આપણા મસ્તિષ્કમાં ગ્રામ્ય જીવનનું ચિત્ર સ્વાભાવિક અને લાક્ષણિક રીતે ગુજરાતીતાથી ભરપૂર હોય છે. બહુ બહુ તો જમુનાના કાંઠે બાળ કૃષ્ણનું કે, સરયૂ તટે કિલ્લોલતા બાળ રામનું કલ્પન હોય.
પણ, એવાં ગામ પણ હોય કે, જેમાં એક બાજુ મગરોથી ઊભરાતી નદી હોય, બીજી બાજુ ભયાનક જાનવરોથી ઊભરાતું જંગલ હોય, ત્રીજી બાજુ નાના પર્વતો પર જંગલી વાનરો કૂદાકૂદ કરતા હોય, કે પંદર-વીસ ફૂટ લાંબા અને પગના નળા જેટલા જાડા ભયાનક સાપ ફૂંફાડાં મારી રહ્યા હોય! એવાં ગામમાં એ બધાંની વચ્ચે છીછરાં પાણી અને પાણીમાં જીવતા સાપથી ભરેલાં ખેતરોમાં જાનના જોખમે ડાંગરની ખેતી, માછીમારી, પશુપાલન અને શિકાર કરતાં, વીસ પચીસ કૂબાઓમાં વસતા ગ્રામવાસીઓની સાવ નાની પણ આત્મનિર્ભર જમાત પણ હોય!
એવા ગ્રામજીવનની આપણે કલ્પના કરી શકીએ ખરા?
ન જ કરી શકીએ. પણ વાંચી તો શકીએ જ! પંદર સત્યઘટનાઓથી ભરપૂર એવું એક પુસ્તક વાંચવામાં આવ્યું અને એ પણ એક વસાહતી અમેરિકનની કલમે – ત્યારે ગુજરાતી વાચકને ધરવા મન થઈ ગયું.
આ પુસ્તકના લેખકે (Huynh Quang Nhuong) જીવનની પ્રારંભનાં સોળેક વર્ષ આવા ગ્રામ પ્રદેશમાં ગુજાર્યાં હતાં. વિયેટનામના પાટનગર હો ચિ મિન્હ સીટીથી માંડ ૭૦ કિ. મિ. દૂર અને મહાકાય મેકોન્ગ નદીના એક ફાંટા, માય થો નદીના કાંઠે, એ જ નામનું શહેર આવેલું છે. એનાથી થોડેક જ દૂર આવેલા, ઉપર જણાવેલ વર્ણન વાળા ગામમાં ૧૯૪૧ માં ક્વાન્ગનો જન્મ થયો હતો.
માય થો શહેરમાં માધ્યમિક કક્ષા સુધીના શિક્ષણ બાદ, તે સાયગોન યુનિ.માં ( હાલનું હો ચિ મિન્હ શહેર) રસાયણશાસ્ત્રનો સ્નાતક થયો હતો. વિયેટનામની સરકારમાં જોડાયા બાદ સામ્યવાદ તરફી ઉત્તર ભાગ અને મુડીવાદી દક્ષિણ ભાગ વચ્ચે ૧૯૫૫માં યુદ્ધ ફાટી નીકળ્યા બાદ, તે અમેરિકન લશ્કરમાં ભરતી થયો હતો અને ફર્સ્ટ લેફ્ટેનન્ટના હોદ્દા સુધી પહોંચ્યો હતો. લડાઈમાં બેસૂમાર ઘવાતાં તેને સારવાર માટે અમેરિકા લઈ જવામાં આવ્યો હતો. અમેરિકાએ યુધ્ધમાંથી પીછેહઠ કર્યા બાદ, ક્વાન્ગ અમેરિકામાં જ રહી પડ્યો હતો અને આગળ અભ્યાસ શરૂ કર્યો હતો. ૧૯૭૩માં તેણે મિઝોરી યુનિ.માંથી ફ્રેન્ચ ભાષામાં અનુસ્નાતકની પદવી પણ મેળવી હતી. આમ તો તે વિયટનામથી આવેલા અન્ય વસાહતીઓની જેમ અનામી જ રહ્યો હોત પણ; તેણે ૧૯૮૨માં પોતાના બાળપણના યાદગાર પ્રસંગોનું વર્ણન કરતું, ઉપર જણાવેલ પુસ્તક પ્રસિદ્ધ કર્યું. એ સાથે જ તે અમેરિકન સાહિત્ય જગતમાં મશહૂર બની ગયો.
એના યુવાવસ્થાના જીવનની વાત બાજુએ મૂકી, સાવ છેવાડે આવેલા ગામમાં તેણે ગાળેલ જીવનની ચપટીક વાત અહીં જાણીએ.
એમાં નદીની ભેંસો અને જોરાવર પાડાઓની વાતો છે – ખાસ તો ક્વાન્ગના પશુધનના મુખિયા એવા ‘ટાન્ક’ નામના પાડાની વાત. પર્વતો પર રહેતા જોરાવર જંગલી પાડા અને પાલતુ ભેંસનું એ ફરજંદ જાણે કે, એના કુટુમ્બનો એક સભ્ય હોય, એવી પ્રતીતિ આપણને વારંવાર થતી રહે છે. જંગલી પાડાઓ અને ખૂંખાર વાઘ સામે ભેંસોના ધણ અને ક્વાન્ગના કુટુંબને રક્ષણ માત્ર જ નહીં, પણ મોટી માછલીઓ પકડવામાં પણ એ પાડો મદદ કરતો! સહેજ ઈશારા માત્રથી જ એણે કરવાનું કામ એ સમજી જતો. આપણને ઘરઆંગણાના અક્કલવાન બળદો તરત યાદ આવી જાય.
જીવલેણ અને ઝેરી સાપ પણ પાળેલ પ્રાણી હોઈ શકે – એ વાત પણ આપણને અહીં જાણવા મળે છે. પંદર ફૂટ લાંબા અને પગના નાળા જેટલા જાડા ‘ઘોડા સાપ’ના ( horse snake) શિકારની એક વાત પણ આપણને જકડી રાખે છે. એમાં એક પાડોશી ડોશીએ પાળેલા વાંદરાની વાત પણ છે – જેના વાંદરવેડાને કારણે તે બાઈનું ઝૂંપડું બળી ગયું હતું! એમ જ ક્વાન્ગે પાળેલ બે પક્ષીઓની વાત પણ મજાની છે.
પણ એમાં માત્ર જંગલી કે પાળેલાં પ્રાણીઓની જ વાતો છે -એમ નથી. ખેડૂત જીવનના અવનવા પાસાંની અવનવી વાતો પણ આ પુસ્તક કહી જાય છે. એક નવવધુ લગ્નવિધિ બાદ રિવાજ પ્રમાણે નદીમાં સ્નાન કરવા જાય છે, અને જીવલેણ મગરના સકંજામાં આવી જાય છે. હેતરભરી રીતે તે એનાથી છૂટી પણ જાય છે – એ વાત આપણને શરૂથી અંત સુધી જકડી રાખે છે. આવી જ એક લગ્ન વિધિ બાદ બીજો એક નવકોડીલો વર પહેલી જ રાતે સાવ નાનકડા કણા જેવા પણ અત્યંત ઝેરી સાપના મોંમાંથી નીકળતો વાયુ શ્વાસમાં જતાં તરફડીને મરણ શરણ થાય છે – એની કરૂણ કથની પણ છે.
આવી જ એક વાત ક્વાન્ગની એંશી વરસની દાદીમાની છે. વ્યવહારિક હોંશિયારી, માથાફેર શખ્શને કરાટેથી ચિત કરવાની બહાદુરી, લુંટારાઓને કળથી ભગાડવાની સૂઝ – એ બધાંની સાથે સાથે, કરૂણાંત ગ્રામ નાટિકાની કથાવસ્તુથી ભાવવિભોર થઈ, ચોધાર આંસુએ રડી પડવાની તેની સંવેદનશીલતાની દાસ્તાન પણ છે. માનવજીવનના વિવિધ પાસાંઓને ઉજાગર કરતી એની કથની આપણને મહેનતકશ નારીજીવનને સલામી ભરતા કરી દે છે.
આ બધી વાતોની મજા તો એ પુસ્તક વાંચતાં જ આવે. વિગતે એ પુસ્તકમાંથી આ બધી વાતો વાંચીએ, ત્યારે ક્વાન્ગની વર્ણનશક્તિ અને એના જીવનની દુષ્કરતાઓ પર આપણે અભિભૂત થઈ જઈએ.
આશા છે કે, વાચકને ભારતીય જીવન કરતાં સાવ નિરાળા આવા ગ્રામ્ય જીવનની આ નાની ઝલક ગમશે. ગમે તે પ્રદેશ હોય; ભલે ત્યાંની અલગ જીવન રસમ હોય, પણ માનવજીવનની મીઠાશ, કડવાશ, કારૂણ્ય, અને માધુર્યનું પાયાનું પોત સમાન હોય છે. આવી જીવનકથાઓ વાંચીએ ત્યારે, માણસના પાયાના હોવાપણામાં રહેલ જીવનના પડકારોને ઝીલી, એનો સામનો કરી, પોતાના આગવા વિકલ્પો શોધી શકવાની ક્ષમતા પર આપણને વિશ્વાસ જરૂર બેસી જાય છે. નહીં વારૂ ? .
વાહ
ાદભુત અહેવાલ