વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
બીજી લાઈનના ’નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
–——————————————
ભુલો અને જગ્ગો જગદંબાના ચીત્રની સામે ઉભા હતા. તેમની સાથે તેમના બધા સાથીદારો પણ હતા. મંદીર કચરાથી ભરેલું હતું. દેખીતી રીતે તેની સારસંભાળ બરાબર રખાતી ન હતી.
ભુલો ચીત્રવીચીત્ર મનોભાવોમાં ખોવાઈ ગયો. આ એ જ જગ્યા હતી; કે જ્યાં એના બાળપણથી યુવાનીના અનેક દીવસો ગુજર્યા હતા. એના ચીત્તમાં અનેક યાદો ઉભરાઈ આવી. અહીં એના સંસ્કારોનું ઘડતર થયું હતું. અહીં એણે અનેક પુજાઓ થતી જોઈ હતી. અહીં જ એણે માના ખોળામાં બેસી જગદંબાના મુખારવીંદ સામે અહોભાવ અને ભયના મીશ્ર ભાવોથી બાળસુલભ કલ્પનાઓ કરી હતી. અહીં જ તે કીશોરાવસ્થાના સાથીઓ સાથે રમ્યો હતો. અહીં જ એણે એકલા આવીને રુપલીને પામવાની જગદંબાને અરજ કરી હતી. સ્વદેશ છોડીને ભાગતાં પહેલાં, અહીં જ તેણે વેર વાળવાના કસમ ખાધા હતા.
પોતે કેટલો બધો બદલાઈ ગયો હતો? એક ક્ષણ માટે તેને પોતાના માટે તીરસ્કાર થઈ આવ્યો. ભુલાને ઝેર ખાઈ મરી જવા જેવું લાગ્યું. એના પેટમાં વીણાંચુંટા થવા લાગ્યા.
‘ તેણે બાપદાદાનો વીશ્વાસઘાત કર્યો હતો. તે ખુટલ હતો; ભાગેડુ હતો; નામર્દ હતો; પોતાના સ્વજનોનો તેણે દ્રોહ કર્યો હતો. તે જીવવાને લાયક ન હતો. ‘
પણ એને રુપલી દ્વારા થયેલો માનભંગ, માદરેવતનથી ખાનના પ્રદેશ સુધીની ભયાનક મુસાફરી, હાડપીંજરોના નાચનું દુઃસ્વપ્ન, નવા પ્રદેશમાં પ્રાપ્ત કરેલી સીદ્ધીઓ, ખાનના દરબારમાં સ્વપ્રયત્ને પ્રાપ્ત કરેલું માનભર્યું સ્થાન, રુપરુપના અંબાર જેવી, અનેક સ્ત્રીઓ સાથે માણેલી રંગરેલીઓ, ભવીષ્યમાં નીશંક પ્રાપ્ત થનારા નવા વીજયો… આ બધું પણ તત્ક્ષણ યાદ આવી ગયું. એની આખી જીંદગીનો ચીતાર એની સામે ખડો થઈ ગયો.
હવે એ પાછો વળી શકે તેમ ન હતો. નવા અવતારની આ નવી ભુમીકા જ હવે તેણે બજાવવાની હતી.
જગ્ગાએ ભુલાના ખભે હાથ મુક્યો અને બોલ્યો,”કેમ, દોસ્ત! કેમ આટલો બધો ઉદાસ થઈ ગયો? પાછા ફરવા વીચારી રહ્યો છે, કે શું?”
ભુલો,: “ ના રે ના ! એવું કશું નથી. આ તો મારી માનું મંદીર. ”
પણ જગ્ગો તેના મનોભાવો કળી ન શકે તેટલો અબુધ થોડો જ હતો? તેણે ભુલાને કહ્યું,” હવે તો તને વેર વાળવાની તક મળવાની છે. તારે તો નવી આશામાં નાચવું જોઈએ અને તારા ભગવાનના એ માટે આશીર્વાદ માંગવા જોઈએ. ચાલ આપણે શીકાર લઈ આવીએ અને તારી જગદંબાને ચઢાવીએ.”
ભુલો કશું બોલ્યા વીના બધા સાથીઓની સાથે મંદીરની બહાર આવ્યો. ભુલો અને જગ્ગો બહાર એક પથ્થર પર બીરાજ્યા. બીજા સાથીઓ શીકારની શોધમાં આજુબાજુ ઉપડ્યા.
થોડી વારે એ લોકો એક હરણને મારીને લઈ આવ્યા. સાથે એક જણને પણ દોરડા વડે બાંધીને કેદ કરી લાવ્યા હતા. ભુલો તરત બાનાને ઓળખી ગયો. નદીના કોતરોમાં રહેતા એક માત્ર કબીલાનો તે સભ્ય હતો. તેણે પણ ભુલાને ઓળખી કાઢ્યો.
ભયભીત બની ગયેલા અને થરથર કાંપતા બાનાના જીવમાં જીવ આવ્યો તે બોલ્યો: “ અરે! ભુલા, તું અહીં ક્યાંથી? અમે તો એમ માનતા હતા કે, તું તો કાળભૈરવને ધામ પહોંચી ગયો છે. આ બધા કોણ છે? એમની પાસેથી મને છોડાવ.”
ભુલાએ બાનાને બંધનમુકત કરવા હુકમ કર્યો. જમદુત જેવા લાગતા, ઉંચા અને પહોળા આ માણસો ભુલાને આટલું બધું માન આપે છે, તે જોઈ બાનો તો ચકીત થઈ ગયો. ગોવાની વસાહત માટે એના કબીલાના અણગમાએ એક નવી જ શક્યતાને જન્મ આપ્યો. જાતજાતના વીચાર એના મનમાં પાંગરવા અને ઉભરાવા લાગ્યા. જગદંબાના ભુલા પર ચાર હાથ હતા એમ બાનાને લાગ્યું. તેને ભુલો ગોવા કરતાં પણ મહાન ભાસવા લાગ્યો.
ભુલો અને બાનો વાતે વળગ્યા. થોડીક જ વારમાં ભુલાને નદી પારની વસાહતોની, એમણે સાધેલી અભુતપુર્વ પ્રગતીની, હાથીઓના પ્રદેશની એમ ઘણી બધી બાતમી પ્રાપ્ત થઈ ગઈ. ભુલાએ બાનાને રક્ષણની બાંહેધરી આપી. ખાનના અપ્રતીમ સામર્થ્યની માહીતી મેળવી બાનાની આંખો ચાર થઈ ગઈ. જો બાનો અને તેનો કબીલો ખાનને મદદ કરશે, તો ખાન પાસે તેને મોટું ઈનામ અને પદ અપાવશે તેવું વચન ભુલાએ આપ્યું.
ભુલાએ જગ્ગાને બાનાનો પરીચય કરાવ્યો, બાનાના કબીલાનો સહકાર મળવાની શક્યતા જાણી જગ્ગો તો ભુલાની હોંશીયારી અને વીચક્ષણતા પર આફ્રીન થઈગયો.
બે તીરંદાજ સૈનીકો સાથે બાનો તેના કબીલા તરફ વીદાય થયો; અને થોડીવારે કબીલાના બે મુખીયા સાથે પાછો ફર્યો.
જગદંબાની સાક્ષીએ જગ્ગો, કબીલાના વડીલો, અને દુભાષીયા તરીકે ભુલાની વચ્ચે લાંબી મંત્રણાઓ ચાલી; અને એકમેકને સહકાર આપવાના કોલ દેવાયા. માતાની હાજરીમાં દેશદ્રોહના કરાર નક્કી કરાયા. આખી વાત એકદમ ગુપ્ત રાખવાના વડીલોએ સોગન ખાધા.
લોહીનું એક પણ ટીપું પાડ્યા વગર, ખાનની વીજયયાત્રાનું પહેલું ચરણ સફળ બન્યું હતું. બીજા દીવસની સવારે, એક સૈનીક આ શુભ સમાચાર ખાનને પહોંચાડવા, ઓતરાદી દીશામાં નીકળી ચુક્યો હતો.
Like this:
Like Loading...
Related
sureshbhai , akhi varta pahela puri karo ane pachi akhi prasidh kari nakho .. bhai ama etli utkantha rahe che ke have shu thase??aagal shu avshe???tamari varta ane sabdo je saralta thi lakho cho te badal dhanya vad ..