આખીયે આ લેખ શ્રેણીનું ઉદ્ભવસ્થાન છે – આ જણનો પુરાતત્વકીય અને ઐતિહાસિક સાહિત્યમાં વાંચનનો રસ. અહીંની નવરાશ અને સમયની મોકળાશનો ભરપટ્ટે ઉપયોગ આ દિશામાં કર્યો છે; અને હાલની આંતરયાત્રા તરફ ઢળતી મનોવૃત્તિ છતાં એ રસને હજી નાબૂદ કરી શક્યો નથી. કદાચ એ યાત્રામાં આગળ વધતાં એ ઝરણાં સૂકાઈ જાય અથવા કોઈ ધસમસતી નદીમાં ભળી જાય; એમ બને. પણ હાલ તો એનાથી મનોમય કોશને મળતા આનંદને સંતોષવાની વૃત્તિ ટકેલી છે – એ હકીકત છે!
—————
આ વૃત્તિના પ્રતાપે, ઇજિપ્તની ૫૦૦૦ વર્ષ જૂની સંસ્કૃતિ માટે હમ્મેશ લગાવ રહ્યો છે. ઈતિહાસ, સમાજ જીવન, આધિભૌતિક માન્યતાઓ – ખાસ તો મરણોત્તર જીવન અંગેની માન્યતાઓ – આ બધા એટલો તો વાંચનરસ જગાડતા રહ્યાં છે કે, એ પ્રેરણાના આધારે, અને નેટમિત્ર મુર્તઝા પટેલ કેરોમાં રહેતો હોવાના એક આશા તાંતણે, કેરો જવાની હિમ્મત કરી; અને આ પ્રવાસ યોજાઈ ગયો. આખાયે પ્રવાસ દરમિયાન ઇજિપ્તના સામ્પ્રત લોકજીવનમાં સૌથી વધારે રસ પડ્યો. ઈતિહાસમાં બહુ ઓછો. પણ ઇતિહાસ અને પુરાતત્વની બાબતોમાં જો એક ખાસ ચીજ આ જણના માનસને સૌથી વધારે ઉત્તેજિત કરી ગઈ હોય તો તે છે –
રોઝેટા શીલાલેખ (અંગ્રેજીમાં એને રોઝેટા સ્ટોન કહે છે.)

ઇજિપ્તના મ્યુઝિયમમાં પ્રવેશતાં જ એનો ફોટો મૂકેલો છે. પણ એ અસલી શીલાલેખ તો બ્રિટીશ મ્યુઝિયમમાં સંગ્રહાયેલો છે. ૧૭૯૯ની સાલમાં અલ–રશીદ ( ફ્રેન્ચ નામ ‘રોઝેટા’) નામની જગ્યાએ, નેપોલિયનની સેનાએ એ ગોતી કાઢેલો અને એલેક્ઝાન્ડ્રિયામાં સાચવી રાખેલો. પણ નેપોલિયનની હાર થતાં, યુદ્ધ પછીની સંધિના એક ભાગ રૂપે, ઈ.સ. ૧૮૦૧થી એ બ્રિટીશ મ્યુઝિયમની માલિકીમાં આવ્યો હતો. અને ત્યારથી તે ત્યાં સચવાયેલો પડ્યો છે.
ભાષાશાસ્ત્રીઓ માટે તે રસનો વિષય બની ગયો હતો; અને એ સાવ વ્યાજબી હતું.
સૈકાઓથી બદલાતી રહેલી શાસન વ્યવસ્થા અને તેના સ્થાપિત હિતોના પ્રતાપે ઇજિપ્તની મૂળ બે જાતની ભાષાઓ (હિરિયોગ્લિફ– શાસ્ત્રીય જે મંદિરો, પિરામીડો વિ. સ્થાપત્યોમાં વપરાતી હતી અને બીજી – ડેમોનિક, જે સામાન્ય વ્યવહારમાં) તે સાવ ભૂલાઈ ગઈ હતી. પ્રાચીન ઇજિપ્તના સમાજમાં લેખન જ્ઞાન એક બહુ જ નાના વર્ગ પૂરતું મર્યાદિત હતું; અને તેનો ઉપયોગ માત્ર સમાજના ઉપલા થર માટે જ મર્યાદિત હતો. એ થર સત્તાની સાઠમારીમાં સ્વાભાવિક રીતે નષ્ટ થતો ગયો. ઈ.સ. પૂર્વે ૩૩૨ માં સિકંદરના વિજય બાદ, ઇજિપ્તમાં ગ્રીક શાસનનો ઉદય થયો હતો, પણ એ ઉપલો સ્તર સત્તા પર ન હોવા છતાં અસ્તિત્વમાં હતો; અને બન્ને ભાષાનો ઉપયોગ જારી રહ્યો હતો. આ જ કારણે ૧૩ વર્ષની ઉમ્મરના ટોલેમી-પાંચમાએ એ વર્ગને વિશ્વાસમાં જાળવી રાખવા, પોતે કરેલાં મહાન કાર્યોનુ વર્ણન – (ખાસ કરીને ઇજિપ્તનાં પ્રાચીન મંદિરોનું રક્ષણ) અને એને લગતાં ફરમાનો એમાં કરેલાં છે.
મહત્વની વાત એ હતી કે, એ શીલાલેખ પર આખું ફરમાન ત્રણ ભાષાઓમાં કરવામાં આવેલું હતું – ગ્રીક, અને ઇજિપ્તની બે ભાષાઓ – હિરિયોગ્લિફ અને ડેમોનિકમાં.
પછી તો ગ્રીક સત્તાનો અસ્ત થયો અને ક્લિયોપેટ્રા અને એન્થનીની હાર થતાં, ઇજિપ્ત રોમન શાસન હેઠળ આવ્યું. રોમનોને ઇજિપ્તની સંસ્કૃતિમાં કોઈ રસ ન હતો; અને સમાજના ઉપલા થરને રાજી રાખવાનો સહેજ પણ ઇરાદો ન હતો. આથી ધીરે ધીરે આ ભાષાનો વપરાશ ઘટતો ગયો. ઈ.સ. ૪૦૦ બાદ આ બન્ને ભાષાનાં ઉપયોગ અને જાણકારી સાવ લુપ્ત થઈ ગયાં. એ મૃત ભાષા બની ગઈ. એટલે સુધી કે, બોલચાલમાં પણ એનો વપરાશ બંધ થઈ ગયો. એ વખતની લોકકથાઓ, વાયકાઓ, ધાર્મિક માન્યતાઓ વિ. પણ લોકમાનસમાંથી ભુલાઈ ગયાં.
એ રોમન શાસન પણ જતું રહ્યું; અને અરબો અને તુર્કોના શાસનકાળમાં એ ભાષાઓ જાણવા માટે કોઈ ઉત્સાહ ન હતો.
થોમસ યન્ગ નામના એક ભૌતિક્શાસ્ત્રીના ધ્યાનમાં આ શીલાલેખના ગ્રીક ભાગમાં ટોલેમીનું નામ લખેલું છે; એ વાત સૌથી પહેલી વાર આવી. આના પરથી પ્રેરણા લઈ ફ્રેન્ચ ભાષા શાસ્ત્રી જિન ( ફ્રેન્ચ ઉચ્ચાર –જ્યાં) ફ્રેન્કોઈસ કેમ્પોલિયને ક્ર્મ બદ્ધ રીતે, અથાક મહેનતથી ગ્રીક અને ઈજિપ્તની એ બે લીપીઓ વચ્ચેનો સંબંધ ઉકેલ્યો.
ત્યાર બાદ અનેક વિદ્વાનો માટે એક નવા જ શાસ્ત્રના દરવાજા ખૂલી ગયા; અને ધીમે ધીમે ‘ઇજિપ્તોલોજી’ અસ્તિત્વમાં આવી. આના પ્રતાપે હજારો સ્થાપત્યોમાં અકબંધ કોતરાયેલી, પ્રાચીન ઇજિપ્તના ઈતિહાસની તવારીખ જાણવા મળી. આટલી જૂની સંસ્કૃતિની અકબંધ માહિતી હવે પ્રાપ્ત છે- જે કદાચ જગતની બીજી કોઈ સંસ્કૃતિ માટે ઉપલબ્ધ નથી.
[ વિશેષ માહિતી માટે અહીં ‘ક્લિક’ કરો .]
ભાષા માનવ સમાજ માટે કેટલું અગત્યનું સાધન છે; એનું રોઝેટા શીલાલેખ નક્કર ઉદાહરણ છે.
અને હવે તો ‘રોઝેટા સ્ટોન’ શબ્દ ન ઉકેલી શકાય એવી સમસ્યાઓના ઉકેલ માટેનો એક પર્યાય બની ગયો છે. વિશ્વની અનેક ભાષાઓ શીખવા માટેના એક સોફ્ટવેરનું નામ પણ ‘રોઝેટા સ્ટોન’ છે!
—————-
જો આ લેખમાં તમને રસ પડ્યો હોય તો આવા બીજા પુરાત્વકીય લેખો આ રહ્યા…
- એક મંદીરની શોધમાં – ભાગ -1
- એક મંદીરની શોધમાં – ભાગ-2
- એક મંદીરની શોધમાં ભાગ -3
——————————–
- ટાઈગ્રીસને તીરે, ભાગ – 1
- ટાઈગ્રીસને તીરે, ભાગ -2
- ટાઈગ્રીસને તીરે, ભાગ -3
Like this:
Like Loading...
Related
ખુબ જ રસપ્રદ માહિતી આપવા બદલ આભાર.
વાહ
આપનો ઇજીપ્ત્નો પ્રવાસ અમારા માટે પણ ખૂબજ રસપ્રદ રહ્યો.આપના વર્ણનો અને સાથે સચિત્ર જાણે જાતે પ્રવાસ કર્યો હોય એવી સ્મ્રુતિ કાયમ રહેશે.
Pingback: પિરામીડોના દેશમાં, ભાગ -૭ : છેલ્લા બે દિવસ « ગદ્યસુર
wonderful write up about wonderful piece of the rock- No Rosetta stone, no Egyptology, period.