સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સપ્પરમો દીવસ

       સુરેશ જાની ! તમે માણેલું, તમારા જીવનનું પહેલું કવી સમ્મેલન હમણાં જ સમાપ્ત થયું છે. આમ તો જેમનું નામ પણ તમે સાંભળ્યું ન હતું; એવા હુરતી હઝલકાર શ્રી રઈશ મનીઆરને સાંભળી બેવડા પડી પડીને હસવાથી દુખી આવેલા તમારા સ્નાયુઓને હવે આરામ મળવાનો છે. મુશાયરામાં હ્યુસ્ટન અને ટમ્પાથી ઢગલાબંધ કવીઓ પણ આવેલા છે. આ નવી નવાઈના વ્યક્તીઓ કોઈ જુદી જ ભોમકામાંથી આવેલા હોય તેમ તમને લાગી રહ્યું છે. બાપ જન્મારે કોઈ દી’ મુશાયરો તમે માણ્યો છે ખરો ?  

     અમેરીકાની ધરતી પર આ નવલો અને દીલોદીમાગને તરબતર કરી દેતો અનુભવ તમને પણ કવીતા લખતા કરી દેવાનો છે. પણ હજી એ ઘડી તો ભવીષ્યમાં જન્મ લેવાની છે. એનું બીજ જ માત્ર આજે રોપાણું છે.

     આ બધા બીજા કોઈ ગ્રહના વાસી હોય તેવી લાગણી તમારું ઈજનેરી મન અનુભવી રહ્યું છે. તમે ઈશ જેવા લાગતા રઈશ ભાઈની બે પુસ્તીકાઓ – એક હઝલની અને એક ગઝલની – ખરીદવાની પળોજણમાં પડો છો; ત્યાં તમારા ખભે કોઈનો હાથ મુકાય છે.

     સાહીત્ય અને સંગીતની દુનીયાના તમારા પ્રવાસના પહેલા સારથી, શ્રી. સુધીરભાઈ દવે તમને બાજુમાં ખેંચી જાય છે. એક કામ તમને સોંપાય છે. ટમ્પા, ફ્લોરીડાના કવી ડો. દિનેશ શાહને પ્લેનોથી આર્લીંગ્ટન પહોંચાડવાનું કામ તમારે કરવાનું છે. બધામાં સૌથી ભભકાદાર, કવી પહેરે તેવો, પહેરવેશ પહેરેલા એ કવીની એક કવીતા તમારા કાનમાં ફરીથી ગુંજવા લાગી જાય છે. 

“પર્વતના શિખરથી નીકળી વહેતી નદી અનેક,
ચાર દિશા ફરી ભેગી થાતી સાગરમાં સૌ એક.”

dr_dinesh_o_shah.JPG    

      તમે સહર્ષ આ જવાબદારી સ્વીકારી લો છો. આવા મુઠી ઉંચેરા માનવીની અંગત સંગત મળવાની આ તક માટે પરમ કૃપાળુ પરમાત્માનો તમે મનોમન આભાર માની લો છો.  આ શુભ કામ સોંપવા બદલ તમે સુધીરભાઈનો પણ આભાર માનો છો. પ્લેનોથી અરવીન સુધી, તમારો દીકરો ઉમંગ ગાડી ચલાવવાનો છે. બાકીનો અડધો રસ્તો તમે કાપવાના છો. આવા મહાનુભાવના સારથી બનવા બદલ તમે બન્ને કૃત કૃત્ય બની ગયા છો.

    અને એક અવીસ્મરણીય મુસાફરી શરુ થાય છે. દિનેશભાઈની કવીતાઓ સ્ટેજ પરથી તો સાંભળી હતી, પણ આટલી નજીકથી, બીજી બે તમને સાંભળવા મળે છે. કવી કેવા હોય, કેવા દેખાતા હોય, કેવી રીતે બોલતા હોય, કેવું જીવન જીવતા હોય, તે જાણવાનો તમારો આ પહેલો અનુભવ છે.

     પણ એનાથી અનેક ગણાં વીશેષ ગોપીત સત્યો તમારી સમક્ષ પ્રચ્છન્ન બની જાય છે. એક કવી, એક વૈજ્ઞાનીક તમારી બાજુમાં નથી બેઠો, પણ જેને માણસ કહી શકાય તેવા માણસની સંગત તમને સાંપડી છે; એવો અનુભવ તમને થઈ ગયો છે. તેમના શૈશવ કાળની તકલીફો, વીદ્યાર્થી કાળની વ્યથાઓ, અને અમેરીકામાં મહેનત અને બુધ્ધીથી શીખર પર પહોંચ્યાની મુસાફરીની વાતો, તમને એમના માટે અહોભાવથી છલકાવી દે છે. ફુલથીય કોમળ તેમના કવી હૃદયની ધડકન અને પમરાટ ભરેલા જીવનની સુગંધ તમારું ભાવ જગત અનુભવી રહ્યું છે.  

    તેમનો મુકામ, તેમના સાળા લેની ભાઈનું ઘર આવી ગયું છે. તેમને ઉતારીને તમે ઘર તરફ પાછા વળો છો, બીજે દીવસે એમનો કવીતા સંગ્રહ ‘પરબ તારાં પાણી’ તમે એકી બેઠકે વાંચી જાઓ છો. મુશાયરામાં અને કારમાં સાંભળેલી કવીતાઓ ફરીથી વાંચવાનો, વાગોળવાનો એ અદભુત અને સુખદ આનંદ તો તમે માણો જ છો , પણ તેમના જીવનના જુદા જુદા પ્રસંગોને આનુષંગીક, બીજી કવીતાઓ તમને એમના આત્મીય જન બનાવી દે છે. એમની જીવનકથા પણ તને રસપુર્વક વાંચો છો; અને પુસ્તક અલમારીમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. એક યાદગાર અનુભવ, એ પુસ્તકની જેમ, તમારા મનોજગતની અલમારીમાં સચવાઈને, ઢબુરીને કેદ થઈ જાય છે.

     એ વખતે તમને ક્યાં ખબર હતી કે, એ યાદો ફરીથી. અનેક વાર, નવપલ્લવીત થવાની છે? એ અલમારી ફરી ફરી ખુલવાની છે?

   પાંચ વરસ પછી, એમનો પરીચય તમારા બ્લોગ પર કંડારવાનો અનુપમ લ્હાવો તમે પામવાના છો?

   જે ઘરમાં તેમને ઉતારી આવ્યા હતા ત્યાં જ, 2008ની સાલમાં તેમને ફરીથી સાંભળવાનો મોકો તમે પામવાના છો?

   અને એ યાદગાર દીવસે એમણે કહેલો, હૈયું વલોવી નાખે તેવો, તેમનો એક સ્વાનુભવ તમારા બીજા બ્લોગ પર મુકી, એક સામાજીક પ્રશ્નને વાચા આપવાનો લ્હાવો પણ તમે પામવાના છો?

લો! એ પરીચય વાંચો

અને એ સામાજીક પ્રશ્ન પણ …..

સુધાકરે શું કર્યું?

સુધાકરે આમ કર્યું    

     અને કેવો સુભગ સંજોગ કે, તેમના 71મા જન્મ દીવસે, આજે આ વાત રજુ કરવાનો લાભ પામવાનો આ નવતર લ્હાવો પણ તમને પ્રાપ્ત થયો છે? 

– આભાર પ્લેનો, ડલાસમાં રહેતા, પરમ મીત્ર શ્રી. હિમાંશુ ભાઈનો – આજના સપ્પરમા દીવસની યાદ અપાવવા બદલ.

———————————————-

આજના સપ્પરમા દીવસે તેમના મીત્રો શ્રી. હિમાંશુ ભટ્ટ અને રમેશ પટેલનાં ગીતો નો બ્લોગ ‘ ત્રીવેણી સંગમ’ પણ શરુ કરવામાં આવી રહ્યો છે. એ બ્લોગની મુલાકાત લેવા આપ સૌને ઈજન છે. અહીં ‘ ક્લીક’ કરો  

One response to “સપ્પરમો દીવસ

  1. pragnaju એપ્રિલ 3, 2009 પર 3:49 એ એમ (am)

    ગોલમાલભાઈ ‘ ‘લોલિતા’ વાંચ્યા વગરજ કોમેન્ટ કરી છે. ત્યાં દિનેશભાઈએ પુછી લીધું કે “એ ખરાબ પુસ્તક છે એ નિષ્કર્શ કાઢવા માટે પહેલા તમે જરુર એ પુસ્તક વાંચયુ જ હશે ને?!!” તો ગોલમાલભાઈ તેમના પ્રશ્નનો ઉત્તર આપવને બદલે જોડણી સુધારવાને લાગી ગયા.. અને પછી જે થયું તે ….

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: