અમે અમદાવાદમાં જે વિસ્તારમાં રહેતા હતા, તે સારંગપુર વિસ્તારમાં જ જેમનું આખું જીવન પસાર થયું; તે ‘પુનિત મહારાજ‘ માટે મને અનહદ માન છે.
આજે એમનો પરિચય પ્રગટ કરવાની સાથે, એમના જીવનની ઘટનાઓને ટૂંકમાં નેટ વાચકોને પીરસવાનો સંકલ્પ લેવાઈ ગયો. આભાર શ્રી. પ્રવીણ અને મીનાબેન ઠકકરનો કે, તેમણે મારી ૨૦૧૦/૨૦૧૧ ની અમદાવાદ મૂલાકાત વખતે, મને તેમના જીવન ચરિત્રનું પુસ્તક અત્યંત પ્રેમપૂર્વક ભેટ આપ્યું.
આ પુસ્તકમાંથી ક્રમશઃ ‘ પુનિત મહારાજ’ ના જીવનની ઘટનાઓ ટૂંકમાં અહીં મૂકવામાં આવશે.
———————————
ભાંખોડિયાં ભરતા હતા, ત્યારથી માતા લલિતાદેવી સાથે મંદિરે જતા હતા; અને ભજનો સાંભળી માથું ડોલાવતા હતા. સમજણા થયા પછી, કદીક માતા મંદિરે ન લઈ જાય, તો સાથે લઈ જવા આગ્રહ કરતા. સાવ સામાન્ય સ્થિતી હોવા છતાં ઘેર કોઈ અભ્યાગત આવે તો જમાડ્યા વગર લલિતાદેવી ન જવા દેતા. આ સંસ્કાર એમના પાયામાં ધરબાયેલા હતા.
ઘરની સ્થિતી સુધારવા તેમના પિતા એક મેમણ મિત્રની સલાહથી કોલમ્બો ગયા; પણ ત્યાં ન ફાવ્યું , અને ગંભીર માંદગી લઈને પાછા આવ્યા. એ માંદગીએ એમનો ભોગ લીધો, ત્યારે ૧૯૧૪ ના મે મહિનામાં છ જ વર્ષની ઉમ્મરે બાલકૃષ્ણે પિતાની છત્રછાયા ગુમાવી.
દુઃખ ભૂલવા લલિતાદેવી ભજન/ કથા સાંભળવા જતાં અને સાથે અચૂક પુત્રને લઈ જતા.એક કથામાં આવડા નાના બાળકને રસ લેતો જોઈ, કથાકારે એમને વ્યાસપીઠ પર સાથે બેસાડ્યા અને એમની પાસે રામધૂન ગવડાવી. ત્યારથી રામધૂન ગાવાની લગની બાલકૃષ્ણને લાગી ગઈ. ગોઠિયાઓને રમતમાં પણ તે રામધૂન ગવડાવતા.
ધંધુકામાં એમનાં પાડોશી, દિવાળીબા ચુસ્ત મરજાદી વૈષ્ણવ ધર્મ પાળતાં. એમને બજારમાં, દૂરથી સીધું લાવી આપવાની જવાબદારી બાલકૃષ્ણે ઊપાડી લીધી હતી.
અત્યંત ગરીબ અવસ્થામાં ઘર ચલાવવા લલિતાદેવી જાતજાતનાં વૈતરાં કરતાં. બાલકૃષ્ણ માતાની આ વ્યથા જોઈ આકૂળ વ્યાકૂળ બની જતો; અને પોતાનાથી થઈ શકે તેટલી માતાને મદદ કરતો. વધારે જોર વાળાં કામ તો નાનો બાળક શી રીતે કરી શકે; પણ રૂનાં કાલાં ફોલવામાં એ માતાને મદદ કરતો.
આવી ગરીબીમાંય ખાનદાન માતાએ તેમની જમીન પર ખેતી કરતા વિધુર ખેડૂતના દિકરા થોભણને બાલકૃષ્ણની સાથે ઉછેરવાની જવાબદારી લીધી હતી.
આમ બાળપણથી જ સેવા અને ભક્તિના સંસ્કાર તેમના લોહીમાં વણાઈ ગયા હતા.

લેખક - નરહરિ ન. દવે; સંપાદક - પુનિતપદરેણુ
—————–
સાભાર
- પ્રભુનો પ્રતિનિધિ ( પુનિત મહારાજ પ્રતિષ્ઠાન)
- આ પુસ્તક પ્રેમપૂર્વક ભેટ આપનાર ભજનિક મીનાબેન અને પ્રવીણભાઈ ઠક્કર.
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ