઈ અભિમાનનો સવાલ નહોતો. આપણી હોંશિયારીના ગર્વનો સવાલ હતો.

જીવનમાં વાટે ને ઘાટે કેવા કપરા અનુભવો થાય છે એ ‘પ્લમ્બીગ કામ કરતાં‘ એ લેખમાં સરસ આલેખાયું છે. ખરેખર તો લેખક ‘પ્લેગ્રાઉન્ડ’માં કહે છે તેમ આ પુસ્તકમાં ‘મારા આખાય જીવનની વિવિધ અવસ્થાઓની એક નાની શી ઝાંખી એક આડછેદ ખડાં થઈ જાય છે. આખાયે આયખાની બધીય યાદદાસ્તો સાગમટે ઉભરી આવે છે.” આ કે કયાંક કોઈના મુખે સાંભળેલી વાત લેખકે આલેખી છે. કયાંક જાત અનુભવની વાત છે, કયાંક હાસ્યાસ્પદ ઘટના છે, કયાંક દર્દભરી ઘટના છે, કયાંક શિખામણની વાત છે, કયાંક માર્ગદર્શનની વાત છે, કયાંક સલાહરૂપે છે, તો કયાંક પ્રેરણારૂપે છે,

વોટર પાર્કમાં એ લેખમાં કડવા અનુભવો વાગોળવા કોઈ કવિની પંકિતઓ ટાંકી જાણે એમનું કવિ હૈયું ઠાલવે છે, જુઓ કવિશ્રી કૃષ્ણ દવે ના આ શબ્દો -

મારી પાસે ઢગલો રેતી,
તારી પાસે ખોબો જળ,
ચાલને રમીએ પળ બે પળ.

તો કવિ શ્રી. ભગવતીકુમાર શર્માના શબ્દોમાં એ પરમ તત્વ સાથે કેવા લીન થઈ જાય છે? -

“હરિ, હવે આપણે સરખે સરખા,
હરિ તમે મેહ તો હું યે બરખા.”

આમ જ પ્રેરણાના સ્ત્રોતના આ આગ્રહી કોઇ મહાત્માના કે ફિલસૂફના શબ્દો ટાંકી એમના મનની કે હૈયાની વાત કહી જાય છે. દા.ત. સાઈકલ ચલાવતાં’ માં સ્વામી વિવેકાનંદના આ શબ્દો કેટલા હૃદયંગમ બની જાય છે,

“જગતનો ઈતિહાસ એટલે જે થોડા મનુષ્યોને પોતાની જાતમાં શ્રધ્ધા હતી એવા મનુષ્યોનો ઇતિહાસ.. એવી શ્રધ્ધા મનુષ્યની અંદર રહેલી દિવ્યતાને પ્રગટ કરે છે. એવી શ્રધ્ધા વડે તમે ઈચ્છો તે કરી શકો.”

પુર્વાશ્રમમાં પાવર એન્જીનીયર હોવાના સબબે લેખક ‘એનર્જી ક્રાઈસીસ’ના સંદર્ભમાં સ્વાનુભવની વાત લખતાં એક મૂઠી ઉંચેરા ચાલતા હોવાનો અનુભવ કરે છે. ‘અમેરિકન હાઈવે પરની ત્રણ ઘટનાઓ’ માં એમને બહુજ પ્રિય વિષયની સ્વપ્નકથા તેમણે આપી છે. પરિણામે એમનું કવિ હૈયું ઝબકી ઉઠે છે; અને એ બાબતમાં છંદોબધ્ધ, હૃદયસ્પર્શી, ઊર્મિસભર કવિતા પણ જન્માવે છે. આ બાબતમાં ‘શાર્દૂલવિક્રિડિત’ છંદમાં લખેલ કાવ્યના કેટલાક શબ્દો માણો,

લાખો જાનવરો દબાઇ, ખડકો વચ્ચે બન્યાં ઇંધણો.
ચાલે ચક્ર બધાંય વાહન અને ઉદ્યોગના તે થકી.

ક્યા સુધી ટકશે બધાંય ઝરણાં શક્તી તણાં આ અરે!
સંસ્કૃતી અતીવેગમાં સરકતી, વીનાશના માર્ગમાં.

આશા એક જ એ રહી જગતને અસ્તીત્વની દોટમાં.
વ્હાલા સુરજ દેવ! આજ જગવો વીસ્ફોટ નાના કણે
.

લેખક પાસે બહોળા અનુભવોનો એક મોટો પટારો છે. પછી પહેલી મુસાફરીની વાત હોય કે એક વિદેશી પ્રોફેસરની ભારતની મૂલાકાતની વાત હોય કે સંગ્રહની કોઈ પણ કૃતિ હોય; એ હકિકત સર્વત્ર દષ્ટિગોચર થાય છે. ‘સ્લમમાં સફર’ના અનોખા અને સામાજિક, વિષાદમય અનુભવોની વાત પછી ‘સુંદરમની સાથે મુલાકાત’માં રજૂ કરેલ એક અનોખા અને દિવ્ય અનુભવની વાત કહી; વિચારધારાના બે વિપરીત ધ્રુવો વચ્ચે સુભગ સુયોગ સાધ્યો છે.

લેખકે આખા સંગ્રહને ત્રણ ભાગમાં વહેંચીનાખેલ છે. મને આવી કોઈ જરૂરિયાત જણાતી નથી. કારણ કે, વિભાગ ત્રણ ને ‘વાર્તાઓ’ શીર્ષક આપ્યું છે; તે કઠે એમ છે. પ્રસંગકથાઓ કે રૂપકકથાઓ વધુ યોગ્ય લેખાય. લેખકને ટૂંકી વાર્તાનાં લક્ષણનો ઝાઝો પરિચય ન હોવાથી, ટૂંકી વાર્તાના ઢાંચામાં આ બધી વાર્તાઓ બેસે તેમ નથી, લેખકે ચીની કથાનો ઉલ્લેખ કર્યા વિના ન્યુ જર્સીમાં એક લલી કે લીલા રહેતી હતી એમ કહી એ વાર્તા લખી હોત તો ‘ઝેર તો પીવડાવ્યાં જાણી જાણી’ એક સરસ લઘુકથા બની હોત. એક બે વાર્તાઓમાં ટૂંકી વાર્તાનાં લક્ષણો દષ્ટિગોચર થાય છે. પણ આમ અલગ વિભાગ પાડવાની જરૂર નથી. આમ છતાં ‘શીલા’, ‘સરીતા’, ‘સૂર્યમૂખી’ , ‘નાઈટ્રોજન’ વિ. વિશિષ્ટ પ્રકારની, અનોખી વાર્તાઓ બને છે; જેમાં જીવન વીશે અનેક પાસાંઓને લેખકે સ્પર્શ્યાં છે. આ વાર્તાઓમાં કલ્પનાશકિત, ભાષા, શૈલી અને કલાગૂંથણી છતી થયા વિના રહેતાં નથી.

ખરું પૂછો તો આ આખાય પુસ્તકમાં લેખકે એમના રોજિંદા જીવનની વિવિધ ઘટનાઓને અલગ અલગ માહોલમાં નિરૂપણ કરવા પ્રયાસ કર્યો છે અને એ બધામાં જીવનના વિવિધ અનુભવોનું ઊંડાણ ઉલેચી એમાંથી સરળ માર્ગ કાઢી સાચી સમજ કેળવવાની રસભરી મથામણ છે, લેખકના બહોળા અનુભવનું આબેહૂબ દર્શન ઠેર ઠેર જોવા મળે છે.

એકે એક વાર્તા લઈ એની વિશિષ્ટતાની અલગ છણાવટ કરી મારી પ્રસ્તાવના લાંબી કરવાને બદલે વાચકોને એક જ વિનંતિ છે કે, ખૂબ ધ્યાનથી એ વાર્તાઓ વાંચી, એનો મર્મ અને એનું હાર્દ સમજવા પ્રયત્ન કરજો. મને ખાત્રી છે કે જીવન વિશે એક સાવ તરોતાજા દર્શન અને દૃષ્ટિબિંદુ મળશે, અને તમારું મનડું મલકીને નાચી ઉઠી પોકારશે, ‘વાહ સુરેશભાઈ, વાહ!’.

લેખકને પ્રસંગગૂંથણી પર સારી ફાવટ છે, સરસ ચિત્રો ખડાં કરવાની આવડત અને કળા છે. પળે પળે એમનો સાહિત્યપ્રેમ અને લોકાભિમુખ થવાની ઉત્કંઠા છતી થાય છે. વાચકના મનને હરી એને વાચન તરફ દોરવાની એક અનોખી કળા એમને સાધ્ય છે. આ પુસ્તકમાં સહૃદયી વાચક એમના કથનમાં શ્રધ્ધા અને ઉત્કંઠા કેળવે છે. પરિણામે સૌ કોઈ સાહિત્યપ્રેમી શ્રી સુરેશભાઈ જાનીના પ્રશંસક બની, સાહિત્યિક અભિગમના પ્રેરક બની જાય છે.

દુનિયાના ખૂણે ખૂણે તમારા બ્લોગ પહોંચી; ‘જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’ એ ઘોષણાનો ઝંડો ફરકાવવામાં તમને સારી સફળતા મળે, અને તમે જીવનની ધન્યતા અનુભવી કૃતાર્થ થાઓ. તમારા આ પુસ્તક માટે તમને મારા ખૂબ ખૂબ અભિનંદન અને તમારા બ્લોગ સાહિત્યને વધુ વિકસાવો એ મારા અંતરની પ્રાર્થના અને અનેક શુભેચ્છાઓ સાથે સાથે શિવાસ્તુ પંથાઃ

નોંધ : શ્રી સુરેશભાઈ ઊંઝા જોડણીના આગ્રહી છે. હું એના વિરોધમાં નથી કે, એનો પક્ષકાર નથી. ‘ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર.’ ભાવસૃષ્ટિ જ સર્વોચ્ચ છે. ભાષાનું બંધારણ નહીં.

જય ગજજર, C.M.; M.A.
41 Palomino Drive, Mississauga,
Ontario, Canada, L4Z 3H6

Web: www.jaygajjar.com,
email – gajjar@mail.com

તેમની જીવનઝાંખી વાંચો

Categories: જય ગજ્જર · પ્રસ્તાવના
Tagged:

5 responses so far ↓

  • CHANDRAVADAN MISTRY // August 14, 2008 at 9:31 pm | Reply

    Jaybhai…Nicely told of Sureshbhai who is my friend too….He is remarkable person with lots of energy & ever busy with GUJARATI SAHITYA… Jay bhai do visit my site at>>
    http://www.chandrapukar.wordpress.com

  • Mukund Desai "MADAD": // August 15, 2008 at 1:07 am | Reply

    good

  • Rajendra M.Trivedi,M.D. // August 15, 2008 at 1:33 pm | Reply

    Dear bhai Suresh,

    Trivedi Parivar is always wishing the Best.
    Your work will shine as always.
    Many will learn from your life and your reflection of your time either when you lived in India or now away from Amadavad,Gujarat.
    We surfers will keep surfing on your Gujarati Blogs!

    Rajendra and Trivedi Parivar
    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

  • pragnaju // August 15, 2008 at 3:21 pm | Reply

    ખૂબ સરસ
    રોજ મળતા હોઈએ-બ્લોગ પર છતાં ઘણી ખૂબીઓથી આજે પરિચીત થવાયું!
    ઊંઝા જોડણી કે બીજી સાહિત્યીક પ્રવૃતિ કરવાનો વિચાર પણ ન હતો.તેમાં ગુજરાતી ટાઈપ અને લખાણ વાંચતા…કોનેન્ટસનો પ્રયત્ન કર્યો અને સુરેશભાઈએ સામે ચાલીને આમંત્રણ અને ફુલાઈ જવાય તેવી વાતો કહી…એસ.વીએ બ્લોગ અંગે સમજ
    અને હજુ પણ મદદ આપતાં ગાજરની પપુડી જેવો -તે પણ શરુ થયો!આમ ઈફ્તદાથી અંજામ સુધી અને ત્યાર બાદ પણ મદદ કરનારની ખૂબીઓ આજે જાણી!

  • ગૂઢ રહસ્ય – જય ગજજર « ગદ્યસુર // July 1, 2009 at 1:01 am | Reply

    [...] [...]

Leave a Comment