સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જમીનના ઢોળાવ – એક અવલોકન

     પાર્કમાં સરસ મજાની લીલોતરી છે. ક્યાંક સપાટ મેદાન છે; તો ક્યાંક હળવા ટેકરા. ક્યાંક નાનકડી ખીણ પણ દૃષ્ટીગોચર થાય છે. બહુ મનોહારી દૃષ્ય છે. અને ત્યાં મેહુલીયાની સવારી આવી પહોંચે છે. હું દોડીને સરસ છાપરાવાળા આશ્રયસ્થાનનો સહારો લઉં છું. લીલુડી ધરતી આ અમીધારા હેતથી ઝીલે છે અને હરખાય છે. આમેય લીલુંછમ્મ ઘાસ વધારે રળીયામણું બની જાય છે.

     વરસાદ બંધ પડે છે. હું બહાર આવી જઉં છું. જ્યાં સપાટ મેદાન કે ઉપસતા ઢોળાવ છે; ત્યાંથી તો પાણી તરત નીતરી જાય છે. પણ જ્યાં ખાડા છે; ત્યાં ખાબોચીયાં ભરાઈ ગયાં છે. એ પણ ધીમે ધીમે નીકો વાટે સ્ટોર્મ વોટર ડ્રેનમાં, અને ત્યાંથી નજીકના ઝરામાં અને પછી નદીમાં અને છેવટે સાગરમાં ભળી જશે. અને એ મહેરામણ તો આખા જગનું પાણી સંચય કરતો જ રહે છે.

     લ્યો, એ તો એમ જ હોય ને?

     હા! એમ જ હોય. જે ગર્વમાં ઉન્નત હોય કે, મેદાન જેવા છીછરા હોય, તે ક્યાંથી ગુણનો કે કશાયનો સંચય કરી શકે? કાંઈ પણ પ્રાપ્ત કરવા ઉંડાણ જોઈએ. અને ઓલ્યા દરીયાલાલ જેવું ઉંડાણ હોય તો? કેટલી મહાન ઉપલબ્ધી થઈ શકે? ખાલી હોય તે જ ભરાઈ શકે. ભરાયેલા ભરાઈ ન શકે અને ભણેલા ભણી ન શકે.

      જાણવા અને ભણવા માટે તો અભણ થવું પડે.

3 responses to “જમીનના ઢોળાવ – એક અવલોકન

  1. pragnaju ઓગસ્ટ 19, 2008 પર 9:22 એ એમ (am)

    ખાલી હોય તે જ ભરાઈ શકે. ભરાયેલા ભરાઈ ન શકે અને ભણેલા ભણી ન શકે.
    આધ્યાત્મિક જગતની શરુઆતની વાત
    સુંદર્ રીતે સમજાવી
    ખાલી ચારણી હોય તો?

  2. neetakotecha ઓગસ્ટ 19, 2008 પર 11:37 પી એમ(pm)

    ઓલ્યા દરીયાલાલ જેવું ઉંડાણ હોય તો?

    સાચ્ચે બહુ વાર દરીયાલાલ પાસે મંગાઈ જવાય છે તારા જેવુ વિશાળ હ્રદય અને ઉંડાણ આપજે.

  3. Pingback: લિપિ – એક અવલોકન | "બેઠક" Bethak