ગદ્યસુર

પ્રકરણ – 44 ઘમસાણ યુધ્ધ

November 11, 2009 · 2 Comments

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

-——————————————

લાખો પરાક્રમ કરીને પાછો આવ્યા બાદ બે એક દીવસે ખાનની સેના આવી પહોંચશે, તેવો અંદાજ ગોવા અને પાંચાને હતો. પણ સાત દીવસ થઈ ગયા. પણ કોઈ હીલચાલ જણાતી ન હતી. ખાનના લશ્કરે  જ્યાં પડાવ કર્યો હતો; તે જગ્યાએ ગોવાએ બીજા બે જાસુસ રાખ્યા હતા. પણ એમના તરફથી પણ કોઈ વાવડ ન હતા. આ શાંતી અકળાવનારી હતી.

અને છેવટે  એક જણ પાછો આવ્યો. તે વીચીત્ર  સમાચાર લાવ્યો હતો.

તેણે ખબર આપી, “ ખાનની સેના બળી ગયેલા ઘાસના મેદાન તરફ તો આવી ગઈ છે. પણ પડાવ નાંખીને પડી છે.  પડાવની અંદર કશીક પ્રવૃત્તી ચાલતી હોય તેમ લાગે છે; પણ તે શું છે  તે ખબર પડતી નથી. સેનાનો અડધો ભાગ ગોવાના નેસ તરફ આવવાના બદલે દખણાદી દીશામાં કુચકદમ કરી ગયો છે. મારો સાથી એના સગડ ચાંપતો ગયો છે; પણ કશા સમાચાર લઈ પાછો આવ્યો નથી.”

ગોવા અને પાંચાને કશું સમજાયું નહીં. ખાનની વ્યુહરચના શી છે; તેનો અંદાજ કળવો બહુ મુશ્કેલ હતું.

પાંચો,” ગમે તે હોય; આપણે મુકાબલાની તૈયારીઓમાં ઢીલ ન કરવી જોઈએ. આગ ફેંકતાં તીર બનાવવાનું આપણે ચાલુ જ રાખીએ.”

કાળુ,” આ ઢીલને કારણે બીજી એક રીતે આપણને બહુ મોટો ફાયદો થયો છે,. વીહો , સ્ત્રીઓ અને બાળકો અત્યાર સુધીમાં મોટી નદીની ઓલે પાર હાથીઓના પ્રદેશમાં પહોંચી ગયા હશે. હવે એ બધાં સહીસલામત થઈ ગયાં હશે.”

ગોવો ,” કાળીયા, પહેલી વખત તેં અક્કલવાળી વાત કરી !”

બધા ખડખડાટ હસી પડ્યા. ઝળુંબી રહેલા કાળઝાળ  ભયની વચ્ચે આ હળવાશ બધાને ઠીક ઠીક માફક આવી.

આમ વાત ચાલતી હતી, ત્યાં જ દુર ક્ષીતીજમાં કાંઈક હીલચાલ જણાઈ. બળી ગયેલા ઘાસને કારણે હવે દુર સુધી જોઈ શકાતું હતું. એક કાળી લીટી ક્ષીતીજ પર દેખાણી. ધીમે ધીમે એ લીટી મોટી થતી ગઈ. થોડીક વારમાં કાળા બખ્તર પહેરેલું એક ટોળું નજીક આવી રહ્યું છે; તે નીર્વીવાદ હતું.

ગોવાએ બધાને સાબદા બનવા અને આગ ફેંકતા તીર તૈયાર રાખવા જણાવ્યું. એમને ચેતાવવા આગનાં થોડાક તાપણાં પણ તૈયાર કરવામાં આવ્યા.

પાંચાએ કહ્યું ,” હું કહું ત્યારે એક સાથે એમની ઉપર આ તીરનો મારો ચલાવવાનો છે.”

થોડોક સમય વીત્યો અને ખાનની સેના તીર પહોંચી શકે તેટલી નજીક આવી ગઈ. ગોવાના સાથીઓએ તાકીને આગ ઓકતા પચાસ તીર  એક સાથે વીંઝ્યાં. પણ આ શું? સામેની સેનાના અમુક સૈનીકો ચામડાની મશકમાં પાણી ભરીને લાવ્યા હતા. તીરમાંથી છુટી થઈ ઢોળાયેલી ચરબી આગ પકડે ન પકડે, તે પહેલાં એની ઉપર પાણીની વર્ષા થઈ અને આગ હોલવાઈ ગઈ.

તરાપાઓ પર અમોઘ પુરવાર થયેલું પાંચાનું શસ્ત્ર, હવે સાવ બેકાર હતું. સામેના બધા સૈનીકોએ બાઈસનના ચામડાંનાં બખ્તર પહેરેલાં હોવાથી  સાદાં તીર પણ સાવ અર્થહીન જ હતાં.

ગોવાની તરફે સોપો પડી ગયો,  હવે તો હાથોહાથની લડાઈનો કોઈ જ વીકલ્પ ન હતો. ગોવાએ આદેશ આપ્યો,”ધનુષ્યબાણ બાજુએ મુકીને પથ્થરના ફણાં વાળા ભાલા હાથમાં પકડો.”

સામેની સેનાની આગલી હરોળને ઓળંગીને ખાન અને તેના ચાર સાથીઓ આગળ આવ્યા. તેમના હાથમાં ઝાડની મજબુત ડાળીઓ સાથે મોટા કદના પથ્થર બાંધેલી ગદાઓ હતી. બહુ તાકાત અને ચપળતાથી તેઓ આ ગદાઓ વીંઝતા ગોવાના સાથીઓ પર ધસી ગયા.

ઘમસાણ યુધ્ધ મચી ગયું. બન્ને બાજુ લોથની લોથ પડવા માંડી. પણ ચામડાના બખ્તર વીંધીને મરણતોલ ઘા કરવામાં ભાલા બહુ કામીયાબ ન રહ્યા. એની સામે પ્રચંડ જોરમાં બલીષ્ટ  ભુજાઓ વડે વીંઝાતી ગદાના પ્રહારમાં રુપલીનાં બનાવેલાં વાંસની સોટીઓના બખ્તરોની તો કડેડાટી બોલી ગઈ. ગદાનો એક જ ઘા અને ગોવાનો એક સાથી ખતમ.

થોડીક જ વારમાં ગોવાને સમજાઈ ગયું કે, આ મુકાબલાનો કશો અર્થ ન હતો. આમ જ લડાઈ ચાલુ રહે તો ખાનની સેંકડોની સેના સામે તેના પચાસે પચાસ નવજુવાનો ખપી જાય. તેણે પીછેહઠ કરવાનો આદેશ આપ્યો.

બધા મુઠીઓ વાળીને ભાગ્યા .

અને આ શું ?

એ દીશામાંથી પણ આવી જ બીજી સેના યુધ્ધના સ્થળ તરફ કુચ કદમ કરતી આવતી જણાઈ. બેબાકળા બનીને ગોવાએ નદી તરફ નજર કરી, કદાચ તરાપાઓ લાંગરી સામે પાર ભાગી જવાય, પણ સામેની બાજુના ચાર તરાપા નદીની મધ્ય સુધી આવી ગયા હતા. ખાનના સાણસાએ ત્રણ તરફથી ગોવાને ઘેરી લીધો હતો.

અસહાય બનેલો ગોવો કાંઈ વીચારી શકે તે પહેલાં, ખાને કશુંક મોટેથી કહ્યું. તરત ભુલાએ એનું ભાષાંતર કરીને મોટે અવાજે વીજયઘોષ કર્યો અને કહ્યું,” ગોવા ! જાન બચાવવી હોય તો શસ્ત્રો નીચે મુકી શરણે થાઓ; નહીં તો તમારામાંનો એક જણ પણ બચી શકશે નહીં.“

બે ઘડી બન્ને બાજુએ બધા ગોવો શું જવાબ આપે છે ; તેની રાહ જોતાં અટકી ગયા.

ગોવો જોગમાયાને યાદ કરી રહ્યો હતો. તેના જાતીભાઈઓને સહાય કરવા તેણે જોગમાયાને મનોમન કાકલુદી કરી. તેની મીંચેલી આંખોએ જોગમાયાની મ્લાન સુરત નજરે ચઢી. જોગમાયા પણ ચોધાર આંસુએ આક્રંદ કરી રહ્યાં હોય; તેવો ભાસ ગોવાને થયો. હવે કશો ઉપાય ન હતો શરણાગતી સીવાય હવે કોઈ આરો ન હતો.

ગોવાએ પાંચા સાથે ઝડપી સંતલસ કરી અને પોતાના હાથમાંના ભાલા ફેંકી દીધા. ગોવાના બધા સાથીઓ પણ તેને અનુસર્યા.

ખાન અને જગ્ગાએ કશીક મસલત કરી અને જગ્ગાએ સત્તાવાહી સ્વરમાં જાહેર કર્યું, ”શરણે આવેલા બધા અમારી રૈયત છે. કાલે સવારે ખાન બહાદુરનો દરબાર ભરાશે અને તેમાં આગળ માટેના નીર્ણયો જાહેર કરાશે.”

ભુલાએ આ જાહેરાત મેદાનવાસીઓને કહી સંભળાવી.

ખાનની સેનાના સૈનીકો આગળ આવ્યા અને બબ્બે જણ ગોવા અને તેના સાથીઓને દોરડાથી બાંધીને ગોવાના નેસ તરફ દોરી ગયા. ગોવાના દસ સાથીઓ અને ખાનના પાંચ સૈનીકો  મરણ શરણ થયા હતા. ગોવાના બાકીના ચાલીસ સાથીઓ પોતાના જ થાનકમાં ખાનના બંદીવાન બની રહ્યા.

વીહાની મનોવ્યથા અને તેનું ભાવીદર્શન કરુણ રીતે સાકાર થયાં હતાં. હવે આવનારાં સર્વનાશ અને તબાહીને કોઈ રોકી શકે તેમ ન હતું.  ખાનની સેનાની પાછળ ડોકાં દેતું બળેલું ઘાસ આ ભવીતવ્યનું અમંગળ પ્રતીક બનીને બીહામણું હાસ્ય કરી રહ્યું.

Categories: નવલકથા · સુરેશ જાની
Tagged:

2 responses so far ↓

  • pragnaju // November 11, 2009 at 6:05 pm | Reply

    ‘… મ્લાન સુરત નજરે ચઢી!
    તમારી જેમ વીચારે ચઢવાનો ચેપ લાગ્યો.

    પીધો લાગે છે !!

    બાકી
    સુરત મ્લાન?
    ઘમાસાણ યુધ્ધ થશે…
    આ કુત્તેપે સસા નથી આવ્યા
    અહીં તો શિવાજી આવ્યા છે !!
    અરે! સુરેશ ફ્લુની અસર નીચે લખાઈ ગયું………
    ઘમાસાણ યુધ્ધમા પણ પાવરધા થતા જાવ છો!!
    ધન્યવાદ

  • Chirag // November 12, 2009 at 11:30 am | Reply

    Reminds me of Alexander and Poras! Though unlike usual belief, historians now believe that the battle was won by Poras!!!

Leave a Comment