વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
ડાબી બાજુના ‘નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
———————————————-
નદીની પેલે પાર રહેનારા પોતપોતાને થાનકે જતાં પહેલાં ગોવાના નેસડે રોકાયા. સૌને માટે આ સાવ અવનવી રહેવાની રીત રહી. પેઢીઓથી મુક્ત ચરતાં પ્રાણીઓનો પીછો કરી, તેમમે ઝબ્બે કરી ક્ષુધા સંતોષવી, એ જ એક્માત્ર વીકલ્પની સૌને ખબર હતી. પણ આમ પ્રાણીઓને પાળી પણ શકાય એ એક સાવ નવો જ વીચાર હતો. જીવન સંઘર્ષની દોડમાંથી સાવ નવરા થઈ જવાની આ તો પ્રક્રીયા હતી. રુપલીની આ શોધ ઉપર સૌ ફીદા થઈ ગયા.
પાંચાના ભેજામાંથી પેદા થયેલા વાડા પણ એક સાવ નવો જ વીચાર હતો.
સરવરીયે રહેતો વીહો બોલી ઉઠ્યો, “ તમે તો આ જનાવરોને આકાશના તારાની જેમ બાંધી દીધા.”
પાંચો ” અલ્યા! વીહા, તારા એ તારાય આખી રાત ફરતા રહે છે. આ તો આપણે બહાર કાઢીએ તો જ ચસકી શકે. તું ત્યારે તારા જ જોયા કર. ”
અને વીહો કોઈ અગમ વીચારમાં ડુબી ગયો. ગોવો બોલી ઉઠ્યો,” કેમ વીહા, શું વીચારમાં ડુબી ગયો?”’
સદા દુર દુરના આકાશી પદાર્થો અને અવનવા વીશ્વના ખયાલોમાં જ રમમાણ રહેતો વીહો ધીરે રહીને કોઈ અગમવાણીથી ઉચર્યો, ”તમારા આ નેસડા જોઈ , મને કાંઈક અવનવું દેખાઈ રહ્યું છે. કાંઈક સાવ સમજણ ન પડે તેવું – આ તારાઓથી પણ વધારે જટીલ.”
ગોવો,”: અલ્યા! કાંઈ સમજાય એવું બોલ ને.”
વીહો ,” મને સમજાતું હોય તો હું તમે સમજાવું ને? મને કોઈ નવી જ દુનીયાઓ દેખાઈ રહી છે – કદીય ન ભાળી હોય એવી. તમારા આ નેસડાએ કદાચ એને જન્મ આપ્યો છે. જેમ આ તારાઓ આટલે દુર છે, તેમ જ તમે શરુ કરેલી આ બાંધકામની રીત તમને, મને, આપણને, સૌને ક્યાંના ક્યાંય લઈ જશે; એમ મને દેખાઈ રહ્યું છે. કુદરતે આપેલા વસવાટના સ્થાને રાતના આશરા માટે આપણે તંબુઓમાં રહેવાનું શરુ કર્યું. પણ આપણે તો મુક્ત જીવ જ હતા. તમે શરુ કરેલા આ વાડામાં જેમ આ પશુઓને તમે બાંધી દીધા છે, તેમ આપણે પણ બંધાઈ જઈશું. પછી આપણે મુક્ત રીતે ફરતા નહીં રહીએ. એણે સર્જેલી માયામાં આપણે એવા જકડાઈ જઈશું કે,એ બંધનની ચુંગાલમાંથી છુટવા આપણે પાછા ગુફાઓનો આશરો લેવો પડશે. આ નેસડા વધતા જ જશે. માણસો પણ પોતાને રહેવાના આવા વાડા બનાવશે. પછી એની સગવડ અને સલામતીથી બધા એટલા ટેવાઈ જશે કે, એનાથી છુટી જ નહીં શકે. મને માણસને રહેવા માટેના, પહાડ જેવા ઉંચા, વાડાઓ બનતા દેખાઈ રહ્યા છે. એમાં આપણે કલ્પી પણ ન હોય, તેવી સગવડો હશે. જીવન વધારે ને વધારે જટીલ બનતું જશે. એ સગવડો મેળવવા આપણે શીકાર માટે દોડીએ છીએ એનાથી પણ વધારે દોડવું પડશે. દોડતા જ રહેવું પડશે. એમાં કોઈ આરામ અને શાંતી નહીં હોય.“
સૌ વીહાની આ અવળવાણી સાંભળી હેબતાઈ ગયા. વીહા માટે સૌને માન હતું, એ કોઈએ ન જોયું હોય તેવું જોઈ શકતો. એને સુરજ, ચાંદો અને તારાઓ અલકમલકની વાતો કહી જતા.કોઈની નજર ન પહોંચે ત્યાં એની નજર પહોંચતી.
આ ગંભીરતા અને અસમંજસને તોડતો કાળુ બોલી ઉઠ્યો, “ “ હેંડ હેંડ વીહા! તને અમારી અદેખાઈ આવે છે, એટલે આમ અવળું અવળું બોલે છે. એક વાર અમારી જેમ નેસડો બનાવી જો, પછી તું ય એના મોહમાંથી બહાર નહીં આવે. ”
વીહો કહે,” “ હું એ જ તો કહું છું. આ માયા આપણને બરાબરના ફસાવવાની છે – આપણે શીકારને ફસાવીએ છીએ તેમ. અને એમાં તો રોજે રોજ મરવાનું. આ હરણ તો એક જ વાર મરે છે. આપણે તો મરતા જ રહીશું. જીવવાનું સાવ દોહ્યલું બની જવાનું છે. ”
આ આર્ષદ્રષ્ટાની અમંગળ વાણી અને એણે ઉભા કરેલા ઓથારમાંથી ઉભી થયેલી ગમગીનતાને દુર કરતો લાખો બોલી ઉઠ્યો ,” એ બધી વાતો અમને ન સમજાય. હવે એમ કહે, અમને ઓલ્યા, પહાડ જેવા, મસમોટા જનાવર ક્યારે બતાવે છે?’
વાતનો આ વળાંક સૌને ગમ્યો. વીહો પણ એના દીવાસ્વપ્નમાંથી બહાર આવ્યો. આવતી પુનમે દરેક કબીલાના ત્રણ ચાર સશક્ત જુવાનો સરવરીયે ભેગા થશે, એમ નક્કી થયું. ત્યાંથી બધા ભેગા થઈને એનાથી ઘણે દુર આવેલી મોટી નદી અને એન કાંઠેના હાથીઓના એ પ્રદેશની મુલાકાત લેવાનું નક્કી કરી , બધાં છુટાં પડ્યા.
પણ વીહાની વાત ભમતારામ જેવા ડફેરોના મનમાં બરાબર જચી ગઈ. સદા ફરતા અને વીચરતા રહેતા એમની ચીત્તવૃત્તીને પણ આ નેસડા ગમ્યા ન હોતા. પોતાની જીવન પધ્ધતીમાં વીશ્વાસ દ્રઢ કરીને એ લોકો આગળ વધ્યા.
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ