સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરીવર્તન- 9 : આર્બોરેટમ

ડલાસ આર્બોરેટમ 

 

ડલાસ આર્બોરેટમ

 

    ગઈકાલે મારા દીકરાની સાથે ડલાસના વ્હાઈટ રોક તળાવના કાંઠે આવેલા આર્બોરેટમની (વનસ્પતી સંગ્રહાલય?) મુલાકાતે ગયો હતો. મન પ્રસન્ન થઈ ગયું. વસંતના આગમનની સાથે જ વનસ્પતી સંપદા મહોરી ઉઠી હતી. એક જ મહીના પહેલાં જે વૃક્ષો સાવ બોડાં અને શુષ્ક હતાં, તે નવપલ્લવીત બની ગયાં હતાં. સર્વત્ર લીલોતરીનું સુભગ અને મનને શાતા આપતું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. વાતાવરણમાં ન તો શીયાળાની હાડ થીજાવી દે તેવી ઠંડી હતી કે, પસીને રેબ ઝેબ કરી દે તેવી ગરમી.

    આ ખુશનુમા વાતાવરણમાં જાતજાતના અને ભાતભાતનાં ફુલો ખીલી ઉઠ્યાં હતાં. જ્યાં જુઓ ત્યાં રંગોની સૃષ્ટી ખડી થઈ ગઈ હતી. ભમરા ગુંજન કરતા ફુલોનો મીષ્ટ રસ પીવા ઉડી રહ્યા હતા. લીલા છમ્મ ઘાસની વચ્ચે ક્યાંક ક્યાંક રતુમડી, દાણાદાર માટીના નાનકડા ઢગલા કીડીઓની સેના ફરીથી કામગરી બની ગયાની સાક્ષી પુરતા હતા. મનના બધા દ્વેષ અને ક્લેષ ઓસરી ગયા હતા.

     આવા મધુર માહોલમાં રોમન બગીચાના એક બાંકડા પર પોરો ખાવા અમે બેઠા. બે હજાર વર્ષ પહેલાંની, રોમન સંસ્કૃતીની પ્રતીકૃતી જેવો માહોલ હતો. બાજુના એક ક્યારામાં પીળાં અઝેરીયા મંદ સમીરમાં ઝુમી રહ્યાં હતાં. એક મહીના પહેલાં તો એની ઉપર કેવળ સુકી ડાળીઓ જ હતી. એક ભમરો ત્યાં આવી પહોંચ્યો અને ફુલે ફુલે ફરી રસ પીવા લાગ્યો. સાવ સાદા પાણીમાંથી અઝેરીયાએ એ રસ બનાવ્યો હતો. હવે ભમરો એમાંથી મધ બનાવશે. એવા જ કોઈ ભમરાએ બનાવેલું મધ હું વાપરીશ અને મુખમાં મીઠાશ વ્યાપી જશે.

      અને એટલામાં જ આ શાંત માહોલમાં ખલેલ પાડતી, કોલાહલ કરતી, શાળાના બાળકોની વાનરસેના ત્યાં આવી પહોંચી. શોરબકોર મચી ગયો. શીક્ષીકાએ બાળકોને રોમ, રોમન સંસ્કૃતી અને રોમન બગીચા વીશે જ્ઞાન આપતું નાનકડું પ્રવચન કર્યું; ફોટા પડ્યા અને એ લશ્કર વીદાય થઈ ગયું. ફરી પાછી શાંતી સ્થપાણી.

    અને મન વીચારે ચઢી ગયું.

    એ રોમન સંસ્કૃતી પણ ન રહી. આ આર્બોરેટમ પણ નહીં રહે. આ વસંત પણ નહીં રહે. , એ ભમરો પણ વીદાય થઈ જશે. એ અઝેરીયા પણ એક બે દીવસમાં કરમાઈને ધુળ ભેગાં થઈ જશે. એ વાનરસેના બીજી કોઈ મસ્તીમાં પ્રવૃત્ત થશે. અમે પણ પાંચ મીનીટમાં ઉઠીને બાજુમાં આવેલા એક બીજા બગીચા તરફ પ્રયાણ કરીશું. બાંકડો ફરી સુનો પડી જશે. સાંજ પડશે અને આ બધો નજારો રાતની કાળી ચાદર ઓઢીને પોઢી જશે. અમે પણ અમારા થાનકે પાછા પહોંચી જઈશું.

    સતત પરીવર્તન. સતત બદલાવ, સતત બદલાતા કણ કણ ..

   અને  ટેનીસનની મને બહુ ગમતી કવીતા ગણગણાવા લાગી – 

There rolls the deep, where grew the tree
O! earth what changes hast thou seen?
There where the long street rolls hath been
The Stillness of the central sea.

– Tennyson 


7 responses to “પરીવર્તન- 9 : આર્બોરેટમ

  1. dhavalrajgeera એપ્રિલ 2, 2009 પર 11:07 એ એમ (am)

    સતત પરીવર્તન. સતત બદલાવ, સતત બદલાતા કણ કણ ..

    One who learns by living and enjoy the time of life on this beautiful path as a self and others in the world…
    Be with society with STILL is a SANE.

    Bhai Suresh Keep busy with BODY MIND and Sprit.

    Rajendra

    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

  2. Chirag Patel એપ્રિલ 2, 2009 પર 3:21 પી એમ(pm)

    મનોરમ્ય દ્રશ્ય અનુભવાયું. મને આમ પણ પ્રકૃતી અને વનસ્પતી સાથે વધુ લગાવ છે. વઘઈમાં એક બોટેનીકલ ગાર્ડન છે જેની ગુજરાત વનવીકાસનીગમ દેખરેખ રાખતું હતું. ત્યાં 150 વર્ષ જુનો થોર અને વાંસનાં અદભુત ઝુંડ જોઈને મઝા આવી જતી હતી. મેં જોયેલા નયનરમ્ય સ્થળોમાંનું એ એક છે. આ બાગ પુરો થયા પછી તરત જ વાંસદા નેશનલ પાર્કનો આરક્ષીત વીભાગ શરુ થતો હતો. એ બાજુ જોતાં જ વાઘનો અને સાપનો ડર અને સાહસનો રોમાંચ ઉત્પન્ન થતાં હતાં.

  3. pragnaju એપ્રિલ 3, 2009 પર 3:33 એ એમ (am)

    ઔષધીય વૃક્ષો અને છોડવાની લોકોમાં જાણકારી વધે તે હેતુથી એમએસયુનિમાં લોકો માટે હર્બલ ગાર્ડન ખુલ્લો મુક

    એમ.એસ.યુનિવર્સિટીમાં ટૂંક સમયમાં હર્બલ ગાર્ડન ખુલ્લો મુકવામાં આવશે. આ હર્બલ ગાર્ડનમાં ઔષધીય વૃક્ષો અને છોડતો ઉછેર કરવામાં આવ્યો છે. ૧૫મી ઓગષ્ટ સુધીમાં ગાર્ડનનું કામકાજ પૂર્ણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે તેવી ધારણા છે.
    ગુજરાતભરમાંથી ૧૫૦ વૃક્ષો લાવીને ઉછેર્યા ઃ હજી બીજા ૧૦૦નો ઉછેર થશે ઃ પ્લાન્ટ સાયન્સ વિશે આજે સેમિનાર
    ભારતમાં નેશનલ મેડિસીનીલ પ્લાન્ટ બોર્ડ અસ્તિત્વ ધરાવે છે. જે આયુર્વેદિક – હર્બલ વૃક્ષો અને છોડવાની લોકોમાં જાગૃતિ ફેલાવી તેનો વિકાસ કરવા મદદ કરે છે. આ બોર્ડે એક પ્રોજેક્ટ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગને સોંપ્યો હતો. સામાન્ય રીતે લોકો આયુર્વેદિક વૃક્ષો અને છોડવાના દશબાર નામ જાણે છે. તેનાથી વિશેષ જ્ઞાાન ધરાવતા નથી, પરંતુ આ હર્બલ ગ્રાઉન્ડમાં ૧૫૦ ઔષધિય વૃક્ષો અને છોડવાનો ઉછેર કરાયો છે. જે ગુજરાતભરથી લાવીને ઉછેર્યા છે. આ ઉપરાંત બીજા ૧૦૦ વૃક્ષો- છોડવાનો ઉછેર કરાશે.
    એમ.એસ.યુનિ.માં મેઇન ઓફિસ પાસે પદવીદાન સમારોહનું જે મેદાન છે તેની નજીકમાં જ આ હર્બલ ગાર્ડન છે. જે હકીકતમાં ૧૯૬૨થી છે. ત્યાં જાતજાતના હર્બલ વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. આ ગાર્ડનના વૃક્ષોનો વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સંશોધનકાર્ય માટે ઉપયોગ કરતા હતા. થોડા સમય અગાઉ યુનિ.ના વીસીએ આ ગાર્ડનની મુલાકાત લીધી હતી. અને તેમણે ગાર્ડનને હર્બલ ગાર્ડન તરીકે વિકસીત કરવા સૂચવ્યું હતુ. આ ગાર્ડનને ‘આર્બોરેટમ’ નામ અપાયુ છે. આર્બોરેટમ લેટિન શબ્દ છે. જેનો અર્થ વૈવિધ્યસભર વૃક્ષો થાય છે.
    હાલમાં ગાર્ડનમાં વૃક્ષોની ઓળખ અને તેનો પરિચય થઇ શકે તે માટે નામકરણને લગતી કામગીરી ચાલુ છે. દરેક વૃક્ષ કે છોડ પાસે તેનું નામ દર્શાવાશે. ગાર્ડનની મુલાકાતે આવનાર સામાન્ય માણસ તકની પર જે તે વૃક્ષ કે છોડનું નામ વાંચી તેના વિશે પરિચય મેળવી શકશે. આ ગાર્ડનનો હેતુ ઔષધિય વૃક્ષો અને છોેડવા વિશે લોકોમાં માહિતી અને જાણકારી આપી જાગૃતતા પેદા કરવાનો છે.
    દરમિયાન તા.૨૨ના રોજ બોટની વિભાગના ઉપક્રમે પ્લાન્ટ સાયન્સ વિશે રાષ્ટ્રીય સેમિનાર યોજાશે. આ સેમિનાર સવારે ૯.૩૦ કલાકે સોશ્યલ વર્ક ફેકલ્ટીના આઇજી પટેલ હોલમાં યોજાશે. જેમાં પ્લાન્ટ બોર્ડના સીઇઓ બીએસ સજવાન સેમિનારનું ઉદ્ઘાટન કરશે. ‘ફલોરમ ડાઇવર્સિટી ઓફ ઇન્ડિયા’ વિશે બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેકટર ડો. એમ.સંજપ્પા હાર્દરૃપ પ્રવચન આપશે.

  4. Pingback: વસંત – રિયર વ્યૂ મિરરમાં « ગદ્યસુર

  5. Pingback: પરિવર્તનનો શહેનશાહ | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: