ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
આશરે ૧૯૯૩ની સાલ માનવ ઈતિહાસમાં એક યાદગાર સીમા ચિહ્ન છે.
આશરે એ સાલ કે એની આજુબાજુમાં ઇન્ટરનેટની સવલત સામાન્ય જનતા માટે મળતી થઈ. શરૂઆતમાં તો માત્ર સર્ફિન્ગ કરવા પૂરતી જ એની ઉપયોગિતા હતી. ધીમે ધીમે માહિતીઓના ભંડાર ભરાવા લાગ્યા. પછી ઈમેલની સવલત આવી. ક્યાંક ચેટ રૂમ ખૂલવા લાગ્યા. ધીમે ધીમે માણસ માણસ વચ્ચે સમ્પર્ક માટે અવનવી સવલતો ઊભી થતી ગઈ. એનો વપરાશ વધવા લાગ્યો.
એ પહેલાં સમ્પર્ક અંગત હતો – રૂબરૂ મુલાકાત અને વાતચીત – બહુ બહુ તો ટેલિફોન પર વાતચીત. કાગળ ઉપર લેખિત સંદેશ વ્યવહાર થતો, પણ એના માટે ટપાલ જ એક માત્ર રસ્તો હતો. એક જ શહેરમાં હોય તો પણ બીજા દિવસે જ એ પહોંચે.
ઇન્ટરનેટના આગમન પછી આ જમાનાજૂની વ્યવસ્થામાં ધીમે ધીમે અને પછી બહુ ઝડપથી પરિવર્તન આવવા લાગ્યું. ઈમેલ અને ચેટ રૂમમાં જન્મ લીધેલ એક બાળ વ્યવસ્થા બહુ ઝડપથી પુખ્ત થવા લાગી. કદાચ બ્લોગ અને ઓર્કટ એ પહેલી ‘વાતચીત પીઠિકા’ ( Platform ) હતી. પછી તો એનો બહુ વ્યાપ થવા માંડ્યો. ફેસ બુક, વોટ્સ એપ, ટ્વીટર અને બીજી ઘણી બધી વેબ સાઈટો પર, આંતરદેશીય સંદેશ આપલે કરવાની સવલતો ઉપલબ્ધ થવા લાગી. એમાં માત્ર સંદેશ જ નહીં, લેખો, ચિત્રો, ફોટા, વિડિયો વિ. માહિતીનો ઝડપી સંચાર થવા લાગ્યો.
દુનિયા એક ગામડા જેવી બની ગઈ.
અહીં એનો ઈતિહાસ આલેખવા આશય નથી. પણ આના કારણે માનવ જીવનમાં સર્જાયેલ એક કરૂણ ક્રાંતિ અથવા વધારે સાચી રીતે કહીએ એ તો ગંભીર સમસ્યાની વાત કરવી છે.
બહુ વકરેલી આ સંપદાએ માનવ સમાજ માટે એક બહુ મોટો પડકાર ઊભો કર્યો છે. એકમેક સાથે સંપર્ક વધારવાની લ્હાયમાં માણસ જાતે જ ખોવાઈ ગયો છે. એક કુટુમ્બની જ વાત કરીએ તો આખા દિવસની પ્રવૃત્તિ બાદ બધા ઘરમાં ભેગા થાય ત્યારે એક્મેક સાથે સંપર્કનું સ્થાન સેલ ફોને લઈ લીધું છે. માહિતી અને મનોરંજનના ઢગલે ઢગલા વચ્ચે અંગત સમ્પર્ક દટાઈ ગયો છે. સૌ પોતપોતાના ટાપુઓ પર વસતા થઈ ગયા છે. દરેક ટાપુ પરથી ચપટી વગાડીએ એના કરતાં પણ વધારે ઝડપથી આખી દુનિયાની માહિતીના ઢગલે ઢગલા!
પણ, દરેક જણ
પોતાની જ જેલમાં કેદ.
સાવ એકલો અટૂલો.
ઘનઘોર એકલતાના
કાળા ડીબાંગ સ્મશાનમાં
માત્ર સૂકી માહિતીની ભૂતાવળો વચ્ચે
આ કરૂણતા છે.
અરણ્ય રૂદન છે.
કદાચ કોઈની પાસે આનો ઉકેલ નથી.
તમારી પાસે છે?
સાભાર – શ્રી. પંકજ જાની
મોહ ખતમ થવાની સાથે જ,
ગુમાવવાનો ડર પણ ખતમ થઈ જાય છે.
– ભલે ને તે સમ્પત્તિનો હોય,
વસ્તુનો હોય,
સંબંધોનો હોય
કે, પછી
જીવનનો હોય.
नष्टो मोहः स्म्रुतिर्लब्धा ।
પણ , મોહ દૂર શી રીતે થાય? એ તો આપણા હોવાપણામાં બહુ જ ધરબાઈને પડેલો હોય છે. એ જ તો આપણને જીવનમાં ગતિ આપે છે – ઉદ્દેશ્ય આપે છે. જીવવાની ઇચ્છા આપે છે. શાસ્ત્ર વચનો વાંચીએ, ઉપદેશો સાંભળીએ – હજારો…. લાખો…..અગણિત –
પણ આપણ રામ તો એવા ને એવા જ. બે કાન એટલા માટે તો આપ્યા છે!
કોઈની પાસે આનો જવાબ છે ખરો?
આ એક સળી – નાનકડી પણ ખાસ્સી તાકાત વાળી. એને સહેલાઈથી વાળી કે તોડી ન શકાય. પણ એ કુદરતી નથી. એને નાનકડા કાગળમાંથી બનાવવામાં આવી છે .
સંગઠિત , સંગ્રહિત શક્તિ
આવું જ એક અવલોકન અગાઉ કર્યું હતું – આઠનું બળ
નવો વિચાર એ આવ્યો કે,
કલ્પના અને સર્જનાત્મકતા કેટ કેટલી રીતે મહોરી શકે છે,
નહીં વારુ?!
૫, મે – ૧૯૩૫ ના દિવસે જન્મેલા આબિદ ભાઈ મુઠી ઊંચા માણસ છે – કળાકાર હોવાના કારણ કરતાં ઘણું મોટું કામ એમણે હાથમાં લીધું છે – પાણીનાં ટીપાં બચાવવાનું કામ. પોતાના જ ઘેર નહીં – ઘેર ઘેર !
એ માત્ર કામ નથી –
યજ્ઞ છે – પાણીનાં ટીપાં બચાવવાનો યજ્ઞ!
સલામ આબિદ ભાઈ – દિલથી તમને પ્રણામ
ઘણા વખત પછી, એક અવલોકન
જિમના જેકુઝીમાં ( hot tub) ૫૦ વખત પગ હલાવવાની રસમ ઘણા વખતથી ચાલુ છે. ૫૦ વખત આગળથી પાછળ અને ૫૦ વખત પાછળથી આગળ.
પણ ગઈકાલે એમાં એક ચૂક થઈ ગઈ. કશોક વિચાર પાર્શ્વભૂમાં ઉપજ્યો. આના કારણે ગણવાનું તો યાંત્રિક રીતે ચાલુ રહ્યું , પણ પચાસની ગણતરી આગળ અટકીને બીજી દિશામાં પગ હલાવવાનું શરૂ કરવાનું ચૂકી જવાયું. ૭૫ સુધી ગણતરી ચાલતી રહી અને ત્યારે ખ્યાલ આવ્યો કે, માઈલ સ્ટોન પસાર થઈ ચૂક્યો હતો, અને ગાડી આગળ નીકળી ગઈ હતી!
વિચાર શી બાબત હતો, એ અગત્યનું નથી. પણ આમ યંત્રવત ગણતરી ચાલુ રહે, એ એક જાતની બેભાનાવસ્થા હતી – જડતા હતી.
જડતા એટલે સ્થિરતા , ગતિહિનતા – એ માન્યતા ખોટી છે !
જડતાનો ન્યૂટનનો પહેલો નિયમ પણ આ જ કહે છે. કોઈ બળ લગાડવામાં ન આવે તો, સ્થિર વસ્તુ સ્થિર રહે છે, અને ગતિમાન વસ્તુ સતત ગતિમાન રહે છે.
આપણા જીવનમાં પણ આમ જ બનતું હોય છે – મોટે ભાગે આપણ્રે પરિવર્તન સાથે તાલ મિલાવી શકતા નથી હોતા. આપણી જીવવાની રીત યંત્રવત જ ચાલુ રહેતી હોય છે. રગશિયું ગાડું ! આપણી ચીલાચાલુ રસમમાં ફેરફારને ખાસ કશો અવકાશ હોતો જ નથી.
અને…
આપણી ખેવના હોય છે કે, આપણે પ્રગતિ કરીએ, આગળ ધપીએ!
પણ સ્થળ- કાળમાં સતત આકાર લેતા પરિવર્તન સાથે તાલ મિલાવવાની ક્ષમતા આપણે ખોઈ બેઠા હોઈએ છીએ.
ઉત્તર પ્રદેશના નોયડાના ૫૮ નંબરના સેક્ટરમાં આવેલ, પાવર કેપેસિટર બનાવતા દેકી ઇલેક્ટ્રોનિક્સના કારીગરો અને મેનેજમેન્ટ ગરમીથી વાજ આવી ગયા હતા. ઉનાળાની કાળઝાળ ગરમી તો સમજ્યા, પણ દરવાજા પાસે આવેલ ડિઝલ જનરેટર સેટમાંથી બહાર ઓકાતી ગરમી દુકાળમાં અધિક માસ જેવી હતી. એના મેનેજિંગ ડિરેક્ટર શ્રી. વિનોદ શર્માએ દિલ્હીના ઊગતા પણ અવનવા નૂસખા માટે જાણીતા સ્થપતિ શ્રી. મનીષ સિરપુરપુને કાને આ વાત નાંખી અને એ અદકપાંસળી જણ એની ટોળી સાથે એ પ્રશ્ન ઉકેલવા મચી પડ્યો. ઘણી મથામણ અને પ્રયોગો પછી, એક નવી જ જાતનું એર કૂલર કામ કરતું થઈ ગયું. અને તે પણ બહુ ઓછી વિજળી વાપરીને!
અનેક પ્રયોગો પછી નળાકાર આકારના સેંકડો ભુંગળાઓ વાપરીને બનાવેલ આ સાધન ઉપર કારખાનાનું નકામું પાણી શુદ્ધ કરીને છાંટવામાં આવે છે. એ ભુંગળાઓની આજુબાજુની જગ્યા રેતીથી ભરવામાં આવી છે, જે પાણીનો સંગ્રહ કરી રાખે છે. મનીષને આને માટે પ્રેરણા હજારો વર્ષ પહેલાંની ઇજિપ્તનાં સ્થાપત્યો પરથી મળી હતી.
આમાં ચીલાચાલુ એર કુલરની ઘણી બધી ખામીઓ દૂર કરવામાં આવી છે. વળી સ્થાનિક કુંભારોને પણ આના કારણે નવું કામ મળ્યું છે. આ રીત તો હવે ઘણી પ્રચલિત પણ બનવા લાગી છે.
દિલ્હીની સ્થાપત્ય શાળામાંથી [School of Planning and Architecture (SPA) ] સ્નાતક થયા બાદ, મનીષ સિરપુરપુ એ ૨૦૧૦ માં ‘અર્બન બોક્સ ડિઝાઈન સ્ટુડિયો’ નામનો નૂતન અભિગમ અપનાવતો સ્ટુડિયો શરૂ કર્યો હતો.
જાતજાતના પ્રશ્નોના આગવા ઉકેલ માટે તે જાણીતો બની ગયો. Tata Endowment scholarship award મેળવીને તેને સ્પેનના બાર્સિલોના ખાતે વિશિષ્ઠ અભ્યાસ અને સંશોધન કરવાની તક પણ એના કારણે મળી હતી. તેણે કરેલા અવનવા નૂસખાના ઘણા બધા નમૂના છે. એક જાણીતા ઉદ્યોગપતિના રહેઠાણના મકાનની આ ડિઝાઈન જ જોઈ લો. એમાં પણ માટીનાં એ ભૂંગળાઓ વાપરવામાં આવ્યાં છે –
ત્યાર બાદ, ૨૦૧૬ની સાલમાં નાનકડી કીડીની સમજ પરથી પ્રેરણા લઈ, AnT studio ( Architecture and Trchnology) શરૂ કર્યો હતો.
નાનકડી કીડીની ખાંખત અને કોઠાસૂઝને મનીષે પોતાના કામનો જીવનમંત્ર બનાવ્યાં છે. આ બધાના આધાર પર મનીષને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળેલા છે.
સંદર્ભ –
https://www.curbed.com/2017/9/18/16325134/air-conditioner-technology-india-terra-cotta-tubes
સાભાર – શ્રી માવજીભાઈ મુંબાઈવાળા
‐———————-
મને નાનકડી વાર્તાઓ વાંચવી, કહેવી અને લખવી ગમે છે. પંચતંત્ર, જાતક કથાઓ, હિતોપદેશ, ઈસપ, ઝેન સ્ટોરીઝ વગેરે મારી પ્રિય વાર્તાઓ છે. હું કોલમોમાં અને વક્તવ્યોમાં અવારનવાર વાર્તાઓ કહેતો હોઉં છું. વાર્તા કહેવા હું ઘણીવાર મારા કાલ્પનિક પાત્ર બુધાલાલનો ઉપયોગ કરું છું. મેં વક્તવ્યોમાં અવારનવાર કહી છે એવી બુધાલાલની એક વાર્તાથી આજની વાત કરીએ.
બુધાલાલના ગામમાં એક મહાત્મા આવ્યા. મહાત્માની ઉંમર સવાસો વર્ષ છે એવી વાત કાને પડતા જ બુધાલાલ બધા કામ પડતા મૂકીને મહાત્માના દર્શન કરવા પહોંચી ગયા. ‘ગુરુજી આપના દર્શન કરીને હું ધન્ય થઇ ગયો, મને પણ સો વર્ષ જીવવાનો મંત્ર આપો’
બુધાલાલે તેમના પગમાં પડતા જ સીધી મતલબની વાત કરી નાખી.
‘બેટા મારી પાસે એવો કોઈ મંત્ર નથી, બધી ઈશ્વરકૃપા છે’
મહાત્માએ બુધાલાલને બે હાથે ઉભા કરતા કહ્યું.
બુધાલાલ એમ માની જાય એ વાતમાં માલ નહીં, પાછળ જ લાગી પડ્યા ‘આપની પાસે શતાયુ થવાનો મંત્ર તો જરૂર છે પરંતુ આપ એ મંત્ર મારા જેવા ભક્ત સાથે વહેંચવા નથી માંગતા’
મહાત્મા ના પાડતા રહ્યા અને બુધાલાલ દબાણ ઉભું કરતા રહ્યા. અંતે મહાત્મા થાક્યા, એમણે મનોમન વિચાર્યું કે આ માણસથી પીછો છોડાવવો હશે તો મંત્રના નામે કશા’ક જાપ તો આપવા જ પડશે. એમણે એક ચબરખીમાં સંસ્કૃતની બે લીટીઓ લખી આપીને બુધાલાલના હાથમાં મુકી. બુધાલાલના ચહેરા પર વિજયી સ્માઈલ ફરક્યું, ના પાડતા છતાં’ય મંત્ર કઢાવ્યો ને?! પોતાના મનને આવી શાબાશી આપતા, ચબરખી ખિસ્સામાં મૂકીને એ ચાલવા માંડ્યા.
‘એ બંધુ, ઉભો રહે, મંત્રની વિધિ તો જાણતો જા’ મહાત્માએ બૂમ પાડી ‘સ્નાન, ધૂપ-અગરબત્તી કરીને આ મંત્રનો એકાવન વાર જાપ કરજે, તું શતાયુ થઈશ. પરંતુ, એક ખાસ વાત, આ મંત્રનો જાપ કરતી વખતે મનમાં વાંદરો યાદ ના આવવો જોઈએ’
‘મને વળી વાંદરો શું કામ યાદ આવે?!’ બોલતા બોલતા બુધાલાલે તો ચાલતી પકડી. ઘરે પહોંચી, સીધું સ્નાન કરીને બુધાલાલ તો પૂજાની રૂમમાં ગોઠવાઈ ગયા. હજી તો અગરબત્તી પેટાવે છે ત્યાં મનમાં વાંદરો યાદ આવ્યો. ‘હા, મને ખબર છે મારે તને યાદ નથી કરવાનો!’ બુધાલાલે પોતાના મનને કહ્યું અને અગરબત્તી પ્રગટાવી. ચબરખી ખોલી ત્યાં મનમાં ફરી વાંદરો! ‘વાંદરો યાદ નથી કરવાનો’ બુધાલાલે મનને ઠપકાર્યું. મન પણ ગાંજ્યું જાય એવું નહતું, એકને બદલે હવે બે વાંદરા મનમાં આવ્યા! બુધાલાલ મનના વિચારોને દબાવવા માંડ્યા અને અંદર વાંદરા તોફાને ચઢ્યા. વાંદરાથી પીછો છોડાવવા બુધાલાલે જગ્યા બદલી, ઘરના આંગણામાં આવેલા ઘટાદાર લીમડાના વૃક્ષ નીચે બેઠક જમાવી, અગરબત્તી જમીનમાં ખોસી અને ચબરખી ખોલી ત્યાં પવનની એક લહેરખી આવી, વૃક્ષના પાંદડા હલ્યા અને બુધાલાલ ભડક્યા ‘વાંદરું?!’ ચારે બાજુ નજર દોડાવી, ક્યાં’ય કશું ના દેખાયું પણ મનમાં વાંદરાઓએ કૂદાકૂદ કરી મૂકી. ચારેકોર વાંદરાનો ભ્રમ થવા માંડ્યો, ચિચિયારીઓ સંભળાવવા માંડી, બુધાલાલ તો ગાંડા જેવા થઇ ગયા. એમણે સીધી મહાત્મા પાસે દોટ મૂકી, પગમાં પડતાની સાથે વિનંતી કરવા માંડ્યા ‘મહારાજ લો આ તમારો મંત્ર પાછો, સો વર્ષ જીવવાની વાત છોડો, મને તો બસ વાંદરાથી છોડાવો. અગરબત્તી પેટાવી ત્યારથી અત્યાર સુધી મેં જિંદગીમાં નથી વિચાર્યા એટલા વાંદરા મને ફરી વળ્યાં છે. ભૂલ થઇ ગઈ બાપજી પણ હવે મારા મગજમાંથી આ વાંદરા અને એના વિચારો બંનેને કાઢો’
આ વાર્તા હું મારા વક્તવ્યોમાં મનની અવળચંડાઈ સમજાવવા માટે કરું છું. આપણું મન નકાર પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે, કોઈપણ પ્રકારના નિષેધને જડતાપૂર્વક પકડી રાખે છે. જે વિચાર કે વર્તનમાં નકાર હોય તે કરવા લલચાતું રહે છે અને તે પણ વ્યસનીની જેમ! જે વિચાર અવગણવાના છે, જેનો પ્રતિકાર કરવાનો છે, તે જ વિચારો તમારી સામે થઈને વધુ મજબૂતાઈથી તમને વળગી રહે છે. જે વિચારોને તમે મનમાંથી તગેડવા રઘવાયા બનો છો, તે વિચારો તમને જળોની માફક ચોંટી પડે છે. પોતે કરેલી ભૂલો, પોતાનો દુઃખદ ભૂતકાળ, પોતાને નુકસાનકર્તા બાબતો વગેરેના વિચારોથી ઇચ્છવા છતાં વ્યક્તિઓ મુક્ત નથી થઇ શકતી તેની પાછળ મનની આ અવળચંડાઈ જવાબદાર છે. નકાર પ્રત્યેની આ સંવેદનશીલતામાં આપણા ઉછેરનો ખુબ મોટો ભાગ છે. નાનપણથી જ આપણે બાળકને જેટલી દ્રઢતા અને કડકાઈથી નિષેધાત્મક સૂચનાઓ આપતા હોઈએ છીએ તેટલી તેના વિચારો-વર્તનની હકારાત્મક્તાને બિરદાવતા નથી, ઉપરથી એમાં’ય સંશયો ઉભા કરીને તેને બ્રેક મારતા હોઈએ છીએ. પરિણામે, મન ગભરુ થાય અથવા બળવાખોર થાય, બંને સંજોગોમાં નિષેધાત્મક વિચારોની પકડ મજબૂત બનતી જાય. ગભરાટ-ભય, અફસોસ, ગુનાહિત લાગણીઓ જલ્દી પીછો ના છોડે અને બળવાખોરી, બદલાની કે બતાવી દેવાની ભાવના પણ જલ્દી પીછો ના છોડે. સરવાળે મન એવું થઇ જાય કે રસ્તામાં ‘હા’ અને ‘ના’ સામા મળે તો ‘હા’ની સામે જુએ પણ નહીં અને ‘ના’ને જઈને ભેટી પડે!
રસ્તો શું?! મનને આ વળગાડથી બચાવવું કેવી રીતે?!
મનોચિકિત્સક તરીકેના મારા અનુભવોમાંથી હું જે સમજ્યો છું એ તમને કહું, શક્ય છે તમારી પાસે બીજા કોઈ ઉપાયો પણ હોય. શરીરને કેળવવા પ્રયત્ન (efforts) જરૂરી છે જયારે મનને કેળવવા સહજતા (effortlessness) જરૂરી છે. શરીરને મજબૂત બનાવવું હોય, આકાર આપવો હોય, કોઈ બાબત શીખવી હોય તો પ્રયત્નો કરવા પડે. મનની બાબતમાં છોડતા શીખવું પડે કે અવલોકન કરતા શીખવું પડે અને આ બંને બાબતો સહજતા કેળવવાથી આપમેળે આવડતી જતી હોય છે. તમને કોઈ બાબત યાદ ના આવતી હોય અને તમે એને યાદ કરવા રઘવાયા બનો તો એ જલ્દી યાદ આવે કે એના વિષે વિચારવાનું છોડીને બીજા કામે વળગો તો જલ્દી યાદ આવે?!
બસ આ સહજતાનો ખેલ છે. વિચારોની આવન-જાવન જોવાની છે, એની ઉપર ચઢી નથી બેસવાનું. પ્લેટફોર્મ બેસીને ટ્રેનની અવરજવર જોવાની છે, એમાં બેસીને મુસાફરી નથી કરવાની. વાત વાંચવામાં જેટલી સરળ છે તેટલી આચરણમાં નથી, સતત એ દિશામાં કામ કરતા રહેવું પડે, વિચારો પ્રત્યે નિષ્પક્ષ જાગૃતિ કેળવીને જાતને મઠારતા રહેવું પડે. મનમાં સહજતા કેળવવા માટે સાક્ષીભાવ અને ધ્યાનનો નિયમિત મહાવરો કામ લાગે છે. યાદ રાખજો, સહજતા દિવસો કે મહિનાઓમાં નહીં પરંતુ વર્ષોમાં કેળવાય છે અને તે પણ તેના સતત અભ્યાસથી…
પૂર્ણવિરામ: આજની વાતના સારાંશ જેવી સ્વરચિત પંક્તિઓ:
વિચારો સામે બાંય ચઢાવવાથી કઈં વળે?!
એમ કરતા તો વિચારો આપણી પાછળ પડે!
વિચારોથી મુક્ત થવાનો એક જ ઉપાય મળે,
બસ, સાક્ષીભાવે વિચારોને જોતા રહેવું પડે!!
બહુ વર્ષો પહેલાં બહુ ગમતું એક કપડું કોઈક ઝાંખરામાં ભરાઈ જતાં ફાટી ગયું હતું.
એને સમારવા થીગડું માર્યું હતું.
થોડાંક વરસ ગયાં અને એ થીગડામાં પણ કાણું પડ્યું.
એની ઉપર બીજું થીગડું માર્યું .
અને એની ઉપર ત્રીજું અને ચોથું અને ……
થીગડાંઓની હારમાળા !
અને આજે મૂળ થીગડાંની સીલાઈ ખુલ્લી થઈ ગઈ!
ઘા તાજો થઈ ગયો
– લોહી લુહાણ !
સ્વ. શ્રી સુરેશ જોશીની આ એક અમરકથા ‘ થીગડું ‘ વાંચી મન મનાવો
સાનહોઝેમાં (કેલિફોર્નિયા, અમેરિકા) અબજો ડોલરની સંપત્તિનો માલિક, શ્રીધર વેમ્બુ, ધમધમતો ધંધો છોડીને તામિલનાડુના તેનકાશીમાં સ્થાયી થયો છે. તે પોતાની આવડતનો ઉપયોગ ગામડાંઓની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને વ્યવસાયિક ઉન્નતિ માટે તાલીમ આપવાના સ્તૂત્ય કાર્ય માટે કરી રહ્યો છે.
એ નવાઈની વાત નથી કે, ભારત સરકારે તેને ૨૦૨૧ માં પદ્મશ્રીનો ઇલ્કાબ એનાયત કર્યો છે.
શ્રીધરનો જન્મ ૧૯૬૭માં તામિલનાડુના તાંજોર જિલાના એક નાના ગામના, મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. ૧૯૮૯ માં ચેન્નાઈમાં આવેલી, IIT માંથી ઇલેક્ટ્રિકલ એન્જિ. માં સ્નાતક થયા બાદ શ્રીધર ઉચ્ચ શિક્ષણ મેળવવા અમેરિકા ગયો હતો. અમેરિકાના ન્યુજર્સી રાજ્યમાં આવેલ પ્રખ્યાત પ્રિન્સટન યુનિ.માંથી (આલ્બર્ટ આઈન્સ્ટાઈનની છેવટની કર્મભૂમિ) અનુસ્નાતક અને પી.એચ. ડી. પદવી તેણે પ્રાપ્ત કરી હતી.
ત્યાર બાદ સાન દિયેગોમાં ક્વોલ-કોમ નામની કમ્પનીમાં વાયરલેસ એન્જિનિયર તરીકે તેની કારકિર્દીની શરૂઆત થઈ હતી.૧૯૯૬માં પોતાના બે ભાઈઓ સાથે તેણે AdventNet નામની સોફ્ટવેર કમ્પની સ્થાપી હતી. ૨૦૦૯ માં તેનું નામ બદલીને ઝોહો કોર્પોરેશન રાખવામાં આવ્યું હતું. SaaS ( Software as a service) આપતી આ કંપનીને ઘણી નામના અને યશ મળ્યાં હતાં. આ નામ અને કામથી તેને ઘણી સંપત્તિની પ્રાપ્તિ પણ થઈ હતી. આપણે એ નોંધવું જોઈએ કે, ફોર્બ્સ કમ્પની દ્વારા ૨૦૨૧માં ઝોહોની કુલ નાણાંકીય અસ્કયામતની આકારણી ૨૪૪ કરોડ ડોલર આંકવામાં આવી છે.
પણ શ્રીધરના દિલમાં આનાથી સંતોષ ન હતો. દિલની આરજૂ પૂરી કરવા તેણે તામિલનાડુના તેનકાશી જિલ્લામાં આવેલ માતલમ્પરાઈ ગામને પોતાની કર્મભૂમિ બનાવી છે.
અહીં અને આન્ધ્ર પ્રદેશના રેનિગુન્ટામાં, ઝોહોના નેજા હેઠળ, રોજગાર લક્ષી સોફ્ટવેર આધારિત શિક્ષણ આપતી શાળાઓ તેણે સ્થાપી છે. આવી ઘણી શાળાઓ દેશભરમાં સ્થાપવા શ્રીધરને ઉમેદ છે.
પધશ્રીના ઈલ્કાબ ઉપરાંત ભારતના પ્રધાન મંત્રીને સલાહ આપતી National Security Council માં પણ તેની વરણી થઈ છે. દેશના શિક્ષણને નવી તરાહ આપવાની પાયાની નીતિ નક્કી કરવાના યજ્ઞ કાર્યમાં પણ તે યથોચિત ફાળો આપી રહ્યો છે.
અંગત જીવનમાં તેની પત્ની પ્રમીલા શ્રીનિવાસન, ભાઈ કુમાર અને બહેન રાધા છે.
સંદર્ભ –
https://en.wikipedia.org/wiki/Sridhar_Vembu
https://twitter.com/svembu?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor
વાચકોના પ્રતિભાવ