સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બ્લોગર

તે બ્લોગર છે. કેવળ એકવીસમી સદીની, તરોતાજા પેદાશ.

માનવ ઈતીહાસમાં ભક્તો, ફીલસુફો, પેગંબરો, રાજાઓ, મહારાજાઓ, સેનાપતીઓ, યોદ્ધાઓ, કવીઓ, લેખકો, સંગીતકારો, નૃત્યકારો, શીલ્પકારો, વીચારકો, વૈજ્ઞાનીકો, સંશોધકો, સાગરખેડુઓ, ચાંચીયાઓ, બહારવટીયાઓ, અસામાજીક/ અનૈતીક તત્વો ….. અરે ! સામાન્ય માણસો પેદા થયા છે. પણ બ્લોગરની જમાત એ તો આ નવી સદીની જ પેદાશ છે!

  • તે લેખક છે અને નથી.

તે મોટે ભાગે નકલખોર છે. તે સાવ સીધું કોપી/ પેસ્ટ કરનાર કે આખાંને આખાં પાનાં સ્કેન કરીને મુકનાર કે બહુ બહુ તો, ચોપડીઓ કે સામાયીકોમાંથી ટાઈપ કરીને નકલ કરનાર છે. રડ્યાખડ્યા કોક  વીરલા કાંઈક પોતાનું સર્જન કરે છે. પણ એ લેખક કરતાં બહુ જુદી માયા છે. એને એનું લખાણ પ્રસીદ્ધ કરવા માટે કોઈની પરવાનગી લેવી પડતી નથી; કોઈની દાઢીમાં હાથ નાંખવો પડતો નથી; કોઈની ખુશામત કરવી પડતી નથી, કે એને કોઈની શેહ શરમ નડતી નથી. એને કોઈ પ્રુફ રીડરંની જરુર હોય તેમ જણાતું નથી. એ સાવ બીન્ધાસ્ત લેખક છે. એને પ્રસીદ્ધીની કશી પડી નથી. એનું લખાણ બેચાર સગાં સંબંધી અને મીત્રો વાંચે; એનાથી એને સંતોષ છે. બાકી કોઈ પણ લેખકની જેમ પ્રશંસા અને દાદ મેળવવા માટે એ પણ તલસે છે- કદાચ વધારે તીવ્ર રીતે- કારણકે, અહીં આખી દુનીયામાંથી ટપાટપ પ્રતીભાવ મળી શકે છે; જે સામાન્ય લેખકના નસીબમાં નથી.

  • એ પ્રકાશક છે અને નથી.

એને પણ બધી રચનાઓ પ્રકાશીત કરવી પડે છે. એને પણ એના ગ્રુપોમાં અને મીત્ર મંડળમાં ઈમેલોથી જાહેરાત કરવી પડે છે. બ્લોગની જાળવણી કરવી પડે છે. રંગરોગાન અને સુશોભન કરવાં પડે છે. પણ એને પ્રકાશકની જેમ ટાઈપ કરનારાની, બીબાં ઢાળનારાઓની,  પ્રુફ રીડરોની, કે વીતરકોની  ફોજ રાખવી પડતી નથી. એને કોઈ મુડી રોકાણ કરવાનું કે લેખકોને વળતર આપવાનું હોતું નથી. કોઈ ચર્ચાસ્પદ લેખ પાછો ખેંચી લેવો હોય તો તે તત્કાળ તેમ કરી શકે છે.

  • એ વીતરક છે અને નથી.

જેવી કોઈ રચના પ્રકાશીત થાય કે તરત તે વીતરીત પણ થઈ જાય છે અને ક્ષણમાં જ આખા વીશ્વમાં તે વાંચી શકાય છે. આ માટે  તેને એક પાઈનો પણ ખર્ચ થતો નથી. પણ એ વીતરણ ખરેખર થાય, તે માટે તેને જાહેરાત અચુક કરવી પડે છે. જોકે, આવી જાહેરાત પણ સ્વયંસંચાલીત રીતે થાય તે માટે આર.એસએસ.ફીડની, રીડરની, બ્લોગરીધમની વી. સગવડો પણ નીઃશુલ્ક મળી રહે છે.

  • એ વાચક છે, અને નથી.

એને બીજાના બ્લોગ વાંચવા કરતાં પોતાનો બ્લોગ વંચાય એની વધારે પડી હોય છે! અને આથીજ વાટકી વહેવારની જેમ, એને બીજાના બ્લોગ પર મને કમને મુલાકાત લેવી પડે છે; અને ઉપરછલ્લો પણ પ્રતીભાવ આપી, પોતાના  આગમનની હાજરી સાબીત કરી આપવી પડે છે! એ સામાન્ય વાચક જેવો જ હોવા છતાં ઘણો જુદો પડી જાય છે. ચોપડીના વાચકને છેલ્લું પાનું યાદ રાખવા બુકમાર્ક રાખવા પડે છે, અને એ પડી ન જાય એની સંભાળ રાખવી પડે છે. સામાન્ય વાચકને ગમતું લખાણ સાચવી રાખવા ફોટોકોપી કરવી પડે છે. ચોપડીઓની સુચી બનાવી મોકલનાર વાચકના સંબંધીને એ ખરીદવી કે પુસ્તકાલયમાંથી મેળવવી પડે છે, કે મીત્ર પાસેથી ઉછીની લાવવી પડે છે. ( પાછી આપવાની કોઈ બાંહેધરી આપ્યા વીના!)નેટ ઉપર તો ભાત ભાતના ફેવરીટ અને ઈ-બુકમાર્ક હાથવગા મળી જાય છે.
બ્લોગ વાચક તો કોપી/પેસ્ટ કરી ફાઈલ બનાવી નવરાશે અનેક વાર વાંચી શકે છે. મીત્રોને મોકલી શકે છે.  બ્લોગના વાચકને તો કંટાળી જવાય એટલા, કોપી અને ફોર્વર્ડ કરેલા સંદેશ મળતા જ રહે છે! ‘ગમતું એ મારું’ એનાથી એક ડગલું આગળ આ મનોવૃત્તી છે – ‘ગમતાંનો ગુલાલ’ કરવાની વૃત્તી છે. બ્લોગરના ધ્યાનમાં કાંઈક પણ આવે, તો એને ઉછાળો થઈ આવે  છે – એને પોતાના બ્લોગ પર મુકી વહેંચવાનો.

  • તે એક સામાન્ય માણસ છે અને નથી.

તે સાવ સામાન્ય માણસ તો છે જ. તે થેપલાં બનાવતી  ગૃહીણી, નવ વર્ષનું બાળક કે બાસઠ વર્ષનો બુઢ્ઢો હોઈ શકે છે. માત્ર થોડુંક કોમ્પ્યુટર વાપરવાનું  જ્ઞાન, થોડીક બ્લોગ આવડત અને ચપટીક ટાઈપ કરવાની આવડત – અને બ્લોગરંની ગાડી ચાલુ. પણ એ સામાન્ય માણસથી મુઠી ઉંચેરો છે. એને કાંઈક વહેંચવું છે; એને માત્ર ખીસ્સાભેગું નથી કરવું. એને કોઈ પણ સામાન્ય કે અસામાન્ય માણસની જેમ પ્રતીષ્ઠા અને બે જણમાં ગણાવાની (Recognition) ખેવના જરુર છે જ. પણ કોઈ ન ગણે તો પણ એ બ્લોગીંગની પડેલી આદત ન છોડવા માટે વીવશ પણ છે – એ નશાખોર છે, એને બ્લોગીંગનો બેવડો ચઢેલો છે! એ સામાન્ય માણસ પોતાના નાનકડા જીવનના વર્તુળમાંથી જરીક બહાર આવેલો જીવ છે.

માટે બ્લોગર એક વીશીષ્ઠ વ્યક્તીત્વ છે – કે નથી?

———————————-

સર્વે વાચકો અને બ્લોગરોને આ બાબત પોતાના વીચાર બીન્ધાસ્ત રજુ કરવા આ બ્લોગરનું ઈજન છે.

45 responses to “બ્લોગર

  1. Ramesh Patel સપ્ટેમ્બર 20, 2009 પર 6:22 પી એમ(pm)

    નવા જમાનાની અદભૂત ભેટ.હમ ભી નશમેં તુમ ભી નશેમેં..

    આખી દુનિયામાં પલક ઝબકતાં છવાઈ જઈએ.

    ..નવે ગ્રહો નિકટમાં રહેતા..રાવણની વાત.

    આપણે જાતે રામ અને હસું આપણી વાનર સેના

    અને થોડા અળવિતરા મહાનુભાવો એટલે વિવેચક.

    ઘણી વાર ર્તો ..ભાઇએ લખ્યું એટલે કોમેન્ટવાળા બસ વરસી પડે

    અને ઘણી જગ્યાએ ઉપિયોગી લખાણ માટે વગડો દેખાય.

    છતાંય ખૂબ જ ઉપિયોગી અને મહેનત કરતા સર્વે બ્લોગર ને

    આદર સાથે ધન્યવાદ.

    આપે મજાની રીતે સત્યને કંડાર્યું છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. અખિલ સુતરીઆ સપ્ટેમ્બર 20, 2009 પર 7:43 પી એમ(pm)

    .. સાચી વાત .. સૌને … સમજાય તેવી .. સમજે તો !!

  3. અક્ષયપાત્ર સપ્ટેમ્બર 20, 2009 પર 7:49 પી એમ(pm)

    સામાન્ય અને અસામાન્ય બ્લોગરને વાંચકો(એટલે કે અન્ય બ્લોગર્સ) ઓળખી તો કાઢે જ છે અને ન ઓળખી શકે તો અસામાન્યને વળી ઓળખની શી જરૂર ? બાકી ખુશામત તો ખુદાને ય પ્યારી છે. એટલે પ્રતિભાવોનો નશો તો રહેવાનો જ. ખોટી ખુશામત પણ અહીં થતી જ હોય છે. એકવાર મેં અન્ય બ્લોગરના લેખની ઈ મેલ ફોરવર્ડ કરેલી. એક વાંચક (કુટુંબીજન) નો જવાબ આવ્યો કે very good, keep it up. એણે માની કીધુ કે મારૂં જ લખાણ છે. લેખ વાંચ્યો હોત તો લેખને અંતે લેખકનું નામ બહુ મોટા અક્ષરે સ્પષ્ટ હતુ.
    સુરેશભાઈ, બ્લોગરની આબરૂ બગાડનાર ઊઠાંતરો માટે સજાની કોઈ જોગવાઈ જરૂરી ખરી?

  4. Capt. Narendra સપ્ટેમ્બર 20, 2009 પર 8:53 પી એમ(pm)

    સરસ, સીધી અને બિન્દાસ વાત.
    ફક્ત એક વસ્તુ ખટકી.
    “બાસઠ વર્ષના” લોકો સાચ્ચે જ બુઢ્ઢા હોય છે? જીવનનું ખરૂં જોમ, (સાહિત્ય) સર્જનની વૃત્તિ આ વયના લોકોમાં યુવાનો કરતાં વધુ ઠરેલ, શાંત અને રોમહર્ષક હોય છે! તેમને “બુઢ્ઢા બ્લૉગર” કહેવું યોગ્ય ગણાય?

  5. nilam doshi સપ્ટેમ્બર 20, 2009 પર 8:59 પી એમ(pm)

    થોડી ખાટી થોડી મીઠી…

    વાટકીવ્યવહારની વાત સાવ સાચી…. કોમેન્ટો ઉઘરાવવાની મનોવૃતિ જોવા મળે ત્યારે હસવું આવી જાય છે. ઉપર મારી મિત્ર રેખાએ કહ્યું તેવા અનુભવો દરેકને થતા જ રહેતા હશે…
    એની વે… કોઇ વાંચે પોતાની ઇચ્છાથી એ સ્વાભાવિક રીતે ગમે..પરંતુ વહેવાર જાળવવા પૂરતું વાંચે એવો આગ્રહ, દુરાગ્રહ પણ જોવા મળતો રહે છે. મારો બ્લોગ કોઇ વાંચે, પ્રતિભાવ આપે..સાચો કે ખોટો…એ મારો મિત્ર…હું પણ તો જ એનો બ્લોગ વાંચુ..કે કોમેન્ટ લખું. નહીંટર મારી શી જરૂર છે તેનો બ્લોગ વાંચવાની ?

    આવી મનોવૃતિ જોવા મળતી રહે છે.લખાણમાં દમ હશે ને કોઇએ ગમે ..(બધાની પસંદગી તો સ્વાભાવિક રીતે જ અલગ હોવાની…) તો આપોઆપ વાંચશે..ને એનો આનંદ અચૂક થાય. તેથી મને તો ઘણીવાર કોઇ બ્લોગરનો પ્રતિભાવ આવે તેના કરતાં કોઇ સામાન્ય વાચક..બ્લોગર સિવાયનાનો પ્રતિભાવ આવે ત્યારે વધું આનંદ થાય છે..એ હકીકત છે.
    બાકી દાદા, છપાવવા માટે દરેક વખતે ખુશામત જ કરવી પડે છે એ વાત સાથે હું સંમત નથી જ. મેં કયારેય ખુશામત કોઇની એ માટે કરી નથી. અને પ્રકાશકો ખુશામતથી છાપતા પણ નથી. એ લોકો પૂરા પ્રોફેશનલ હોય છે. વસ્તુ વેચાશે એવું લાગે..ફાયદો દેખાય તો અચૂક છાપે… (નહીંતર પોતાને ખર્ચે છપાવવી પડે છે. ) આ મારો પોતાનો અનુભવ છે.
    ઓકે..ઓકે.. દાદા, આજે ઘણું લખી નાખ્યું અને ઘણું બાકી રહી ગયું.

  6. Popatbhai Patel સપ્ટેમ્બર 20, 2009 પર 9:26 પી એમ(pm)

    Dear Jani Saheb

    Tame moulik – Baodhik lakhata raho.

  7. tusharbhatt સપ્ટેમ્બર 20, 2009 પર 9:29 પી એમ(pm)

    પ્રિય સુરેશભાઈ,
    સો વાતની એક જ વાત..બ્લોગ તો અરીસા જેવો છે.. સ્વચ્છ આઈના સમ. . જેવા આપને તેવા આપણે દેખાઈયે પોતાની જાતને અને બીજાને.
    આભાર
    તુષાર ભટ્ટ

  8. પ્રવિણ શ્રીમાળી સપ્ટેમ્બર 20, 2009 પર 11:56 પી એમ(pm)

    દાદા,
    ખુશામત તો ખુદાને પણ પ્યારી છે.!!…
    કોપી પેસ્ટ કરીને મુકેલી રચનાઓ કે કયાંક વાંચેલી રચનાઓ કોઈ પોતાના બ્લોગ પર જે-તે સાચા રચયિતાના નામ સાથે મૂકે તે ચલો તેને શે’ર કરી તે ઠીક છે…અરે, જાણીતા બ્લોગો (બ્લોગો નહીં, પરંતુ જાણીતી ગુજરાતી વેબસાઈટો)ના લોકો જે રચનાઓ મૂકે છે તે શું તેના અસલી રચયિતાની પરમિશનથી(મંજૂરીથી) મૂકે છે?!(તેને તો ખબર પણ નહીં હોય અથવા તે ગુજરી ગયા હોય!) છતાં આવી રચનાઓ પર બિચારા કોમેન્ટરો પોતાનો પ્રતિભાવ અને અભિનંદન ની દાદ એવી રીતે આપે કે જાણે આ કૃતિ આ બ્લોગરે લખી હોય!!(અમુક લોકો તો કોમેન્ટો નો રેકર્ડ બનાવો હોય તેમ વાચકો ને આગ્રહ કરે કે તમારે તમારી કોમેન્ટ માત્ર ફલાણા ‘મારા વિશે’ કે પરીચય નીચે ના જ પેઈજ પર આપવી!)

    અરે, મારો તો જાત અનુભવ છે કે કેટલાંક બ્લોગરો પોતાની ખુશામત કરતા વાકયો રાખે અને બાકી જો તમે તેની કે તેની કૃતિની બાબતે તમે કોઈ ટીકા કરતી ટિપ્પણી લખી હોય તો તેટલો ભાગ કાતર લઈને કચા-કચ કાપી નાંખે(સેન્સર બોર્ડની જેમ)અને તેની ખુશામત વાળો ભાગ કે વાકયો પ્રકાશિત કરે(આઈલા, મોડરેટરની કમાલ)અને આ અનુભવ મને જાણીતા બ્લોગ “મોરપીંછ” પર કોમેન્ટ કરતાં મળ્યો!!
    આવો જ અનુભવ મારા મિત્ર શ્રી વિવેક દોશીને થયો, તેમને તો એક જાણીતા પત્રકાર, લેખક અને કોલ્મનિસ્ટ કે જેમને બ્લોગ બનાવ્યો છે, તેમને કોમેન્ટ આપતા આ ભાઈ સાહેબશ્રી એ તેમની વાહ-વાહ કરતાં વાકયો રાખ્યાં અને બાકીના પર કાતર ફેરવીને પ્રતિભાવને પ્રગટ કર્યો!!

    અરે,તમારામાં ખુશામતની સાથે કોઈ વિવેચક બનીને કદાચ ટીકા, ટિપ્પણી કે વિવેચન કે ચર્ચા કરે તો તેની કોમેન્ટને કાપવી ના જોઈએ, પરંતુ તેનો સંતોષકારક પ્રત્યુતર આપવો અથવા તો જો તમને આવી કોમેંટ ગમતી જ ના હોય અથવા કોમેન્ટરનો બદઈરાદો હોય કે તમને બદનામ કરવા કે અન્ય મિથ્યા ચર્ચા કે પૂંછડા વગરની કે જેમાં તમે લખેલ રચના સાથે સ્નાન-સૂતક નો સંબંધ ન હોય તેવી મિથ્યા હોય તો સ્પેમમાં નાંખી દેવી અથવા આખી ડિલીટ કરી દેવી જોઈએ! નહીં કે મોડરેટ કરવાની!!

  9. hemant doshi સપ્ટેમ્બર 21, 2009 પર 4:58 એ એમ (am)

    your are fire brand.whatever you say is 100%right.
    thank you.
    hemant doshi atmumbai.

  10. pragnaju સપ્ટેમ્બર 21, 2009 પર 5:23 એ એમ (am)

    – બેશક
    બ્લોગર એક વીશીષ્ઠ જ વ્યક્તીત્વ છે !
    બીજાની વાત લખવામાં કદાચ અન્યાય થવાનો સંભવ છે તેથી મારી વાત લખું.
    મૂળ ગુજરાતી ટાઈપ કરતા ન આવડે! ત્રીજી પેઢી તો ગુજરાતીને વાયરસનું મૂળ ગણે! તેમા એક મિત્રે ગુજરાતી લખવાની સીડી ખરીદવાનું કહ્યુ. અસંભવ—તેને દયા આવી તે ભેટમા મોકલી!નિષ્ણાતો પણ તે અંગે કાંઈ કરી ન શક્યાં!!
    આમાં રસોડાએ કમાલ કરી..આમેય હ્રુદયનો રસ્તો પૅટમાંથી સરળ છે.પસંદગીની અમેરીકન વાનગીઓ તૈયાર રાખવા માંડી.અમારા ગ્રાંડ સન મિહિરે કહ્યું કે તેને ગુજરાતીમાં શું લખ્યું છે તે ખબર નહીં પડે પણઆપેડ પર ટાઈપ કરવાથી ગુજરાતીમા ટાઈપ થશે.
    અમે તો નવરાશ મળે મંડી પડીએ.
    અને પહેલા ઈ-મેલમા ગુજરાતીમા લખ્યું .ઘણાને કાંઈ સમજાયુ નહીં…પછી વંચાતું થયું.નિયમિત સારા પુસ્તકોમાંથી ટાઈપ કરી વર્ડમા સૅવ કર્યું.
    આમ તો કોઈને લાંબી વાત સાભળવાનો વખત જ ક્યાં છે?
    …તો બ્લોગ જગતે પ્રતિભાવ માંગ્યો!!
    નીતિ નક્કી કરી. બને ત્યાં સુધી રાજકારણ ચર્ચવું નહી,કોઈ પણ ધર્મની આલોચના કરવી નહીં અને જે સમજાય -સારુ હોય તેનો ઉલ્લેખ કરવો.
    મને એક રોગ છે.કોઈ સીનેમાનું ગાયન કે ગદ્ય-પદ્ય કૃતિ વાંચીએ- સાંભળીએ અને તેના જેવા ગીત મનમા ગુંજે.વાત કરતા હોઈએ અને વતેસર થઈ જાય.આ ખામીને બધા બ્લોગરે માફ કરી દીધી.મઝા તો એ થઈ કે કેટલાકને આ ચેપ લાગ્યો અને પ્રતિભાવમા તેમને પણ સમાન યાદ આવવા માંડ્યું!
    અમેરિકાના અર્થતંત્રમા તોફાન આવે તેવા એંધાણ હતા-ત્યાં એક દિવસ ન્યુયોર્કની ફાઈનાન્સ કામકાજ સંભાળતી બેનનો સંદેશ આવ્યો કે અમારા પ્રતિભાવ ગમે છે !અને બ્લોગનુ નામ આપો અને તેઓ બ્લોગ મારે નામે કાઢી આપે.પહેલો જ સવાલ કે અમે તો મુફલીસ છીએ…ડોલરની વાત કરશો નહીં તેમણે સધ્યારો દીધો કે આમાં કાઈ ખર્ચો ન થાય.!એટલે આપણે બોલ્ડ લખાણ મોકલ્યું સાથે ફોટા!તેમનુ પહેલુ લેસન બોલ્ડ લખાણ તમે ગુસ્સો કર્યો છે તેમ લાગે અને તમારા ફોટા,સાચી જન્મ તારીખ …આઈ ડીની ચોરાઈ જાય….કઈ ભાષામાં બ્લોગિંગ કરશો એ જણાવો એટલે વર્ડપ્રેસ તમે જણાવેલા ઇ-મેઇલ પર એક્ટિવેશન લિંક મોકલશે. તમારા ઇ-મેઇલ પ્રોગ્રામમાં જઈ, એ લિંક પર ક્લિક કરો એટલે તમારો બ્લોગ તૈયાર! ક્લિક કરતાં જ, વર્ડપ્રેસનું લોગ-ઇનનું પેજ ખૂલશે, અહીં યુઝર નેમ, પાસવર્ડ આપો એટલે તમારા બ્લોગનું ડેશબોર્ડ ખૂલશે
    અને અમે બન્યા બ્લોગર…
    પછી તેઓને ખૂબ કામ રહેતું હોવાથી જાતે પ્રેકટીશ કરવાનુ કહ્યું!
    મારા બ્લોગ પરથી કોઈ લખાણ -ચિત્ર લે તો મને આનંદ કે મારામાંથી કોઈ લઈ શકે!!લઈ જનારને અસલામ્..ઊભો રહે બ્લોગર-આ પણ લઈ જા!!
    ફરી રોગ ઉથલો મારે છે…કોઈએ કેમ છો?પૂછ્યું અને અમે તો બધી વાત કહી દીધી!!

  11. Krishna Shah સપ્ટેમ્બર 21, 2009 પર 6:06 એ એમ (am)

    બ્લોગર જમાતની ખરેખરી ખૂબીઓ… વાહ, સુરેશદાદા મઝા આવી.

  12. bharat Pandya સપ્ટેમ્બર 21, 2009 પર 6:41 એ એમ (am)

    One good thing about blog is you do not have to worry about Grammar, spelling,language etc.
    When a few poets and story writers come to undestand that no reputed magazine will publish their writing they start a blog — sometimes in fictitious name ! everyday they will dump their gazal on you.I remember Feriyas in Churchgate station ,they will have few people prasing things they sell – “sala itne dam m,e to ye milegahi nahi” ec. here too bloggers have their own friends who praise articles ! one has to be very careful which blog he reads.

  13. સુનીલ શાહ સપ્ટેમ્બર 21, 2009 પર 7:11 એ એમ (am)

    સરસ, રસ પડે તેવા મુદ્દાની સુંદર રજુઆત.

  14. ડૉ.મહેશ રાવલ સપ્ટેમ્બર 21, 2009 પર 7:42 એ એમ (am)

    મૂળ વાત પણ ગમી અને અનેક કૉમેન્ટ્સમાં રજુ થઈ, એ વાતો પણ ગમી.
    સરવાળે,દરેક ગુજરાતી બ્લોગર્સને સ્પર્શતી વાત લઈ આવ્યા છો દાદા…..

  15. Chirag સપ્ટેમ્બર 21, 2009 પર 9:35 એ એમ (am)

    દાદા, તમારી વાત સાથે સમ્મત છું! તમારા જે તારણ છે એ દરેક સરાસરી પ્રમાણે અનુભવમાં આવ્યાં છે અને સાચા છે. એક નવો મુદ્દો ઉમેરવાનુ મન થાય છે:

    બ્લૉગર એ સનસનીખેજ સમાચાર (સાચા કે ખોટા) આપવા તત્પર રહે છે અને નથી રહેતો.

  16. નટવર મહેતા સપ્ટેમ્બર 21, 2009 પર 10:26 એ એમ (am)

    બ્લોગની સુવિધાને કારણે મારા જેવા ન જાણીતા લેખકને સારૂં માધ્યમ મળ્યું. કેટલાંક લોકોમાં જાણીતો થયો. એટલો તો ફાયદો થયો.

    હું મોટે ભાગે મને મળતી કોમેન્ટ જેવી હોય તેવી જ રજુ કરતો આવ્યો છું. હા જ્યારે પ્રતિભાવ મળે ત્યારે આનંદ થાય છે પછી ભલે એ તમારી વાર્તા સાવ ભંગાર છે કેમ ન હોય.કારણ કે એ વ્યક્તિએ મારી વાર્તા વાંચવાની તસ્દી લીધી અને ત્યારબાદ કોમેન્ટ કરી.

    મારા માટે પ્રતિભાવ આપનાર દરેકને મોટે ભાગે અંગત ઈ મેઈલ દ્વાર પ્રત્યુત્તર જરૂર આપું છું અને એમાં સ્પષ્ટતાન અવકાશ હોય તો સ્પષ્ટતા ય કરૂં છું.અને એ પણ ગુજરાતીમાં જ!
    એક વાર્તાનો અંત મેં વાંચકોના પ્રતિભાવ બાદ બદ્લ્યો પણ. આ કોમેન્ટની કમાલ છે. જોડણી અંગે હું કાચો છું એટલે જ બ્લોગ જગતમાં પધરામણી ખાસી મોડી થઈ અને આ દશેરાએ એક વરસ થશે.

    બ્લોગ જગતમાં કોપી અને પેસ્ટનું થોડું દુષણ હશે. પણ એમાંથી ય જાણવાનું મળે છે એ ન ભુલી શકાય.
    અન્ય ભાષાના બ્લોગની તો ખબર નથી. પણ ગુજરાતી ભાષાના બ્લોગ જગતની વાત નિરાળી છે.
    અહિં આક્રમક બ્લોગરો છે. તો ઊંડા પાણી જેવાં શાંત બ્લોગરો પણ છે.

    દરેક બ્લોગર મિત્રોને શુભેચ્છા..

  17. Mehul સપ્ટેમ્બર 21, 2009 પર 11:54 એ એમ (am)

    “બ્લોગર વીશીષ્ટ વ્યક્તી છે કે નહી?” એ તો સંસદમા સંસદસભ્યોના ભથ્થા વધારવાના પ્રસ્તાવ જેવો પ્રશ્ન છે 🙂

    BTW – સરસ લખ્યુ, મજા આવી – મારા બ્લોગ પર પણ કોમેન્ટ કરી નાખજો 🙂

  18. Mehul સપ્ટેમ્બર 21, 2009 પર 11:56 એ એમ (am)

    અને હાં — બ્લોગના માધ્યમથી ગુજરાતીમા જે વીચાર-વીકાસ થાય છે એ ખરેખરુ જમા પાસુ છે. જો કે સાવ નવી પેઢીને આકર્શવા માટે કશુક વધારે કરવુ પડશે..

  19. Govind Maru સપ્ટેમ્બર 22, 2009 પર 12:09 એ એમ (am)

    વાહ ! બહુ જ સરસ રીતે તમે સત્યને સાફ રીતે મુકી આપ્યું !… ધન્યવાદ…

    ‘કૉમેન્ટ’ એ બ્લોગરનો તૃષારોગ ગણાયો છે.. તેના લોભમાં કેટલાંક બ્લોગરો રઘવાયા બને છે.. છાપાંઓ જેમ પોતાનું સરક્યુલેશન વધારવા પેંતરા રચે છે તેમ.. એ મનોરોગથી બચી, આપણને તો મચ્યા રહેવામાં જ મઝા છે..

    ગોવીન્દ મારુ

  20. atuljaniagantuk સપ્ટેમ્બર 22, 2009 પર 3:40 એ એમ (am)

    તે એક વિશિષ્ટ વ્યવ્ક્તિત્વ છે અને નથી
    ———————————————
    ચિલાચાલુ જીવન જીવવાને બદલે તે પોતાનો સમય આપીને કશુંક સર્જનાત્મક કાર્ય કરે છે. (લેખની અંદરના વિચારો સર્જનાત્મક હોય કે ખંડનાત્મક તે અલગ વાત છે.) વળી તે રોજ રોજ નવુ નવુ પીરસવા માટે કશોક પુરુષાર્થ કરતો રહે છે – જેમ કે નવા લેખો વિચારવા (સ્વતંત્ર લેખક કક્ષાના બ્લોગરો), ક્યાંકથી સારા વિચારો ઉપાડીને રજુ કરવા (ગમતા નો ગુલાલ કરવાની ઈચ્છા વાળા બ્લોગરો) ,જુદા જુદા બ્લોગ ઉપર આંટો મારીને જે ગમે તે ઘરભેગું કરવું ( ક્યાંક સારુ જોયુ તો તેને પોતાના બ્લોગ ઉપર ગોઠવી દેવાની સતત તજવીજમાં રહેનારા બ્લોગરો) આમ તેમના નીરંતર પુરૂષાર્થને કારણે તેઓ વિશિષ્ટ વ્યક્તિત્વ તો છે જ. વળી, આ બધા બ્લોગરો (“બ્લોગરો” વ્યક્તિઓ નહીં) હોય કે ન હોય તેનાથી જગતને ખાસ કાઈ ફેર પડતો નથી તેથી તે વિશિષ્ટ વ્યક્તિત્વ નથી.

  21. Kartik Mistry સપ્ટેમ્બર 22, 2009 પર 9:32 એ એમ (am)

    સરસ પોસ્ટ! બ્લોગર ખરેખર વિશિષ્ટ વ્યક્તિ છે અને બ્લોગરે ઈતિહાસ બદલ્યાના દાખલા છે તો – વિશિષ્ટ જ ગણાય ને.

    અરે બ્લોગરે કોમેન્ટ બદલ્યા ના દાખલા પણ છે…

  22. Suresh Jani સપ્ટેમ્બર 22, 2009 પર 4:40 પી એમ(pm)

    Based on feedback received.. wait for a more juicy…..
    Second part !!!

  23. Haresh Kanani સપ્ટેમ્બર 24, 2009 પર 2:16 પી એમ(pm)

    બ્લોગર ખરેખર વિશિષ્ટ વ્યક્તિ છે વિશિષ્ટ જ ગણાય ને.
    htpp://palji.wordpress.com

  24. પ્રવિણ કે.શ્રીમાળી ફેબ્રુવારી 16, 2010 પર 3:57 એ એમ (am)

    દાદા,ચૌક્કસથી બ્લોગર એક વિશિષ્ટ વ્યકિત છે.-અને હાલમાં ઘણાં ખરા લેખકો-પત્રકારો અને હિરો, નેતા-અભિનેતા ની પબિલસીટી અને પ્રજા સાથે નો સીધું જો કોઈ હાથવગું કોમ્યુનિકેશન્સ હોય તો આ બ્લોગ જ છે.

    પ્રવિણ કે.શ્રીમાળી
    ના વંદન
    Editor : “યુવારોજગાર”I Editor: YUVAROJAGAR

  25. Pingback: માતૃભાષાની ચિંતા વિશેની ચિંતા « ગદ્યસુર

  26. Harnish Jani જૂન 21, 2010 પર 11:15 એ એમ (am)

    દાદા-ઉપર ૨૯ કોમેંટ કરનારા મોટા ભાગના લોકોના બ્લોગ છે-તેમણે વાટકી વ્યવહાર સાચવ્યો- હવે તમારો વારો છે કે તમે એમના બ્લોગ પર કોમેંટ કરી આવો–સરસ-
    રિટાયર્ડ બ્લોગરને બ્લોગ થી મોટો કોઇ આશિર્વાદ નથી.અને નવા પરણેલા-નોકરીયાત જુવાન બ્લોગર ને માટે બ્લોગથી વધુ મોટો શત્રુ નથી-

  27. pragnaju જૂન 21, 2010 પર 6:23 પી એમ(pm)

    બીજા ભાગની રાહ જુઓ !

    એક તો શરાબ ઓછો છે
    અને ગળતો જામ છે

  28. jennie જૂન 23, 2010 પર 10:01 પી એમ(pm)

    🙂 🙂 🙂
    Captainji, “if you think you are old then people will think you old. ”

    Writer can’t be distinguished through his age and sex. A writer can only be known through work.

    Those who are like sheep make blog and then start copy paste to sustain blog.

  29. P.K.Davda જાન્યુઆરી 17, 2013 પર 5:39 પી એમ(pm)

    આવા બ્લોગરોની જમાતમા આપણે છીએ કે નથી?

  30. Pingback: બ્લોગમા બ્લોગમા બ્લોગમા રે – પી. કે. દાવડા | હાસ્ય દરબાર

  31. jagdish48 જાન્યુઆરી 18, 2013 પર 6:02 એ એમ (am)

    પગ નીચે રેલો આવ્યોને બધા વરસી પડ્યા………મજા આવી.
    કોમેન્ટોમાં થતી કાપાકાપીનું પણ કંઈક લખી પાડોને.
    વિચારો વહેંચવા આવ્યા છીએ, સાચાખોટા શબ્દોની મારામારી કર્યા વગર મુળ તત્વની વાત થાય તો વધુ સારું તેમ નથી લાગતું ?

  32. Valibhai Musa જાન્યુઆરી 18, 2013 પર 10:07 એ એમ (am)

    મારા “2012 in review” માટે પ્રજ્ઞાબેને નીચેનો પ્રતિભાવ આપ્યો હતો.

    1 pragnaju 14 comments

    એક તરફ આનંદ થાય તો બીજી તરફ નવાઇ !
    આટલી સરસ પોસ્ટો ને માણનારા કેમ આટલા ઓછા ?
    કે …

    ‘દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.’

    તેમને મેં Reply નહોતો આપ્યો, પણ અહીં લખું છું અને તમારી ‘વાટકી વ્યવહાર’ની વાત સાથે સંમત થાઉં છું. મેં કેટલાક સમયથી મારા પક્ષે ‘વાટકી વ્યવહાર’ ઓછો કર્યો અને સામા પક્ષેથી વાટકીઓ આવવી ઓછી થઈ ગઈ;. પણ, આપણે તો પેલા ફકીરની જેમ બેફિકર છીએ કે ‘દે ઉસકા ભી ભલા!’ અને ‘ન દે ઉસકા ભી ભલા!’ બ્લોગરે મમ્મટે જણાવેલાં ‘કાવ્યનાં પ્રયોજનો’ પૈકી ‘અર્થ’ અને ‘યશ’ને છોડીને માત્ર ‘આનંદ’ તરફ ધ્યાન આપવું જોઈએ. આનંદ બન્ને પક્ષે થાય તો ‘અતિ સુંદર’ અને માત્ર સર્જક પક્ષે થાય તો ‘સુંદર’ તો ખરું જ, કેમ ખરું ને!

  33. P.K.Davda જાન્યુઆરી 18, 2013 પર 4:22 પી એમ(pm)

    જીવનના કયા ક્ષેત્રમા વાટકી વ્યહવાર નથી. ક્યાંયે મફત ભોજન નથી. તું મારી પીઠ ખંજવાળ તો હું તારી પીઠ ખંજવાળી આપીસ. તકલીફ વાટકી વ્યહવારમા નથી, તકલીફ અસામાન્ય વખાણ કરી પોતે મૂરખ દેખાવામા છે.
    વરને વરની મા, વરની બહેન અને વરના મિત્રો વખાણે એમા શું ખોટું છે? પણ વખાણ હકીકતના થવા જોઈએ. નબળામાં પણ કંઈક સારૂં શોધી કાઢ્યા બાદ વખાણ થવા જોઈએ.
    લ્યો મેં વાટકીમાં સાકરને બદલે મીઠું ભરી દીધું ઃ)

  34. prdpraval ઓક્ટોબર 12, 2013 પર 6:31 એ એમ (am)

    dada ..આપની વાટકી વ્યવહાર ની વાત ગમી…પ્રિન્ટ મીડિયા અને બ્લોગ માં જો માનો તો ઘણો તફાવત છે…આપે ફૂટી નીકળેલા બ્લોગરો બાબતે જે ચિંતા કરી ને મીઠી ભાષા માં લાલ આંખ કરી છે તે બદલ અભીનંદન…ઘણા બધા ને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફાયદો થશે….પોતાના વિચાર વાયુ ના મંથન માટેનું એક સારું માધ્યમ પણ ચીલાચાલુ જગત ના રવાડે ચઢી ગયું આજના ફૂટી નીકળેલા રાજકારણીઓ ની જેમ…મેં પણ આપની જેમ જન ફરિયાદ માં” સાહિત્યકારો ના લેખાજોખા “વિષે લખ્યો હતો…કેમકે આજકાલ આધુનિક જીવન માં જીવવા પુરતી સુખ સુવિધાઓ પ્રાપ્ત થયી ગયા પછી ઘણા લોકો ને સાહિત્યકાર,ગઝલકાર અને સારા લેખક બની ને પોતાની બુકો સ્વ ખર્ચે છપાવી ને જુના પુરાના સાહિત્યકારો ને બોલાવી ને વિમોચન કરાવી ને વહેચવાનો ક્રેઝ વધ્યો છે ..લ્હાસ કરી ને વિદેશો માં વસતા વ્યવસાયિકો માં આ આધુનિક પાનું વધારે પડતું જોવા મળે છે…હમણાં તો દર મહીને એક વિમોચન સમારોહ થાય છે…અત્યારે લેખકો કરતા સંપાદકો ની ડીમાંડ વધી છે..ને પ્રકાશકો બિલ્ડરો ની જેમ ફાટી નીકળ્યા છે….ગમે તેના બ્લોગ વાંચવાના ને એક મન માં ટાઈટલ બનાવી ને ધાર્મિક રુદ્રક્ષ,રામ,સીતા જેવા શબ્દો ઉમેરી ને લોકોના શબ્દો ની ચોરી કરી ને લખવાનું શરુ કરવાનું…પછી એક સંપાદક ને બુક છાપવા સુધીનું કામ આપી દેવાનું ..ને પછી એક હોલ બુક કરાવી બધા જ સાહિત્યકાર..એકાદ સંત અને એકાદ રાજકારણી ને બોલાવી વિમોચન કરાવી પ્રેસનોટ પુરસ્જાર સાથે મોલ;ઈ ને છપાવી સસ્તી પ્રસિદ્ધિ લાયી ને પછી રજાઓ નોકરીની પૂરી થતા પોતાના દેશ ઉડી જવાનું ને પછી આખું વરસ ફેસબુક,વોટ્સ્પ,બ્લોગ પર કોમેન્તોવાચી ને ભેગી કરીને શેર કરી ને લોક ચર્ચા માં રહેવાનું……બોલો દાદા આ રોગ ની દવા છે તમારી પાસે ? તો મોકલજો મારે મારા ખર્ચે વહેચવી છે……જન ફરિયાદ માત્ર નવા જુના સાહિત્યકારો ને પોતાની કૃતિઓ પ્રસિદ્ધ કરી ને સાચા વાચકો સુધી પહોચાડવાનું કાર્ય ૧૭ વરસ થી કરે છે…તેમજ જન ફરિયાદ સેવા કેન્દ્ર દ્વારા સેવાકીય પ્રવૃતિઓ પણ કરે છે….દેશ વિદેશ માં ખૂણે ખાચરે બેઠેલા આપના જેવા દાદાઓ ને શોધી કાઢી ને તેમના મારહેલી શક્તિઓ ,સંસ્કૃતિ ની જાળવણી ની ભાવનાઓ ,વતન નો પ્રેમ,સેવાકીય પ્રવૃતિઓ નો વિકાસ,સામાજિક પ્રવૃતિઓ…..વગેરે વગેરે જેવું કામ કરે છે……આપના સૂચનો પણ હોય તો જણાવજો…. http://www.janfariyad.com

  35. Pingback: જંગલબુક | સૂરસાધના

  36. Pingback: Writing, art, craft – Blogging | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: