મને પેલો પ્રસંગ યાદ છે.
આપણા પ્રથમ મિલનની પળે ભૂત, વર્તમાન અને ભવિષ્ય- ત્રણે કાળ મને કાંઇક વ્યાવહારિક સલાહ દેવા આવ્યા હતા.
શ્વેતકેશી ભૂતકાળે ભવ્યતાથી કહ્યું , “ તું મને છોડીને ન જા. મેં તારાં મધુર સંસ્મરણો સાચવી રાખ્યાં છે. મેં તને પાળીને મોટો કર્યો છે. પાછો ફર, પાછો ફર. “
વર્તમાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું:” તું મહાન છો. સારાય જગતમાં તારી કીર્તિની સુવાસ ફેલાવી રહ્યો છે. પાછો ફર. પાછો ફર.”
ભવિષ્યકાળે ઘણી જ આકર્ષક મુખમુદ્રાથી કહ્યું : “પુત્ર! ભાવિ પ્રજાનો આધાર તારા ઉપર છે. હું તને અમરપટો લખી આપીશ અને જગતમાં તારી પ્રતિમાની પૂજા થશે. પાછો ફર. પાછો ફર.”
પછી ત્રણે ય બોલી ઊઠ્યા,” શું વિચાર કરે છે? ચાલ અમારી સાથે .”
આ સાંભળીને હું મૂંઝાયો. મેં તમને પ્રાર્થના કરી: ”પ્રિય દર્શન, મારી રક્ષા કરો, રક્ષા કરો. હું મહા મહેનતે આ લોકોના પ્રબળ પ્રલોભનમાંથી મુક્ત બનીને આવ્યો છું.”
જરા ક્રોધભરી વાણીમાં તમે એ લોકોને કહ્યું, “ મારે શરણે આવેલાઓની બાબતમાં માથું મારવાનો તમારો અધિકાર નથી.” અને શંકરનાં ત્રીજા લોચનથી જેમ કામદેવ ભસ્મ થઇ ગયો તેમ તમારી ક્રોધ ભરી દ્રષ્ટિથી આ ત્રણે જણા બળીને ભસ્મ થઇ ગયા.
આ પ્રસંગ પછી મને એમ લાગે છે કે હું કોઇ નૂતન જ કાળમાં જીવી રહ્યો છું. નથી રહ્યો વર્તમાન, નથી ભવિષ્ય કે નથી ભૂતકાળ.
મારે તમને હવે તો એક જ પ્રશ્ન પૂછવાનો રહે છે અને તે એ કે, હું જે ચોથા કાળમાં જીવું છું એ કાળનું નામ શું?
– વજુ કોટક
—————————-
વર્તમાનમાં જ આપણે જીવતા થઇએ, તે પછીની માનસીક ભુમીકાની અવસ્થાની આ વાત છે. આ અવસ્થા પછી જ શબ્દ બંધ થાય છે અને અંતરની વાણી – નીશબ્દતાની ભુમીકામાં આપણે પ્રવેશી શકીએ છીએ.
શ્રી. અરવિંદ ઘોષ આને અતીમનસ કહેતા હતા.
Like this:
Like Loading...
Related
વાહ, બીજું બધું એઠં થઈ ગયું છે, પણ બ્રહ્મ એટલે શું એ કોઈ બોલી નથી શક્યું… અવતાર પણ નહીં…