ગદ્યસુર

ગૂઢ રહસ્ય – જય ગજજર

July 1, 2009 · 17 Comments

અમદાવાદથી કેનેડા આવીને વસેલા શ્રી. જય ગજ્જર મારા મોટા ભાઈની ઉમ્મરના છે. તેઓ કેનેડાના વ્યવસાય, સમાજ અને ગુજરાતી સાહીત્યના ક્ષેત્રે પ્રતીષ્ઠાનું સ્થાન ધરાવે છે. વળી તેઓ જોડણી બાબત ઉદારમતવાદી પણ છે.

આ વાર્તા ઉંઝા જોડણીમાં પરીવર્તીત કરીને પ્રગટ કરી હોત; તો પણ તે માટે તેમણે રાજીખુશીથી પરવાનગી આપી હોત. પણ એમના સૌજન્ય અને મારા માટેના સ્નેહને વશ થઈ; આવી કોઈ તરખડ કર્યા વીના, આ વાર્તા તેમણે જે રીતે મોકલી છે; તે જ રીતે રજુ કરી છે.

——

વાચકોને નમ્રતા ભરી વીનંતી કે, આપણે આ વાર્તામાં આવતાં પાત્રોના નામ, જાતી અને ધર્મને ગૌણ ગણી; આવા વાડાઓ કેવા ભયાવહ  અનીષ્ટો સરજે છે, તેની તરફ અણગમો વ્યક્ત કરી; આવા સંકુચીત અને જમાના જુના ખયાલોને તીલાંજલી આપી;  સમાજમાં એખલાસ અને ભાઈચારાના ઉમદા વીચારોને કાર્યાન્વીત કરીએ.

——————————–

દશ દિવસથી ઘરમાં કલ્પાંત કરતો મહમદ દશમા દિવસે હિંમત કરી ઘર બહાર નીકળી નમાઝ પઢવા મસ્જિદે ગયો. દસ દિવસ પહેલાં ગુમ થયેલ એની વહાલસોયી દીકરીનો પત્તો લગાડવા સહાય કરવા માટે અલ્લાહને પ્રાર્થના કરી. નમાઝ પઢી પાછો ફરતો હતો ત્યાં રસ્તામાં કાળકામાનું મંદિર આવ્યું. બહાર એક બોર્ડ હતું, ‘આજની પૂનમના દિવસે જે શ્રધ્ધાથી કાળકામાની પૂજા કરી સંકલ્પ કરે એની મનોકામના પૂર્ણ થાય છે.’

એ પાકો મુસલમાન હતો પણ હિંદુ મંદિરમાં જઈ એણે પ્રાર્થના કરી, “હે મહાકાળી મા, મને મારી દીકરી પાછી મેળવી આપશો તો હું સવાસો રૂપિયાના પેંડા ધરાવીશ અને તમને ચૂંદડી ચઢાવીશ.”

સંકલ્પ કરી એ પાછો ફરતો હતો ત્યાં એના કાને શબ્દો પડયા, “હે માડીના ભકત, એકાદ સારું કામ કરીશ તો તારી મનોકામના પૂર્ણ થશે.”

એણે ખિસામાંથી પાંચ રૂપિયા કાઢી એની સામે પડેલી ચાદરમાં નાખ્યા.

ઘેર પહોંચી ઉદ્વિગ્ન મને ખાટલામાં આડો પડયો. વિચારે ચઢયો, “મારી પંદર વર્ષની દીકરીને કોણ ઉપાડી ગયું હશે? હે અલ્લાહ, એના વિના હું જીવી નહિ શકું.” અને કલ્પાંત કરવા લાગ્યો.

વીશ વર્ષ પહેલાંનો એ દિવસ એને યાદ આવ્યો.

ભૂતકાળ યાદ આવતાં એ બબડયો, “મારી દીકરીને કોઈએ એવા નાલાયક એજન્ટ પાસે તો નહિ પહોંચાડી હોય?”

એ વિચાર મનમાં ઝબૂકતાં એ ધ્રૂજી ઉઠયો. વધુ વિચાર્યા વિના પહેલી ટ્રેઈન પકડી મુંબઈ પેલા એજન્ટને ઘેર પહોંચી ગયો. એના ઘેર  તાળું  હતું. પૂંઠ ફેરવી તો એક પાડોશીએ કહ્યું, “રાજારામનું કામ છે? એ તમને  ફોકલેન્ડના એમના હડ્ડા પર મળશે.”

એ તરત જ ફોકલેન્ડ પહોંચી ગયો. પાનના એક ગલ્લાવાળાને રાજારામ વિષે પૂછતાં એણે એક વિશાળ કંપાઉન્ડ તરફ આંગળી ચીંધી.

કંપાઉન્ડમાં દોડી જઈ અંદરના એક ઘરના બારણે બેલ મારતાં એક ત્રીસેક વર્ષની યુવતીએ દરવાજો ખોલી પૂછયું, “કોનું કામ છે?” સામે મહમદને જોતાં રંભા પળભરતો એને નખશીખ નિરખી રહી. સ્મૃતિપટ પર ઝબકારો થતાં એણે પૂછયું,  “રાજારામને શોધો છો? કેમ કોઈ નવી છોકરીને ઉપાડી લાવ્યા છો?”

“ના બહેન, મારે જાણવું છે કે મારી વહાલી દીકરીને કોઈ અહીં તો નથી લાવ્યું?”

“તમે કયાંથી આવો છો?” મનની ખાત્રી કરવા એણે પૂછયું.

“અમદાવાદથી.”

“વીશ વર્ષ પહેલાં માંડવીની પોળની એક છોકરીને તમે તો અહીં નહોતા લાવ્યા?”

મહમદ એની સામે તાકી રહ્યો. ચહેરો કંઈક યાદ આવતાં ગભરાટને કારણે એનાં અંગે અંગ ધ્રૂજવા લાગ્યાં. એક હરફે ઉચ્ચારી ન શકયો. શું જવાબ આપવો એના વિચારમાંં સ્તબ્ધ બની ગયો. શરમથી એનું મસ્તક નીચે ઢળી ગયું.

એને ચૂપ જોઈ રંભા બોલી, ” છેલ્લા પંદર દિવસમાં પાંચ છોકરીઓ આવી છે.  ઉપર આવો,  તમારી દીકરી જો અહીં હોય તો લઈ જઈ શકો છો.”

પસ્તાવાનાં આંસુ છૂપાવી  આશાભર્યો મહમદ ઉપર ગયો. ચારે બાજુ દેવદેવીઓ અને વિશ્વની મહાન સન્નારીઓના ફોટાજોઈ એનું હૈયું અને મન નાચી ઉઠયાં. એણે ચારે બાજુ નજર ફેરવી. એ ખંડમાં પચાસેક યુવતીઓને એક આધેડ વયની બહેન સંસ્કારના પાઠ શીખવતાં હતાં. એકાએક વચ્ચેથી અક છોકરી દોડી આવી.

“ડેડી, તમે અહીં કયાંથી?” મહમદની દીકરી પાસે દોડી આવી એને ભેટી પડી.

મહમદનું હૈયું પીગળી ગયું. એના માથે હાથ ફેરવતાં એ બોલ્યો, “હા, બેટા હું તને લેવા આવ્યો છું. ચાલ, સંસ્કારની આ મહાદેવીને નમસ્કાર કરી એમના આશીર્વાદ લઈ ઘેર ચાલ. તારા વિના હું જીવી નહિ શકું.” અને પૂંઠ ફેરવી રંભાને બે હાથ જોડી વંદન કરી ઉમેર્યું, “આપના જેવી મહાન મહાદેવીને નરકવાડે લાવનાર કયો કાળમુખો અભાગી હશે? સાત ભવ એ નરકમાં સબડયા કરશે!”

રંભા અને મહમદની આંખો મળી પણ બેમાંથી એકેયે એ ગૂઢ રહસ્ય ન  ઉકેલવામાં ડહાપણ માન્યું.

————————————-

-  જય ગજ્જર ( એમની જીવન ઝાંખી વાંચવા અહીં ‘ક્લીક’ કરો.)

કુમાર મે, નવે

41 Palomino Drive, Mississauga, Ontario, Canada L4Z 3H6 Tel 905-568-8025 Email : gajjar@mail.com

“Neil”, Plot # 207, Sector 29, Gandhinagar, 382 029 Tel 23234273

મારા બીજા ઈ-પુસ્તક ‘ સ્વૈર વીહાર ‘ માટે તેમણે લખી આપેલી પ્રસ્તાવના વાંચો.

Categories: જય ગજ્જર · વાર્તા
Tagged:

17 responses so far ↓

Leave a Comment