એક ગુજરાતીની ઓળખ એટલે – ‘કેમ છો? ‘ – આપણી ભાષામાં કદાચ સહુથી વધારે વપરાતું વાક્ય! મળતાંની સાથે જ આવી પૂછપરછ ન થાય તો એ બે જણ ગુજરાતી કહેવાય?! કવિઓએ પણ આની નોંધ લીધી છે.
અહીં પ્રયત્ન છે – કવિતા કે ગઝલમાં ‘કેમ છો?’ અથવા ‘કેમ છે?’ વાક્ય ક્યાં ક્યાં વપરાયું છે? આમ તો આ શોધ સાવ સરળ બની જશે એમ લાગતું હતું. પણ ધાર્યા મુજબ એ શોધ આ વાક્ય જેવી સરળ ન રહી. માત્ર આટલી પંક્તિઓ જ શોધી શકાઈ –
૧) કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જિંદગીમાં અસર એક તનહાઈની
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું ‘કેમ છો?’
એને આખી કહાણી સુણાવી દીધી
– બેફામ
૨) હો ભીડમાં જ સારૂં, બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય;
સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં,
પણ ‘કેમ છો?’ કહીને ન પાછા વળી જવાય.
– મુકુલ ચોકસી
૩) મારાં પહેલાં કોણ આવીને ગયું,
એશ-ટ્રે ને કપરકાબી કેમ છે?
-ખલીલ ધનતેજવી
૪) હેમન્તનો શેડકઢો તડકો સવારનો
પીતાં હતાં પુષ્પ.
પીતાં હતાં ઘાસતૃણો
હીરાકણીશાં હિમચક્ષુએ મૃદુ
પુષ્પો ફોરે સૌરભપ્રશ્ન મૂક :
પૃથ્વીજાયાં તોય પ્રસન્ન શાં અમે !
કેમ છો તમે ?
– ઉમાશંકર જોશી
૫) દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ
આમ જ પૂછવાનું કામ મારું છે?
કેમ છો ? સારું છે ?
– ચિનુ મોદી
૬) કેટલા વરસે મળી ગ્યા ‘કેમ છો?’
સાવ બસ ભૂલી ગયા’તા ‘કેમ છો?’
અર્થ એના કેટલા એ કાઢશે?
કોકને પૂછ્યું’તું અમથા, ‘કેમ છો?’
– કૈલાસ પંડિત
૭) મુખ પર ઢંકાયેલી
મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને
તમે માત્ર ‘કેમ છો?’ એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત.
– જયંત પાઠક
૮) આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?
– જગદીશ જોષી
૯) મળે જો કોઈ રસ્તામાં મુંઝાયેલું ને રત ખુદમાં
કશું નહિ તોય એને ‘કેમ છો?’ પૂછાય ને, એમ જ
ઘણું છે તોય, ‘અહિંયા કેમ ?’ પૂછે કોઈ’ને સામે
હસીને આપણાથી એટલું કહેવાય ને – ‘એમ જ !’
– ડૉ. નીરજ મહેતા
૧૦) આ નકાબો ને ફગાવી સાદ દેજો, ‘કેમ છે?’,
પ્રેમને સંતાડતા અમને કહેજો, ‘વ્હેમ છે’.
– મનીષ દેસાઈ
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ