ગદ્યસુર

પ્રકરણ – 42 સાણસા વ્યુહ

November 3, 2009 · 5 Comments

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

-——————————————

લાખો અને તેનો સાથી નદીકીનારાના ઘાસમાં લપાતા છુપાતા, સામેના કીનારા પર મંદ ગતીએ સરકી રહેલા કીડીયારાંને અનુસરતા ગયા. બપોર થતામાં તો પડાવ નંખાયો. આટલા બધા માણસોનો ભોજન સમારંભ કાંઈ જેમ તેમ થોડો જ પતી શકે? ભોજન બાદની વામકુક્ષી પણ ખરી જ ને? અને થોડી વારમાં તો સુર્ય પશ્ચીમ દીશામાં ઢળવા માંડ્યો. સંધ્યાના રંગો બરાબર ખીલી ઉઠ્યા હતા. પશ્ચીમાકાશ લોહીયાળ રંગે રંગાઈ ચુક્યું. એની આરપાર લાલચોળ આંખ કરીને ઢળી રહેલો તામ્રવર્ણી સુર્ય લાખા અને તેના સાથીને  ડારી રહ્યો.

લાખાએ કહ્યું ,” આ સુરજની જેમ ખાનનો સુરજ પણ આથમી જશે.”

બન્ને આ મધુર કલ્પનાને વાગોળી રહ્યા. રાતનું અંધારું ઢળી વળ્યું; અને  બન્ને કીનારે સોપો ઢળી ગયો.

આમ જ બીજો દીવસ પસાર થવામાં હતો; ત્યાં લાખાને સામી પાર પાછા વળી રહેલા લશ્કરથી ઘણે દુર કાંઈક પ્રવૃત્તી જણાઈ. જેમ જેમ લાખો તેની નજીક આવતો ગયો; તેમ તેમ વીગતો સ્પષ્ટ થવા માંડી. થોડાએક માણસો કોતરોની વચ્ચેના એક ઢોળાવ પરથી મોટા તરાપા નદીકીનારે લાવી રહ્યા હોય, તેમ જણાયું. લાખો અને તેનો સાથી દોડીને તે જગ્યાની બરાબર સામે પહોંચી ગયા. થોડીએક વારમાં તો નદીકીનારે દસેક તરાપા એકઠા કરવામાં આવી દીધા હતા.

લાખાને તરત સમજાયું,” અરેરે! આ તો  નદીની આ બાજુએ આવવાનો દાવ ઘડાતો લાગે છે.” તેની આંખો ભયભીત બનીને કોડા જેવી થઈ ગઈ. એ બે એકલ દોકલ જણ કોઈ સંજોગોમાં આટલી  મોટી સંખ્યામાં તરાપા પર સવાર થઈને આવતીકાલે નદી પાર કરનાર સેનાનો મુકાબલો કરી શકે તેમ ન હતું.   કરાલ કાળ જેવો ખાન તેનો ત્રીજો સપાટો ફેરવવાનો ભયાનક દાવ ખેલી રહ્યો હતો.

તેણે તેના સાથીને કહ્યું,” હું અહીં છુપાઈને આવતીકાલે સવારે આ તરાપા પર નદી પાર કરનારાઓનો મુકાબલો કરવા કોશીશ કરીશ. પણ તું આ ખબર આખી રાત દોડતો રહીને ગોવાને આપી આવ. ક્યાંય સહેજ પણ રાતવાસો કરવા રોકાણો તો તને જોગમાયાની આણ છે.”

તેના સાથી જવાબ વાળ્યો,” લાખા! તું મને કાચી માટીનો ધારે છે? મારા જાનની પરવા કર્યા વીના મોંકાણના આ ખબર હું ગોવાને સવાર થતાંમાં જ પહોંચાડી ના દઉં , તો મારી માડીનો જાયો નહીં. પણ લાખા તું એકલે હાથે આટલા બધાનો સામનો શી રીતે કરી શકીશ? તું પણ મારી હારે જ આવે તો?”

લાખાએ તેનો બરડો થાબડ્યો અને કહ્યું ,” હું થોડીક વાર પણ એ લોકોને નદી પાર કરતાં રોકી શકું તો, આપણી વસ્તીને આ નવા ભયને પહોંચવાની તૈયારી કરવાનો સમય મળી જશે. માટે તું મારી ચીંતા કર મા અને ક્ષણનો પણ  વીલંબ કર્યા વીના નીકળી પડ.”

અને બીજે દીવસે સવારે તો ગોવા અને તેના સાથીઓને આ નવી આપત્તીની જાણ થઈ ગઈ. ખાનનો આ નવો પેંતરો ખતરનાક હતો. તેની સેનાનો મોટો ભાગ આ કીનારે આવી પુગવાનો હતો. એકલો લાખો તેનો કોઈ સંજોગોમાં મુકાબલો કરી શકે તે આકાશ કુસુમવત હતું.

ગોવાએ તેના બધા સાથીઓને એક્ઠા કર્યા; અને આ નવી આપદાનો શી રીતે મુકાબલો કરવો, તે માટે સલાહ સુચનો માંગ્યા. પાંચા જેવા પાંચાની  બુધ્ધી પણ બહેર મારી ગઈ હતી. જ્યાં સુધી બન્નેની વચ્ચે નદી હતી; ત્યાં સુધી પાંચાના શસ્ત્રોના સહારે બધા સહીસલામત હતા. તેમનો વાળ પણ વાંકો થઈ શકે તેમ ન હતું. પાંચો લમણે હાથ દઈ, નીચા મસ્તકે બેસી પડ્યો.

ગોવાએ વીહા તરફ નજર નાંખી. ઓછું બોલનાર પણ બહુ ઉંડી સમજવાળા વીહા માટે ગોવાને બહુ આદર હતો. ઉમ્મરમાં તે મોટો હતો; એટલું જ નહીં; પણ એની નજર કાળને પણ વીંધી દુરના ભાવીને પારખી શકતી.

વીહાએ નીરાશાજનક અવાજે કહ્યું ,” ગોવા! અત્યાર સુધી જોગમાયાએ આપણને સહાય કરી છે; પણ ઓણી ફેરી  ખાનનો સપાટો આપણને ખતમ કરી નાંખે તેમ છે. બે બાજુના સાણસામાં આપણે ફસાવાના છીએ, તે નક્કી છે.”

ગોવો કહે,” પણ એનો કોઈ ઈલાજ?”

વીહો, :” એમાં તો પાંચો કાંઈક વીચારી કાઢે તો.. પણ મને એક વાત બહુ જરુરી લાગે છે.”:

ગોવો,” શું?”

વીહો, ”આપણી સ્ત્ર્રીઓ અને બાળકોને સહેજ પણ ઢીલ કર્યા વીના, અહીંથી દુર, સલામત સ્થળે ખસેડી દેવાં જોઈએ. આ વીદેશીઓ નીર્દય છે. મહીનાઓથી સ્ત્રીસંગ વીના રહેવાના કારણે એ બધા ભુરાંટા બનેલા હશે. આપણી સ્ત્રીઓના  એમના હાથે બહુ ભુંડા હાલ થશે.”

ગોવાને આ નકારાત્મક વેણ પાછળ રહેલી વીહાની મનોવેદના સમજાઈ. તેણે તત્કાળ બધા નેસવાસીઓને એકઠા કર્યા અને સ્પષ્ટ રીતે કહ્યું.” વીહો બધી સ્ત્રીઓ અને બાળકોને બને તેટલો દુર લઈ જશે. સાથે દસેક બકરીઓ પણ લઈ જજો,“

રુપલી આ પ્રસ્તાવનો વીરોધ કરવામાં અગ્રેસર હતી. “ અમે લોકો તમને કાળના મોંમાં મુકીને શી રીતે ભાગી જઈ શકીએ ? જ્યાં તમે લોકો ત્યાં જ અમે ”

ગોવાએ સત્તાવાહી અવાજે કહ્યું,” રુપલી આ વાદ વીવાદ કરવાનો કે લાગણીશીલ બનવાનો સમય નથી. જમ પલકવાનો છે. બહુ મોટી સંખ્યામાં દુશ્મનનો આપણે સામનો કરવાનો છે. આપણાં બાળકોને આ સંકટમાંથી બચાવી લેવાનાં છે. એમનું જતન કરવાનું છે. અને તે કામ તમે સ્ત્રીઓ જ કરી શકશો. તમારી પોતાની સલામતી ખાતર નહીં પણ એમને ખાતર વીહો જે કહે છે; તે ભારોભાર અક્કલવાળી વાતને તમારે બધાંએ માનવાની જ છે.”

અને છેવટે બધાંની સમજાવટ બાદ રુપલી આ વાત સાથે મને કમને સમ્મત થઈ.

હીજરત માટે જરુરી બધો સામાન ભેગો કરવામાં આવ્યો અને છેવટે વીદાયની કપરી વેળા આવી પહોંચી. સૌ પોતપોતાની જીવન સંગીનીઓને ભેટ્યાં; અને બાળકોને વ્હાલભરી ચુમી ભરી બધાંએ ભારે હૈયે તેમના સ્વજનોને વસમી વીદાય આપી. અને હીજરતી કાફલાએ દખણાદી દીશામાં પારોઠનાં પગલાં ભર્યાં.

રુપલીએ છેલ્લી નજર તેના  પ્રાણપ્રીય ગોવલા પર નાંખી. હવે કદી એ ચાર આંખનું તારામૈત્રક ફરી યોજાવાનું ન હતું. એ આંખોની આડે આંસુઓનો પડદો ફેલાયેલો હતો અને એકબીજાનાં છેલ્લાં દર્શનને ધુંધળું બનાવી રહ્યો હતો. વીરહનો ન જીરવી શકાય તેવો ઓથાર એમનાં શેષ જીવન પર્યંત તેમનાં હૈયાં પર મણ મણનો પથરો બનીને ટીંગાયેલો રહેવાનો હતો. ન જીરવી શકાય તેવી એકલતા રોજના હુંફાળા સાથનું સ્થાન લઈ લેવા સર્જાઈ ચુકી હતી.

સવારના ઉજળા પહોરનો સુર્ય પણ ઘનઘોર, કાળાં ડીબાંગ વાદળોથી ઘેરાયેલો હોય તેવો ભાસતો હતો.  એક ચીબરી દુર ઝાડ પર અરણ્યરુદન કરી રહી. તેંનો વલવલાટ દુખી હૈયાંઓની વ્યથાને સુર આપી રહ્યો હતો.

અને ધીમે પગલે હીજરતી કાફલો દખ્ખણના ક્ષીતીજમાં અદ્રશ્ય બની ગયો.

પણ ખાનના નાગચુડ જેવા જલ્લાદ સાણસામાંથી અણમોલ રત્નો છટકી ગયાં હતાં.

Categories: નવલકથા · સુરેશ જાની
Tagged:

5 responses so far ↓

Leave a Comment