ગદ્યસુર

Entries from October 2009

પ્રકરણ – 41 : ખાનની પીછેહઠ

October 31, 2009 · 3 Comments

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

-——————————————

ચાર દીવસ પછી સવારના પહોરમાં …..

કાળુનો સાથી સફાળો દોડતો ગોવાના વાડામાં પ્રવેશ્યો.  “ભાગી ગયા … ભાગી ગયા..” ચઢેલા શ્વાસે તે માંડ માંડ બોલી શક્યો.

બીજા હુમલામાં ખાનના આક્રમણને બુરી રીતે પરાસ્ત કરવા છતાં, ગોવાને નદીકીનારો સાવ રેઢો મુકવાનું યોગ્ય લાગ્યું ન હતું. આથી દુરંદેશી વાપરી, બે માણસોને તેણે દીવસ રાત, સામે કીનારે ચાલી રહેલી હીલચાલની ઉપર સતત  નજર રાખવા રોક્યા હતા. દીવસની ચોકી પતે ત્યારે નવા બે જણ નદીકીનારે આવી જતા. પણ આ ચાર દીવસ સામે કાંઠે ભેદી નીષ્ક્રીયતા વર્તાતી હતી. નવા કોઈ તરાપા બનાવવામાં આવ્યા હોય, તો પણ તે નદીકીનારે લવાયા ન હતા. દેખીતી રીતે મોરચો ઠંડો પડી ગયો જણાતો હતો.

તે દીવસે સવારે કાળુ અને બીજો જણ આ રીતે ચોકી કરતા હતા; ત્યારે કાળુએ  તેના સાથીને આ ખબર આપવા દોડાવ્યો હતો. આ ખબર જાણી બધા નદીકીનારે દોડી ગયા.

અને સાચે સાચ સામેનું માનવ કીડીયારું જે રસ્તે આવ્યું હતું, તે રસ્તે નદીના કીનારે કીનારે પાછું જઈ રહેલું દેખાયું. દેખીતી રીતે ખાને પીછેહઠ કરવાનો નીર્ણય લીધો હોય તેમ જણાતું હતું. ગોવા અને તેના સાથીઓ, સ્ત્રીઓ અને બાળકો આ નવતર ઘટના જાણીને હર્ષોલ્લાસમાં આવી ગયા. ભય હવે દુર થયેલો જણાતો હતો. લાખો તો ઢોલ વગાડી નાચવા લાગ્યો.

પણ ગોવાના મનમાં હજી ચેન ન હતું. તેણે કહ્યું ,” આપણે બે બંદીઓ પાસેથી  મળેલી માહીતીને ભુલવી ન જોઈએ. ખાન પાસે હજુ તો ઝડપથી દોડતા નવતર પ્રાણીઓ પર સવાર થયેલી સેના અકબંધ છે; જે હજુ સુધી આપણે જોઈ જ નથી. આટલી બધી તાકાત હોવા છતાં ખાન ખાલી હાથે પાછો જાય , તે મારા મનમાં બેસતું નથી. જરુર આમાં તેની કોઈ ચાલ હોવી જોઈએ.”

વીહા અને પાંચાએ આમાં સાદ પુરાવ્યો.

પાંચો કહે ,” ગોવા , આપણે એમ કરીએ. બે જણ આપણી બાજુએ નદીના કીનારે કીનારે  આ સેના શું કરે છે; તે જાણવા તેમની  ઉપર નજર રાખતા રહે; અને કાંઈ ભયજનક લાગે તો એક જણ આવીને આપણને ખબર આપી જાય. “

બધાએ સમ્મતીમાં ડોકાં ધુણાવ્યાં. લાખો અને બીજો એક જણ આ કામ માટે તૈયાર થઈ ગયા; અને નદીકીનારે ખાનની સેનાની સાથે સાથે ચાલવા માંડ્યા.

કલાકેક પસાર થયો અને મોટા ભાગની સેના સામેથી અદ્રશ્ય થઈ ગઈ. માંડ પચાસેક માણસો જ હવે સામે કીનારે રહ્યા હતા. ખાને નવા તરાપા  બનાવ્યા હોય તેમ જણાતું ન હતું. દેખીતી રીતે ત્રીજો હુમલો થવાના કોઈ ચીહ્ન જણાતાં ન હતાં. જોગમાયાના સતે મેદાનવાસીઓને  મદદ કરી હતી.  હવે શાંતીથી જીવન પુર્વવત બની જશે તેવી આશા બંધાઈ હતી.

વળી આ ચાર દીવસમાં ધીમે ધીમે, સરવરીયા ગામ અને બીજા ત્રણ ચાર નેસમાંથી વધારાની મદદ પણ આવી પહોંચી હતી. ઘુમતા ફરતા ડફેર લોકોમાંથી પણ થોડાક, ગોવાને મદદ કરવા આવી પહોંચ્યા હતા. ગોવાના સાથીઓની બે અદભુત જીતના સમાચાર બધે પહોંચી ગયા હતા. આ સમાચાર જાણી, ગોવાના મનમાં ઉપજેલો  અવીશ્વાસ દુર કરવાનું એમને મુનાસીબ લાગ્યું હતું. ગોવાની પ્રતીષ્ઠામાં વધારો થયો હતો. હવે ગોવા પાસે પચાસેક માણસો ભેગા થયા હતા.

તાબડતોબ આ નવી કુમકને ધનુષ બાણ ચલાવવાની તાલીમ આપવાનું કામ પાંચાએ હાથમાં લીધું હતું. રુપલી અને બીજી સ્ત્રીઓએ એમને જરુરી નવાં હથીયારો બનાવવાનું કામ ઝડપથી આટોપવા માંડ્યું. બધાંને માટે વાંસની સોટીઓનાં બખ્તર અને શીરસ્ત્રાણ પણ બની રહ્યાં હતાં. વીજયના કેફે ગોવાના નેસને પ્રમાદી બનાવ્યો ન હતો. કોઈ પણ નવા આક્રમણને પહોંચી વળવા બધા એકસુરે, એકતાલે કામગરા બન્યા હતા. નવા આવનારાઓ મોડા પડ્યાની ભોંઠપ દુર કરવા બમણો ઉત્સાહ પ્રદર્શીત કરી રહ્યા હતા.

પણ ટોળાંથી સ્વભાવવશ દુર રહેતો વીહો કોઈક જુદા જ અણસાર અનુભવી રહ્યો હતો. પહેલા હુમલા પછીની રાતમાં એને મળેલ ભવીષ્ય દર્શનને એ વીસરી શકે તેમ ન હતું. બે બંદીઓ ઉપર હવે સતત ચોકી રાખવામાં આવતી હતી; અને આ ચાર દીવસમાં એમની પાસેથી તેણે બેળે બેળે ઘણી માહીતી મેળવી હતી. ખાનના પ્રદેશની લાક્ષણીકતા, એમના રીવાજો, એમની રહેણી કરણી, આદતો, ધાર્મીક માન્યતાઓ, એ બધાં વીશે એને આછો આછો ખ્યાલ આવવા માંડ્યો હતો. એ લોકોનાં શીથીલ ચારીત્ર્ય સ્ત્રીઓ માટે બહુ મોટો ભય નીવડે તેમ વીહાને ખબર પડી ગઈ.  એના જાતભાઈ બહેનો માટે આ નવતર વીદેશીઓ બહુ ભયંકર ખતરા રુપ નીવડી શકે તેમ જણાતું હતું. ઘોડા નામના અત્યંત ઝડપથી દોડી શકતા જાનવર પર એ લોકો સવાર થઈ શકતા હશે; અને પગપાળા ચાલનાર કરતાં ઘણી ઝડપે  અંતર કાપી શકતા હશે; એ વાત નીશ્ચીત જણાતી હતી. જો એ ઝડપી સેના નદી પાર કરી આ બાજુ આવી જાય તો કોઈ સંજોગોમાં ગોવાના આ પચાસ જણ તો શું; પણ બધી વસ્તી ભેગી થઈ જાય તો પણ ખાનની જીત નક્કી હતી.

ફરી વીહાએ ઉંડો નીસાસો મુક્યો અને જોગમાયાને અંતરથી અરજ કરી કે, વસ્તીમાં પ્રવર્તમાન ઉત્સાહ અને હર્ષ ટકેલાં રહે; અને  લાખો એવા સમાચાર સાથે પાછો ફરે કે, ખાને ખરેખર પીછેહઠ કરી છે.

Categories: નવલકથા · સુરેશ જાની
Tagged:

ઝાંપો અને પક્ષી – એક લઘુકથા

October 30, 2009 · 12 Comments

Hamilton Pool and Falls

હેમીલ્ટન પુલ રીઝર્વ

વાર્તા – ૧

છેલ્લા કેટલાક દીવસથી વરસાદને કારણે ટ્રેલની હાલત ખરાબ થઈ ગઈ છે.

આથી આ રીઝર્વ પ્રવાસીઓ માટે બંધ છે.

ગેરકાયદે પ્રવેશ કરવા પર પ્રતીબંધ છે.

અમે ઓસ્ટીનથી બાર માઈલ કાર ચલાવીને, આશાભર્યા હેમીલ્ટન પુલ રીઝર્વ ખાતે પહોંચ્યા. રીઝર્વનો ઝાંપો બંધ હતો. તેની ઉપર ઉપરોક્ત નોટીસ લગાડેલી અમને વાચવા મળી.

અમારા ચહેરા તો દીવેલ પીધું હોય, તેવા થઈ ગયા.

‘હવે શું કરવું?’ તેની અસમંજસમાં અમે હતા; ત્યાં એક પતંગીયુ જાણે કે આ નોટીસ વાંચતું હોય તેમ, તેની ઉપર બેઠું અને અંદરની બાજુએ ઉડી ગયું.

થોડીક જ વારમાં એક પક્ષી આ નોટીસની એસી તેસી કરી, ઝાંપાની ઉપરથી અંદરની તરફ, બીન્ધાસ્ત ઉડી ગયું.

————————————

વાર્તા – ૨

અમે આ અવઢવને વીસારી, નીકળવાની તૈયારી કરતા હતા; એટલામાં એક વાનમાં એક દમ્પતી પણ ત્યાં આવી પહોંચ્યું.

એમણે પણ આ નોટીસ વાચી. તેમના ચહેરા પણ અમારા જેવા બની ગયા.

અમને થોડોક સંતોષ થયો.

————————-

અમે તો એ રીઝર્વ ન જોઈ શક્યા; પણ એના વીશે જાણવા અહીં ‘ ક્લીક’ કરો.

Categories: લઘુકથા · સુરેશ જાની
Tagged:

રીવરવોક અને બંધ બારી – એક અવલોકન

October 28, 2009 · 18 Comments

ઓસ્ટીનના સરસ મજાના રીવરવોકના લોખંડના એક બાંકડા ઉપર હું બેઠો છુ; અને મારી સામેની બધી ચહલ પહલ નીહાળી રહ્યો છું.

સામે, નદીની પેલે પાર ડાઉન ટાઉનની ગગનચુંબી ઈમારતો ખડી  છે – કોઈક વીસ માળની, તો કો’ક ચાળીસ માળની, તો કો’ક પચાસ માળની. સૌથી ઉંચી ઈમારત પર સ્વાભાવીક રીતે બધાંની નજર પડે; તેમ મારી નજર પણ ખેંચાય છે. એની આડી અને ઉભી, બધી  બારીઓ બંધ છે – સાવ નીષ્ક્રીય અને કોઈ ચેતન વીનાની. હું એ બારીઓની પેલે પાર શું ચાલી રહ્યું છે; તે જોઈ શકતો નથી. કદાચ ત્યાં કોઈ આતરરાષ્ટ્રીય કમ્પનીનો કરોડો ડોલરનો કારોબાર ચાલી રહ્યો હશે. કો’ક માંધાતાની કુશાંદે ચેમ્બરમાં તે અતી વૈભવશાળી ખુરશીમાં બેસી મ્હાલી રહ્યો હશે ; અને તેની ઘણે નીચે આવેલા પરીસરમાં સળવળતાં માનવ જંતુઓ જોઈ મુછમાં મલકી રહ્યો હશે.

….

એની આગળ નદી વહી રહી છે. એનાં પાણી હજારો વર્ષોથી આમ જ સતત  વહેતાં રહ્યાં છે. એમાં જાત જાતની અને ભાત ભાતની હોડીઓ આવન જાવન કરી રહી છે.

નદીની મારી તરફ રીવરવોક છે. એની ઉપર જાતજાતનાં અને ભાતભાતનાં લોકો – પુરુષો, સ્ત્રીઓ, બાળકો – ચાલી, દોડી રહ્યાં છે. કોઈક ધસમસતા સાઈકલ ચલાવીને જઈ રહ્યા છે. કોઈકની સાથે જાતજાતના અને ભાતભાતના કુતરા પણ છે.

લોખંડનો એ બાકડો સાવ નીર્જીવ છે. એમાં કોઈ જ ચહલપહલ નથી. એ તો એમનો એમ જ, સાવ જડ અવસ્થામાં પડેલો રહેવાનો છે. એમાં કોઈ પરીવર્તનને અવકાશ નથી. હા! હું મારી કલ્પના અને વીજ્ઞાનના થોડાક જ્ઞાનને સહારે, એના અણુ અને પરમાણુમા સતત ચાલી રહેલી ગતી  વીશે વીચારી શકું છું. પણ બાંકડો એ જાણે છે ખરો?

મારી નજર હવે એ બાંકડાની બાજુએ આવેલ ઝાડ પર પડે છે. એની ડાળીઓ મને શીતળ છાયા આપી રહી છે. એનાં પાદડા પવનમાં ફરફરી રહ્યાં છે. એના લીલાં પાન તડકામા તપતાં શ્વસી રહ્યાં છે; વ્રુક્ષનો જીવન રસ સતત બનાવી રહ્યાં છે. સુકી ભંઠ લાગતી એની ડાળીમાં ક્યાંક નવાંકુર ફુટું ફુટું કરી રહ્યો છે, થોડાક દીવસોમા એમાંથી કુંપળ ફુટશે અને નવી ડાળીનો કે કદાચ એક ફુલની કળીનો નવો નક્કોર જન્મ થશે.

પણ એ ઝાડ જોઈ શકતું નથી, સાંભળી શકતું નથી, સ્પર્શી શકતું નથી. એને કોઈ વીચાર પણ નથી આવતા. એ કશેય એક તસુ પણ  ખસી શકતું નથી. એની ચેતના બાકડાના લોખંડની ચેતનાથી થોડેક આગળ આવીને અટકી ગયેલી છે.

ત્યાં ગળે માલીકના પટાથી બંધાયેલો એક કુતરો દોડતો દોડતો અને મોંમાંથી જીભ બહાર લબડાવતો આવી પહોંચે છે. સ્વભાવવશ, કશીક મનગમતી ચીજને સુંઘતો, સુંઘતો અને આમતેમ આથડતો, તે મારા  પગને પણ સુંઘી લે છે. પણ માલીકના ઈશારાથી મને અવગણીને વીદાય લે છે.

કુતરાની ચેતના ઝાડની ચેતના કરતાં ઘણી જટીલ છે. તે જોઈ શકે છે; સાંભળી શકે છે; સુંઘી શકે છે; ચાખી શકે છે. કરડી અને ભસી શકે છે. તે ચાલી, દોડી, કુદી પણ શકે છે.

પણ તેની વીચાર શક્તી સીમીત છે.

..

આ બધું નીહાળતો હું કુતરા કરતાં ઘણું વધારે કરી શકું તેમ છું. મારી પાસે માણસને મળેલી મહાન દોલત – માનવ મન છે.

હું ધારું તો એ બાંકડાને તોડી ફોડી, ગરમ કરી તેના પુર્જાઓના અવનવા ઘાટ ઘડી શકું છું; તેને ભઠ્ઠીમાં ઓગાળી, તેના રસને બીબામાં ઢાળી સુંદર મુર્તી બનાવી શકું છું.

હું એ ઝાડને કુહાડી વડે કાપી, તેના લાકડામાંથી આગ પેદા કરી શકું છું. અથવા એના બીજ બીજે વાવી, એવાં અનેક ઝાડ ઘણે દુર, નવા જ કોઈ બગીચામાં ઉગાડી શકું છું.

હું તે કુતરાને અથવા એના જેવા બીજા અનેક કુતરા કે બીજા પ્રાણીઓને પાળી, મારો માલીકી ભાવ સંતોષી શકું છું.

મારી ચેતના કુતરાની ચેતના કરતાં અનેક ગણી ચઢીયાતી છે ; તેવો ગર્વ મારા મનમાં આકાર લેવા માંડે છે.

પણ ..

એમ ન હોય કે, મારાથી અનેક ગણું ચઢીયાતું કોઈક હોવાપણું એવી અપ્રતીમ ચેતના ધરાવતું હોય; જેના થકી એને કોઈ દેખીતા રંગ, રુપ, આકાર કે હોવાપણાંની જરુર જ ન હોય? જેને માનવ મનની કે અસ્તીત્વ અથવા અનસ્તીત્વની મર્યાદાઓ નડતી ન હોય? જે આ બધાંયની મ્હાંયલી પા અણુએ અણુમાં વ્યાપીને રહેલું હોય? જે આ બધાંયને હાલતાં, ચાલતાં, શ્વસતાં; કારણસર કે વીના કારણ, ધસમસતાં અને પ્રગટ અસ્તીત્વ વાળાં કરી દેતું હોય?

- પચાસ માળ ઉંચે આવેલી બંધ બારીની પેલે પાર બેઠેલા, પણ મારી આંખે ન દેખાતા માંધાતાની જેમ?

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged:

વૃક્ષ અને વેલી – ભાગ : 4

October 26, 2009 · 2 Comments

બહુ જ વંચાયેલા……. ભાગ -1 : ભાગ – 2 : ભાગ – 3

ફરી પાછો પાર્કમાં. એના એ પાર્કમાં નીત નવા રસ્તા થોડા જ મળે? એના એ જ જુના રસ્તેથી ચાલતો, એ જ વૃક્ષ પાસેથી પસાર થયો. આગળ જઈને એક બાંકડા પર શ્વાસ ખાવા બેઠો. પણ એકની એક વાત નવું શું અવલોકન આપે? માત્ર એટલો સંતોષ હતો કે, એ વૃક્ષ અને એ વેલીનો મારી ઉપર અનુગ્રહ કે, મને ત્રણ ત્રણ અવલોકનો લખવાની  પ્રેરણા આપી.

ત્યાં એક ગોરા વૃધ્ધ આવીને મારી બાજુમાં બેઠા. એ પણ મારી જેમ ચાલીને થાકેલા હતા અને પોરો ખાવા વેઠા હતા. સ્વાભાવીક રીતે આટલા નજીક અને નવરાધુપ ડોસલા હોવાના  નાતે અમે વાતે વળગ્યા. મારા મનમાં તો એ વૃક્ષ અને વેલી તરોતાજા છવાયેલાં જ હતાં; એટલે અકકર ચક્કરમાંથી મારી વાતમાં એ આવી ગયાં.

મેં મારાં અવલોકનોની વાત કરી. એમને તો એ વાતમાં બહુ રસ પડ્યો, વીષવેલની મારી ઉપમા તો એમને બહુ જ ગમી ગઈ.

તેઓ બોલ્યા,” ચાલ, મને એ વૃક્ષ બતાવ.”

બાંકડાથી ઘણી નજીક એ ઝાડ હતું. મેં તેમને એ બતાવ્યું, એ ખડખડાટ હસી પડ્યા, અને બોલ્યા,

” તારી કલ્પના બહુ જોરદાર છે; પણ આ વેલ પરોપજીવી વેલ નથી. એણે તો માત્ર ઉપર ચઢવા આ ઝાડ પર આધાર લીધો છે. જો એનાં પાંદડાં લીલાં કચ છે. એ પોતાનું ક્લોરોફીલ પોતે જ બનાવે છે. જો વેલ પરોપજીવી હોય; તો તેની ડાળી અને પાંદડાં  સાવ પીળાં હોય, એને બધો રસ કસ ઝાડમાંથી જ મળી રહે.”

અને એમણે તો આ બાબતનું એમનું વનસ્પતીશાસ્ત્રનું જ્ઞાન મને પીરસવા માંડ્યું.

એ જ્ઞાન આત્મસાત કરવા જેટલી મારી ક્ષમતા કે વૃત્તી નથી. પણ મારા અજ્ઞાનનું મને ઠીક ઠીક ભાન થઈ ગયું.

અને નવા વીચારો …

કોઈ પણ ઘટના બને એને આપણે આપણી રીતે જ મુલવવા ટેવાયેલા હોઈએ છીએ. આપણી મનોસ્થીતી જે પ્રમાણે હોય, તે પ્રમાણે જ આપણે વીચારતા હોઈએ છીએ. એને અતીક્રમીને સત્ય શું છે, તે જાણવું હોય તો પહેલાં તો અભણ થવું પડે! બધા વીચારવાયુઓને વીસારી દેવા પડે. અને પછી કોઈ તત્વજ્ઞ કે સંદર્ભગ્રંથનો આશરો લઈ કે ગુગલ મહારાજને સહારે જઈ; નીરપેક્ષ અન્વેષણ કરવું પડે.

[ અભણ થવા અંગે, વીચારતા કરી દે તેવા બે લેખ જરુર વાંચશો -  1  - : -  2  - ]

પણ આપણે તો?

  • તરત આપણા સીમીત જ્ઞાનના આધારે ન્યાયાધીશ બની જવા ટેવાયેલા હોઈએ છીએ.
  • આપણે જે માનીએ તે જ સાચું.
  • બીજું બધું અસત્ય – નરદમ જુઠાણું.

આ જ તો આપણા હોવાપણાની બાંધેલી, ન બદલાઈ શકે તેવી, પથ્થરની દીવાલ પર કોતરેલી  રીત છે. ( Fixed way of being)

હવે વેલીને કેવળ વીષવેલ તરીકે જોવાની મારી દૃષ્ટી બદલાઈ. જેને વીકાસ માટે આધારની જરુર છે, તેવા સમાજના નબળા વર્ગોના પ્રતીક તરીકે પણ આપણે તેને નીહાળી શકીએ.  .

અરેરે મનવા! વૃક્ષ અને વેલી – પરોપજીવી,  સ્વાશ્રયી કે આધારને માટે વલખાં મારતું કોઈ જીવન.

એમનું જીવન એ સૌ એમની રીતે જીવ્યે રાખે છે. સમાજમાં સત, અસત; સબળ, નીર્બળ તત્વો પરાપુર્વથી પેદા થતા જ રહે છે; પોતાનું જીવનકાર્ય પોતાની રીતે પુર્ણ કરે છે અને ભુતકાળમાં વીલીન થઈ જાય છે. અને સંસાર તો આગળ વધતો જ રહે છે.

પ્રગતી, અધોગતી, નવ સર્જન, વીનાશ, ઉત્ક્રાન્તી … આ બધાં રોલર કોસ્ટરની જેમ ઉપર તળે થયાં જ કરે છે. કોઈ પેગંબર, વીચારક, સમાજ સુધારક, ફીકસુફ, રાજકર્તા કે સેનાપતી આ ક્રમને આમુલ રીતે ઉથાપી શક્યો નથી.

આમ કેમ થાય છે? અથવા આનાથી   વધારે સારી રીત કે વ્યવસ્થા કેમ ન હોય? – એ બધા તર્કના, વાણી વીલાસના, અર્થહીન પ્રલાપ નથી વારુ?

અને તરત અવળચંડુ મન બબડી ઉઠ્યું , “ તો આપણે શું હાથ જોડીને બેસી રહેવું? સ્લમ ડોગને સ્લમમાં જ સબડવા દેવા? આપણું સમાજ તરફ કોઈ ઉત્તરદાયીત્વ જ નહીં? “

લો ત્યારે … મારા મનની આ વ્યથા અને દ્વીધાનું શું સમાધાન?

તમે કહેશો?

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged:

પ્રકરણ – 40 બીજો હુમલો

October 24, 2009 · 4 Comments

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

-——————————————

ચાર દીવસ પછી ..

નદીની કોતરો તરફની બાજુ અણધારી પ્રવૃત્તીથી ધમધમી ઉઠી હતી. છ નવા તરાપા તૈયાર થઈને નદીના કીનારે લાંગરવાની રાહ જોઈને પડ્યા હતા. છ ગોરા સરદારો બાઈસનના ચામડાના બખ્તરો પહેરીને તૈયાર ઉભા હતા. બાર કોતરવાસીઓ આ નવા લેબાસ ધારણ કરવાની ગડમથલમાં પડ્યા હતા. એમણે આ લબાચાઓ સાથે તરાપા ચલાવવાની તાલીમ આ દીવસોમાં લઈ લીધેલી હતી. બીજા સૈનીકો પણ આ અભેદ્ય પહેરવેશ ધારણ કરી ઓલી ‘પા નવો હુમલો કરવા તલપાપડ હતા.

છેવટે બધી તૈયારી પુરી થતાં ખાન, જગ્ગો , ભુલો અને બીજા સરદારોની ટુકડી નદીકીનારે આવી પહોંચે તેની જ રાહ જોવાતી હતી. અને છેવટે એ બધા આવી પહોંચ્યા. એમની પાછળ, મને કમને ખેંચાતા, ઢસડાતા મુખીયા અને બાનો પણ હતા.

ખાને બધી તૈયારીનું જાતે નીરીક્ષણ કર્યું અને સંતોષમાં તેનું મુખારવીંદ ઝળહળી ઉઠ્યું. આ વખતે વીજય નીશ્ચીત હતો. ખાને જાહેર કર્યું,” સામેથી છોડાતાં તીર હવે આપણા કોઈ સૈનીકને ઉની આંચ આપી નહીં શકે. આ છ તરાપા સામે કાંઠે પહોંચે ત્યારે  એ લોકો કરતાં આપણી સંખ્યા છ ગણી હશે. એમને ઘેરી લઈ અથવા ભાગે તો એમનો પીછો કરી, છયે તરાપા તરત પાછા આવી જશે. અને બીજી ટુકડી રવાના થશે. આખા દીવસમાં આવા દસેક ફેરા કરી સામેની બાજુ પુરો કબજો આપણે જમાવી લેવાનો છે.”

ભુલાએ આ વક્તવ્યનું ભાષાંતર કોતરવાસીઓને સંભળાવ્યું.

બધાએ હર્ષનાદોથી આ જાહેરાતને વધાવી લીધી. બધા અપુર્વ ઉત્સાહથી થનગની ઉઠ્યા. ગોવાની અને સામે પારના મેદાન વાસીઓની વધતી જતી તાકાત અને સમૃધ્ધીને જબરદસ્ત લપડાક પડવાની હતી.

અને છેવટે જેની બહુ રાહ જોવાઈ રહી હતી, તે બીજો હુમલો અમલમાં મુકાયો. છ તરાપાઓએ ધીમી ગતીએ નદીકીનારેથી સામેની તરફ પ્રયાણ આદર્યું.

…..

સામેની પાર ચોકી માટે ઉભેલા કાળુ અને લાખાએ અગમચેતીનો ઢોલ ક્યારનો ય પીટ્યો  હતો. ગોવાના ચારેક સાથીઓ નવાં સોટી બખ્તર પહેરી નદીકીનારે આવી પહોંચ્યા. છેક પાછળ ચામડાંનો મોટો પીંડો ઉંચકી પાંચો અને બીજો એક નેસવાસી ધીમે ધીમે આવતા હતા.

ગોવાએ કહ્યું,” પાંચા, તારી નવી ચાલ કરગત ન નીવડી તો આપણે આજે મરાઈ જવાના.”

પાંચો તેના આયોજનમાં મક્કમ હતો. તેણે કહ્યું,” ગોવા, મા જગદંબા આપણી સહાય જરુર કરશે.”

પણ મોટા ભાગના બીજા મેદાનવાસીઓ શંકા કુશંકામાં ગરકાવ હતા. આજે મોત નીશ્ચીત હતું. સામે કાંઠે પ્રવર્તમાન ઉત્સાહનો અહીં સદંતર અભાવ હતો. બધો આધાર હવે જગદંબા ઉપર અને પાંચા ઉપર હતો.

પાંચાએ કહ્યું ,” આવી રહેલા તરાપાઓમાં હવે બધાએ જાડાં બખ્તર પહેરેલાં છે. આથી આપણે તેમને પોણી નદી સુધી આવવા દેવાના છે. ત્યાર બાદ મારું આ પોટલું એમનો મુકાબલો કરશે. કાલે મેં તમને બધાંને શીખવાડ્યું છે; તેમ એકસાથે એમાંનો સરંજામ વાપરવાનો છે.

અને બન્ને તરફ બધા કાગડોળે હવે શું થાય છે , તે જોઈ રહ્યા. તરાપાઓ નદીની મધ્યમાં આવી ગયા; પણ સામેની પારથી કોઈ તીર વર્ષાનો અભાવ હતો. તરાપાઓમાં બેઠેલા સૌને કાંઠા પર ભેગા થયેલા ગોવાના માણસોના ચીત્ર વીચીત્ર લીબાસ જોઈ શંકા થવા માંડી.  તેમના સરદારોએ એકબીજા સાથે સંતલસ કરી, “ કદાચ આપણાં તીર એમના આ નવા પહેરવેશને ભેદી નહીં શકે તો? “

છયે તરાપાઓમાંના મુખ્ય સરદારે જાહેર કર્યું ,” તો પછી આપણે ઉતરીને, મોટા પથ્થરોની આપણી ગદાઓ વડે એમની ઉપર હુમલો કરવો પડશે.”

તરાપાઓ હવે પોણી નદી પાર કરી ચુક્યા હતા. પણ સામેથી કોઈ હીલચાલ ન થઈ. તરાપાના સરદારોએ બધા સૈનીકોને એકસાથે સામે પારની ટોળી પર તીરવર્ષા કરવા એલાન આપ્યું. પણ એમના આશ્ચર્ય  વચ્ચે તીર અથડાઈને નીચે પડી જતા હતા; અથવા સામે વાળાના લેબાસમાં ખુંચી જતા હતા. પણ તે કશો ઘા કરવા કે ઈજા પહોંચાડવા કાબેલ ન હતા.

ખાન અને તેના સરદાર સાથીઓ પણ આ નીહાળી રહયા હતા. ખાને રોષમાં માથું કુટ્યું. તેણે ભુલાને કહ્યું ,” તમારા પાંચાએ ફરીથી કમાલ કરી દીધી. “

પણ ગોવાની બાજુ બધા રુપલીની આ કરામતથી નાચી ઉઠ્યા. એમની નાયીકા પણ ગોવા કે પાંચા જેટલી કાબેલ પુરવાર થઈ હતી.

અને હવે પાંચાએ એનું પોટલું છોડ્યું. એમાં બારેક ખાસ તીર હતાં અને ઝાડની પાતળી અને સુકી ડાળીઓનો ભારો હતો. પાંચાએ આ બધું કીનારા પર ઠાલવ્યું. સાથે લાવેલા અંગાર વડે તેણે ડાળીઓમાં અગ્ની પ્રગટાવ્યો.

તેણે બબ્બે તીર છ જણને સુપ્રત કર્યા; અને કહ્યું ,” આપણે ગઈકાલે તાલીમ લીધી છે તે પ્રમાણે, આ તીરની અણી પર બાંધેલ પોટલી સળગાવીને, તાકીને તીર તરાપાઓની  બરાબર વચ્ચે પડે તેમ છોડવાના છે.”

અને એકી સાથે છ તીર સન સન કરતાં અને બળતાં બળતાં તરાપાઓ તરફ આગળ વધ્યાં. તરાપાઓવાળાને શું થઈ રહ્યું છે , તે સમજ પડે તે પહેલાં આ તીર ઉંચેથી તરાપાઓની મધ્યમાં લાંગર્યા. તેમની ટોચ પરની બળબળતી ઝાળ થોડેક નીચે બાંધેલ ચામડાની પોટલીને અડી ન અડી ત્યાં તો એ પોટલી સળગી ઉઠી. એમાં ભરેલી ચરબી આ જ્વાળામાં હોમાઈ અને છયે તરાપાઓ પર આગની જ્વાળાઓ ભભુકવા લાગી. તરાપામાં બેઠેલા સૌ ભયભીત બનીને બેબાકળા બની ગયા. માની ન શકાય તેવી અને કદી કલ્પી પણ ન હોય તેવી આ આપત્તીથી બધા હતપ્રભ બની ગયા. નાસભાગ શરુ થઈ ગઈ. તરાપાઓએ સમતુલન ગુમાવ્યું અને બધા નદીના પાણીમાં ખાબક્યા. ભારેખમ પહેરવેશને કારણે બહુ ઓછા તરતા રહી શક્યા. નદીનું પાણી પણ આ જગ્યાએ બહુ જ ઉંડું હતું. બે જણ મેદાન વાળો કાંઠો નજીક હોવાના કારણે ત્યાં તરી આવ્યા અને બંદી બની ગયા. બીજા તરીને પાછા જવાનો નીષ્ફળ પ્રયત્ન કરી બુડી મુઆ.

ખાન અને તેના સરદારો આ ભયાનક દુર્ઘટનાના મુક સાક્ષી બની રહ્યા. ખાને ગોવાની સમગ્ર સેના કરતાં છ ગણાં સૈનીકો અને આત્મ વીશ્વાસ ગુમાવ્યાં હતાં. ગુસ્સામાં ખાને પગ પછાડ્યા. ભુલા, જગ્ગા અને બીજા બધા લમણે હાથ દઈ, પડી ગયેલા ચહેરે આ અપ્રતીમ પરાભવથી પોતાના નસીબને દોષ દેવા લાગ્યા.

ગોવાની તરફ તો ઉલ્લાસ માતો ન હતો. જગદંબાએ પાંચા અન રુપલીને સમયસર પ્રેરણા આપી હતી. મા તેમની સાથે હતી. કાળભૈરવ દુશ્મન પર કોપાયમાન હતો. બધા એકબીજાને તાલી દઈ નાચવા અને કુદવા માંડ્યા. બધાએ ગોવા અને પાંચાને ઉંચકી લીધા અને તેડીને નેસ તરફ લઈ ગયા. સ્ત્રીઓ અને બાળકોએ એમના વીજેતા બનેલા ભડવીરોને પોંખી લીધા.

બીજો હુમલો કરુણ રીતે અસફળ રહ્યો હતો. ખાનની પાશવી તાકાતનો   પાંચાની બુધ્ધી સામે ફરી એકવાર કારમો પરાભવ થયો હતો.

Categories: નવલકથા · સુરેશ જાની
Tagged:

અફલાતુન તબીબ : ભાગ -1

October 23, 2009 · 15 Comments

1976 ની સાલનો શીયાળો

અમારી લાંબી લચક ઓફીસના એક છેડે મારા ઉપરી અધીકારી શ્રી. હર્ષવાલનું અને મારું ટેબલ છે. ઉપરી હોવા છતાં, મારી ઉપર તે બહુ જ પ્રેમભાવ રાખે છે – એક મીત્ર કે સગા ભાઈ જેવો.  સામે લાઈનમાં અમારી હાથ નીચેના અધીકારીઓ બેસે છે.

મને ઉધરસ ચઢે છે અને છેક છેવાડેનો અધીકારી હલી ઉઠે છે. આખી ઓફીસ મારી આ ખાંસીથી વાજ આવી ગઈ છે. હર્ષવાલ તો મારાથી બહુ જ કંટાળી ગયા છે. મારી ખાંસીથી સૌથી વધારે તકલીફ એમને છે. છેલ્લા પંદર દીવસથી આ જ હાલ છે. ડોક્ટરે મને દમની દવા આપેલી છે; જે હું ઓફીસમાં પણ સાથે રાખું છું. દવાનો ડોઝ પણ ડોક્ટરે વધારે લેવાનો કહ્યો છે – દીવસમાં ત્રણ વખત, અને તે પણ એક ચમચી નહીં પણ ચમચો ભરીને. ( દવાનું નામ પણ મને હજુ યાદ છે – ફેન્સેડીલ)

જમવાની રીસેસ પડવાની તૈયારી છે. છેવટે અકળાઈને હર્ષવાલ મને કહે છે, “ચાલ, મારી સાથે. આનો કાંઈક ઈલાજ કરાવવો જ પડશે.”

તેમના પ્રેમપુર્વકના આ આગ્રહને હું વશ થાઉં  છું. આમેય હું પણ મારી ખાંસીથી કંટાળી ગયો છું. કશોક નવો ઈલાજ મળી જાય, એની મને પણ ઉત્કટ ઈચ્છા છે.

અમે બન્ને એકાદ માઈલ દુર આવેલા શ્રી. ગીડવાણીજીના ઘેર  પહોંચી જઈએ છીએ. રુપેરી વાળવાળા અને સોનેરી અને ચમકતી ચામડીવાળા  ગીડવાણીજી એક ઋષી જેવા લાગે છે. સાવ શાંતીથી એ મારી કેફીયત સાંભળે છે – મારી ખાંસીને પણ!

અને છેવટે નીર્મળ અને રણકતા અવાજે મને હીન્દીમાં કહે છે,” ऐसा ही चालु रहा , तो आप जींदा नहीं रह सकोगे । “

હું લગભગ રડી પડું તેવા અવાજે કહું છું,” તો હું શું કરું?”

ગીડવાણીજી,” દવા આજથી બંધ. અને હું કહું તેમ ખાવાનું. ”

અને તેઓ મને વીગતે સુચના આપે છે. હર્ષવાલ તરત જ સાત દીવસની  રજા પર મને ઉતારી દે છે.

હું ઘેર પહોંચીને પથારીમાં સુઈ જાઉં છું. મારી પત્નીને કશી સમજ પડતી નથી. તે ચીંતાતુર બની મારા પલંગ પર બેસી જાય છે. હું તેને ગીડવાણીજીની આખી પધ્ધતી સમજાવું છું.

અને દવા વીના દર્દ નાબુદીનું મારું એ યાદગાર અભીયાન ચાલુ થઈ જાય છે.

બે દીવસના ઉપવાસ બાદ ત્રણ દીવસ સુધી, દીવસમાં ચાર વખત મારે મોસંબીનો રસ લેવાનો છે.  મારી પત્ની ગાડીમાં ઉપડી જાય છે; અને અમદાવાદ સ્ટેશન પાસે આવેલા ફળ બજારમાંથી પાવલી છાપ મોસંબીનો આખો કરંડીયો ખરીદી  લાવે છે.

બે દીવસ ઉપવાસ અને ત્રણ દીવસ કેવળ મોસંબીના  રસ બાદ મારું શરીર ઘણું ઉતરી ગયેલું છે ; પણ ઉધરસનો એ પ્રકોપ શાંત પડી ગયો છે. કદીક એક સુકું ઠમકું આવી જાય એટલું જ.ચાલું ત્યારે કુદવાનું મન થઈ જાય એટલી બધી સ્ફુર્તી શરીરમાં વર્તાય છે.

અમને બન્નેને ગીડવાણીજી તો દેવદુત જેવા લાગે છે. અમે તેમને યાદ જ કરતા હતા; ત્યાં શ્રી. હર્ષવાલ સાથે તેઓ અમારે ઘેર આવી પહોંચે છે. મારી તબીયતમાં થયેલા સુધારાથી એમના મુખ પર નીર્મળ , બાળક જેવું સ્મીત છવાઈ જાય છે.

અને નવો પ્રયોગ શરુ થાય છે. બધાં બારી બારણાં બંધ કરી, છાતી ખુલ્લી કરી; ગરમ અને ઠંડા પાણીના  પોતાં મુકવાની સુચના આપે છે. હું તો થરથરી  ઉઠું છું. ઉંટાટીયા જેવી ખાંસીવાળાને ખુલ્લી છાતી પર પાણીનાં પોતાં!  જાણે શત્રુ જનોઈવઢ તલવારનો ઘા કરવાનો હોય તેવો ભય મને વ્યાપી જાય છે.

ગીડવાણીજી મારો ભય પામી જઈને, હસીને કહે છે ,” फीकर मत कीजीये , कुछ नुकसान नहीं होगा; आप झींदा ही रहेंगे!”

અને તેમની  હાજરીમાં જ આ ખતરનાક પ્રયોગ  શરુ કરવામાં આવે છે. મારા આશ્ચર્ય વચ્ચે પાંચ જ મીનીટ બાદ, ખાંસી ખાંસીને ભારે બની ગયેલું ગળું અને છાતી હળવા ફુલ જેવા બની  ગયા હોય, તેવો અનુભવ મને થાય છે.

દીવસમાં ત્રણ વખત આમ ગરમ ઠંડા પાણીનાં પોતાં મુકવાની અને પછી તરત ધાબળો ઓઢી લેવાની સુચના આપી, ગીડવાણીજી વીદાય લે છે. સાથે સાથે ખોરાક શરુ કરવાની સુચના પણ આપે છે. પાંચ દીવસનો ભુખ્યો હું હરખાઈ જાઉં છું.

અને ખોરાક કેવો? સવારે ઉઠીને મોસંબીનો રસ. કલાકે કલાકે એક જાતનું ફળ. સવારના જમવામાં તાજી કાચી ભાજી, સુકી રોટલી અને બાફેલું શાક! આ સ્વાદીષ્ટ વાનગી ગળાની નીચે શેં ઉતરશે એ ભયથી, મારું મોં ઉતરેલી કઢી જેવું બની જાય છે.

પણ જમવાના સમયે પાંચ દીવસના ઉપવાસ બાદ આ મહાન ભોજન બત્રીસ પકવાન કરતાં પણ મીઠું લાગે છે. બપોરે અને સાંજે મોસંબીનો રસ અને ફળ તો ખરાં જ. અને રાત્રે જમવામાં આ જ  દીવ્ય ભોજન.

અને આ ક્રમ એક અઠવાડીયા સુધી ચાલુ રાખવાનો.

હું આજ્ઞાંકીત નીશાળીયાની જેમ અભીમન્યુના આ બધા કોઠા પાર કરું છું.

અને મીત્રો ! પંદર દીવસના અભીયાન  બાદ શીયાળાની કડકડતી ઠંડીમાં, સવારના પહોરમાં, સ્વેટર પહેર્યા વગર,  સ્કુટર ચલાવી શકું; એટલી ક્ષમતા મારા દમીયલ કોઠામાં  આવી ગઈ છે. નજીક આવેલા મ્યુનીસીપલ સ્વીમીંગ પુલમાં તરવાનું પણ હું ચાલુ કરી દઉં છું.

અને એ યાદગાર બીમારી અને એ યાદગાર ઈલાજ બાદ આ ત્રીસ વરસમાં સામાન્ય સરદી થઈ હશે પણ; આંકશીયા ઉંચા આવી જાય તેવી એ કાળઝાળ ખાંસી ફરી કદી થઈ નથી.

——————

નોંધ :

આ સત્યકથા વાંચી, ઉત્સાહમાં આવી જઈ, જાતે આવા પ્રયોગો શરુ ન કરતાં સારા અને પ્રામાણીક પ્રાકૃતીક ચીકીત્સાના જાણકારની સલાહ મુજબ ઉપચાર કરવો.

Categories: ચીકીત્સા · સત્યકથા · સુરેશ જાની
Tagged: ,

રામલીલા – એક લઘુકથા

October 21, 2009 · 22 Comments

મસ મોટા, ડલાસ કાઉબોય સ્ટેડીયમમાં ‘ દીવાળી મેળો ‘ ભરાયો હતો. રામલીલા પતી ગઈ. ગીતો, વ્યાખ્યાનો પતી ગયાં . હવે બધાંને નીચે એરેનામાં જવા છુટ હતી.

જય દીકરો નાટકીયા વેશ ધારણ કરેલા, રામાયણના બધા પાત્રો જોઈ ખુશ થતો હતો. રામ, લક્ષ્મણ, સીતા, દશરથ, હનુમાન, રાવણ, જટાયુ .,..

જયને પુછ્યું ; ” તને કયું પાત્ર સૌથી વધારે ગમ્યું ? અને કયું ન ગમ્યું? ”

જય ,” જટાયુ બહુ ગમ્યો . અને દશરથ ન ગમ્યો !! “

————————-

સૌથી પહેલાં પ્રજ્ઞાબેનના બ્લોગ પર કોમે ન્ટ તરીકે પ્રકાશીત

Categories: લઘુકથા · સુરેશ જાની
Tagged:

જીવનની ત્રણ અવસ્થાઓ

October 18, 2009 · 17 Comments

અંગ્રેજી પરથી ભાવાનુબાદ.

સાભાર – શ્રી. પ્રભુલાલ ભારડીયા

—————————————————————–

કીશોરાવસ્થામાં

  • સમય અને શક્તી હોય
    • પણ નાણાં ક્યાં?

યુવાવસ્થામાં

  • શક્તી અને નાણાં હોય
    • પણ સમય ક્યાં ?

વૃધ્ધાવસ્થામાં

  • સમય અને નાણાં હોય
    • પણ શક્તી ક્યાં ?

=====================

અને મારા તરફથી થોડાંક લટકણીયાં...

  • અને કદાચ ત્રણે હોય તો?
    • વૃત્તી ક્યાં ?
  • અને કદાચ વૃત્તી હોય તો ?
    • પ્રવૃત્તી ક્યાં?
  • અને પ્રવૃત્તી હોય તો ?
    • દીશા કઈ? જનકલ્યાણકારી?

અને આ બધું જ હોય તો …… હું તે છું?

Categories: અનુવાદ · સુરેશ જાની · સુવીચાર
Tagged:

પ્રકરણ – 39 બીજા હુમલાની તૈયારી

October 17, 2009 · 2 Comments

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

-——————————————

ગોરો બંદીવાન તરીને સામે પાર પહોંચ્યો ત્યારે હજુ ઉષાની લાલીમા પ્રગટવાની વાર હતી. આપણે તેને સરળતા ખાતર ગોરો જ કહીશું. ખાનના તંબુની બહાર, ખડેપગે જાગતા, ચોકીદારે તેને ખાનના પ્રદેશની ભાષામાં પડકાર્યો; પણ પોતાની જ ભાષામાં મળેલા  જવાબથી તેને તરત ઓળખી લીધો.

ચોકીદાર ,” લે! સરસ વાત થઈ. આપણામાંથી બધા બચી ગયા. એ બાજુના શા ખબર છે?“

ગોરો,” ત્યાં તો ક્યાં કોઈને આપણું તીર અડ્યું જ હતું? પણ ખાલી બે હાથની આંગળી ગણાય એટલા જ માણસ ત્યાં છે. અને થોડીક સ્ત્રીઓ અને બાળકો.”

ચોકીદાર,”  ખાન બહુ ચીડાયેલા છે. એમની તાકાતને આ તો બહુ મોટી લપડાક પડી. લે! હવે તું થોડોક આરામ કર અને ખાન ઉઠે ત્યાં સુધીમાં તાજો થઈ જા. “

ગોરો આડો પડ્યો તેવો જ ઉંઘી ગયો.

સવારના સુરજ ખાસો ઉંચે આવ્યો ત્યારે ખાનના તંબુમાં સભા ભરાણી. ખાનનો મીજાજ ફાટેલો હતો. બાનો અને તેના કબીલાના મુખીયાના મોં તો કાળી મેંશ જેવા હતા.

બાનાએ ખાનની ભાંગીતુટી ભાષામાં કહ્યું,” અમારા તો કેટલા બધા જણા કાળભૈરવને ત્યાં પહોંચી ગયા?”

ખાન પાસે આનો કશો જવાબ ન હતો. તેણે એટલું જ કહ્યું ,” અમારા લોકો જેવાં ચામડાં ઓઢ્યાં હોત તો એમના આ હાલ ન થાત. પણ તમે કોઈએ મને આ વાતની તો માહીતી આપી જ ન હતી કે, ગોવા અને એના માણસો પાસે આટલા શક્તીશાળી ધનુષ બાણ છે. તમને આટલી પણ ખબર નથી?”

બાનાનું પડેલું મોં જોઈ ભુલાએ પુછ્યું ,” બાના! કહે ના કહે, પણ તમે લોકો  અમારાથી કશુંક  છુપાવો છો.”

બાનો રડી પડ્યો. તેણે હવે મોંકાણની ખબર  આપી કે, ‘મન્નો અઠવાડીયાથી ભાગી ગઈ છે. રુપલીના બાપના કબીલાની હોવાને કારણે મોટે ભાગે તે સામે પાર પહોંચી ગઈ હોય તેમ લાગે છે.’

ખાન ,” તારી બાયડીને રડવાનો આ વખત છે? કોઈ મને એમ તો કહો કે, આટલા ટુંકા વખતમાં એમની પાસે ધનુષ બાણ શી રીતે આવી ગયાં.”

ભુલો ,” મહારાજ! તમે પાંચાની કાબેલીયત નથી જાણતા.”

ખાન ,” પાંચો કોણ છે?”

ભુલો ,” ગોવાનો સૌથી વધારે અક્કલવાળો સાથી. એણે મન્નો પાસેથી મળેલી માહીતીના આધાર પર, ગમે તેમ કરીને  આપણા હથીયારો મેળવીને; એમની વધારે સારી નકલ કરી લીધી લાગે છે.”

આટલી વાત ચાલતી હતી , એટલામાં ગોરો તંબુમાં પ્રવેશ્યો અને ખાનને કુરનીશ બજાવી. ખાનના મુખ પર એને જોઈને થોડોક ઉજાસ આવ્યો.

“ચાલ, તું બચી ગયો એટલું સારું થયું.” – ખાને તેને મુબારકબાદી આપી.

ગોરાએ સારા સમાચાર આપ્યા ,” મહારાજ! ત્યાં માંડ બે પંજાની આંગળીઓથી ગણાય એટલા માણસ છે. “

ખાન ,” તને જરુર ખાતરી છે?”

ગોરો,” હા ! ગોવા અને બીજાના હાવ ભાવ પરથી એમને પણ આપણી મોટી સેનાની  ચીંતા થતી હોય તેમ મને લાગતું હતું.”

ખાન થોડીક વાર વીચારમાં પડ્યો. તેણે જાહેર કર્યું. આપણી પાસે હાલ એક પણ તરાપો બચ્યો નથી. તાબડતોબ છ નવા તરાપા બનાવવાની વ્યવસ્થા કરો. આ વખતે તરાપા પરનો દરેક જણ આપણે ત્યાંથી લાવેલાં ચામડાં ઓઢીને જ તરાપા પર ચઢશે.”

બાના અને મુખીના મોં પર હરખ ફેલાઈ ગયો.

પણ બાનો રડમસ ચહેરે બોલ્યો,” પણ મારી મન્નો મને ક્યારે પાછી મળશે?”

ખાને કડક અવાજે કહ્યું, ”એને પકડી રાખવા જેટલી તાકાત તારામાં આવે ત્યારે. સામે કીનારે પહોંચશો એટલે બધીય મન્નો આપણી જ છે !”

કોઈ કોતરવાસીઓ  આ કરડાકી ન સમજે તેટલા ભોળા ન હતા. આટલા દીવસોમાં એમની સ્ત્રીઓ સાથેના અભદ્ર વ્યવહારથી એમને આ પરદેશીઓને સાથ આપવા બદલ પસ્તાવો તો થતો જ હતો. આવનાર કાળઝાળ ભવીતવ્યના ખ્યાલે એ સૌ થરથરી ગયા. પણ હવે પાછાં ડગલાં ભરી શકાય તેવી કોઈ શક્યતા ન હતી. અને ગોવાને બરબાદ કરવાની લાલચ નાનીસુની પણ ન હતી.

સભા બરખાસ્ત જાહેર થઈ; અને બધાં કામે વળગી ગયાં.

———–

કીનારાની બીજી બાજુ પણ આજ વખતે ગોવાના નેસડામાં બધાં સ્ત્રી પુરુષો ભેગા થયાં હતાં.

ગોવાએ કહ્યું ,” મને ચોક્કસ ખાતરી છે કે, બીજો હુમલો તરત નહીં થાય , કારણકે, નવા તરાપા એકદમ જલદી તો શી રીતે બનવાના? “

પાંચો ,” હા! પણ જ્યારે ફરી હુમલો થશે ત્યારે બધાંએ જાડાં ચામડાં જ ઓઢેલાં હશે. એમની પાસે એનો તોટો નહીં જ હોય. આપણાં તીર એમને હવે રોકી પણ નહીં શકે. અને આપણી પાસે એમનાં તીર વેઠી શકે તેવો કશો લેબાસ પણ નથી. ”

રુપલીના મગજમાં ઝબકારો થયો. “પાંચા ભાઈ લાકડીઓ ઓઢી લો તો?”

ગોવાએ રુપલીને ઠપકારી,” રુપલી આ લડાઈની વાત છે- મજાકની નહીં.”

રુપલી, “ હુંય ક્યાં મજાક કરું છું? ભુલાના પથ્થરથી તને કોણે બચાવ્યો હતો; તે ભુલી ગયો? મારી પાસે આ સમસ્યાનો ઉકેલ છે. ”

ગોવો ,” કાંઈક નક્કર છે કે, આપણા કાના જેવું પોચું પોચું?! “

રુપલી હસીને બોલી ,”  આજે સાંજે તને પહેલો અભેદ્ય બનાવી દઈશ, મારા રાજા !”

બધા હસીને છુટાં પડ્યાં.

પણ પાંચો બધાથી દુર, નેસડાની ઓલી પા ઝાડીઓમાં ગરકી ગયો.

સાંજે બધાં ફરી ભેગાં થયાં ત્યારે ગોવાના માપનું, વાંસની પાતળી સોટીઓના બે થર બાંધી, ઉપર નીચે ચામડું મઢેલું પહેરણ અને ખાલી બે આંખો જ ખુલ્લી રહે તેવું શીરસ્રાણ તૈયાર હતાં. રુપલીના ચકોર ભેજાની અને સીવણકળાની આ પેદાશ હતી. બધાંની હાજરીમાં રુપલીએ સ્વહસ્તે ગોવાને આ વાઘા પહેરાવ્યા. કાળુની તીરંદાજીથી એની ચકાસણી પણ થઈ ગઈ. હવે ગોવો કાલાગ્નીની જેમ દુર્ઘર્ષ બન્યો હતો.

બધા પુરુષોએ એકી અવાજે આ નવા બખ્તર અને શીરસ્ત્રાણ ને  વધાવી લીધાં. પણ લાખો જેનું નામ? તે બરકી ઉઠ્યો ,” ભાભી! તમે તો તમારા વરને સાચવી લીધો; પણ અમારે બધાંએ શહીદ થવાનું?”

” તમારી બધાંની બાયડીઓને કાલે સવારે કામે લગાડી જ દેવાની છું. આ વાઘા પરીક્ષામાંથી પાર ઉતરે એની જ રાહ જોતી હતી.”

અને બધાંના મનમાં ગોવા અને રુપલી માટેનું માન અનેક ગણું વધી ગયું. આ બે જણે જ તો આખી કોમને સમૃધ્ધીના સવાદ ચખાડ્યા હતા ને? અને આવી પડેલી આ આપત્તીમાં પણ ગોવો જ તેમનો તારણહાર હતો ને?

રુપલીએ પાંચો ક્યાંય ન દેખાતાં કહ્યું ,” પણ પાંચા ભાઈ ક્યાં ગરક થઈ ગયા?“

ગોવો ,”એ લાલો ક્યાં લાભ વીના લોટે તેવો છે? એ કશીક ફીરાકમાં હશે!“

Categories: નવલકથા · સુરેશ જાની
Tagged:

ઘા – એક અવલોકન

October 14, 2009 · 2 Comments

હું ઉતાવળમાં છું. મને ગમતી ધારાવાહીક સીરીયલ ‘ આજકી અંતરા’ થોડીક મીનીટો બાદ આવવાની છે. આવતીકાલે ગુરુવાર છે – કચરો લઈ જનારા ખટારાને આવવાનો દીવસ. હું ઉતાવળમાં, બુટ કે ચંપલ પહેર્યા વીના, અમદાવાદી હોલબુટમાં(!) કચરાની બેગ અને રીસાયકલ કરવાની નકામી સામગ્રીના બે ડબ્બા ઘરની આગળ મુકીને પાછો આવું છું.  મકાનના દરવાજા આગળ કોન્ક્રીટનું, માંડ અડધો ઈંચ ઉંચાઈનું એક સ્ટેપ છે.

અને ધડાક દઈને મારા ડાબા પગનો અંગુઠો એ સ્ટેપ સાથે અથડાય છે. હું વેદનામાં કણસી ઉઠું છું. અંગુઠો લોહીલુહાણ થઈ જાય છે. ઘરમાં આવી, ઘા સાફ કરી, તરત ઘા પર બેન્ડ-એઈડ  લગાવી દઉં છું.  બીજા દીવસે વેદના તો ઓછી થાઈ જાય છે, પણ ઘા હજી રુઝાયો નથી. પણ ફરી પાછી, ઘરમાં જ એ ઘવાયેલા અંગુઠા પર ઠોકર વાગી જાય છે. ફરી એ જ વેદના.

આમ બે ત્રણ વખત થાય છે. હવે હું જરા વધારે સાવધ બનું છું, અને વાગેલા ઘા પર ઠોકર ન વાગે તેની સાવધાની રાખું છું. પણ એ ઘા ઘણા દીવસ સુધી દુખ્યા કરે છે.

ઉપરોક્ત ઘટનાને દસેક દીવસ વીતી જાય છે. ઘા હવે રુઝાઈ ગયો છે, હું નીયમીત બેન્ડ-એઈડ  બદલતો રહું છું. નવી ચામડી ધીરે ધીરે આવતી જાય છે.

બીજા દસ દીવસ વીતી ગયા છે. ઘા હવે બરાબર રુઝાઈ ગયો છે. પણ વારંવાર વાગેલી ઠોકરના કારણે, અંગુઠા પર કાયમી ચીહ્ન  અંકીત થઈ ગયું છે.

જાતજાતના ઘા.

કોઈક તો સાવ નાના ઉઝરડા જ. એની ઉપર તો તરત રુઝ આવી જાય. લોહી ગંઠાઈ જાય, તેની પોપડી વળે, બેત્રણ દીવસમાં ઘટના ભુલાઈ જાય અને એનું નામોનીશાન ચામડી ઉપર બાકી ન રહે.

ઉપર જણાવ્યા જેવા, કોઈક તીવ્ર ઘા નાનકડું ચીહ્ન મુકતા જાય અને કાળક્રમે એ પણ નષ્ટ થઈ જાય.

કોઈક સર્જરી કરાવી હોય; લાંબો ચીરો કરવો પડ્યો હોય; ડોકટરે ટાંકા લીધા હોય અને નીયમીત ડ્રેસીંગ કર્યું હોય – એ ઘા પણ રુઝાઈ તો જાય; પણ એની યાદગીરી કાયમ રહી જાય.

જાતજાતના ઘા –  થાય ત્યારે…..

  • વેદના થાય
  • લોહી વહે
  • સણકા મારે
  • રાતે ઉંઘ આવે તે માટે ઉંઘની ગોળી લેવી પડે
  • નીશાની રહી જાય
  • કે કાળક્રમે એ વીદાય લે અને વીસરાઈ પણ જાય.

પણ કોઈક ઘા તો કદી ન રુઝાય. એ તો દુઝતા જ રહે. કોઈ કાપો ન પડ્યો હોય; ટીપુંય લોહી વહ્યું ન હોય. પણ એમાં કોઈ પાટા પીંડી કારગત ન નીવડે. કશુંક બને અને તે ઘાની યાદ પાછી આવી જાય. દીલ ડંખવા માંડે.

સારી ઘટનાઓ કરતાં એની દુખદ યાદ ચીરંજીવ રહે.

એમાંથી એક જ છુટકારો .. ચીર વીદાય…કે બીજા જન્મમાં નવા જીવને એ ઘા સંસ્કાર રુપે, વેર વાળવા,  જન્મજાત ભેટમાં મળી જાય?

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged: