સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: મિત્રો મળ્યા

ડલ્લાસ એટલે ખલ્લાસ! – ચિરાગ પટેલ

 

chirag_patel

મારો જૂનો અને જાણીતો બ્લોગર ગોઠિયો અને માનસપુત્ર ડલાસ આવે અને એ વિશે અહીં કશું ન લખું ; એ ઠીક નહીં – એવી ભાંજગડ મનમાં ચાલ્યા કરતી હતી. ત્યાં તો આ વાંચવા મળી ગયું…આ ચિત્ર પર 'ક્લિક' કરી ત્યાં પહોંચી જાઓ.

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી ત્યાં પહોંચી જાઓ.

હવે આમાં વધારે ઉમેરો શું કરું? દિકરો ઘેર આવે અને આનંદના ઓઘ ઉમટે.

અને પાછો દિવ્ય આનંદ તો અહીં પણ ભેળ સેળ કરવા આવી પહોંચે તો?!

એટલે આટલેથી જ બસ. આશા એક જ એ રહી …

શુક્રવારની સાંજ હો, અને આવી જાય ચિરાગ.

સાથે કરીએ ગોઠડી, ભલે થતો રવિવાર.

……એવું ના બને? એવું યે બને.

હાર અને ચન્દ્ર

લે, કર વાત! હારને અને ચન્દ્રને શો સંબંધ?

આ હાર તમે માનો છો તેવી હાર નથી!

અને ચન્દ્ર પણ તમે માની લીધો એ ચન્દ્ર નથી. ???????????????????????????????

હવે ખબર પડી ને?  ચન્દ્રપુકાર’ વાળા ચમી – સી.એમ. – સાચું નામ ડોક્ટર ચન્દ્રવદન મિસ્ત્રી

પણ આ ફોટો તો ત્રણ વર્ષ જુનો છે – ડલાસ એરપોર્ટ પર તેમની સાથે અલપઝલપ મુલાકાત વખતનો.

એમને આમ તો સૌ ઓળખે જ છે; પણ વ્યવસ્થિત ઓળખ આ રહી.

પણ આજની વાત સાવ અલગ છે. ‘હાર’ નું અંગ્રેજી શું?

Defeat?

ના…

Garland!

હવે વાતમાં વધારે મોયણ નાંખ્યા વિના કહી જ દઉં.

ગાર્લેન્ડ , ટેક્સાસ ખાતે સી.એમ. આવ્યા છે ; અને તેમના પિત્રાઈ ભાઈના ઘેર ઉતર્યા છે – એ ખબર મળતાં તેમને મળવા આ જણ ધસી ગયો. કલાક ગોષ્ટિ ચાલી; અને વિદાયવેળાએ આ ફોટા ઝડપાયા.

ચમિ અને કમુ

ચમિ અને કમુ

બે મિત્રો

બે મિત્રો

આમ ને આમ જ મિત્રો મળતા રહે; તેવી અભિલાષા સેવીએ.

પાનખરમાં વસંત

પાનખર વિશે અહીં લખ્યું હતું ; પણ એ તો પાનખરિયા; શોકની વાત જ હતી.

પણ……

પાનખરમાં પણ  ભરચક ઉલ્લાસ  હોઈ શકે; તેની યાદ બે મિત્રોએ આજે દેવડાવી અને મન પ્રફુલ્લિત થઈ ગયું.

    માનનીય મિત્ર શ્રી. ઉત્તમ ગજ્જરે  ‘ગુજરાત મિત્ર’ના એક પાનાંની ફાઈલ મોકલી આપી. એમાં બીજા માનનીય મિત્ર ડો. શશિકાન્ત શાહ નો અમારા જેવા વયસ્કોને પોરસાવતો  લેખ વાંચી મન મહોરી ઉઠ્યું. એમ કેમ ન થાય? છાપામાં નામ આવે તો કોને ન ગમે? (નામચીનો ્પણ મૂછે વળ ચઢાવી અપન વાલાઓ વચ્ચે વટ મારતા જ હશે !)

‘પાનખરમાં વસંત ‘ નો એ લેખ આ રહ્યો. 

અને એમાંનો આ લખનારના અહંને વકરાવતો ભાગ આ રહ્યો –

૧૩, નવેમ્બર-૨૦૧૩ ના 'ગુજરાત મિત્ર' માંથી ટાંચણ

૧૩, નવેમ્બર-૨૦૧૩ ના ‘ગુજરાત મિત્ર’ માંથી ટાંચણ

      ડોક્ટર સાહેબનો આભાર માની, છાપામાં નામ આવ્યાના હરખને ચપટીક વેગળો મેલી; નવરાશના સમયમાં બ્લોગ- પટલાઈ કરતા કે પોતપોતાનો ચોરો ચલાવતા   આવા સૌ ઘૈડિયાઓનું લિસ્ટ બનાવવા મન થયુ.

– આ રહ્યું….

[ મોટા ભાગના ૭૦ + છે; કોઈક થોડાક યુવાન હોય તો માફ કરે ! ]

arvind_adalaja.. અરવિંદ અડાલજાનો બ્લોગ–  શ્રી. અરવિંદ અડાલજા

g_maru – અભીવ્યક્તી – શ્રી. ગોવિંદ મારૂ

Ramesh+Patel_2આકાશ દીપ;  શ્રી. રમેશ પટેલ

aataa_paghadiઆતાવાણી; શ્રી. હિમ્મતલાલ જોશી

suresh10– ગુજરાતી પ્રતિભા પરિચય ; સૂર સાધના  Expressions,  Hobby Lobby ; સુરેશ જાની

Govind_Patelગોદડિયો ચોરો; ગોવિંદ પટેલ

???????????????????????????????– ચન્દ્રપુકાર; ડો. ચન્દ્રવદન મિસ્ત્રી

captain-narendra-2– જિપ્સીની ડાયરી; કેપ્ટન નરેન્દ્ર ફણસે

Ashok_Das– દાદીમાની પોટલી; શ્રી. અશોક દેસાઈ

PPV–  નીરવ રવે; શ્રીમતિ પ્રજ્ઞાબેન વ્યાસ

jugalkishor_vyas– નેટ – ગુર્જરી; શ્રી. જુગલકિશોર વ્યાસ

dipak_dholakia –મારી બારી; શ્રી. દિપક ધોળકિયા

vali_musa– વલદાનો વાર્તાવૈભવ,  William’s Tales ; શ્રી. વલીભાઈ મુસા

vijay_shah– વિજયનું ચિંતન જગત ; શ્રી. વિજય શાહ

Vinod_Patel_3 – વિનોદ વિહાર ; શ્રી. વિનોદ પટેલ

Uttam_Gajjar– સન્ડે -ઈ -મહેફિલ ; શ્રી.ઉત્તમ ગજ્જર

.Jagdish_Joshi–  જગદીશ જોશી; સંબંધોના સથવારે

Rajendra_Trivedi - Copy - CopyBharat_Pandya_1– હાસ્ય દરબાર ; ડો રાજેન્દ્ર ત્રિવેદી, ભરત પંડ્યા, સુરેશ જાની

અને આ રહી હ્યુસ્ટનની આખી ગેંગ !

અને આ રહ્યા એ રસિક જનોના દિદાર…

GSS_friendsએ સાહિત્ય સરિતામાં તરનારાઓને  વધારે સારી રીતે અહીં નિહાળો.

આ મિત્રોમાં જો કોઈ ૬૦ – હોય તો , આ હરકત બદલ માફ કરે !

———————————–

નોંધ –

    આવા સૌ વયોવૃદ્ધ બ્લોગર મિત્રોનો સમાવેશ કરવાની બને તેટલી કોશિશ તો કરી છે. પણ એ શક્ય છે જ કે, આવા બીજા મિત્રોનો સમાવેશ અહીં ન થયો હોય. સૌ વાચક મિત્રોને વિનંતી કે, એવી શરતચૂક તરફ ધ્યાન દોરે. એવા મિત્રોનો સમાવેશ પણ કરી લેવાનું બહુ ગમશે.

એક સવાર અતુલનાં બાળકોની સાથે

       આમ તો અતુલ અને જ્યોતિકા બહેનને પોતાનાં બે પુત્રો જ છે; અને બન્ને પુખ્ત ઉમ્મરના અને વ્યવસ્થિત રીતે પોતપોતાના વ્યવસાયમાં સ્થાયી થયેલા છે. એમાંથી એકેય દીકરાને હું કદી મળ્યો પણ નથી!

       તો પછી આ કોની વાત છે? કયાં બાળકો અને કેટલાં?

       એ વાત કરું, એપહેલાં અતુલ વિશે બે’ક વાત.

Atul_Bhatt

       આમ તો અતુલ મારી સાથે એક વર્ષ એન્જિ. કોલેજમાં ભણેલો, એટલું જ. તે વખતે પણ અમારી ઓળખ સાવ અછડતી જ. સહેજ પણ ઘનિષ્ઠ નહીં. અમે બન્ને પોતપોતાના વ્યવસાયમાં સ્થાયી થયેલા; ત્યારે પણ કદિક કદિક મળવાનું થાય; પણ કદી એ મુલાકાતમાં અમે ખાસ નજીક આવેલા નહીં. શિષ્ઠાચાર પૂરતો જ – ‘લટકતી સલામ’ જેવો સંબંધ!

    ૨૦૧૦-૨૦૧૧ની મુલાકાત વખતે જ દૈવે કરીને ‘રામભાઈ’ના દીકરાને ઘેર રામભાઈની ભાળ મેળવવા જતાં; અતુલનો ઉલ્લેખ થયેલો, અને ફોન પર વાત થયેલી.

    ‘ રામભાઈ’ની સાથેની આ વખતની મુલાકાત આ રહી…

     ત્યાર બાદ એક સાંજે ઘોડાસરથી પાછા વળતાં કોઈક અજાણ્યા તત્વે આ જણને અટકચાળું કરાવ્યું કે, ‘લાવને, સમય છે; અને એના ઘરની નજીકથી પસાર થઈ રહ્યો છું, તો એ ઘેર હોય તો બે’ક મિનીટ ‘જયશ્રી કૃષ્ણ’ કરી લઉં – એક ‘લટકતી સલામ!’

    અને તમે નહીં માનો… એ સલામ કરવા જતાં હું લટકી પડ્યો – અતુલ સાથે ભરપુર પ્રેમમાં ‘પડ્યો નહીં … પણ લટક્યો!’

    આપણે કોઈના પ્રેમમાં કદી પડતા નથી હોતા – લટકી જતા હોઈએ છીએ. એ વ્યક્તિ સાથેના નિર્વ્યાજ પ્રેમના તાંતણે આપણે એવા બંધાઈ જતા હોઈએ છીએ કે, એ તાંતણો આપણને બંધાયેલા જ રાખી દે છે. ગમે તેટલા દૂર હોઈએ, એ પ્રેમતંતુ મજબૂત રીતે આપણને એકમેક સાથે બાંધેલા રાખે છે – લટકાવી દે છે! એ સંબંધ જમીન પરનો નહીં –સૂક્ષ્મ ભાવજગતનો,  નાજૂક, બારીક અને મજબૂત કરોળિયાના તાંતણે બંધાયા હોઈએ એવો સંબંધ હોય છે – એમાંથી છૂટી જ ન શકાય! ફરક એટલો જ કે, એ કરોળિયો કે કરોળિયણ આપણને ભક્ષ્ય નથી બનાવી દેતાં!

     ખેર .. અતુલ સાથેના એ પ્રેમ પ્રકરણની વાત બાજુએ મૂકી, અતુલનાં બાળકોની મૂળ વાત પર આવું.

    બે વરસ પહેલાંની અતુલ સાથેની એ મુલાકાત અંગે તો અહીં લખેલું જ હતું – આ રહ્યું.. (‘મિત્રો મળ્યા’ શ્રેણીની શરૂઆત એનાથી જ તો થયેલી ને?) એમાં જણાવ્યું છે તેમ, તેણે નિવૃત્ત જીવનમાં આદરેલી સેવા પ્રવૃત્તિના એક ભાગ રૂપે એને ઘણાં બાળકો મળ્યાં છે!

ખાસ જરૂરિયાતવાળાં બાળકો.

     આ વખતે ભારત જવાનો કાર્યક્રમ ઘડાવા લાગ્યો; ત્યારે અતુલ અને જ્યોતિકાબેન અમેરિકામાં હતાં.  ફોન પર ઘણી વાર વાત થયેલી. ત્યારે મેં એનાં આ બાળકોને મળવાની ઇચ્છા વ્યક્ત કરેલી. કાળબળે, આ વખતે એમને દેશમાં ન મળી શક્યો; પણ એનાં બાળકોને તો એ રવિવારી સવારે મળાયું – એ જ રવિવાર જ્યારે સાંજે સાહિત્ય રસિક મિત્રોની વલીદા અને જુ’ભાઈએ સભા યોજી હતી તે.

     બાળકો એમનાં વાલીઓ સાથે આવી ગયાં. ડો. ધીરેન ગંજવાળા, નિવૃત્તિબેન અને હીનાબેનની નિશ્રામાં એ મુલાકાત ચાલુ થઈ. આવા એક બાળક અંગેનો મારો અનુભવ અને એના અદ઼ભૂત અને ન માની શકાય એવા વિકાસની કથની મેં એ બાળકોને – ખાસ તો એમનાં અતિ ચિંતીત માવતરને કરી. એમનાં ચહેરા પર ફરી વળેલી નવી આશાનાં કિરણોથી મને એ સવાર સોનેરી બની ગયેલી લાગી.

કોઈ પણ ફોટા પર ક્લિક કરી એને મોટો જોઈ શકશો….

    પણ……. બાળકોને તો ખરી મજા આવી – ‘ઓરીગામી’ના એમને માટે ખાસ બનાવી લાવેલાં મોડલોથી. એક બે મોડલ એમની સામે બનાવીને બતાવ્યા પણ ખરા. બધાં મોડલો એ બાળકોને લૂંટાવી દીધાં.

લો.. એવાં મોડલોના ઢગલાબંધ સ્લાઈડ શો અહીં જોઈ લો…     

       ડો. ધીરેન ગંજવાળા, નિવૃત્તિબેન,  હીનાબેન અને બીજા મિત્રો અતુલભાઈની સાથે આ બાળકોને અવારનવાર મળે છે; અને એમનાં અને એમનાં વાલીઓનાં જીવનમાં આશાનાં કિરણો ચમકાવતાં રહે છે – એ જાણીને મને અત્યંત આનંદ થયો. આવું જ સેવાકાર્ય કરતા ભરતભાઈ પણ અતિથીવિશેષ તરીકે આવેલા, એમને પણ આ સંજોગે મળાયું.

       આપણે સૌ આવાં તમામ બાળકો માટે દુઆ, અને અતુલ અને એના સાથીઓના આ ઉમદા કાર્યમાં એમને ખૂબ ખૂબ સફળતા મળે એવી શુભેચ્છા પાઠવીએ.

નસિર ઈસ્માઈલી સાથે એક સાંજ

      વલીદા, કૃતેશ અને હું  જનાબ નસિર ઈસ્માઈલીને (નઈ)મળવા ગયેલા એ યાદગાર સાંજની આ વાત છે.

       વાત તો અમારે એમની પાસે એમની સાહિત્યયાત્રાની સાંભળવી હતી. એમની સંવેદનાના સૂરો પાછળની ભીતરી સંવેદના સમજવી હતી.

     પણ વાત કોઈ જૂદા જ પાટે ફંટાઈ ગઈ. એમ બન્યું કે, વલીદાએ તા.  16  ડિસેમ્બરના રોજ યોજેલા સાહિત્યરસિકોના મિલન સમારંભમાં હાજર રહી વિશેષ મહેમાન તરીકે હાજર રહેવા નિમંત્રણ આપ્યું. મેં અને કૃતેશે પણ એમાં ટાપશી પૂરાવી.

      ન.ઈ. –” વાત તો બહુ મજાની હે; પણ ઇચ્છા થશે તો જરૂર આવીશ.”

      મેં કહ્યું,” તમને વાત મજાની લાગે છે, એટલે ઇચ્છા થઈ જ ગણાય ને?”

      ન.ઈ.- “વાત મારી ઇચ્છાની નથી. દાદાની ઇચ્છાની છે.”

     અમે ચોંકી ગયા. ૬૭ વર્ષના  ન.ઈ.નાય દાદા હાજર છે? 

      તેમણે ચોખવટ કરી,” આ દાદા.”

     અને એમની પાછળ ભીંત પર લટકતા ‘દાદા ભગવાન’ના કેલેન્ડર તરફ હાથ લાંબો કર્યો.

     અને ત્યારે અમને ખબર પડી કે મુસ્લિમ ધર્મના આ ખોજા મોશાય દાદા ભગવાનના ‘મહાત્મા’ પણ છે.

     અને આખી સાંજ એમના દાદા ભગવાન સાથેના સત્સંગની / દાદા પ્રત્યે તેમના અનહદ અનુરાગની વાતો સાંભળવામાં જ વીતી ગઈ.

     કેવી અદ઼્ભૂત એ વાત હતી, જ્યારે ન.ઈ.એ એમના પોપટિયાવાડ( દરિયાપુર, અમદાવાદ) ખાતેના નિવાસસ્થાને દાદાની પધરામણી કરાવેલી?  વાચકોની જાણ સારૂ …….. પોપટિયાવાડનો એ વિસ્તાર અમદાવાદનો નામચીન વિસ્તાર છે. ન.ઈ.ના ઘરથી ચોથે જ ઘેર એ વિસ્તારનો નામચીન ગુંડો અબ્દુલ વહાબ રહેતો હતો!

     અમદાવાદની સાંકડી પોળનું એ મકાન – નાની ગલી અને જૂનાં, પુરાણાં, બંધિયાર મકાનો. અને બધી વસ્તી ચુસ્ત મુસ્લિમ.

       ન.ઈ. એ વખતે બહુ ભીડમાં, બહુ જ આકરા પરિતાપથી ભરેલી જીવન અવસ્થામાંથી પસાર થઈ રહ્યા હતા. કોઈ આશાનું કિરણ નજરે જ ન પડે. ચારે બાજુથી ઘેરાઈ ગયેલા. અંત વિનાના, અંધારઘેર્યા બોગદામાં સલવાયેલા. અને એમને ક્યાંક દાદા ભગવાનનો સત્સંગ માણવા મળ્યો. ( મારી ભૂલ ન થતી હોય તો, ન.ઈ.એ એમ કહેલું કે, એમના ખાસ મિત્ર અને જાણીતા ગુજરાતી સાહિત્યકાર શ્રી. રાધેશ્યામ શર્માએ એમને એ રસ્તે દોરેલા.) ભાવાવેશમાં આવીને ન.ઈ. તો દાદાની પધરામણી પોતાને ઘેર કરવાનું ઈજન આપી બેઠા.

     ઘેર આવ્યા બાદ અને એ નશો ઉતરતાં એમને ભાન થયું કે, કેટલી ખતરનાક રમત એ રમી ચૂક્યા હતા? પોતાના આવા વિસ્તારમાં એક બિન મુસ્લિમ સંતને બોલાવવા, એમનો આદર સત્કાર કરવો; એ વાઘની બોડમાં હરણને લઈ આવવા જેવી બાબત હતી.

      આખી રાત એમને ઉંઘ ન આવી. દાદા પોતે  ના પાડે , તેવી અલ્લાને ઈબાદત કરી.

      પણ દાદા જેમનું નામ? એમની ‘હા’ની ખબર બીજા દા’ડે આવી ગઈ!

     અને ન.ઈ. તો જે મુંઝાણા છે! હવે શું કરવું? ચોક્કસ હુલ્લડનું બી રોપાઈ ગયું! એમના એક ખાસ નાગર મિત્રની સલાહ લીધી. એ મિત્રે તે દિવસે હાજર રહી, મામલો સમાલી લેવાની હૈયાધારણ આપી.

અને તે દિવસ છેવટે આવી પહોંચ્યો.

દાદા શિષ્યોની સાથે પધાર્યા. ન.ઈ.ના ઘરના ટૂટલ ફૂટલ દાદરા પરથી ઉપરના ઓરડામાં એમની પધરામણી કરાવી. બધી બારીઓ બંધ.

દાદા- ‘કેમ આમ બારીઓ બંધ રાખી છે?”

ન.ઈ. (સંકોચથી) – “શેરીનો ઘોંઘાટ ન આવે અને શાંતિમાં સત્સંગ થાય ને?”

દાદા – ‘ના, ના, ચોખ્ખી હવા અને ઉજાસ આવવા દો ને.”

કમને બારીઓ ખોલી નાંખી અને ભજન કિર્તન અને ચરણવિધી શરૂ થયા. પોળનાં આજુબાજુનાં મકાનોમાંથી પાડોશીઓ આ તાસીરો જોવા ડોકિયાં કરવા લાગ્યા.

ન.ઈ.નો જીવ તો તાળવે ચોંટેલો!

અને આજુબાજુની વસ્તીને પણ ભજનનો લય ગમ્યો; અને તાલમાં તાળીઓ પડવા લાગી.

રંગે ચંગે સત્સંગ તો પતી ગયો. પાડોશીઓને પણ પ્રસાદ વહેંચ્યો અને સૌએ ભાવથી આરોગ્યો પણ ખરો.

હવે દાદાની આખી ટોળી તાળીઓ અને મંજીરા નિનાદ સાથે ‘દાદા ભગવાનનો અસીમ જયજયકાર હો! ‘ ગાતી શેરીમાંથી પાછી વળી.

ન.ઈ. તો એમ કે હવે કાંઈક અજૂગતું ન બને તો સારૂં. આ થોડું એમનું ઘર હતું? એ તો હતો… પોપટિયાવાડનો જાહેર વિસ્તાર.

શેરીના નાકે આ હાઉસન જાઉસન પહોંચ્યું. નાકે જ સ્થાનિક મસ્જીદના મૌલવી આ તાસીરો જોતા ઊભા હતા.ન.ઈ. ને તો ….’ઉપર આભ અને નીચે ધરતી.’

પણ સદ્‍ભાગ્યે કશી ધાંધલ ધમાલ ન થઈ, અને દાદાની પાર્ટી તો વિદાય થઈ ગઈ.

પેલા મૌલવી કહે,” ये आदमी कौन था?”

ન.ઈ. અને નાગર મિત્ર તો અસમંજસમાં ચૂપ.

ત્યાં મૌલવી જ બોલી ઊઠ્યા,

” जो  भी था, अल्लाका ओलिया था |”

————————–

       ન.ઈ.એ આ વાત પતાવી અને અહોભાવથી આખો પ્રસંગ અમારી સામે જ બની ગયો હોય, તેવા ભાવસમાધિમાં અમે ડૂબી ગયા. પછી તો કમ સે કમ એક કલાક ન.ઈ.ના આધ્યાત્મિક અનુભવોની વાતોના માહોલમાં જ અમે તરબતર થતા રહ્યા.

       કેવો ગળી ગયેલો માણસ? કોઈ વહેમ કે  માન્યતાઓનાં વમળ નહીં. અહંકાર સાવ ઓગળી ગયેલો.

       એમની ઘણી બધી ચોપડીઓ પસિદ્ધ થઈ છે, અને હજી ઘણી બધી છપાવી શકાય એટલું સર્જન ન.ઈ.એ કરેલું છે. પણ હવે એમને પ્રસિદ્ધિનો કોઈ મોહ નથી.

સતત જાત સાથે રહેતા આ સાંસારિક સંતને અમે મનોમન નમી રહ્યા.

શ્રી. નસિર ઈસ્માઈલીનો પરિચય અહીં વાંચો.

મિત્રો મળ્યા – રામભાઈ

    દાદા ભગવાનના સ્થાનક , અડાલજ ખાતે આવેલા સિમંધર સીટીમાં એમનેભાગ્યે જ કોઈ મૂળ નામ ‘રોહિત બોડીવાલા’ તરીકે જાણતું હશે.

એ તો ત્યાં ‘રામભાઈ’ જ છે.

IMG_3355

     મારી સાથે મિકેનિકલ એન્જિ. માં સહાધ્યાયી હતો; ત્યારે તો અમે ખાસ નજીક ન હતા. પણ નોકરીકાળ દરમિયાન ઘણા નજીક આવેલા – ખાસ તો મારા ખાસ મિત્ર સ્વ. ઈશ્વરદત્ત ભટ્ટના મિત્ર હોવાના સબબે. પછી તો અમારે એક્મેકને ઘેર જવા સુધીના સંબંધ પણ વિકસેલા.

પણ છેલ્લા બે વર્ષથી ‘મહાત્મા’ તરીકે અમે વધારે નજીક આવ્યા!
અમે બન્ને મહાત્મા!

     અચંબો ન પામતા – દાદા ભગવાનના અનુયાયીઓ એકમેકને આ સંબોધનથી બોલાવતા હોય છે.

જે પોતાની અસલી ઓળખ ‘ શુદ્ધાત્મા’ને ઓળખતા થાય –  તે ‘મહાત્મા’.

    ૨૦૧૦-૨૦૧૧ વખતની મારી દેશયાત્રા દરમિયાન રામભાઈને ખાસ મળવા ગયો હતો –  દાદા ભગવાનનું જ્ઞાન સ્વીકારતાં પહેલાં મારા મનના અમૂક સંશયો દૂર કરવા માટે. સ્વાભાવિક રીતે જ જૂના મિત્ર હોવાના નાતે એમને ઘેર એક રાત રોકાયો હતો; અને બીજે દિવસે સવારે પૂજ્યશ્રી. દિપકભાઈ પાસેથી એ સંશયો અંગે ખુલાસો થયો હતો.

    ત્યારથી રોહિત મારે માટે પણ રામભાઈ બની ગયો.

     મેં અને મારી પત્ની જ્યોતિએ પછી તો ૨૦૧૧ના જુલાઈ મહિનામાં ‘જ્ઞાન’ લીધું ; અને તે વખતે જ નક્કી કરેલું કે, ૨૦૧૨માં સાથે અડાલજ રહેવા જઈશું. અને એ માનતા પૂરી થઈ. રામભાઈના નાનકડા ફ્લેટમાં તેમને તકલીફ ન આપતાં અમે ‘ યાત્રી નિવાસ’ માં રાત રહેલાં; અને બીજે દિવસે સવારે પૂજ્યશ્રી. સાથે સત્સંગ પણ કરેલો.

   પણ અહીં વાત એક ખાસ અનુભવની કરવાની છે. રાતે જમીને અમે રામભાઈ અને કુસુમ ભાભીની સાથે ગપસપ કરતાં બેઠાં હતાં – ફ્લેટના બારણાંની સામે રામભાઈના પલંગ પર અમે બે જણા અને સામેના પલંગ પર જ્યોતિ અને કુસુમબેન.

     એકાએક મારી નજર ફ્લેટના બારણા તરફ ગઈ. મારા આશ્ચર્ય વચ્ચે દિપક ભાઈ એમાંથી ડોકિયું કરી રહ્યા હતા! અમે સૌ  અચંબો પામીને બહાર ધસી ગયા. રામભાઈએ  દિપકભાઈને મારી અને જ્યોતિની ઓળખ આપી. તરત તેઓશ્રીને  અમારું જ્ઞાન ગ્રહણ, ૨૦૧૨ની ગુરૂપૂર્ણિમાનો સત્સંગ અને ઓક્લાહામાના રિટ્રીટમાં સત્સંગની યાદ આવી ગઈ.

       પણ તેઓ તો સામેના ફ્લેટમાં કેન્સરના છેલ્લા સ્ટેજમાં જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતાં એક ૯૨  વર્ષીય બહેનને આશિર્વાદ આપવા અને જીવનની સંધ્યાએ જરૂરી વિધિ કરવા આવ્યા હતા; એટલે તેઓ તો ત્યાં ગયા. અમે પાછા પલંગ પર બેસી ગયા. દિપકભાઈની આ સરળતા અને સ્થાનિક રહેવાસીઓ સાથેની આ આત્મીયતા અંગે અમે વાતો કરતાં હતાં; ત્યાં જ તેમની સાથે આવેલા એક યુવાન ભાઈ અમારા ફ્લેટમાં આવ્યા અને કહ્યું કે, ‘ દિપકભાઈએ અમને સૌને પણ તે વિધિનો લાભ લેવા બોલાવ્યા છે.”

     અમે તો રાજીના રેડ બની ગયા. દિપકભાઈ તે વૃદ્ધ બહેન સાથે વાતચીત કરતા હતા. દિપકભાઈને આટલી નજીકથી જોવાનો અમને કદી લ્હાવો મળ્યો ન હતો. એમના મુખારવિંદ પર ઝળકતી તપની આભા, બાળક જેવું સરળ સ્મીત અને આંખોમાં ઊભરાતો નિર્મળ પ્રેમનો દરિયો …… અમે જાણે વશીકરણ થયું હોય એવા અવાચક બની ગયા. જીવનભરના તપનો પ્રભાવ અને સરળતા કેવાં હોય; એની આવી ઝલક મળવા માટે અમે અહોભાવમાં ગરકી ગયા.

    ૯૨ વર્ષનાં અને જીવનના અંતની સાવ નજીક એ બહેનના ચહેરા પરની નિર્મળતા, સાલસતા અને આવી જ્ગ્યાએ લાંબા સમયથી રહેવાના કારણે થયેલા તપની આભાએ અમને વિચારતા કરી દીધા કે,

’ સત્સંગ અને તપની સામાન્ય માનવના  જીવન પર કેવી  અસર થઈ શકે છે.’

      રામભાઈ સાથેની આ મુલાકાત અમારે માટે જીવન ભરનું સંભારણું બની રહી. એ યાદગાર મુલાકાતના થોડાક ફોટા…..

મિત્રો મળ્યા- હીરા જેવી રાણી

      આમ તો હું શિર્ષક ‘ હીરાની રાણી’ લખવા વિચારતો હતો; પણ સ્ત્રી ગૌરવનાં હિમાયતી અને અખબાર પત્રોમાં સ્ત્રી સંવેદના અને સ્ત્રી કવયિત્રીઓની રચનાઓને ઊજાગર કરતાં એ બહેનને કદાચ એ શિર્ષક ન પણ ગમે એ આશંકાથી ઉપર મુજબ શિર્ષક રાખી દીધું.

      વાસ્તવમાં એ રાણી હીરા જેવાં તો છે જ,  પણ મારા એક હીરા જેવા સ્વર્ગસ્થ દોસ્તનાં પત્ની પણ છે –  એ હકીકત છે. મને બન્ને રીતે એમના માટે આદર છે. અંગત જીવનમાં તેઓ ત્રણ તબક્કાના પ્રાણાયમ પણ નિયમિત કરે છે – એ વાત જાણવા મળી , ત્યારે તેઓ અંતરયાત્રાનાં પ્રવાસી છે; તે પણ ખબર પડી.

     કોની વાત છે આ?

    આમની જ તો…

લતા હિરાણી

તેમનો પરિચય આ રહ્યો…

       આ વખતની અમદાવાદ મુલાકાતમાં બે વખત એમને મળવાનું થયું. એક તો વલીદા અને જુ.ભાઈએ ગોઠવેલ સાહિત્યસભામાં અને બીજી વખત એમના ઘેર. પહેલી મુલાકાતનો અહેવાલ આ રહ્યો.

    સ્વાભાવિક રીતે જ એમના ઘરની મુલાકાત વધારે મજાની રહી. એમના આમંત્રણને માન આપીને વલીદા અને આ જણ ‘વિક્ટોરિયા…’ના નાયકો અશોક કુમાર અને પ્રાણની જેમ મોટર સાયકલ પર નહીં; પણ અમદાવાદી રીક્શામાં પહોંચી ગયા; ત્યારે ખબર પડી કે, આદતવશ  ફરીથી અમે ઘણા વહેલા પહોંચી ગયા હતા! મને એમ કે, નજીકની કોઈક હોટલમાં ચા પાણી કરી સમય પસાર કરી દઈએ. પણ વલીદા વધારે હિમ્મતવાળા. એમણે તો ફોન કરીને બહેનની પરવાનગી લઈ લીધી. અને અમે એમના ઘેર સમયસર(અમારા !) પહોંચી ગયા.

      ઘરમાં પ્રવેશતાં જ દિવાલ પર આ ફોટો જોઈ મન મહોરી ઊઠ્યું –

Photo1447

      મારા નોકરીકાળ દરમિયાન બે વર્ષ મનગમતા વિષય ‘ઉર્જા બચાવ’ અને ‘ડિમાન્ડ સાઈડ મેનેજમેન્ટ’  અંગે કામ કરવાની તક મળી હતી. એ સબબે જગદીશભાઈ હિરાણી સાથે પરિચય થયેલો. પહેલી વાર અરવિંદ મીલમાં અને પછી તો અનેક વાર વિવિધ પીઠિકાઓ પર.  લતાબેનને મળતાં એ બધી ઘડીઓનું ઝુંડ માનસ સ્તર પર ધસી આવ્યું.

      અને લતાબેને જ કહેલી વાત‘ છોકરાંઓ મોટાં થઈ ગયા બાદ, એમણે જ મને સાહિત્ય સર્જન તરફ વળવા પ્રેરણા અને ઉત્તેજન આપેલાં.’ – સાંભળી એ હીરા માટે મારું માન અંગત કક્ષાનું બની ગયું.

     થોડીક વારે જુ.ભાઈ પણ સમયસર (!) આવી ગયા. અને અમારી ગોષ્ટિ જામી. ગોઠડીની વાતો તો યાદ નથી, પણ ઊઠવાનું મન ન થાય , એટલી બધી વાતો ચાલતી રહી.

Photo1451

     ચા નાસ્તો પત્યો પછી આવી પહોંચેલા એમના દીકરાએ જુ.ભાઈના સ્માર્ટ ફોન પર ઉપરના બે ફોટા ખેંચી આપ્યા. એની સાથે વાત કરતાં ખબર પડી કે , તે પણ પિતાના પગલે ઉર્જા બચતના ક્ષેત્રે  જ કામ કરી રહ્યો છે.

     આ દરમિયાન વલીદાના પુત્ર અકબર ભાઈનો ફોન આવી ગયો કે, તે અમને લેવા આવે છે. અને અમારા ત્રણ જણની મિજલસ કારમાં પણ ચાલુ રહી.

    પરંતુ….  અહીં પાછા આવ્યા બાદ પણ હીર રાણી બહેનના સૌજન્યની સુવાસ હજી પણ મઘમઘતી છે.

મિત્રો મળ્યા – કાજી કવિ

      નેટ ઉપર ભાગ્યે જ કોઈ એમને જાણે છે. એ નેટ સેવ્વિ જણ નથી. પણ ક્યાંક કવિતાનું નામ સંભળાય અને એ તરત ત્યાં દોડી જાય છે. કવિતા સાથે પ્રાસ મેળવવા એમને કાજી કહ્યા છે. સામાન્ય ભાષામાં એ ન્યાયાધીશ એટલે કે, જજ છે. એમના પ્રભાવશાળી ચહેરા પર એ સ્થાન પર બેસનાર જણનો કડપ લગીરે જણાતો નથી. એમની સાથે મારો અંગત પરિચય પણ નહીંવત્‍ જ છે. પણ જેટલોય છે. એટલો જડબેસલાક છે!

    આ રહ્યો તેમનો મોહી પડાય તેવો ચહેરો…

praful-dave.jpg

અને આ રહ્યો તેમનો ટૂંક પરિચય…

” એક પથ્થર શાંત જળમાં ફેંકીને
એ વમળમાં ડૂબવાનું છે વલણ.”

      શ્રી. પ્રફુલ્લ દવેને આ વખતે બે વખત મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પહેલી વખતની એમની સાથેની મુલાકાતનો અહેવાલ તો જુગલકિશોરભાઈએ અહીં વિગતવાર આપેલો જ છે; માટે એનું પુનરાવર્તન નહીં કરું.

     એક રસ જગાવે તેવી વાત… માત્ર એક જ વખત એમને આ સભામાં પધારવા ફોન કર્યો હતો; અને સાહિત્ય રસિક મિત્રોને મળવાની ઉત્સુકતાએ એ આવી પહોંચ્યા. એમની સાહિત્યરૂચિ માટે આનાથી વધારે સારો પુરાવો શો હોઈ શકે?

     પણ આ લેખ એમની સાથેની અંગત મુલાકાત વિશે છે. ઉપરોક્ત સભામાં એમની એક બે રચનાઓ અને વિચારો જ સાંભળવા મળ્યા હતા. આથી એમની સાથે નિરાંતે સંગત થાય એવો અભરખો હતો. આથી એમને આ માટે ફોન કર્યો – એવી જ આશંકા સાથે કે, ‘ગાંધીનગરમાં મોટા સ્થાન શોભાવતા અધિકારીઓની વિરૂદ્ધ ફરિયાદોની સુનાવણીની નાજૂક જવાબદારી સંભાળતા આવા મોટા ગજાના કાજી થોડાક જ મારા જેવા મામૂલી, પરદેશી જણના ઘેર પધારવા કબૂલ થાય?’ – અને તે પણ ચાલુ કામના દિવસે? જો કે, સાથે એવો લોલીપોપ પીરસેલો કે, એ સભામાંના ત્રણ ચાર સાહિત્ય રસિકો પણ આવવાની વકી છે!

      અને સાનંદાર્શ્ચર્ય પ્રફુલ્લભાઈ આવવા કબૂલ થઈ ગયા. અને વળી એ દિવસે હું ઘર ઠીક ઠાક ગોઠવીને માંડ હાશ કરતો બેઠો હતો; ત્યાં એમનો ફોન આવ્યો,” થોડોક વહેલો આવું તો વાંધો નથી ને?’

       લે કર વાત! આ તો લક્ષ્મી ચાંલ્લો કરવા જ આવી ગઈ.  મારા નાનકડા ફ્લેટમાં એ શુક્રવારે શુક્કરવાર વળી ગયો! વલી’દા અને જુગલકિશોર વ્યાસ પણ આવી પૂગ્યા. લતાબેન હીરાણીને કાંઈક અંગત કામ આવી પડતાં, તેઓ ન આવી શક્યાં; પણ એમનોય ઉમંગ તો હતો જ. એવું જ શરદ ભાઈનું પણ હતું.

      અને જે મિજલસ ભરાણી છે!

વલીદા, સુજા, જુ.ભાઈ અને પ્રફુલ્લભાઈ

વલીદા, સુજા, જુ.ભાઈ અને પ્રફુલ્લભાઈ

      એનો વિગતવાત અહેવાલ તો નબળી યાદદાસ્તના કારણે આપી શકું એમ નથી; પણ પ્રફુલ્લભાઈએ પુનરોચ્ચારણ કરેલી વ્યથા આ રહી-

“આપણે ત્યાં સમાજો અને ટોળાંઓ જ  જન્મે છે.
ભાગ્યે જ વ્યક્તિઓ જન્મે છે
અથવા
જન્મ્યા બાદ વ્યક્તિ તરીકે જીવી જાય છે.”

કાજીનો આ ચૂકાદો કેટલો સાચો છે, નહીં વારૂ?

         આધ્યત્મિક ચેતનાના ક્ષેત્રે આખી દુનિયાને માર્ગદર્શન આપી રહેલા અનેક  સંતો પેદા કરનાર દેશ સામાજિક ચેતનાના ક્ષેત્રે કેમ અધોગતિ તરફ પ્રચંડ વેગે ગતિ કરી રહ્યો છે- એ બળાપાનો એમનો ધખારો અને આર્ત નાદ આપણોય પોતીકો નથી?

       આ ઉપરાંત તેમણે એક બે કવિતાઓ તો સંભળાવી જ; પણ સાથે એક સરસ સમાચાર પણ આપ્યા, કે તેઓ એક નવલકથા પણ લખી રહ્યા છે.

       જુ. ભાઈ અને પ્રફુલ્લાભાઈની જૂનાગઢના સહવાસની ગોઠડીએ એ બે જણને ગોઠિયા બનાવી દીધા; અને સોનામાં સુગંધ ભળે તેવું સત્ય તો એ પ્રગટ્યું કે, બન્ને અમદાવાદમાં એકબીજાની ઘણી નજીક પણ રહે છે.

       જુ’ ભાઈના ભાષાપ્રેમના સબડકા અમે પણ માણ્યા. બદલામાં મેં  ઇજિપ્તના ‘રોઝેટા પથ્થર’ ની વાત કહી; તો એમને બહુ જ રસ પડ્યો. (એની વાત તો ઇજિપ્ત કથામાં વિગતે કરવી જ પડશે.)

     વલીદા સાથે કાંઈ લખાણ લાવ્યા ન હતા, એટલે એમનો પ્રસાદ માણવા ન મળ્યો; પણ વાતોમાં એમની લાક્ષણિક ટાપશીઓએ રંગ જમાવ્યો જ.

       અને આ જણે ‘ઘાસ’ પરનું આ ગદ્યકાવ્ય વાંચી, વિજ્ઞાન આધારિત કઠોર સત્ય દર્શન કરાવ્યું.( એ કેવું યાદ રહ્યું?! અહંકાર હજી ક્યાં ઓગળ્યો છે?)

      છેલ્લે પેટછૂટી વાત કરું તો.. સંગતનો રસ એવો જામ્યો હતો કે, આખી રાત પણ ગોઠડીમાં પસાર  થઈ જાત. પણ શરદ ભાઈના ફોને એ યાદ કરાવી દીધું કે, અમારે રાતે દસ વાગ્યાની જૂનાગઢની બસ પકડવાની છે. આથી અમદાવાદી રસમ પ્રમાણે મિત્રોને ‘જન…ગણ…મન’ પીરસી કમને વિદાય કરવા પડ્યા!

મિત્રો મળ્યા- ગિરીતળેટીમાં ‘અમે’

        તે જવાંમર્દ જાતિનો છે; પણ ફૂલથીય કોમળ છે. ધંધે ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર છે; પણ વિદ્યાવ્યાસંગી પણ છે. ફરવાનો અને મહેમાનોને ફેરવવાનો અને જમવા / જમાડવાનો પણ શોખીન છે.

      એ ‘અમે’ પણ છે …. અને ‘અમો’ પણ છે!

    ઓળખી લીધો ને- એ ખૂંખાર મેરને?

    આ જોઈ જ લો ને…

'અમે', 'અમો' - અશોક મેરામણ મોઢવાડિયા

‘અમે’, ‘અમો’ –
અશોક મેરામણ મોઢવાડિયા

     માધવપુર(ઘેડ)ના આશ્રમમાં શરદભાઈની સાથે પ્રભુશ્રીના આશિષ લેવાનો કાર્યક્રમ છેલ્લા તબક્કામાં ઘડાઈ રહ્યો હતો; ત્યારે વાટમાં ‘અમો’ને મળી લેવાય તો સારું- એ શુભાશયથી ઈવડા ઈને ફોન કીધો. અને એણે મેરની જિંદાદિલ અદાથી રોકડું પરખાવી દીધું,

” ઈમ નો હાલે! બસમાંથી જૂનાગઢ ઉતરી જાઓ.
બાકીની વાટ હારે કાપશું.”

       અમે તો હરખાઈ જ્યા! અને હવારના છ વાગે જૂનાગઢ ઉતર્યા ન ઉતર્યા ને ‘અમો’ લાલ ચટ્ટાક ગાડીમાં આવી પૂગ્યા.( મારૂતિનંદન મેરની ગાડી ‘મારૂતિ’ જ હોય ને?!) ચા નાસ્તો પતાવી એમણે તો સીધા અમને એમના ઘરના ધાબા પર ચઢાવી દીધા. અમને થાય કે, આમ હવાર હવારમાં શીદ આમ ઊંચા ચઢાવતા હશે? પણ ધાબે જતાં માલમ થ્યું કે, ઘર ખરેખર ગિરિ તળેટીમાં જ આવેલું છે. પાછળ પૂરવ દશ્યમાં  જાજરમાન ગીરનાર આકાશને આંબી સૂરજને ઘડી બે ઘડી રોકી રહ્યો હતો. .

        એ પવિત્ર ગિરિરાજના દર્શન કરી અમે તો પાવન થઈ ગયા. અને નીચે ઉતરતાં ‘અમે’માં ના ‘મે’ – ‘અમે’ના પિતાશ્રી મેરામણ મળી જ્યા. શું સુંદર નામ? ઘૂઘવતો મેરામણ. એમની દિલદાર વાત્યુંથી પણ અમારું દિલ પોરહાઈ જ્યું.

      ‘અમો’ નાં દિકરા(હિરેન)  અને દિકરી(શ્રદ્ધા)  તૈયાર થતાં સફર આગળ હાલી. આ હાસ્ય દરબારી જીવ – તે શ્રોતા મળતાં છલકી ઊઠ્યો અને છોકરાંવને (અમોય ઉમ્મરે તો ઈમાં જ ગણાય ને?!) ખુશ ખુશ કરી દીધા. રસ્તામાં લૂંબે ને ઝૂંબે મહાલતા નાળિયેરીથી ભરપૂર લીલી નાઘેરના રતન જેવા માંગરોળમાં નાનકડો વિરામ કર્યો – અમોનાં માશીને ઘેર. માશીએ હેતથી ધરેલ  મીઠી ધરાખ જેવા નાળિયેરીના તાજા પાણીની લહેજત માણી લીધી.

   છેવટે  સફરનો મૂકામ આવી લાગ્યો અને એનું વર્ણન ફરીથી નહીં કરું. અહીં વાંચી લેજો.

    આ થોડાક વધારાનાં ચિત્રો માણી લો…

   અઠંગ વાંચનભૂખ્યા અને વિકીપિડિયા પર મચી પડેલા ‘અમો’ ના બ્લોગની મૂલાકાત લેવાનું પણ આપ સૌને ઈજન છે…

  ‘ન્યાં કણે !!‘

મિત્રો મળ્યા – ‘કંઈક’ કર્તા

       આમ તો એ કર્તાભાવથી અળગા રહેવાનો અભ્યાસ કરી રહ્યા છે; અને મિત્રભાવે એમ અળગા રહેવાની સલાહ પણ આપતા જ રહે છે. પણ તેમણે પણ ‘કંઈક’ રાંધ્યું છે – એ હકીકત છે!  સાહિત્યરચનાને રસોઈ સાથે સરખાવવાનું તો આ ભોજન-રસિક જણ જ કરી શકે; પણ સાહિત્યમાં મનગમતી ઉપમાઓ આપવાની છૂટ હોવાના સબબે એ ‘કંઈક’કર્તા મારી આ ચેષ્ઠાને ક્ષમ્ય ગણશે, એવી આશા જરૂર છે.

     અગાઉ નક્કી કર્યા મુજબ એ ‘કંઈક’કર્તાને અમદાવાદ સ્ટેશને લેવા જવાનું હતું; ત્યાં આ અવળચંડા જણને સૂઝ્યું કે, ‘એમને મારી ‘આવાહંક’ કળાનો પરિચય કે પરચો આપ્યો હોય તો કેવું?’ તેમને મુંબાઈ ફોન કર્યો અને ‘આશ નીરાશ ભઈ.’

    એમણે આ મહાન અમદાવાદી સ્કૂટર ચાલકને સારથી બનાવવાની  તક ગુમાવી!

     આમ અમે સ્ટેશને મળવાને બદલે વલીદાના દીકરા મહંમદભાઈના ઘેર પહેલી વાર મળ્યા. નેટ અને ફોન મિત્રતા સાક્ષાત્કારમાં પરિણમી.

    એમનું નામ તો દરેક હિન્દુને સલામ કરતા કરી દે એવું છે; પણ એમનો ઈમેલિયા પરિવેશ ગુજરાતના એક મહાન સાક્ષરની યાદ તરત અપાવી દે છે.

   લો! વાતમાં વધારે મોયણ નાંખ્યા વિના જણાવી જ દઉં – અથવા એ ‘કંઈક’કર્તાનો  દિદાર જ બતાવી દઉં.

શ્રી. લક્ષ્મીકાન્ત ઠક્કર - લા'કાન્ત

શ્રી. લક્ષ્મીકાન્ત ઠક્કર – લા’કાન્ત

optimized-img_20170214_122306

 અને એ ‘કંઈક’ આ રહ્યું.

હું તો જાણે છું-
પુષ્કળ પ્રકાશનો પૂંજ પૂંજ,
તેજવર્તુળ વ્યાપ છું.

શૂન્યનો અનંત વિસ્તાર છું,
ચોફેર ચળકતી ચેતનાનો ચાપ છું.   

મારી અંતરયાત્રાબા સાથી મિત્રોમાંના એક શ્રી. લક્ષ્મીકાન્તભાઈ ‘સરસ્વતીકાન્ત’ વધારે છે. માત્ર બાવન વરસની ઉમ્મરે – અડધે રસ્તે – એમણે વ્યાવસાયિક કારકિર્દી છોડી દીધી. તે બાદ સાહિત્ય સાધના અને અંતરયાત્રા એમના મુકામ કે રસ્તા રહ્યા છે. સ્વ. સુરેશ દલાલના ચાહક તો છે જ; પણ આ સુરેશના પણ પ્રિય મિત્ર બની ગયા છે. અનેક  બ્લોગરોને એમના પ્રતિભાવોએ બળ પુરું પાડ્યું છે.

     વલીદા અને એમના પુત્રો અકબરભાઈ અને મહંમદભાઈ સાથે ચાર પાંચ કલાકની ગોષ્ટિનો રંગ અને સ્વાદિષ્ટ રસોઈનો સ્વાદ તો હજી ઉતર્યો પણ ન હતો અને મારા ઘેર સાંજની મિજલસ ગોઠવાઈ ગઈ.

સુરેશ જાની, લા'કાન્ત, વલીભાઈ મુસા અને પાછળ ઊભેલા શ્રી. અકબર મુસા

સુરેશ જાની, લા’કાન્ત, વલીભાઈ મુસા અને પાછળ ઊભેલા શ્રી. અકબર મુસા

       એના સહ કલાકાર હતા –  ‘પ્રભુશ્રીના આશિષ’ની વર્ષા વરસાવતા – શ્રી. શરદ શાહ.

    ???????????????????????????????     મોટા ભાગે અધ્યાત્મ રંગના ગુલાલ લહેરાવતાં લહેરાવતાં, રાતના અગિયાર ક્યાં વાગી ગયા તેની તો અમને ત્રણેયને સૂધ બૂધ જ ન રહી. એ સહવાસનું એક ફળ – ‘ગદ્યસૂર’ પર ફરીથી સક્રીય બનવાની આ બાળચેષ્ટા.

    બીજે દિવસે ત્રીજા અંકમાં વયોવૃદ્ધ સાક્ષર શ્રી. કનુભાઈ જાની અને એમના જમાઈ અને આ યુગના ગુજરાતી ઋષિકવિ શ્રી. રાજેન્દ્ર શુકલ સાથે સંગતે આ મુલાકાતને છેવટનો સોનેરી ઓપ આપી દીધો.

    આ સાહિત્ય અને અધ્યાત્મ સફર આટોપી જ્યારે લા’કાન્ત શરીરનો કાયાકલ્પ કરાવવા વડોદરા ખાતેના નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર જવા રવાના થયા; ત્યારે મારી આ વખતની દેશયાત્રામાં ન ભુલાય એવું પ્રકરણ રચાઈ ગયું તો હતું જ; પણ એક સન્નિષ્ઠ મિત્ર પ્રાપ્ત કરવાનો તૃપ્તિ સભર ઓડકાર પણ ઉમેરાયો હતો.