ગદ્યસુર

લીપી – એક અવલોકન

August 27, 2008 · 3 Comments

   તે દીવસે હું મારા માનીતા પાર્કમાં ગયો હતો. બાળકો રમતમાં મશગુલ હતા. આથી મારું મન હમ્મેશની ટેવના કારણે આજુબાજુની ચીજો ઉપર કેન્દ્રીત થયું. અને એ ચીજો નવી વીચાર પ્રક્રીયા સર્જવા લાગી. અવલોકનો જ અવલોકનો. એક પછી એક ચાર અવલોકનો પ્રગટ થવા માંડ્યા. અને દરેકની પાછળનો વીચાર ખરેખર સરસ હતો.

     જો કે, આમ પહેલી વાર બન્યું ન હતું. પણ ઘેર પહોંચતા સુધીમાં એકાદ વીચાર જ યાદ રહેતો અને બીજા વીલીન થઈ જતા. આથી તે દીવસે મને એક સુવીચાર સુઝ્યો કે, આ વીચારોના મુદ્દા એ જ ક્ષણે લખી લેવા જોઈએ. મારી પાસે તો કાગળ, પેન્સીલ, પેન કશું જ ન હતું. કારમાં આ મળી રહેત. પણ પાર્કીંગ થોડે દુર હતું. ત્યાં સુધી જઉં તો બાળકો ઉપર ધ્યાન ન રહે – ક્યાંક ભાગી જાય તો ક્યાં ખોળવા?

     હવે બીજી વાત એમ છે કે, હમણાંનો હું પથ્થરયુગની નવલકથા લખવાના ચાળે ચઢ્યો છું. આથી ‘એ યુગમાં હું જીવી રહ્યો છું.’ એવી કલ્પનાના ઘોડે સવાર થઈ જવાય. આથી તરત મને વીચાર આવ્યો કે, ‘જો અત્યારે હું એ યુગમાં જીવતો હોઉં તો આ વીચાર યાદ રાખવા શું કરું?’ અને તરત બીજો સદ્વીચાર સ્ફુર્યો કે, એ ચારેય વસ્તુની તરત યાદ અપાવે એવાં કોઈ પ્રતીકો મારે ખીસ્સામાં સંઘરવા જોઈએ. આથી આજુબાજુ નજર દોડાવી.

     અને આ ચારેય વીચારોને સ્મૃતીપટમાંથી ઢંઢોળીને જગાડે એવી, આજુબાજુમાં પડેલી, ચાર ચીજો મને ધીમે ધીમે મળી પણ ગઈ. એક નાનકડો પથ્થર, પ્લાસ્ટીકની સ્ટ્રો, ઘાસનું તણખલું, અને ઝાડની એક નાની, સુકાયેલી ડાળી. મારા વીચાર પ્રવાહના ચારેય પદાર્થો સાથે આમનો મેળ બેસાડી દીધો.

પથ્થરચગડોળ  

  • ચગડોળની બાજુમાં પડેલો હતો

પ્લાસ્ટીકની સ્ટ્રોલોખંડની પાટલી 

  • પાટલી પર નાસ્તો કરીએ માટે

ઘાસનું તણખલું  -  જમીનના ઢોળાવ

  • ચારે બાજુ ઘાસમાં ઢોળાવો

ઝાડની એક ડાળીરેલના પાટા 

  • બે સીધી લીટી

     પછી થોડી વારે અમે ઘર ભણી પ્રયાણ આદર્યું. હું બાળકો સાથે બીજી વાતોમાં પરોવાયો. રસ્તામાં એક હોટલમાં નાસ્તો કરવા પણ અમે રોકાયા હમ્મેશ બનતું હતું તેમ પેલી ચાર વાતો તો ક્યાંય વીસરાઈ ગઈ.

     ઘેર ગયો અને ખીસ્સું ખાલી કર્યું. અને પેલી ચાર ચીજો બહાર આવીને ટેબલને શોભાવવા માંડી. તરત જ મનના ઉંડાણમાંથી પેલા ચાર મુળ વીચાર એક પછી એક ઝબકવા માંડ્યા. હવે તો બધાં જ સાધનો ટેબલ ઉપર હાજર જ હતાં. મેં ચારે ય વીચારો અને તેના મુખ્ય મુદ્દા લખી લીધા. હવે ચાર લેખની પાયાની સામગ્રી મારી પાસે હાથવગી બની ગઈ હતી.

    ભાઈઓ અને બહેનો, આ જ તો કદાચ ભાષાની લીપીનો મુળ ઉદ્ ભવ હશે ને?

   જ્યારે માણસ માણસ વચ્ચે કોઈ અંતર નહોતું, ત્યારે કોઈ સાંકેતીક કે પ્રતીકાત્મક સંજ્ઞાઓની જરુર જ નહોતી. બધો વ્યવહાર શરીરના હાવભાવ અને બોલીથી થઈ જતો હતો. જેમ જેમ માનવજીવન વધારે ને વધારે જટીલ બનતું ગયું હશે; માણસો દુર ને દુર રહેવા માંડ્યા હશે; તેમ તેમ સંદેશ પહોંચાડવાની જરુર ઉભી થઈ હશે. પહેલાં ખેપીયા કે સંદેશવાહક મારફત વાણી મારફતે સંદેશા મોકલાતા હશે. એમાં મારા જેવા, કોઈ ભુલકણા જણે છબરડો વાળ્યો હશે; અને ઓડનું ચોડ વેતરાઈ ગયું હશે. આથી બોલાતી વાણી પર ભરોસો ન રાખતાં, અગત્યના સંદેશ માટે આવી કોઈ પ્રતીકાત્મક વસ્તુઓ અને પછી ચીત્રલીપી ઉભી કરાઈ હશે. કાળક્રમે એનું રુપાંતર અવાજને પ્રતીનીધીત્વ આપે તેવી લેખીત સંજ્ઞાઓ – લીપી વપરાતી થઈ હશે.

      આ પરીકલ્પના સાચી છે કે કેમ, તેનું અનુમોદન તો માત્ર ભાષાશાસ્ત્રીઓ જ આપી શકે. પણ એક વાત નીશ્ચીત છે કે, બોલાતી કે લખાતી ભાષા એ પ્રતીકાત્મક સાધન માત્ર જ છે. કોમ્યુનીકેશનનું સત્વ અને તત્વ તો વીચાર અને ભાવ જ હોઈ શકે.

     ભાષા એ એક સગવડ માત્ર જ છે – મારી પેલી ચાર ચીજો જેવી. એ જેટલી સરળ હોય એટલું સારું.

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged:

3 responses so far ↓

Leave a Comment