ગદ્યસુર

પ્રકરણ – 31 જોગમાયાની ગુફામાં

July 11, 2009 · 3 Comments

વીતેલી વાર્તા વાંચવા
પહેલી હરોળમાં છેલ્લી ટેબ ‘નવલકથા‘ પર ક્લીક કરો.

—————————————– —————————

અગાઉના આવા એક પ્રસંગ – આનંદોત્સવ’ ને માણવા અહીં ‘ક્લીક’ કરો.

દર વરસની જેમ જોગમાયાની ગુફામાં બધા નેસડાના પ્રતીનીધીઓ ભેગા થયા હતા. વરસે એક વખત આમ ભેગા થવાનો રીવાજ હજુ પળાઈ રહ્યો હતો. જોગમાયાની આરાધના શરુ થવાની તૈયારીઓ ચાલતી હતી. નદી પાર કર્યા પહેલાં આવા વખતે જે રોનક રહેતી, તેમાં ઘણા ફેરફારો થયા હતા. પૈડાંની શોધ પછી શોધાયેલા ચાકડાના પ્રતાપે બનતાં માટીનાં વાસણો; અવનવા રંગ અને કુમાશવાળા ચામડાંના વસ્ત્રો; નદી કીનારેથી મળી આવતાં રુપાળા શંખલાંઓની માળાઓ; દુર દુરની મોટી નદીના કાંઠે ઉગતાં કેળ અને અશોકનાં વૃક્ષોનાં પાંદડાઓના શણગાર; માતાજીને ચડાવેલા રંગબેરંગી અને વીવીધ જાતનાં ફુલો… આ બધાંથી માતાજીની ગુફા સુશોભીત લાગતી હતી.

પણ અડધો અડધ નેસડાના પ્રતીનીધીઓ હાજર ન હતા. ગોવાને આ અસુયા અને આવા સમ્મેલનમાં ઘટતો જતો રસ પસંદ ન હતાં. દુર વસતા જાતીભાઈઓની વધતી જતી સમૃધ્ધી આ માટે જવાબદાર હતી. કદાચ ગોવાની સૌથી વધારે સમૃધ્ધી માટેની ઈર્ષ્યા પણ. ઝગમગાટ અને શણગાર વધ્યાં હોવા છતાં, ઘટતી જતી આત્મીયતા ઉડીને આંખે વળગે તેવી હતી. જે વડીલ માતાજીની પુજામાં અગ્રસ્થાન ધારણ કરતા હતા, તે તો માતાજી પાસે પહોંચી ગયા હતા. બીજા વડીલનો  ધાક એમના જેટલો ન હતો. વધેલી સમૃધ્ધી પણ કદાચ વડીલોના ઘટતા જતા પ્રભાવ માટે  જવાબદાર હતી.

માતાજીની આરાધના શરુ થવાની તૈયારી હતી, એટલામાં બે જુવાનીયાઓ ગોવાની નજીક આવ્યા. એમાંના એકે ગોવાના કાનમાં કશુંક કહ્યું. રાબેતા મુજબની આરત શરુ થઈ અને રંગે ચંગે પતી પણ ગઈ. પ્રસાદ વહેંચાય તે પહેલાં આગળ ઉભેલા ગોવાએ કહ્યું ,”આપણા બે યુવાન મીત્રો પર્વતની ઓલી કોરની સહેલગાહે ગયા હતા. એમણે ઓતરાદી ખીણમાં કાંઈક અવનવું ભાળ્યું હતું. એમના મોંએથીજ આપણે એ વાત સાંભળીએ.”

બેમાંના એક જણે કહ્યું,” અમે આગોતરી તૈયારી કરનારાઓ તરીકે વહેલા આવી ગયા હતા. સફાઈનું કામ પતી ગયું એટલે, દર વખતની જેમ અમે એ બાજુ સહેલ કરવા ગયા હતા. પણ એ ભેંકાર ખીણમાં અમે એક અવનવું કૌતુક ભાળ્યું. કાળા ચામડાના અસંખ્ય તંબુઓ બાંધેલા હતા અને કોઈક અજાણી વસ્તીનો અણસાર આવતો હતો. ખાસી  હીલચાલ પણ જણાતી હતી. અત્યાર સુધી કદી આવું નવતર અમે ભાળ્યું નથી.”

કાળુ ,” ગમે તે હોય. આ પર્વત પર એ થોડા જ ચઢી શકવાના હતા?“ બધાને ખબર હતી કે, પર્વતની એ કોર સીધી સટ હતી અને એ ઓતરાદી ખીણમાં ઉતરી શકાય તેવો કોઈ રસ્તો ન હતો.

પણ ગોવાના મનમાં આ વાતને આમ ઉવેખી નાંખવી યોગ્ય લાગતું ન હતું. તેણે વીહાને પુછ્યું ,” વીહા! તારું મન આ બાબત શું કહે છે?તારાઓને  પુછી જો, એ કાંઈ અણસાર આપે છે? “

વીહો ,” મને તો કે‘દીના અમંગળ અણસાર થયા જ કરે છે ને?”

ગોવો ,” જો આ નવી વસ્તી આપણા માટે તકલીફ ઉભી કરે તો?“

પાંચો ,” ગોવા! તું નાહકની ફીકર ન કર. એમ થશે તો આપણે બધાએ ભેગા મળીને એમનો મુકાબલો કરવાનો.“

પણ ગોવા અને વીહા વગર કોઈને આ વાતમાં કાંઈ માલ ન લાગ્યો કે રસ પણ ન પડ્યો. બધા એમની રંગતમાં ખોવાઈ ગયા. સમય થયે સૌ પોતપોતાના નેસમાં જવા રવાના થયા. પણ ગોવા અને વીહાએ બીજા દીવસે વહેલી સવારમાં, પર્વતની એ કીનાર તરફ .નજર નાંખી દેવાનું નક્કી કર્યું. .એ બન્ને રાતે જોગમાયાની ગુફામાં રોકાયા.

બીજા દીવસે સવારે વહેલા, જાત તપાસ માટે ઓતરાદી ખીણ તરફની પર્વતની એ ધાર તરફ બન્ને વળ્યા.   ચારેક કલાકે એ ત્યાં આવી પહોંચ્યા. નીચે ખીણ બહુ ઉંડી હતી . એની કોરથી નજર નાંખી શકાય એટલા દુર ક્ષીતીજમાં સુકું, સપાટ મેદાન હતું. પણ પર્વતની લગોલગ સાવ નાના દ્દેખાતા, કાળા અનેક તંબુઓનો સમુહ દૃષ્ટીગોચર થતો હતો. બહુ જ ઝડપથી કોઈક આકારો આમથી તેમ દોડી રહ્યા હતા. એમને દેખીતી રીતે જાનવરોની જેમ ચાર પગ હતા. પણ આશ્ચર્યજનક રીતે એમને બે માથાં હોય તેમ જણાતું હતું. ઘણે દુર નીચે હોવાના . કારણે એમના આકાર સ્પષ્ટ રીતે કળી શકાય તેમ ન હતું. પણ આવા નવતર જીવ એમણે કદી ભાળ્યા ન હતા.

વીહો ,” ગોવા! કાળુ અને પાંચાની વાત . મને તો સાચી લાગે છે. આ નવતર વસ્તી પર્વતની ઉપર કોઈ સંજોગોમાં ચઢી ન જ શકે. તું તારે બેફીકર રહે.”

વીહા જેવા ડાહ્યા જણની આ હૈયાધારણ મળ્યે, ગોવાને ટાઢક થઈ. બન્ને નીશ્ચીંત બનીને ઘર તરફ જવા ઉપડ્યા.

પણ નીચે તળેટીમાં જે યોજનાઓ ઘડાઈ રહી હતી; તેનો તો ગોવાને સ્વપ્ને પણ ક્યાં ખ્યાલ હતો?

Categories: નવલકથા · સુરેશ જાની
Tagged:

3 responses so far ↓

  • atul vyas // July 11, 2009 at 10:53 am | Reply

    really good

    aav-kav

  • pragnaju // July 11, 2009 at 11:05 pm | Reply

    નોરતા આવે અને અમારી કલ્યાણી વહુ જોગમાયાની આરાધના આ ગરબાથી કરે!

    તું તો કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા,

    તું ચારે યુગમાં ગવાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

    તને પહેલા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

    તું શંકર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

    તું ભસ્માસુર હરનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

    તને બીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

    તું હરિશ્ચન્દ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

    તું સત્યને કારણે વેચાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

    તને ત્રીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

    તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

    અન્યોન્ય સહનશીલતા રાખવી પડે!

  • Patel Popatbhai // July 12, 2009 at 7:41 pm | Reply

    Dear Jani Saheb

    Saras .

Leave a Comment