“ હું અમદાવાદ આવ્યો છું – અમદાવાદ રેડિયો પર કાવ્યપઠનના શૂટિંગ માટે; અને સાંજે તમને મળવા આવવું છે.” –બપોરના પહોરે વૈદરાજનો અવાજ ફોનમાં રણકી ઊઠ્યો.
હું તો હરખઘેલો થઈ ગયો. મારા નાનકડા ફ્લેટમાં સાફસૂફી કરી દીધી; બજારમાંથી નાસ્તો લઈ આવ્યો; ફ્રિજમાં દૂધ છે કે નહીં; તે ચેક કરી લીધું. સાંજ પડતાં જ એમના બીજા ફોનની આતૂરતાથી રાહ જોતો હતો; અને એ રણકી ઊઠ્યો.
વૈદરાજે કહ્યું ,” મારા સાળાને ઘેરથી નીકળું છું; તમારું સરનામું આપો,”
મેં વિવેક કર્યો,” હું સ્કૂટર પર આવીને તમને લઈ જઉં.”
વૈદરાજ ,” ના રેના, આ રીક્ષામાં આવી પૂગ્યો.
પણ કલાક થયો એ આવ્યા નહીં. એમના સાળાના ઘેરથી રીક્ષામાં પંદર મિનીટથી વધારે સમય લાગે તેમ ન હતું – અને આ આખો કલાક? મારી ધીરજ ખૂટવા આવી. મેં એમને ફોન જોડ્યો. વૈદરાજે વ્યથા વ્યક્ત કરી,” રીક્ષાવાળાને જગા જડતી નથી.” મેં રીક્ષાવાળા સાથે વાત કરી , એને દિશા સમજાવી. ફ્લેટના નાકા આગળ ઊભો રહ્યો. બધી આવતી જતી રીક્ષાઓની અંદર આતૂરતાથી નજર ફેરવું; પણ ક્યાંય વૈદરાજના સગડ નો મળે.
અને છેવટે એ આવી પહોંચ્યા. મને હાશ થઈ. તેમણે એમની કાવ્યરચનાઓનું પુસ્તક ‘નવેસર’ અને ચેતનાબેન શાહે મોકલેલ એક ભેટ મને સુપ્રત કરી. મારા ફ્લેટમાં પ્રેમવર્ષાની ઝડીઓ ‘નવેસર’ વરસવા લાગી.
આ વૈદરાજ એક અદ્ભૂત વ્યક્તિ છે. એ વૈદરાજ છે, કવિરાજ છે; છ મહિના રાજકોટ અને છ મહિના અમેરિકા રહે છે.
હવે તો ઓળખી લીધા ને?
લો! એમની છબી જોઈ લો.

ડો. મહેશ રાવલ અને દર્દી(!) સુરેશ જાની
અને એમની વેબ સાઈટ પર આંટો પણ મારી આવો.

તેમનો પરિચય આ રહ્યો.
હુસ્ટનમાં બેઠક નો રિપોર્ટ
તમે ધારતા હશો કે, અમારી વચ્ચે કવિતા વાંચનની ઝડીઓ વરસી હશે. પણ ના! એમના અને મારા જીવન અનુભવોની આપ-લેમાં સમય વહેતો જ રહ્યો. અને એમ થયું એ સારું પણ થયું એમની કવિતાઓ વાંચી છે; એમના અવાજમાં સાંભળી પણ છે. પણ એ કવિની પાછળ રહેલો માણસ પરખાયો, ઝળહળ્યો. ત્રણ કલાકની એ મૂલાકાત જીવન ભરનું સંભારણું બની રહી.
બે એક વરસ પર હું એમની એકે એક કવિતા વાંચતો હતો. રોજબરોજના જીવન સ્તરથી બે આંગળ ભીતર ‘ અંતરની વાણી’ ઊલેચતી એ કવિતાઓ મને બહુ પ્રિય હતી. કાળક્રમે મારો કવિતારસ સૂકાયો અને એમની કવિતા વાંચવી બંધ કરી; પણ એમનો પ્રેમ એવો ને એવો અક્ષુણ્ણ મળતો જ રહ્યો.
મારા ક્રિયાશીલ લેખનકાળ દરમિયાન; મને ઊંઝા જોડણીનું ઘેલું લાગ્યું હતું; અને કવિતા છોડીને ગદ્યસર્જન તરફ વળ્યો હતો – એમની ઋચિને સાવ પ્રતિકૂળ . પણ ‘ અવલોકનો’નું મારું પહેલું ઈ-પુસ્તક પ્રગટ કરતાં પહેલાં મેં એમને પ્રતિભાવ આપવા કહ્યું. અને એમણે તો એક સરસ ગઝલ જ લખી દીધી.
અર્થનો આયામ,આવીશ્કાર શતદલ
વાસ્તવીકતાથી સભર,શણગાર શતદલ
પર્વનાં પર્યાય જેવી જીંદગીનો
લાગણીથી તર-બ-તર વ્યવહાર,શતદલ
શબ્દનાં ઐશ્વર્યનો અભીગમ વણીને
પલ્લવીત,આખી કથાનો સાર શતદલ
ક્યાંક રસ્તો,ક્યાંક પગલાં,ક્યાંક પગરવ
ક્યાંક નવતર ઢાળનો અણસાર શતદલ
સુર્ય જેવી શખ્સીયત લઈ,રોજ ઉઘડે
સ્પષ્ટ, અવલોકન ભર્યો આધાર શતદલ
ગદ્યમાં કે પદ્યમાં અભીવ્યક્ત સઘળું
કંકુ ચોખા સમ,સહજ શ્રીકાર શતદલ
તર્કનો પરીણામલક્ષી હોય આશય
ત્યાં સુખદ અંજામનો,રણકાર શતદલ !
અને ચોપડીનું નામ ‘અવલોકન શતદલ’ રાખવા સૂચવ્યું. અને ફોઈબાને કાંઈ નારાજ કરાય? ‘અવલોકન શતદલ’ નેટ પર ચઢી ગયું.
એ ચોપડી અહીંથી ડાઉનલોડ કરી શકશો.
ત્રણ કલાકે મહેશભાઈ ઊઠ્યા ત્યારે તો મારો ભત્રીજો આવી ગયો હતો; તેણે એમના સાળાને ઘેર એમને ઉતારી દીધા.
ફરી એક વાર નીલમબેન દોશીના પુસ્તક વિમોચન સમારંભમાં તો એ સજોડે મળી ગયા. પણ એ માહોલમાં વધારે ગોષ્ટિ કરવાનો સમય ક્યાં મળે?

ડો. મહેશ રાવલ- એમની પ્રેરણા સાથે
પણ ‘માણસ કહી શકાય એવા’ આ જણ સાથેની એ ત્રણ કલાકની ગૂફતગૂ હજીય કાનમાં ગૂંજ્યા કરે છે. આ માણસ કવિતા લખતો નથી – જીવે છે.
તેમની મને બહુ ગમતીલી એક ગઝલ
તફાવત એકધારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
સહજતાનો સહારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
ખુલાસા કોણ પૂછે સાવ અમથી ધૂમ્રસેરોના ?
હથેળીમાં તિખારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
ન દરિયો, કે ન દરિયાની પરાકાષ્ઠા ગળે વળગી
તરસથી પર જુદારો લઈ, અમે બસ અહીં સુધી પહોચ્યા
અજાણ્યું કોણ છે, ઇતિહાસ બનતા પૂર્ણ કિસ્સાથી ?
નવીનતમ ફેરફારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
ઊતર-ચડ શ્વાસ ક્યારે, ક્યાં અટકશે, કોણ જાણે છે ?
પળેપળનો ધ્રુજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
ન ચર્ચા કર હવે એ દોસ્ત ! અંગતના પ્રહારોની
દરદનો એજ ભારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
સવાલ જ ક્યાં હતો સિધ્ધાંત વેંચી, પેટ ભરવાનો ?
ખુમારીનો ઇજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
બદલતી પાત્રવરણી સ્પર્શ કરતી ગઈ, કથાનકને
પ્રસંગોથી પનારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
અજાણ્યો કેમ લાગ્યો રોજનો રસ્તો, પરત ફરતાં ?
મનોમન એ વિચારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા.
ડો.મહેશ રાવલ
વાચકોના પ્રતિભાવ