આશા ગોન્ડ – મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના નાનકડા ઝંવર ગામની આદિવાસી કન્યા; માંડ બે ટંકનું પેટિયુ રળતા, ગરીબીની રેખાની નીચે આયખું ગુજારતા કુટુમ્બની કન્યા. પણ ક્યાંથી ક્યાં પહોંચી ગઈ? છેક ચીનના નાનજિંગમાં – વાયા દિલ્હી અને ઇન્ગ્લેન્ડના ઓક્સફર્ડ શાયરનું વોન્ટેજ ગામ!
લો. એની વાત માંડીને –
ઝંવર ગામના ધર્મજ અને કમલા ગોન્ડની એ પુત્ર. માંડ ૧૨૦૦ માણસની વસ્તીવાળું એ ગામ. આવા પછાત વિસ્તારમાં એનું જીવન ચીલાચાલુ રીતે વીતી રહ્યું હતું. પણ ૨૦૧૫ની સાલમાં ઉલરિક રાઈનહાર્ડના દિમાગમાં એના ગામમાં સ્કેટ પાર્ક બનાવવાનો ધખારાએ જન્મ લીધો, અને આશા અને એના જેવાં ઘણાં બાળકોની જિંદગીમાં એક નવી શક્યતાની ઉષા પ્રગટી.
ઉલરિક ૧૯૬૦માં જર્મનીના હીડલબર્ગમાં જન્મી હતી. ટેલીવિઝન અને મિડિયાના વ્યવસાયમાં પાંગરેલી એની કારકિર્દીમાંથી કોઈક અનોખી પળે એને વિશ્વસમાજના છેવાડાના માનવીઓમાં રસ પેદા થયો. એના પ્રતાપે ૨૦૧૨ ની સાલમાં તે ભારત આવી. ઉલરિકને શરૂઆતમાં તો ભારતના કોઈક પછાત વિસ્તારમાં એક નવી રસમની બુનિયાદી શાળા સ્થાપવી હતી. પણ ભારતના શિક્ષણ ક્ષેત્રની આગવી પરંપરાઓ અને મર્યાદાઓએ એના મગજમાં કાંઈક અવનવું કરવા વિચાર આવ્યો. આ જ ગાળામાં સ્કેટિંગ દ્વારા બાળકો અને યુવાનોમાં જાગૃતિ આણવાનો પ્રયાસ કરતી ‘સ્કેલિસ્ટન’ નામની સંસ્થાનો તેને પરિચય થયો. આમ તો ભારતના શહેરોમાં પણ આ રમત ખાસ પાંગરેલી નથી. પણ સાવ નાના અને છેવાડાના કોઈક ગામમાં આવી સવલત ઊભી કરવાનો નવતર પ્રયોગ કરવાનું ઉલરિકને સૂઝ્યું.
આ ધખારાના પરિણામે ઉલરિકે ઝંવર ગામમાં અદ્યતન સ્કેટ પાર્ક બનાવવાનું નક્કી કર્યું. સ્કેલિસ્ટન અને થોડાક સ્થાનિક નેતાઓના સહકારથી તેનો આ વિચાર અમલમાં મૂકી શકાયો. વિશ્વભરમાંથી આવેલી બાર ઉત્સાહી વ્યક્તિઓ અને સ્થાનિક પ્રજાના પરિશ્રમ અને સહકારથી એ સ્કેટ પાર્ક સ્થપાયો. બાળકોના અભ્યાસને વાંધો ન આવે તેમ અને કોઈ પણ જાતના જાતિભેદ વિના, આની તાલીમ આપવાનું શરૂ થયું. ખાસ કરીને છોકરીઓ આમાં જોડાય તેનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. બીજી નોંધવા જેવી વાત તો એ છે કે, ઉલરિકને પોતાને તો આ રમતની ખાસ આવડત ન હતી પણ આ તાલીમ માટે તેણે યુ -ટ્યુબના વિડિયોનો ભરપેટ ઉપયોગ કર્યો છે!
ઝંવરગામનાં આદિવાસી બાળકો કદી એમનાથી ઉચ્ચ વર્ણનાં બાળકો સાથે ભળી શકતાં ન હતાં. વર્ણાશ્રમ વ્યવસ્થા પર આધારિત મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં ગોન્ડ આદિવાસી પ્રજા સમાજના સાવ તળિયે છે. એમનાથી સહેજ ઊંચેની યાદવ જાતિ પણ એમને હલકા ગણે છે. શરૂઆતમાં તો ઉલરિકને ગામના ઉચ્ચ વર્ણના લોકોના ઉપહાસ અને અસહકારનો ઘણો સામનો કરવો પડ્યો. પણ છેવટે એ પાર્ક ધમધમતો બની ગયો અને નાતજાતના વાડાઓ તહસ નહસ થઈ ગયા.
આશાની જ વાત કરીએ તો તેની માતાને ધમકીઓ મળતી અને ‘આ પરદેશી લોકો તેની દીકરીને ઊઠાવી જશે.’- તેવી ચેતવણીઓ પણ મળ્યા કરતી. પણ દિકરીમાં પ્રગટેલો ઉત્સાહ જોઈ તેણે આશાની પ્રગતિમાં સહકાર આપવા માંડ્યો. પડી જઈને માથું ભાંગવાની દહેશત ધીમે ધીમે ઓસરતી ગઈ અને આશા અવનવી તરકીબો શીખવા લાગી. બધા બાળકોમાં તેની આવડત સૌથી વધારે વિકસવા લાગી. આના પ્રતાપે તે સ્કેટબોર્ડિંગની સ્પર્ધાઓમાં ભાગ લેવા લાગી.
દેશના સીમાડાઓ ઓળંગી શકે તેટલો આત્મવિશ્વાસ તેનાં પ્રગટે, તે માટે આશાને તાલીમ આપવા ઉલરિકે તેને ઇન્ગ્લેન્ડના ઓક્સફર્ડ શાયરના વોન્ટેજ ગામના બટલર સેન્ટરમાં (વિશ્વવિખ્યાત ઓક્સફર્ડ યુનિ.થી ૨૪ કિ. મિ. દૂર) ટૂં કા ગાળા માટે જવાની વ્યવસ્થા પણ કરી આપી.
૨૦૧૮ ની સાલમાં તો આશા ચીનના નાનજિંગમાં વિશ્વસ્પ્રર્ધામાં ભાગ લેવા પહોંચી ગઈ!
બીજા ઉત્સાહીઓના સહકારથી હવે તો આશાએ ‘Barefoot Skateboarders’ નામની સંસ્થા સ્થાપી છે, અને ઝંવર ગામના બાળકોમાં જાગૃતિ આણી છે.
અને…… આશા ન્યુ યોર્કના ટાઈમ સ્ક્વેરમાં !
આવા જ કથા વસ્તુ વાળી આ હિન્દી ફિલ્મ ‘સ્કેટર ગર્લ‘ જોઈ ત્યારે આશાની વાત જાણવા મળી હતી. આશા ગોન્ડની વાત સૌ શહેરીજનોએ સમજવા જેવી છે. ભારત દેશની મહત્તમ વસ્તીના જીવનનો એમાં વાસ્તવિક ચિતાર છે. પણ સાથે સાથે એમાં ધરબાઈને રહેલી અદભૂત શક્યતાઓ અને ઊજળા ભાવિ માટેની અભિપ્સાઓ પણ એટલી જ પ્રસ્તુત છે.
——–
આ લખનારે જ્યારે આ વાત જાણી ત્યારે યુગાન્ડાના કમ્પાલા શહેરની કોટવે નામની ઝૂંપડપટ્ટીમાંથી આમ જ ચેસની રમતના સહારે ન્યુયોર્કના મેનહટન માં પહોંચી ગયેલી ફિયોના મુતેસી યાદ આવી ગઈ. વેબ ગુર્જરી પર એ સત્યકથા ધારાવાહિક રૂપે પ્રકાશિત થઈ હતી. અકસ્માતે એ હવે અહીં નથી . પણ એની અદભૂત અને પ્રેરક જીવન કહાણી આ ઈ-બુકમાં જરૂર વાંચજો –
ત્રીજા દિવસે માછલીઓનું એક મોટું ટોળું હાથવગું થયું હતું. ઘણી બધી માછલીઓ પકડી શકાશે; અને દુઃખના દાડા ફરી નહીં જોવા પડે; એવી આશા બંધાઈ હતી. પણ કરમ બે ડગલાં આગળ હતું. એકાએક દરિયાઈ વાવાઝોડું ધસી આવ્યું. અને મન્જિરોની બધી આશાઓ પર પાણી ફરી વળ્યું. વાવાઝોડાની સાથે એ લોકો સાત સાત દહાડા સુધી દિશાના કોઈ ભાન વિના ખેંચાતા રહ્યા. સાતમે દિવસે એક અજાણ્યા ટાપુની નજીક તો આવ્યા પણ એમની હોડી ખડકની સામે ખાબકી અને એને તોડી ફોડીને, એ દુશ્મન વાવાઝોડાએ એમના ગામથી એમને એ સાવ નિર્જન ટાપુ પર ફંગોળી દીધા. ઉપર આકાશ અને નીચે ધરતી.
૧૮૨૭ની સાલમાં જાપાનના દરિયાકિનારે આવેલા સાવ નાનકડા ગામ ‘નાકાહામા’માં જન્મેલો મન્જિરો સાવ ગરીબ વિધવા માનો, સૌથી મોટો દિકરો હતો. બાપનું મરણ થતાં, એના માથે ઘર ચલાવવાની જવાબદારી માત્ર નવ વર્ષની ઉમરે આવી પડી હતી. પાંચ પાંચ વર્ષ કાળી મજુરી કરી માંડ ખાવા ભેગાં એ લોકો થતા. એની દશા પર દયા આવતાં, ડેન્ઝો નામના માછીમારે ભાડે લીધેલી હોડીમાં સહિયારી ભાગીદારીમાં માછલીઓ પકડી સ્વતંત્ર ધંધામાં બીજા ત્રણ એના જેવા જ વખાના માર્યા કિશોરો સાથે એને લીધો હતો.એની સાથે એણે પોતાના બે ભાઈઓ ગોમોન અને જુસુકેને અને એક દોસ્ત તોરેમોનને પણ લીધા હતા. કુલ પાંચ જણનો કાફલો. બધા સ્વતંત્ર ધંધાની કમાણીમાંથી ગરીબાઈની રેખાની ઉપર આવી જવાની આશામાં નાચતા અને કૂદતા હતા.
અને પહેલી જ સફરમાં આ દુર્ભાગ્ય…
અને એ સાવ નિર્જન ટાપુ પર એમણે પાંચ મહિના માંડ માંડ કાઢ્યા. ચાર મહિના તો ત્યાં આવીને રહેલા યાયાવર આલ્બ્બેટ્રોસ પક્ષીઓનો શિકાર કરીને એમની ભુખ ભાંગતી; પણ પીવાના પાણીનાં ત્યાં સાંસાં હતાં. થીજેલા બરફમાંથી ટપકી ટપકીને માંડ પાણી ભેગું કરી શકાતું. મંજિરો સિવાયના બધા માંદા પડી ગયા હતા. કદાચ એમનો ઉગાર કરવા કોઈ વહાણ આવી જાય; તો પણ પાછા જાપાન પહોંચવાના વિચારે પણ એ સૌ કંપી જતા. સાવ સાદા કારણે કે, ૧૬૦૩ની સાલથી ૧૮૫૫ સુધી જાપાને બહારની દુનિયા સાથેનો સમ્પર્ક સમ્પૂર્ણ રીતે કાપી નાંખ્યો હતો. માત્ર ડચ જહાજોને જ નાગાસાકી નજીકના એક ટાપુ પર લાંગરવા દેવામાં આવતા; અને ડચ ખલાસીઓ ત્યાં લગભગ કેદીઓની જેમ જીવન ગુજારી શકતા. બીજા કોઈ પણ દેશનું વહાણ, તોપમારના ભયથી જાપાનના કિનારાની નજીક જવાની હિમ્મત કરી ન શકતું. જાપાનની કોઈ પણ વ્યક્તિ જાપાનની બહાર જઈને પાછી આવે; તો તેની સામે દેશ છોડવાના ગુના માટે કાયદેસર ખટલો માંડવામાં આવતો; અને મોટે ભાગે તો ફાંસીની સજા થતી.
આમ દુર્ભાગી જાપાનીઓ માટે જીવનમાં કોઈ જ આશા ન હતી.
અને ૧૮૪૧ ના જુન મહિનામાં એમનું ભાગ્ય જરીક ખુલ્યું. વ્હેલનો શિકાર કરતા, ‘જ્હોન હાઉલેન્ડ નામના અમેરિકન વહાણે એ ટાપુની નજીક લંગર નાંખ્યું અને બે હોડીઓમાં એના બાર ખલાસીઓ ટાપુ પરથી કાચબા પકડવા ઉતર્યા. આ કમનસીબોની કરમકહાણી હાથ અને મોંના હાવભાવ વડે એમણે જાણી અને વહાણ પર એમને આશરો આપ્યો. મંજીરો અને એના સાથીઓએ આવા ફિક્કા રંગના માણસો કદી જોયા ન હતા. પરદેશીઓને તો જાપાનમાં ભયાનક દેખાવ વાળા રાક્ષસો જ માનવામાં આવતા હતા. પણ આ વહાણના દયાળુ સ્વભાવવાળા કેપ્ટન વિલિયમ વ્હિટફિલ્ડની કૃપાથી વહાણ પર એમને આશરો મળ્યો અને એ સૌ પણ વ્હેલના શિકારના કામમાં જોતરાઈ ગયા.
મંજીરોના સાથીઓ તો હજી હતાશામાં જ ગરકાવ હતા; પણ માંડ ૧૪ વર્ષની ઉમરનો મંજિરો તરવરાટવાળો હતો. એને એ સમજાઈ ગયું કે, જાપાનના માછીમારો કરતાં આ અમેરિકનો ઘણા વધારે કાબેલ હતા. મધદરિયે વ્હેલનો પીછો કરીને એનો શિકાર કરી શકતા; અને ઘણા મોટા વહાણને હંકારી શકતા હતા. એના મિલનસાર સ્વભાવ અને નવું તરત શીખી લેવાની ધગશ અને આવડતના કારણે એ તો કેપ્ટનનો માનીતો બની ગયો; અને ફટાફટ શિકારની અને વહાણ ચલાવવાની કળા શીખવા લાગ્યો.
૧૮૪૧ના નવેમ્બર મહિનામાં ઓગણીસ વ્હેલોનો શિકાર કર્યા પછી હવાઈ ટાપુઓના સૌથી મોટા બંદર હોનોલુલુમાં વહાણ પહોંચી ગયું. મંજિરો સિવાયના ચારેય જણા તો ત્યાં રહી જ પડ્યા. એમને નોકરી અને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ. પણ મંજિરોને કેપ્ટને પોતાની સાથે અમેરિકા આવવા કહ્યું. ચબરાક મંજિરોએ આ તક ઝડપી લીધી; અને એની જિંદગીનું એક નવું પ્રકરણ શરૂ થયું.
જાન્યુઆરી-૧૮૪૨માં વહાણે હોનોલુલુ છોડીને વહેલના શિકારની બીજી યાત્રા શરૂ કરી; ત્યારે મન્જિરો એની કામદારોમાંનો એક બની ગયો હતો. અને હવે તે વખાનો માર્યો નિરાશ્રિત ન હતો. હેલ્પર તરીકે એને ચોખ્ખા નફાનો ૧૪૦મો ભાગ પણ મળવાનો હતો. હવે તે અમેરિકન વહાણ પર કમાતો ધમાતો બન્યો હતો. પણ… એના અંતરમાં તો કાળી લ્હાય સતત બળ્યા કરતી. એની ગરીબડી માતા એની મદદ વિના બીજાં ભાંડવોને શી રીતે ખવડાવતી હશે; એની ચિંતા એના હૈયાને કોરી ખાતી.
સોળ સોળ મહિના લગણ એ લોકો વ્હેલ માછલીઓને ગોતતા, પેસિફિક મહાસાગરના પટને ફંફોળતા રહ્યા. તાહિટી, ગુનામ અને કેપ હોર્ન( દક્ષિણ અમેરિકાનો દક્ષિણ છેડો) થઈને ‘જ્હોન હાઉલેન્ડ’ વહાણ ૧૮૪૩ના મેની સાતમી તારીખે મેસેચ્યુસેટ્સના ન્યુ બેડફર્ડ બન્દરે, સાડા ત્રણ વર્ષની લાંબી સફરના અંતે પાછું ફર્યું. મન્જિરોને માદરે વતન છોડ્યાને અઢી વર્ષ પુરા થયા હતા.
અને…
પહેલા જાપાનીઝે અમેરિકન ધરતી પર પગ મૂક્યો. આ નવી દુનિયાની અજીબો ગરીબ જીવન શૈલી જોઈને મન્જિરો તો હેરત પામી ગયો. થોડાક દિવસ પછી કેપ્ટન વ્હીટ્ફિલ્ડ મન્જિરોને પોતાની સાથે, ધંધાદારી કામ માટે ન્યુયોર્ક પણ લઈ ગયો. એને વ્હેલના તેલ અને હાડકાંનો સારો ફાયદો મળે એવો ઘરાક ગોતવાનો હતો. અને પોતાના જૂના મિત્ર એબન અકીનને મન્જિરોને રાખવાની અને ભણાવવાની જવાબદારી સોંપી. સોળ વર્ષની ઉમરનો મન્જિરો એના જીવનની પહેલી શાળમાં એકડો ઘૂંટવા લાગ્યો!
બે મહિના પછી, કેપ્ટન વ્હિટ્ફિલ્ડે કમાણી તો રોકડી કરી જ લીધી; પણ આલ્બરટાઈન કીથ સાથે લગ્ન પણ કરી લીધાં. એની નવોઢાને પણ મન્જિરો બહુ ગમી ગયો; અને ત્રણે જણાં ન્યુ બેડફર્ડના સામા કિનારે ફેરહેવન પાછા વળ્યા. કેપ્ટને નવું ઘર ખરીદી લીધું; અને મન્જિરો એમના પાલક પુત્રની જેમ એમની સાથે રહેવા લાગ્યો. ત્યાંની બાર્ટલેટ એકેડેમીમાં વહાણવટા અને સર્વે ઈંગની તાલીમ પણ મન્જિરો લેવા લાગ્યો.
કેપ્ટન સાથે અઢી વર્ષ આમ ગાળ્યા બાદ; મન્જિરોને થયું કે, તેણે હવે જાતે કમાવું જોઈએ. આથી કેપ્ટનની પરવાનગી લઈને તે કેપ્ટન ઈરા ડેવિસના ‘ફ્રેન્કલિન’ નામના જહાજ પર રસોઈયાના મદદનીશ તરીકે જોડાઈ ગયો. ૧૮૪૬ના મેની ૧૫મી તારીખે ૨૪ સાથીઓ સાથે ફ્રેનક્લિન જહાજે સફર આદરી. એક વરસ પછી, વ્હેલની શોધમાં એટલાન્ટિક મહાસાગર ખુંદતાં ખુંદતાં; આફ્રિકાની દક્ષિણ ટોચ ‘કેપ ઓફ ગુડ હોપ’ થઈને જાપાનના દરિયાની નજીકથી પસાર થયું. જાપાનના માછીમારોની હોડીની નજીકથી એ લોકો પસાર થયા.
આખી દુનિયાનો ચકરાવો ફરી ચૂકેલા મન્જિરોને આશા બંધાઈ કે, કેપ્ટન તેને જાપાનના કિનારે ઉતારી દેશે; અને પોતાની વ્હાલસોયી માતાની સાથે એનું પુનર્મિલન થશે. પણ એ આશા ઠગારી નીવડી. જાપાનની વિદેશીઓ માટેની નફરતની ડેવિસને પુરી ખબર હતી. ખાલી ખાધસામગ્રીની આપલે કરીને જહાજ હોનોલુલુના અમેરિકન કિનારા તરફ ધસી ગયું.
અને ૧૮૪૮ના સપ્ટેમ્બર મહિનામાં મન્જિરો હોનોલુલુ પરના એના જાપાની સાથીઓને ફરી મળી શક્યો. એમાંનો એક જુસુકે તો ગુજરી પણ ગયો હતો.
એક મહિનો ત્યાં ગાળ્યા બાદ, જહાજ તો વધુ વ્હેલના શિકાર માટે આગળ ધપ્યું. પણ કશીક માંદગીના કારણે કેપ્ટન ડેવિસની હાલત ખરાબ થઈ ગઈ; અને તે લગભગ ગાંડા જેવો બની ગયો; અને ખલાસીઓ તરફ હિંસક બનવા લાગ્યો. બધાએ ભેગા મળીને એને કેદી બનાવી દીધો; અને એના મદદનીશને કેપ્ટન બનાવ્યો. મન્જિરોના વહાણ ચલાવવાના અને બીજા કામોની અદભૂત આવડત જાણીને બધાએ આ નવા કેપ્ટનના મદદનીશ તરીકે તેની નિમણૂંક એકમતે કરી દીધી.
ફિલિપાઈન્સના મનીલા બન્દર પર વહાણ લાંગર્યું ત્યારે ત્યાંના અમેરિકન કોન્સલે ડેવિસને જેલમાં પુરી દીધો; અને વહાણ ફરીથી આવ્યું હતું ; તે રસ્તે પા્છું વળ્યું. અને છેવટે ૧૮૪૯ના સપ્ટેમ્બર મહિનામાં વહાણ લગભગ સાડા ત્રણ વર્ષની સફરના અંતે ન્યુ બેડફર્ડ પાછું ફર્યું. તેમણે ૫૦૦થી વધારે વ્હેલોનો શિકાર કર્યો હતો. સફરના અંતે, ૩૫૦ ડોલર જેટલી માતબર રકમ મન્જિરોને મળી.
અને મન્જિરોએ ગાંઠ વાળી કે, અમેરિકાની ધરતી પર ખુબ કમાણી કરી; પોતાનું વહાણ ખરીદવું અને પોતાની તાકાત પર વ્હાલી માને મળવા જાપાન પાછું ફરવું.
**************************
મન્જિરો અમેરિકા પાછો ફર્યો, ત્યારે અમેરિકા એક ચેપી રોગમાં ઘેરાયેલું હતું; અને મન્જિરોને પણ એ રોગે ઘેરી લીધો. કયો હતો એ રોગ? એનું નામ હતું ‘ગોલ્ડ ફીવર’ – સોનેરી તાવ! ‘કેલિફોર્નિયામાં સોનું મળ્યું છે.’ – એ સમાચારે ઘણા અમેરિકનો પાગલ બની ગયા હતા; અને રાતોરાત લખપતિ બની જવાની લ્હ્યાયમાં પોતાની બધી મૂડી વેચી સાટીને કેલિફોર્નિયાના સેક્રેમેન્ટો ( હાલની રાજ્યધાની) નજીક સોનું ખોદી કાઢવાના કામમાં જોતરાઈ ગયા. હતા.
મન્જિરો પાંત્રીસ ડોલરની ટિકીટ ખર્ચીને અને વહાણમાં મદદનીશ તરીકે કામ કરીને તે આખા અમેરિકા ખંડની પરિક્રમા કરીને સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગયો. ત્યાંથી સોનું મળતું હતું, એ વિસ્તારમાં જવા, એણે નવા શરૂ થયેલા સ્ટીમથી ચાલતા વહાણમાં મુસાફરી કરી. એક મહિનો તો તેણે મજુર તરીકે કામ કર્યું; પણ સોનું મેળવવાની કળા હસ્તગત કરીને જાતે એ કામમાં પરોવાઈ ગયો. બે જ મહિના આમ કામ કરીને તે ૬૦૦ ડોલર કમાયો. ભેગી થયેલી મુડી લઈને તે તો હોનોલુલુ લઈ જતા સ્ટીમ વહાણમાં બેસી ગયો. ત્યાં પહોંચીને એના જૂના સાથીઓને જાપાન પાછા ફરવાનો પોતાનો પ્લાન સમજાવ્યો. પણ ‘ત્યાં પાછા ફરીને ફાંસી જ મળવાની.’ –એ ભયથી ડેન્ઝો અને ગોમન સિવાય કોઈ તૈયાર ન થયું.
પણ પોતાનું નાનકડું વહાણ ખરીદવા મન્જિરો પાસે એકઠી થયેલી મૂડી પુરતી ન હતી. તેણે છાપામાં મદદ માટે જાહેરાત આપી; અને ત્યાં રહેતા હમદર્દ રહેવાસીઓની ઉદાર મદદનો ધોધ વહેવા લાગ્યો. ૧૬૦ ડોલર રોકડા, કપડાં, કમ્પાસ, વિ, સફરને માટે જરૂરી સામગ્રી તેને આમ મળી ગઈ. એણે ‘ એડવેન્ચરર’ નામની નાની હોડી ખરીદી.
આ સમય દરમિયાન ૧૭, ડિસેમ્બર -૧૮૫૦ ના રોજ ‘સેરા બોઈડ’ નામનું વેપારી જહાજ હોનોલુલુના બંદરમાં લાંગર્યું. તે સાન ફ્રાન્સિસ્કોથી શાન્ઘાઈ જતાં રસ્તામાં વેપારી સામગ્રી લે વેચ કરવા હોનોલુલુ આવ્યું હતું. મન્જિરોએ એના કેપ્ટનને વિનંતી કરી કે, ત્રણે જણાને એની હોડી સાથે એની પર સફર કરવા દે; અને જાપાનના કિનારાથી થોડે દૂર એમને ઉતારી દે. મન્જિરો તો હોનોલુલુમાં ખાસો પ્રખ્યાત બની ચૂક્યો હતો. આથી એ જહાજના કેપ્ટનને પણ એને માટે સહાનુભૂતિ થઈ. જો કે, કેપ્ટનને પણ મહેનત કરી શકે તેવા ખલાસીઓની જરૂર પણ હતી જ. એના મોટા ભાગના સાથીઓ ઓલ્યા ‘સોનેરી તાવ’ લાગવાના કારણે ભાગી ગયા હતા! હોનોલુલુના ગવર્નરે તેને સરસ પ્રમાણ પત્ર પણ આપ્યું. હોનોલુલુના રહેવાસીઓએ પણ કેપ્ટન ‘જ્હોન મન્ગ’ને મુબારકબાદી આપી.
અને છેવટે… મન્જિરો અને તેના સાથીઓની માદરે વતન તરફની સફર શરૂ થઈ. ૭૦ દિવસની સફર બાદ ‘સેરા બોઈડ’ જાપાનના ‘લૂ ચૂ’ ટાપુના ‘ઓકીનાવા’ બંદરથી ચાર જ માઈલ નજીક આવી પહોંચ્યું.આ કથાની શરૂઆતમાં જણાવ્યું છે ; તેવી જ તોફાની હવા એ વખતે ચાલી રહી હતી. સખત પવન અને સ્નોનું અવિરત આક્રમણ જારી હતાં. કેપ્ટને મન્જિરોને ઉતરાણ કરવાના જોખમો અંગે ચેતવ્યો. પણ દસ દસ વરસની તપશ્ચર્યા અને વહાણવટાની તાલીમ અને સાધનાના પ્રતાપે, મન્જિરો હવે ઘણો વધારે કાબેલ અને આત્મવિશ્વાસથી ભરપૂર હતો. ગરીબડી અને વ્હાલી માને મળવાની અને એને માટે ખરીદી રાખેલી ભેટોથી એને ઢાંકી દેવાની આતુરતા એના શરીરમાં નવા પ્રાણનો ધસમસતો સંચાર કરી રહી હતી.
અને છેવટે એ બધાં તોફાની પવનોને અતિક્રમીને મન્જિરો અને તેના બે સાથીઓએ માદરે વતનની જમીન પર પગ મુક્યા.
કિનારા પરના ગ્રામવાસીઓ આ વિચિત્ર કપડાં પહેરેલા, પરદેશી જેવા લાગતા માણસોને જોઈને ગભરાઈ ગયા; અને એમને આવકારવાને બદલે ભાગીને દૂર જતા રહ્યા. માત્ર અડધા કલાકમાં જ સ્થાનિક પોલિસે એમને પકડી લીધા. એમની હોડી અને એમાંની બધી મતા સરકાર હસ્તક કરવામાં આવી. પણ એમને ફાંસીની સજા; એ વિસ્તારના ડેઈમ્યો( સ્થાનિક સૂબો) નારિયાકિરાની સંમતિ વિના ન આપી શકાય; એથી એમને ઓકિનાવાની જેલમાં પુરી દેવામાં આવ્યા; અને ઘનિષ્ઠ પૂછતાછ શરૂ થઈ. સાત મહિના સુધી પાંચ પોલિસ ઓફિસરોએ એમની સાથે માથાકૂટ કરીને એક લાંબો લચક હેવાલ બનાવ્યો અને ડેઈમ્યોની જાણ માટે મોકલી આપ્યો.
મન્જિરો, એના સાથીઓ અને જાપાનના સદભાગ્યે નારિયાકિરા ઉદારમતવાદી હતો; અને જાપાનની એ સદીઓની ‘બંધ બારણાં’ની નીતિનો વિરોધી હતો. એને આ હેવાલમાં બહુ જ રસ પડ્યો અને તેણે મન્જિરો અને તેના સાથીઓ સાથે રૂબરૂ જાતમાહિતી મેળવવાનું નક્કી કર્યુ. અને તેને પોતાની માન્યતા સાચી લાગી. એને પ્રતીતિ થઈ ગઈ કે, જાપાન વિશ્વમાં થઈ રહેલી પ્રગતિની સાથે તાલ નહીં મીલાવે તો, અત્યંત શક્તિશાળી અમેરિકાનું આક્રમણ હાથવેંતમાં જ છે.
નારિયાકિરાના હેવાલના આધારે જાપાનના સમ્રાટના જમણા હાથ જેવા શોગુને ૧૮૫૧ના ઓક્ટોબર મહિનામાં મન્જિરો અને એના સાથીઓને જાત તપાસ માટે નાગાસાકી બોલાવી લીધા.ફરી છ મહિના એ જ જેલની વ્યથા; અને ઘણી બધી સતામણીઓ, સવાલ, જવાબ. બીજું કોઈ હોય તો પાગલ જ બની જાય. પણ મન્જિરો જુદી માટીનો હતો. તેણે પોતાનું અને પોતાના સાથીઓનું ધૈર્ય ટકાવી રાખ્યું. તેણે શોગુન અને તેના અધિકારીઓને પોતાની વાતની સચ્ચાઈની પ્રતીતિ કરાવી દીધી. અમેરિકાના વહાણોને જાપાનમાં પૂરવઠા માટે આવવા દેવામાં કશું જોખમ નથી; અને જાપાનને એનાથી બહુ જ મોટો ફાયદો થઈ શકે એમ છે; એ વાત પણ મન્જિરો તેમને સમજાવી શક્યો.
છેવટે, ૧૮૫૨ના જૂનમાં એમનો છૂટકારો થયો; અને મન્જિરો એની માને મળવા નાગાસાકીથી નીકળ્યો. અનેક મુસીબતો વાળી એમની સફર બાદ, ૧૮૫૨ ની પાંચમી ઓક્ટોબરે, સોળ વરસ બાદ મન્જિરો એની મા, અને ભાંડવોને મળી શક્યો. એની મા, ભાઈ બહેનો અને ગ્રામવાસીઓને આમ બનશે, એની સ્વપ્નમાં પણ આશા ન હતી. બધાં આનંદમાં ઘેલા ઘેલા બની ગયા.
પણ આ આનંદ ત્રણ દિવસ જ ટકવાનો હતો ને? મન્જિરોને પાછા એમના વિસ્તાર ટોસાના ડેઈમ્યો યામાનુચી સાથે ચર્ચા માટે જવું પડ્યું. પણ હવેની એની જીવનયાત્રા એને જાપાનના ઉચ્ચ વર્તુળોમાં ટોચે પહોંચાવવાની હતી. યામાનુચી મન્જિરોની વાતોથી અને શોગુન તરફથી મળેલી સૂચનાના કારણે એટલો તો પ્રભાવિત બની ગયો કે, તેણે મન્જિરોને અત્યંત માનભર્યો ‘સમુરાઈ’નો ખિતાબ આપ્યો. સાવ હલકી જાતના માછીમાર – માત્ર ‘મન્જિરો’ નામધારી – આ જવાંમર્દની ઓળખ હવે ‘મન્જિરો નાકાહામા’ બની. હવે એની કમરે બે તલવારો ચમકતી હતી. એક સમુરાઈની ૧૭ વર્ષની કન્યા ‘તેત્સુ’ સાથે એનાં લગ્ન પણ થયા.
મન્જિરોની આગલી જિંદગી એને ઉપર અને ઉપર ચઢાવવાની હતી; એટલું જ નહીં; પણ જાપાન પણ સમૃદ્ધિ અને તાકાતના પંથે, એક મહાન વિશ્વ સત્તા બનવાનું હતું.
અને ૧૮મી જૂન-૧૮૫૩માં એક અભૂતપૂર્વ ઘટના બની. કોમોડોર મેથ્યુ પેરીના નેત્રુત્વ વાળી, અમેરિકાના નૌકાદળની ચાર અત્યંત શતિશાળી સ્ટીમરો જાપાનના ઈડો અખાતમાં લાંગરી. શોગુને જાપાનની બધી તાકાત એકઠી કરીને કોમોડોર પેરીને જાપાનનો દરિયામાંથી ભાગી જવા તાકીદ કરી. પણ પેરી પાસે શોગુનની તાકાત કરતાં ઘણી વધારે લડાયક સામગ્રી હતી. પેરીએ જાપાનના સમ્રાટ સાથે વાટાઘાટો કર્યા વિના પાછા વળવાની કોઈ તૈયારી ન બતાવી; અને જો એની આ માંગણી સ્વીકારવામાં ન આવે તો ઈડો બંદર પર તોપમારો શરૂ કરવાની ધમકી પણ આપી દીધી.
અસહાય બની ચુકેલા શોગુન માટે આ વાત સ્વીકાર્યા વિના કોઈ છૂટકો જ ન હતો. તેણે અમેરિકા વિશે જાણકારી ધરાવતા એકમાત્ર જાપાનીઝ તરીકે મન્જિરોને સલાહ માટે બોલાવી લીધો. અનેક દિવસોની વાટાઘાટો પછી, જાપાન અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો થયા; અને જાપાનના માટે નવા યુગનું બારણું ખુલ્લું થઈ ગયું.
૧૮૫૯માં હોકોડાટે ખાતે, નવી ઢબના વહાણો બાંધવા માટેની સંસ્થા પણ તેણે સ્થાપી અને જાપાનના વ્હાણવટાનો નવો યુગ શરૂ થયો.
૧૮૬૦માં અમેરિકામાં જાપાનની પહેલી એલચીના દુભાષિયા તરીકે તેણે ફરી એકવાર અમેરિકાની ધરતી પર પગ મુક્યો. પણ રસ્તામાં નડેલ તોફાની ઝંઝાવાતમાં એની વહાણવટાની કુશળતાના પ્રતાપે વહાણ ડુબતું બચ્યું હતું. આ વાતની જાણ થતાં જાપાનના સમ્રાટે મન્જિરોનું ખાસ બહુમાન કર્યું હતું.
૧૮૭૦માં મન્જિરોને ફરી વખત અમેરિકા જવાની તક મળી. ત્યારે તે પોતાના પાલક પિતા જેવા કેપ્ટન વ્હીટ્ફિલ્ડને ફેરહેવનમાં મળ્યો અને ભેટી પડ્યો. પાછા વળતાં તેણે લન્ડન ખાતે ભરાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદમાં જાપાનના પ્રતિનિધી તરીકે હાજરી પણ આપી. જાપાન પાછા વળ્યા બાદ ટોકિયો ખાતે અંગ્રેજી ભાષાના પ્રોફેસર તરીકે મન્જિરોએ એની શેષ જિંદગી પુરી કરી. આજે એ સંસ્થા યુનિવર્સિટી ઓફ ટોકિયો તરીકે ઓળખાય છે.
૧૮૯૮માં મન્જિરોનો દેહવિલય થયો ત્યારે તે જાપાનની એક અત્યંત સન્માનનીય વિભૂતિ બની ચુક્યો હતો.
શિકોકૂ ટાપુની અશિઝુરી ભૂશિર પર મંજિરોનું બાવલું
મન્જિરોએ ધાર્યું હોત તો, બાકીની જિંદગી અમેરિકન તરીકે ગાળી શક્યો હોત; અને ઘણું ધન અને કીર્તિ કમાઈ શક્યો હોત. પણ એના દિલમાં જલતી આગે એને એક જ દિશામાં હંકારે રાખ્યો- એની વ્હાલી માની સેવામાં. અને એ જ પ્રબળ પ્રેમ અને સંઘર્ષે એની એ આકાંક્ષા પુરી કરી એટલું જ નહીં; એના માદરે વતનની પણ એ અમૂલ્ય સેવા કરી શક્યો. જાપાન આજે જે છે; એમાં મન્જિરોનું પ્રદાન અજોડ છે; અને રહેશે.
હૈદ્રાબાદમાં આ ઘર આવેલું છે, એટલે તેલુગુમાં પેટા શિર્ષક! ( અંદરી ઇલ્લુ) . સહિયારું એટલે માત્ર એક બે કે ચાર કુટુંબોનું જ નહીં – આખો દિવસ ખુલ્લું રહે, એમાં કોઈ પણ વ્યક્તિ પરવાનગી વિના પ્રવેશી શકે, જાતે રસોઈ બનાવી જમી શકે, પુસ્તકો વાંચી શકે, એવું ઘર.
એક રૂપિયો પણ આપ્યા વિના!
કેમ નવાઈ લાગી ને? પણ આ સત્ય હકીકત છે. અને એક બે નહીં – છેલ્લા ૧૪ વર્ષથી!
એના સ્થાપક છે – ડો. સૂર્ય પ્રકાશ અને ડો. કામેશ્વરી વિન્જામુરી ૪૮ વર્ષના ડો. સત્યપ્રકાશ ઓસ્માનિયા યુનિ.માંથી ડોક્ટર થયા હતા અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સમાંથી(TISS) અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે હૈદ્રાબાદના કોઠાપેટ વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયા કોલોનીમાં આવેલા પોતાના મકાનના ભોંયતળિયામાં આ ઘર ૨૦૦૬ની સાલની ૧૫ જૂને શરૂ કર્યું હતું. ગરીબીની રેખાની નીચે જીવતા લોકોની ભુખના દુઃખથી વ્યથિત સૂર્યપ્રકાશે એના ઉકેલ માટે ઘણા અવનવા નૂસખા અજમાવી જોયા હતા. એમાં કેળા વેચવાની અને વહેંચવાની લારી પણ એક નૂસખો હતો! જેની પાસે ખરીદવા રકમ ના હોય, તે ત્યાં જ કેળાં ખાઈ ‘રામ રામ’ કહી વિદાય થઈ શકે!
પણ છેવટે એમને લાગ્યું કે, આનો કોઈ કાયમી ઈલાજ હોવો જોઈએ. આથી પોતાના દવાખાનાને ઉપરના માળે ખસેડી તેમણે નીચે ‘અંદરી ઇલ્લુ’ – સહિયારું ઘર શરૂ કર્યું . અલબત્ત એમની પત્નીનો આમાં પૂર્ણ સહકાર હતો જ.
આ સહિયારું ઘર સવારે પાંચ વાગે ખૂલે છે અને રાતે ૧ વાગે બંધ થાય છે. કોઈ પણ વ્યક્તિ એ સમય દરમિયાન અંદર પ્રવેશી, પોતાની રસોઈ બનાવી જમી શકે છે. એ માટે જરૂરી ગેસ સ્ટવ, રાંધવાના અને જમવાનાં વાસણો અને અનાજ / શાક / મસાલા વિ. સામગ્રી હાજર હોય છે. જમી કરી વાસણ સાફ કરી વ્યક્તિ વિદાય થઈ જાય છે. થોડોક સમય બેસી ત્યાં રાખેલ પુસ્તકો અને સામાયિકો વાંચી પણ શકે છે. જો કોઈને નહાવા માટે વ્યવસ્થા ન હોય તો અહીં નાહી ધોઈ તૈયાર પણ થઈ શકે છે.
જો કોઈને ઉતાવળ હોય અને વાસણ સાફ ન કરી શકે તો તે માટે અને અન્ય વ્યવસ્થા માટે આછો પાતળો સ્ટાફ પણ ત્યાં હાજર હોય છે. કોઈની પાસેથી કશી મદદની અપેક્ષા ડોક્ટર દંપતી રાખતાં નથી. પણ કોઈને મન થાય અને અનાજ કે બીજી રસોઈ સામગ્રી આપી જાય, તો તે સ્વીકારવામાં આવે છે.
અહીં મેસનો ખર્ચ ન પોસાતો હોય એવા વિદ્યાર્થીઓ કે હોટલનો ખર્ચ પોસાતો ન હોય તેવા કર્મચારીઓ આવતા હોય છે. અરે! જેમને રાંધતાં ના આવડતું હોય તેવી વ્યક્તિઓ પણ મિત્ર સાથે આવી જાય છે અને બધા સાથે રસોઈ બનાવીને ભુખ સંતોષે છે. પછી તો એ પણ રસોઈ બનાવતાં શીખી જાય છે, અને આત્મનિર્ભર બની જાય છે.
અને આ બધું કોઈ જાતની જાહેરાત કે ફંડ ફાળાની જાહેરાત વિના જ – ગાંઠના ખર્ચે ગોપી ચંદન જ !
રસ્તે પુસ્તકોની દુકાન ચલાવતી એક મહિલાને કામ પતે પછી પુસ્તકો મૂકવા જગ્યા ન હતી. તે કામ પતાવી સાંજે પુસ્તકો મૂકી જાય છે , અને સવારે લઈ જાય છે. જેટલો સમય પુસ્તકો અંદરી ઇલ્લુમાં રહે તેટલો સમય અને વધારાના સ્ટોકનાં પુસ્તકો મુલાકાતીઓને વાંચવા મળે છે.
રોજ ૪૦ થી ૫૦ વ્યક્તિઓ આ સવલતનો લાભ લે છે . રવિવાર કે રજાના દિવસે તો ઘણા વધારે મહેમાનો આવી જાય છે.
ઘરના બીજે માળે એમનું દવાખાનું છે. તેમાં પણ બન્ને દંપતી લોકોને સમતોલ અને નૈસર્ગિક આહાર માટે દોરવણી આપે છે, અને ‘યોગ્ય ખોરાક દવા કરતાં વધારે અસરકર્તા છે.’ એ સંદેશનો વ્યાપ કરતાં રહે છે.
આ ઉપરાંત બન્ને દંપતી અવારનવાર આજુબાજુના ગામડાઓમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે જ્ઞાન પ્રસાર કરવા માટે શિબિરો યોજે છે. કોઈ જાતની માનવતા વિના અને માત્ર તગડી આવક ઊભી કરવા માટે જ ડોક્ટરો જરૂર વિના ગર્ભાશય કાઢી નાંખવા સ્ત્રીઓને મજબૂર કરતા હોય છે – એની સામે બન્નેને સખત ચીડ છે, યોગ્ય આહાર અને સ્વચ્છતાના પાઠ શીખવી ઘણી સ્ત્રીઓને એમણે આ દૂષણમાંથી બચાવી લીધી છે.
દરેકે દરેક બાબત માટે સરકારની પાસે અપેક્ષા રાખતા અને માત્ર ટીકાઓ અને ચર્ચાઓ કરીને જ અટકી જતા સમાજને માટે આ ડોક્ટર દંપતી દિવાદાંડી સમાન છે.
આમ તો શાળાના બેન્ડમાં કોઈ છોકરી ડ્રમ વગાડતી જ ન હતી. પણ સિલ્વિયાને બીજું કોઈ નાનું સાધન ગમતું ન હતું; કારણ કે, આખા બેન્ડમાં બધાંની નજર ડ્રમ વગાડનાર પર જ સૌથી વધારે રહેતી હોય છે! ગયા વર્ષે સિલ્વિયાએ ડ્રમ પર સતત મહાવરો કરીને એ વગાડવા પર હથોટી બેસાડી દીધી હતી અને શાળાની માર્ચ-પાસ્ટમાં ભાગ લઈ સૌની ચાહના મેળવી હતી.
આ ટિમ્બલ ડ્રમ તે દિવસે જ સ્કુલમાં આવ્યું હતું. ત્રણ ડ્રમ ભેગા કરીને બનાવેલું એ ડ્રમ ખાસું ભારે હોય છે. એક છોકરી એ ઊપાડી ન શકે- એવી માન્યતાના આધાર પર બેન્ડ માસ્તરે સિલ્વિયાને ના પાડી હતી. એટલે જ સિલ્વિયાએ મનોમન નક્કી કરી દીધું કે, તે ટિમ્બલ ડ્રમ વગાડવાની પરવાનગી લઈને જ જંપશે. ઘેર જઈ તેણે એ નિર્ધારનો અમલ કરવાનો પ્લાન બનાવી દીધો. ચાર થેલીઓમાં પથરા ભેગા કરી તેણે પોતાની સાયકલની આગળ અને પાછળ એ થેલીઓ લટકાવી દીધી. ખભા પર પણ પથરા ભરેલું બેક પેક બાંધી દીધું . તે માંડ માંડ સાયકલ પર ચઢી શકી. હળવે હળવે તેણે સાયકલના પેડલ પર દમ લગાવી ઘરથી સ્કુલના રસ્તા પર પ્રયાણ આદર્યું. રસ્તે બે ત્રણ વખત તેને શ્વાસ ખાવા રોકાવું પડ્યું. પણ બેળે બેળે સ્કુલની આજુબાજુના રસ્તા પર ત્રણ આંટા લગાવ્યા બાદ જ તે ઘેર પાછી ફરી.
આ ક્રમ પંદર દિવસ ચાલુ રહ્યો. હવે આટલું બધું વજન ઊંચકી શકવાની તાકાત સિલ્વિયામાં આવી ગઈ. તેણે અઠવાડિક બેન્ડ-પ્રેક્ટિસ વખતે ટિમ્બલ ડ્રમ વગાડવાની પરવાનગી માંગી. અકળાઈને સાહેબે એને એક તક આપી. સૌના આશ્ચર્ય વચ્ચે સિલ્વિયાએ તાલબદ્ધ રીતે ડ્ર્મ વગાડતાં માર્ચ કરી બતાવી. ત્રણ મહિનાની આમ પ્રેક્ટિસના અંતે સ્કુલના જાહેર માર્ચ-પાસ્ટના પ્રસંગે સૌથી મોટું એ ટિમ્બલ ડ્રમ વગાડી સિલ્વિયાએ સૌની પ્રશંસા મેળવી લીધી.
૧૯૫૬માં અમેરિકાના દક્ષિણ ડાકોટા રાજ્યમાં જન્મેલી સિલ્વિયાનાં માબાપ મેક્સિકોમાંથી આવેલાં વસાહતી હતાં. મધ્યમ વર્ગના આ કુટુંબે પછી ન્યુ મેક્સિકોના લાસ ક્રુસેસ નામના નાના શહેરમાં સ્થળાંતર કર્યું હતું. તેના પિતા અમેરિકન સરકારની વ્હાઈટ સેન્ડ મિસાઈલ ટેસ્ટિંગ રેન્જમાં કેમિસ્ટનું કામ કરતા હતા. સાવ નાની હતી ત્યારથી સિલ્વિયાને ઢિંગલીઓ સાથે રમવા કરતાં છોકરાઓની રમતોમાં વધારે મજા આવતી. પિતા અને મોટા ભાઈને વાંચતાં જોઈ તેનો વાંચનનો શોખ પણ બાળપણથી જ જાગ્યો હતો.
કિન્ડર ગાર્ટનમાં જોડાયા પછી સિલ્વિયાને મેક્સિકન મૂળની હોવાના કારણે ઘણું સહન કરવું પડ્યું હતું. એ અવજ્ઞા ટાળવા એ વાંચન તરફ વધુ ને વધુ ઢળતી ગઈ. મેક્સિકોથી આવેલી એના જ નામની બીજી એક છોકરીની સંગાથે તે ‘બ્રાઉની’ નામના ગર્લ ગાઈડ પ્રોગ્રામમાં જોડાઈ. ત્યારથી તેને વિકાસ માટેની એક મજાની દિશા મળી ગઈ. તેમાં શિસ્ત, સહકાર અને સ્વગૌરવ સભર, વ્યવસ્થિત જીવન જીવવાના પાઠ તેને શીખવા મળ્યા.
કુટુમ્બમાં માતા ઉચ્ચ શિક્ષણ વિનાની અને માત્ર સ્પેનિશ ભાષા જ બોલી શકતી સામાન્ય ગૃહિણી હતી. પણ એ જ સિલ્વિયાનો પ્રેરણાસ્રોત હતી. સિલ્વિયા ગર્લ્સ ગાઈડમાં જોડાઈ પછી એની માને પણ એમાં બહુ રસ પડ્યો હતો. બાપ અમેરિકામાં જન્મેલ મેક્સિકન વસાહતી અને કેમિસ્ટ્રી વિષયમાં સ્નાતક હોવા છતાં, સાવ પુરાણા ખ્યાલો ધરાવતો હતો. ‘છોકરીઓનું જીવન લગ્ન કરી, બાળક પેદા કરી તેમના ઉછેર અને ઘરકામ પુરતું જ સીમિત હોય છે,’ એમ એ માનતો હતો. પણ એના વાંચનના અપ્રતિમ શોખની અસર સિલ્વિયા પર પડી હતી.
માબાપમાંથી કોઈને પણ ઘર સંચાલન અને ભાવિ આયોજન અંગે કોઈ જાગૃતિ ન હતી. સિલ્વિયામાં આવેલ આ જાગૃતિ ઘરની ચીજો અને કારના સમારકામ અને ભાવિ ખર્ચના આયોજન માટે કામમાં લાગી ગઈ. ગર્લ્સ ગાઈડનો ‘વિજ્ઞાન’ અંગેનો બિલ્લો મેળવવા તેણે રોકેટ બનાવવાનો પ્રોજેક્ટ સફળતાથી બનાવ્યો અને તેના કારણે જ વિજ્ઞાનના સ્નાતક બનવાની મહેચ્છા જન્મી. આ જ સ્વપ્નના કારણે તેણે હાઈસ્કૂલમાંથી જ બેન્કમાં બચત કરવાનું શરૂ કર્યું.
અને છેવટે તે આલ્બુકર્કીની યુનિ. માંથી વિજ્ઞાનમાં સ્નાતક બની. લેટિનો વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ મળવાથી તે છેવટે સ્ટેન્ફોર્ડની પ્રખ્યાત યુનિ. માંથી ઉચ્ચ યોગ્યતા સાથે અનુસ્નાતક પણ બની ગઈ. આના પ્રતાપે અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ માં રોકેટ રિસર્ચ વિજ્ઞાની તરીકે સ્થાન મેળવી તેણે પોતાનું સ્વપ્ન સિદ્ધ કર્યું.
આગળ જતાં , ગર્લ્સ ગાઈડ સંસ્થાના પ્રેસિડેન્ટ પદે પણ તેણે સેવાઓ આપી છે.
આમ તો આ સાવ ઉપરછલ્લો પરિચય છે. પણ એની આત્મકથાનું આ પુસ્તક જરૂર વાંચશો. એમાં મધ્યમ વર્ગના વસાહતી કુટુમ્બનો ધબકાર અને સ્વપ્ન સિદ્ધિ માટેની સિલ્વિયાની તપસ્યા તમારા દિલો દિમાગને તરબતર કરી નાંખશે.
આ પ્રશ્ન જુલિસાને દિવસ રાત સતાવતો હતો. વારંવાર પૂછવા છતાં, મામી (સ્પેનિશમાં મમ્મી) આ બાબતમાં કશો ફોડ પાડતી ન હતી. ચીઢિયા અને મિજાજી સ્વભાવના પાપીને( સ્પેનિશમાં પપ્પા) પૂછવાનો તો કશો અર્થ જ ન હતો. જુલિસાને માબાપની આર્થિક મુશ્કેલીઓની બરાબર જાણ હતી. છેવટે જુલિસાએ કંટાળીને મામા અને માશીને ફોન કર્યા. એની પર અનહદ પ્રેમ રાખતાં આ સંબંધીઓના સધિયારાથી મેક્સિકોના ગુરેરો પ્રાંતના એમના શહેર ટેક્સકોમાં પાર્ટી માટેના સ્થળના ભાડા અને જમવાના ખર્ચની બાંહેધરી જુલિસાને મળી ગઈ.
મેક્સિકો અને મોટા ભાગના લેટિન અમેરિકન દેશોમાં છોકરી પંદર વર્ષની થાય ત્યારે એની ઉજવણી ધામધૂમથી થતી હોય છે. એને કિન્સેનેરા કહેવામાં આવે છે. દરેક છોકરી માટે આ બહુ ઉત્સાહ અને ઉમંગની ઘટના હોય છે. બાલ્યકાળમાંથી યુવતિ બનવાની એને ખુશાલી હોય છે. સ્વાભાવિક રીતે જુલિસા પણ એનાં સપનાં સેવી રહી હતી.
છેવટે એણે માને આ બાબત જણાવી દીધું – “તમે બન્ને ખર્ચની ચિંતા ન કરતા. મેં મામા અને માશી સાથે આ બધું નક્કી કરી દીધું છે. “
ત્યારે માએ બોમ્બ ધડાકો કર્યો ,”તું અહીં ગેરકાયદે રહે છે. તારો મૂલાકાતી તરીકેનો વિસા તો ક્યારનો ય ખતમ થઈ ગયો છે. હવે તું કદી મેક્સિકો પાછી ન જઈ શકે.”
એ ધડાકા સાથે જુલિસાનો ભ્રમનો અંચળો ચીરાઈ ગયો. એના માથે આભ ટૂટી પડ્યું.
———-
ટેક્સાસના મોટા શહેર સાન એન્ટોનિયામાં જુલિસાનાં માબાપ ઘણાં વર્ષોથી ચાંદી અને બનાવટી મેટલનાં દાગીના મેક્સિકોમાંથી લાવી વેચવાનો ધંધો કરતાં હતાં. અવારનવાર દેશમાં જઈ માલ લઈ આવતાં અને તેમાંથી તેમનું ગુજરાન થતું અને દેશમાં મકાન બનાવવાનો અને દીકરીઓના ભણવાનો ખર્ચ નીકળી જતો . બે દીકરીઓ દેશમાં હતી અને નાની દીકરી જુલિસા અને દીકરો જુલિઓ તેમની સાથે રહેતાં હતાં. જુલિઓનો જન્મ અમેરિકામાં થયો હોવાના કારણે તે તો અમેરિકન નાગરિક હતો. પણ જુલિસા ગેરકાયદેસર વસાહતી હતી.
તે દિવસ સુધી જુલિસા એની સપન ભોમકામાં અને પરદેશની નિશાળમાં વિદેશી બાળકને પડતી જફાઓમાંથી રસ્તો કાઢવાના પ્રયત્નોમાં વ્યસ્ત હતી. પણ આ ધડાકાથી એની દુનિયા સાવ બદલાઈ ગઈ.
જુલિસાનું બાળપણ એના શહેર ટેક્સાકોમાં બહુ આનંદમાં વીત્યું હતું. એને એક માત્ર દિલગીરી હતી કે, એનાં માબાપ એની સાથે ખાસ સમય ગાળતાં ન હતાં. એમને જીવન ગુજારા માટે વેચાણ કરવા મેક્સિકોના વિવિધ શહેરોમાં જવું પડતું. ઘણી વખત તો મહિનાઓ સુધી તેને આ વિરહ સાલતો. ઉપરોક્ત ઘટનાના પાંચ વર્ષ પહેલાં તેઓ અમેરિકાના ટેક્સાસ રાજ્યના સાન એન્ટોનિયો શહેરમાં સ્થાયી થયાં હતાં અને વર્ષે માંડ એક વાર મેક્સિકો જઈ શકતા.
૧૧ વર્ષની ઉમરે જુલિસાને પણ માબાપ સાથે અમેરિકામાં રહેવાની તક મળી. પણ એ સાથે જ એનું જીવન નવી જાતની વ્યથાઓથી ઊભરાવા લાગ્યું. માબાપ સાથે રહેવાનો આનંદ તો દૂર રહ્યો; પણ નિશાળમાં વસાહતી વિદ્યાર્થિની તરીકે સાથી સહેલીઓની ટીકાઓ, અવજ્ઞા અને ખામી ભરેલા અંગ્રેજી ઉચ્ચારોને કારણે ઉપહાસ – એ રોજની બબાલ બની ગયાં. એની મા તો અહીં પણ ભાગ્યે જ ઘેર રહેતી. વેપારમાં બાપની અણઆવડત અને કઠોરતાના કારણે તે જુલિસા અને જુલિઓને સાચવવા ઘેર રહેતો હતો. પણ એની સતત હાજરી, દારૂ પીવાની અનિયંત્રિત આદત, અને નિર્દય વ્યવહાર જુલિસાને માટે વધારાની વ્યથા બની ગયાં હતાં.
જુલિસાની આ વ્યથાઓમાં ઉપર ની ઘટના બાદ પાછા મેક્સિકો ડિપોર્ટ થઈ જવાના ભયનો ઉમેરો થયો. બે વખત માબાપના વેપારમાં સાથીએ બેઇમાની કરી ચાંદીના ઘરેણાંઓ ચોરી લીધા. મધ્યમ વર્ગમાંથી હવે તેઓ સાવ ગરીબીની અવસ્થામાં પટકાઈ ગયાં/ એમને ઘરેણાંનો વેપાર ઓછો કરવો પડ્યો અને મોલ કે વિવિધ ઠેકાણે ફનેલ કેક બનાવી ગુજરાન ચલાવવાની નોબત આવી ગઈ. આ અત્યંત મહેનતનું કામ હતું.
આ બધી વ્યથાઓ વચ્ચે જુલિસાએ નક્કી કર્યું કે, શાળાના અભ્યાસ પર અને અંગ્રેજી પર પ્રભુત્વ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું, અને સ્નાતક બની ઉજળિયાત વ્યવસાયમાં આગળ ધપવું. તેના આત્મબળના પ્રતાપે આ બધી ઉપાધિઓ વચ્ચે પણ, અભ્યાસમાં એની પ્રગતિ થતી ગઈ.
પણ, વિધિની વક્રતા તો જુઓ. એક દિવસ ફનેલ કેક બનાવતાં બળતણની ટાંકી ફાટી અને એની મા સખત રીતે દાઝી ગઈ. ત્રણેક મહિને તે બચી તો ગઈ. પણ તેના મગજને બહુ ઈજા થઈ હતી. આખા કુટુમ્બની આવકનો આધાર એની મા પર હતો. હવે તે બહુ જલદી થાકી જતી અને એની યાદદાસ્ત પણ બહુ નબળી પડી ગઈ હતી. હવે આ કામમાં તેને મદદ કરવાની જવાબદારી પણ જુલિસાના માથે આવી ગઈ.
આમ છતાં તેણે શાળાનો અભ્યાસ બહુ સારા ગ્રેડથી પૂરો કર્યો. હવે કોલેજમાં પ્રવેશ મેળવી, સ્નાતક બનવાનું સ્વપ્ન તેણે સેવવા માંડ્યું. પણ ગેરકાયદે વસાહતીને કઈ કોલેજ પ્રવેશ આપે? સોશિયલ સિક્યોરિટી નંબર ન હોવાના કારણે ૧૦૦ થી વધારે કોલેજોમાંથી જાકારાના આઘાતો જુલિસાને જીરવવા પડ્યા.
દુખિયાંનો બેલી રામ! ૨૦૦૧ની સાલમાં ટેક્સાસની સરકારે જુલિસા જેવાં ગેરકાયદે વિદ્યાર્થીઓને પણ કોલેજ પ્રવેશ મળી શકે, તેવો કાયદો કર્યો. [ house bill 1403, Texas]. અનેક નીરાશાઓ વચ્ચે જુલિસાને માટે આશાનું એક કિરણ ઝળકી ઊઠ્યું. એને ઓસ્ટિનની પ્રતિષ્ઠિત કોલેજમાં બીઝનેસ એડમિનિસ્ટ્રેશન વિષય માટે પ્રવેશ મળ્યો.
પણ, હતાશ બનેલા એના બાપનો સ્વભાવ વધારે ને વધારે બગડતો ગયો. દારૂની લત પણ હવે એના માટે એક રોગ બની ગઈ હતી. આ બધાંના પ્રતાપે છેવટે એનાં માબાપે મેક્સિકો પાછા જવાનું નક્કી કર્યું. હવે જુલિસા એકલી પડી ગઈ. એની બહેન અને બનેવી સાન એન્ટોનિયોમાં સ્થાયી થયાં હતાં – એ જ એનો એક સહારો હતો. પણ અભ્યાસનો ખર્ચ કાઢવા તે શનિ રવિ સાન એન્ટોનિયો જતી અને ફનેલ કેક બનાવી વેચવાનો અત્યંત પરિશ્રમ વાળો ધંધો એકલા હાથે ચાલુ રાખતી.
આ બધા આઘાતોના કારણે જુલિસાનું પોત હવે વજ્જર જેવું બની ગયું હતું. ધીમે ધીમે નસીબ પણ એને યારી આપવા લાગ્યું. બધી જ અગવડોને અતિક્રમીને ૨૦૦૪ની સાલમાં જુલિસા બહુ સારા ગ્રેડ સાથે ગ્રેજ્યુએટ બની શકી. બીજા જ વર્ષે ન્યુ યોર્કના વોલ સ્ટ્રીટની પ્રતિષ્ઠિત કમ્પની ગોલ્ડમેન સાખ્સમાં તેને નોકરી પણ મળી ગઈ. અપ્રતિમ નિષ્ઠા અને થાક્યા વિના કામ કરવાના વર્ષોના મહાવરાએ તે વાઈસ પ્રેસિડેન્ટના પદ સુધી પહોંચી ગઈ. ૨૦૧૧ માં તે પ્રખ્યાત મેરિલ લિન્ચ કંપનીમાં જોડાઈ.
સફળ કારકિર્દીના કારણે જુલિસાને અમેરિકન નાગરિક જીવનસાથી પણ મળી ગયો, જેના પ્રતાપે ૨૦૦૯ની સાલમાં તેને ગ્રીન કાર્ડ મળી ગયું. છેવટે ૨૦૧૪ના ઓગસ્ટ મહેનામાં તેનું અમેરિકન સપનું સાકાર બન્યું અને તે અમેરિકન નાગરિક બની શકી. હવે તો જુલિસા પતિ સાથે લોસ એન્જેલસમાં રહે છે, અને તેના જેવા અનેકને ઇમિગ્રેશન અને શિક્ષણ માટે સલાહ આપે છે. તેમને માટે જુલિસા મસીહા છે.૨૦૧૨માં અન્ય લોકોની સહાયથી તેણે Ascend Education Fund ની સ્થાપના કરી છે. એ ફંડમાંથી અત્યાર સુધીમાં ૫ લાખ ડોલરની સ્કોલરશીપો આપવામાં આવી છે.
પોતાની જીવનકથાનાં બે પુસ્તકો પણ તેણે લખ્યાં છે; જેને જબરો પ્રતિસાદ મળ્યો છે. એના નીચેના પુસ્તકના આધારે જ આ ટૂંક પરિચય બનાવી શકાયો છે.
નીલ સાવ રસ્તા પર આવી ગયો. એક કાર અકસ્માતમાં તેનું ગળું બહુ ગંભીર રીતે ઘવાયું હતું. એક વર્ષ હોસ્પિટલમાં ગાળ્યા બાદ તે પાછો ફર્યો, ત્યારે તેની પત્નીએ તેને છૂટા છેડા આપી દીધા હતા; એટલું જ નહીં – ઘર પર કબજો જમાવી તેને ઘરની બહાર કાઢી મૂક્યો હતો.
એક જમાનામાં પોતાનો સ્વતંત્ર ધંધો કરનાર નીલ રસ્તા પરથી પીણાંઓનાં કેન વીણી, તેના વેચાણમાંથી માંડ જીવન ટકાવી રાખવાની અવસ્થામાં આવી ગયો. માંડ માંડ તેને છૂટક નોકરી મળવા માંડી, પણ જે ઊંચાઈ પરથી તે ગબડ્યો હતો, ત્યાં ફરી ચઢવાનું અશક્ય જ હતું. તેને એક કાયમી નોકરી છેવટે મળી. પણ તેનો મ્હાંયલો મૂંઝાતો જ રહેતો હતો.
નિરાશાના ગર્તામાં ગળાડૂપ ઘેરાયેલો નીલ ૧૯૯૨ની ફેબ્રુઆરીની એક રાતે જાગી ગયો અને ઈશ્વરને ઉદ્દેશીને નિરાશા વ્યક્ત કરતો એક સંદેશ તેણે કાગળ પર લખ્યો.
‘મારા જીવનને શી રીતે કામ કરતું કરવું?’
અને તેના જમણા ખભા પાસેથી તેણે એક અગમ્ય અવાજ સાંભળ્યો
‘તારે આનો જવાબ ખરેખર જોઈએ છે, કે આ માત્ર હૈયાવરાળ જ છે?
તેણે આ જવાબ પણ કાગળ પર ટપકાવી દીધો. અને એક નવી જ પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ. તે પોતાના મનમાં ઊઠતા વિચારો લખે, અને એનો જવાબ કોઈક ગેબી સ્રોતમાંથી આવતો રહે. આ પ્રક્રિયા ત્રણ વર્ષ ચાલુ રહી.
છેવટે ૧૯૯૫માં કોઈ ફેરફાર વિના તેણે આ સવાલ/ જવાબ ભેગા કરી એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું .
અને બાપુ! નીલની ગાડી તો ધમધમાટ દોડવા લાગી. આ પુસ્તકની નકલો ચપોચપ વેચાવા લાગી. નીલ ડોનાલ્ડ વેલ્શની જીવન નૌકા હવે તીરની જેમ સમંદરની પારના ક્ષિતિજને આંબવા લાગી.
૧૩૭ અઠવાડિયાં સુધી ન્યુ યોર્ક ટાઈમ્સના સૌથી વધુ વેચાતા પુસ્તકોની યાદીમાં એના આ પુસ્તકનું નામ ગાજતું રહ્યું. ત્યાર બાદ તો નીલે ૧૨ પુસ્તકો લખ્યાં છે. એ બધાં પણ બહુ જ લોકપ્રિય નીવડ્યાં છે. જગતની ૩૭ ભાષાઓમાં તેના પુસ્તકોના અનુવાદ પ્રગટ થયા છે. તે એક સરસ વક્તા પણ છે અને દેશ પરદેશમાં તેણે અનેક વ્યાખ્યાનો આપ્યાં છે. પોતાના અંતરના અવાજને પ્રેરિત, નવઘોષિત કરે તેવી ઘણી જગ્યાઓની મુલાકાત પણ તેણે લીધી છે. ઘણી પ્રેરક ફિલ્મોમાં પણ તેણે ભાગ લીધો છે ; બનાવી પણ છે. અંગત જીવનમાં કવયિત્રી એની ક્લેર સાથે તેણે લગ્ન કર્યાં છે અને બન્નેને નવ બાળકો છે.
પણ એ યાત્રાની શરૂઆત શી રીતે થઈ – એની અલપઝલપ ઝાંખી આ રહી –
૧૦, સપ્ટેમ્બર -૧૯૪૩ના દિવસે, મિલવાઉકી, વિસ્કોન્સિનમાં યુક્રેનિયન- અમેરિકન/ રોમન કેથોલિક માબાપના ઘેર નીલનો જન્મ થયો હતો. તેની મા પાસેથી તેને ઊંડા ધાર્મિક વિશ્વાસનો વારસો મળ્યો હતો. તેણે જ તેને ઈશ્વરને સજા દેનાર નહીં, પણ પરમ મિત્ર ગણવા શીખ આપી હતી. ૧૫ વર્ષની ઉમરે તેને આધ્યાત્મિક વિચારો આવવાની શરૂઆત થઈ હતી અને એ સંતોષવા તેણે ઘણી જુદી જુદી માન્યતાઓ અને ફિલસૂફીનો અભ્યાસ કર્યો હતો. એમાં રૂગ્વેદ અને રામકૃષ્ણ પરમહંસના વિચારોનો પણ સમાવેશ થાય છે.
તેણે સ્થાનિક યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા પ્રવેશ તો મેળવ્યો, પણ એક વરસમાં જ તેને એમાં કાંઈ રસ ન પડ્યો અને અભ્યાસ પડતો મૂક્યો. મેરીલેન્ડના એનાપોલિસના એક સ્થાનિક રેડિયો સ્ટેશનમાં નીલ નોકરી કરવા લાગ્યો. અહીં વિવિધ જાતના અને વિચારો વાળા લોકો સાથે સંપર્કમાં આવવાની તેને મનગમતી તક મળી ગઈ. અહીં એની ઠીક ઠીક પ્રગતિ થઈ અને એ રેડિયો સ્ટેશનમાં પ્રોગ્રામ ડિરેક્ટર ઉપરાંત સ્થાનિક અખબારના ખબરપત્રી તરીકે પણ તે કામ કરવા લાગ્યો.
વધારે ઊંચી છલાંગ ભરવા તેણે ઓરેગન રાજ્યમાં સ્થળાંતર કર્યું અને જાહેર સંબંધો અને માર્કેટિન્ગ માટેની પોતાની કમ્પની શરૂ કરી.
પણ ઉપર જણાવ્યા મુજબ કાર અકસ્માતમાં તેની દુનિયા રસાતાળ બની ગઈ અને તે રસ્તા પર આવી ગયો. જો આમ ન થયું હોત તો નીલ એક ચીલાચાલુ વ્યવસાયી બની રહ્યો હોત અને નેમ કે નામ વગરનો એક અદનો આદમી જ હોત. ઘણા હવાતિયાં માર્યા બાદ તેને કાયમી નોકરી મળી તો ગઈ, પણ અંતરનો અવાજ વધુ ને વધુ પ્રબળ બનતો ગયો, જેની પરાકાષ્ઠા રૂપે ‘ઈશ્વર સાથે સંવાદ’ નો જન્મ થઈ શક્યો .
હવે તો હજારો લોકો નીલ પાસેથી જીવન સંઘર્ષ માટે પ્રેરણા લે છે. એની વેબ સાઈટ પરથી એની માહિતી મેળવી શકાશે –
૧૯૭૨માં પાકિસ્તાનથી છૂટા પડ્યા બાદ બાંગ્લાદેશની હાલત બહુ જ કફોડી હતી. વિશ્વના સૌથી વધુ ગરીબ દેશમાં તેની ગણતરી થતી હતી. પશ્ચિમ પાકિસ્તાને કરેલ આર્થિક તબાહી, યુદ્ધ અને દર સાલ આવતા ગંગા/ બ્રહ્મપુત્રા નદીના પૂરથી સર્જાતો વિનાશ – આ બધાં પરિબળોના કારણે બાંગ્લાદેશ માટે કોઈ ઊજળા ભાવિનાં એંધાણ જ ન હતા. એ વખતે ફઝલ સાહેબના જીવનની દિશા જ પલટાઈ ગઈ.
૨૭, એપ્રિલ – ૧૯૩૬ ના દિને સિલ્હટના બનિયાચોન્ગ ગામમાં અમીર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. એમના મા બાપના ઉભય પક્ષે સમાજમાં આગળ પડતો ભાગ અને નેતાગીરી લેનારાઓનો તોટો ન હતો. પણ ફઝલભાઈને કિશોરાવસ્થામાં મોટી મોટી સ્ટીમરો બાંધનારા થવાનું ઘેલું લાગ્યું હતું. આ મકસદથી ૧૮ વર્ષની ઉમરે તેઓ ઇન્ગ્લેન્ડના ગ્લાસ્ગોમાં ઉચ્ચ શિક્ષણ લેવા ગયા હતા. પણ ત્યાં ગયા પછી તેમને જણાયું કે, આ માટે માદરે વતનમાં (એ વખતે પૂર્વ પાકિસ્તાન) કારકિર્દી બનાવવા કોઈ શક્યતા ન હતી. આથી ૧૯૬૨માં તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઉપાધિ પ્રાપ્ત કરી. વતન પાછા ફરી તેઓ શેલ ઓઈલ કમ્પનીમાં જોડાઈ ગયા અને ઉત્તરોત્તર બઢતી પામતા ગયા.
પણ ૧૯૭૦ માં આવેલ અભૂતપૂર્વ પૂરના કારણે સર્જાયેલ તબાહી નિહાળી તેમનો અંતરાત્મા જાગી ગયો અને ઉચ્ચ સ્થાન પરની સવલતોમાંથી મન ઊઠી ગયું. તેમણે નોકરીની સાથે સાથે જનસેવાના કામોમાં સહાય કરવાનું શરૂ કર્યું. આ સાથે જ તેમના જીવન ધર્મની તેમને પ્રતીતિ થઈ ગઈ.
તરત જ શરૂ થયેલા, બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે તેમને ત્યાં રહેવું હિતાવહ ન લાગ્યું અને ઇન્ગ્લેન્ડ જતા રહ્યા અને ત્યાં વૈભવી ફ્લેટમાં રહેવા લાગ્યા. ત્યાં પણ તેઓ સ્વદેશના સ્વાતંત્ર્ય માટેની પ્રવૃત્તિઓમાં જોડાયા.
બાંગ્લાદેશ સ્વતંત્ર થયા બાદ ફઝલ વતન પાછા ફર્યા. ભારતમાં હિજરત કરી ગયેલા નિરાશ્રિતો પાછા ફરતાં તેમને પુનર્વસવાટ કરાવવા અને પગભર કરવાની તાતી જરૂર ઊભી થઈ હતી. ફઝલે પોતાનો ઇન્ગ્લેન્ડ ખાતેનો ફ્લેટ વેચી દીધો અને પૂર્ણ રીતે નૈરૂત્ય બાંગ્લાદેશના સુલ્લા ખાતે આ કામમાં જોડાઈ ગયા. બસ, આ જ ઘટના અને ૧૯૭૨માં એક મહાન સંસ્થાની સ્થાપના થઈ ગઈ. .
Bangladesh Rehabilitation Assistance Committee
ત્યાર પછીની આ સંસ્થાની પ્રગતિની ગાથા જગમશહૂર છે. ૨૦૦૨ ની સાલમાં આ સંસ્થાએ આંતરરાષ્ટ્રીય કામગીરી શરૂ કરી અને માત્ર બાંગ્લાદેશના ૮૪ જિલ્લાઓમાં જ નહીં પણ એશિયા અને આફ્રિકાના ૧૦ પછાત દેશોમાં આ સત્કાર્ય ફેલાઈ ગયું.
‘બ્રાક’ સંસ્થા શિક્ષણ, સ્વાસ્થ્ય, નાની નાણાંકીય મદદ (micro-finance) માનવ અધિકાર, માનવ કૌશલ્ય વિકાસ અને ગૃહ ઉદ્યોગના ઉમદા ધ્યેયોને વરેલી છે. તેમનું આ મહાન અભિયાન ઉપાડી લેવા બહુ મોટી ટીમ તેમણે તૈયાર કરી છે. ગરીબીની રેખાની નીચે જીવતાં લોકોની ( ખાસ કરીને સૌથી વધારે અસર જેમના જીવન પર થાય છે, તેવી દરિદ્ર મહિલાઓની) આ સંસ્થા તારણહાર છે. એમને દારૂણ પરિસ્થિતિમાંથી પગભર થઈ આગળ વિકાસ કરવા માટે એક વિશિષ્ઠ યોજના કાળક્રમે ઊભી થઈ છે, અને એનો લાભ લાખો વંચિતોને મળી રહ્યો છે.
વિશ્વભરની સંસ્થાઓએ એમના આ મહાન કામની કદર કરીને ૨૧ જેટલા એવોર્ડ આપી એમનું બહુમાન કર્યું છે – જેમાં રેમન મેગ્સેસે એવોર્ડ મુખ્ય છે. નેધરલેન્ડનો Order of Orange-Nassau શાહી એવોર્ડ પણ તેમને એનાયત કરવામાં આવ્યો છે. ઇન્ગ્લેન્ડની રાણીએ એમને નાઈટહુડની ભેટ આપી છે, જેના કારણે એમના નામની આગળ ‘સર’ નો ખિતાબ જોડવામાં આવે છે.
જોરીનાનો એક જ નાનકડો દાખલો એમના મહાન કાર્યની સાક્ષી પૂરે છે. બાંગ્લાદેશના સાવ પછાત ગામમાં જન્મેલી જોરીનાને કોઈ શિક્ષણ મળ્યું ન હતું. ૧૫ વર્ષની ઉમરે એનાં લગ્ન થઈ ગયાં અને પતિની ક્રૂરતાની હદ તો એ આવી કે, દારૂણ ગરીબીના કારણે બે બાળકો અને જોરીનાને છોડીને એ ભાગી ગયો. આપઘાત કરવાના નિર્ણય સુધી પહોંચી ગયેલી જોરીનાને ‘બ્રાક’નો સહારો મળ્યો અને એનું જીવન પલટાઈ ગયું.
૨૦૦૫ માં એને પોતાના પગ પર ઊભા રહેવાની તાલીમ મળી અને અઠવાડિયે એક ડોલર, બે ગાય અને અઠવાડિક પ્રોત્સાહન માટે સ્વયંસેવકોના સહારા અને માર્ગદર્શન સાથે એના નવજીવનની શરૂઆત થઈ. આજે જોરીનાનું પોતાનું મકાન અને જમીન છે અને એ વિસ્તારમાં સૌથી મોટી દુકાન તે ચલાવે છે. આટલું જ નહીં; પોતાના જેવી અનેક પીડિતાઓની તે ઉધ્ધારક બની ફઝલની મશાલને આગળ ધપાવી રહી છે.
આવી ૨૦ લાખ મહિલાઓની જીવનમાં ‘બ્રાક’ ના પ્રયત્નોથી રોશની ઝળહળી ઊઠી છે.
૨૦૧૯ માં ઢાકા ખાતે શ્વાસ લેવાની તકલીફના કારણે તેમનું અવસાન થયું; પણ તેમના પુત્ર શર્મને તેમનો વારસો આગળ ધપાવ્યો છે.
હા. આ માજી ૩૮૪ વડના ઝાડની મા છે ! ૧૯૧૦ કે ૧૯૧૧ માં કર્ણાટક રાજ્યના તુમ્કુર જિલ્લાના ગબ્બી તાલુકમાં જન્મેલ એ પણ વડની જેમ જ હજુ ખખડધજ છે. બન્ગ્લુરૂથી ૬૩ કિ. મિ. દૂર આવેલા કુડુર અને હલિકલ ગામ વચ્ચેના રસ્તાની બન્ને બાજુએ માજીએ એ વૃક્ષો જાતમહેનતથી રોપ્યાં છે. આમ તો એમનું નામ થિમક્કા છે. પણ સાલુમરાદા (વૃક્ષમાતા) કન્નડ ભાષામાં એમના બહુમાન રૂપે મળેલ લોકજીભનો ખિતાબ છે.
ચાળીસ વર્ષની ઉમરે બાળકને જન્મ ન આપી શકવાના કારણે હતાશ બની ગયેલ થિમક્કાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પણ એના સમજદાર પતિએ એને એ ઉણપના ઉકેલ તરીકે વૃક્ષના છોડ રોપવા પ્રેરણા આપી. બસ, ત્યારથી એ જ લગન એના દિલમાં ઘર કરી ગઈ. આમ તો એણે ૮,૦૦૦ થી પણ વધારે વૃક્ષો રોપ્યાં છે. પણ આ ૩૮૪ વૃક્ષો રોપી, એમની માવજત કરવાના કારણે માજી જગતભરમાં પ્રસિદ્ધ થઈ ગયાં છે.
સાવ નાના ગામમાં જન્મેલી થિમક્કાને કશું શિક્ષણ મળ્યું ન હતું. સમજણી થઈ ત્યારથી જ ખેતરોમાં મજૂરીથી એના સક્રીય જીવનની શરૂઆત થઈ હતી. લગ્ન કરવાની ઉમરે રામનગર જિલ્લાના માગડી તાલુકાના હલ્લિકલ ગામના બિકાલુ ચિક્કૈયા સાથે તેનાં લગ્ન થઈ ગયાં અને બાજુની ખાણમાં મજુરી ચાલુ થઈ ગઈ. આમ તો તેનું જીવન એમ જ પસાર થઈ ગયું હોત, પણ બાળકના અભાવે એની જિંદગીમાં આવેલ વળાંકે એ વૃક્ષમાતા બની ગઈ.
જીવનનો બીજો આઘાત – ૧૯૯૧ માં પચીસ વરસના લગ્નજીવન બાદ તેણે પતિ ગુમાવ્યો. પણ હવે તેનું કુટુમ્બ લીલી હરિયાળીથી છવાયેલું હતું . આથી આ આઘાત તે જીરવી શકી. આમ તો તેને હવે ઘરમાં કોઈ વ્યક્તિની જરૂર સાલતી ન હતી; પણ એક દા’ડો પોતે ય વિદાય લેવી પડશે, અને ‘વૃક્ષો રોપવાનું કામ કોણ ઊપાડી લેશે?’ – એ ખયાલે થિમક્કાએ ઉમેશ નામના યુવાનને દત્તક લીધો છે.
આમ તો આવા નાનકડા ગ્રામ વિસ્તારમાં એણે કરેલ કામની કોને ખબર પડે? પણ ૧૯૯૬ માં એના આ કામની જાણ ભારતના કેન્દ્ર સરકારને થઈ અને તેને રાષ્ટ્રીય નાગરિક સન્માન એવોર્ડ એનાયત થયો. પછી તો સાવ સામાન્ય થિમક્કા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી બની ગઈ અને એની પર એવોર્ડોનો રીતસર વરસાદ વરસવા લાગ્યો .
Nadoja Award,
Karnataka Kalpavalli Award
Godfrey Phillip Award
Vishwathama Award,
અને બીજા ઘણા બધા. બીબીસીની ૧૦૦ સૌથી વધારે અસરકારક અને પ્રેરણાદાયી સ્રીઓના લિસ્ટમાં પણ થિમક્કાનું નામ છે.
પણ એની ચરમસીમા રૂપે ૨૦૧૯ માં તેને પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો ત્યારે તેમનાથી ઉમરમાં ઘણા નાના, ભારતના રાષ્ટ્રપતિ કોવિદે તેમને પ્રણામ કરેલા, ભલી ભોળી થિમક્કાએ એમને આશિર્વાદ પણ આપેલા! તેના હાથે રાષ્ટ્રપતિ ભવનમાં એક વૃક્ષ પણ તેણે રોપી આપ્યું છે.
વુક્ષારોપણ ઉપરાંત તેણે હલ્લિકલમાં વરસાદના પાણીન એ સંઘરવાની ટાંકી પણ બનાવી છે. હવે તેની ઉમેદ ગામમાં હોસ્પિટલ બને તેવી છે.
કોન્ક્રિટના જંગલમાં વસતા આપણે બે ચાર નાના કુંડામાં હરિયાળી વસાવીએ તો ?
૧૧૦ વર્ષના આ માજીની વાત વાંચીને આપણને જાપાનના ઓકિનાવા ટાપુ પર મજાની જિંદગી જીવતાં ૧૦૦ + ઉમરના વયસ્કોની અને એ સુખથી જીવવા માટેના પર્યાય જેવો જાપાની શબ્દ ‘ઈકિગાઈ’ યાદ આવી જાય.
કોઈ કારણસર હાઈવે ટ્રાફિક માટે બંધ હતો. ‘ડાયવર્ઝન’નું બોર્ડ મારેલું હતું. ડ્રાઇવરે ગાડી કાચા રસ્તે લીધી. રસ્તામાં ભરવાડ ઘેટાં-બકરા લઈને નીકળ્યો, સાંકડો રસ્તો હોઈ ગાડી થોભાવવી પડી.
માલવિકા મેડમની નજર નજીકના એક કાચા ગાર-માટીના ઘર પર પડી. એક યુવતી દિવાલ પર સુંદર મજાના મોર, પોપટ અને ફૂલવેલનું ચિતરામણ ગળીથી કરી રહી હતી. ચિતરામણ પૂરું થયું એટલે આંગણું સાફ કરી શાકભાજી વાવેલા તે ક્યારા સાફ કરવા લાગી.
માલવિકા મેડમને તે છોકરી પોતાના એકનાએક, હાવર્ડ યુનિવર્સિટીમાંથી હમણાં જ એમબીએ થઈને આવેલા અને પિતાના ‘બિઝનેસ’માં લાગેલ યુવાન પુત્ર મૌલિક માટે ગમી ગઈ. તેની પારખું નજરે જોયું કે આ છોકરી પાસા પાડ્યાં વગરનો હીરો છે. રસ્તો ખાલી થતાં ડ્રાઈવરે ગાડી આગળ લીધી. સાંજે કામ પતાવી પાછા ફરતાં પણ, તે ઘર આગળથી નીકળ્યા ત્યારે પણ તે છોકરી કંઈક ભરત ભરી રહી હતી અને લોકગીત ગાઈ રહી હતી.
ઘરે આવીને તેમણે બધી વાત તેમના પુત્ર અને પતિને કરી. આપણા મૌલિક માટે મને તે છોકરી ગમી ગઈ છે. તે છોકરી આપણો બિઝનેસ અને ઘર બંને સંભાળી લેશે.
બીજે દિવસે માલવિકા મેડમ તે છોકરી માટે પોતાના પુત્રનું માંગુ લઈને ગયા. તેનું નામ પાંચી હતું. તે ગરીબ ખેતમજુરની દીકરી હતી અને ચાર ધોરણ જ ભણેલી હતી. પાંચીના મા-બાપને થયું આટલા મોટા શેઠના એકનાએક દીકરાને તો છોકરીવાળા માથે પડે. અમ ગરીબની ચાર ચોપડી ભણેલી પાંચી માટે સામું માગું લઈને આવ્યા છે. દીકરીના મા-બાપ તરીકે ચિંતા થઈ.. કંઈ આડું અવળું તો નહીં હોયને? માલવિકા મેડમે ધરપત આપી કે તમે અમારા વિશે તપાસ કરી લો પછી જવાબ આપજો.
પાંચીના પિતાને કંઇ બનાવટ જેવું ન લાગ્યું. તેમણે આ સંબંધ માટે હા પાડી પણ શરત રાખી લગન તો મારા આંગણે મારી ત્રેવડ પ્રમાણે થશે. જાનમાં વીસ માણસો લઈને આવજો.
માલિકા મેડમે હા પાડી. દેશના અતિ ધનાઢ્યના દીકરાના લગ્ન એક ખેત મજુરની દીકરી સાથે તેના જ આંગણામાં સાવ સાદાઈથી થયાં.
માલવિકા મેડમે પાંચીને ક્યારેય કોઈ જાતની રોકટોક ન કરી. ત્રણ વર્ષમાં પાંચી એટલી તૈયાર થઈ ગઈ કે આજે ‘બોર્ડ ઓફ ડિરેક્ટર્સ’ની મિટિંગમાં ‘બિઝનેસ’ની, દેશ-વિદેશની ‘સ્ટ્રેટેજી’ વિશે, ભાવિ આયોજન, નવા પરિવર્તન, સરકારી નીતિનિયમો વિશે.. વિદેશી મહેમાનોની સામે જ્યારે પોતાની વાત વિદેશી ભાષામાં તથા ‘ફરાટેદાર’ અંગ્રેજીમાં કરી ત્યારે બધાએ ઊભા થઈને તાળીઓથી વધાવી. પાંચીમેડમની દૂરંદેશી અને કુનેહના ખૂબ વખાણ કર્યા.
માલવિકા મેડમની પસંદગી માટે શેઠ અને મૌલિકને તો ક્યારેય કંઇ કહેવાપણું ન લાગ્યું. રાત્રે ‘સેવનસ્ટાર હોટલ’ માં ‘ડિનર પાર્ટી’માં ચાંદીના ‘ડિનર સેટ’માં જમ્યા. છુટા પડતી વખતે એક વિદેશી મહેમાને પાંચીના માતા-પિતાને મળવાની ઇચ્છા દર્શાવી. પાંચીએ કહ્યું: “ભલે, કાલે ચાર વાગ્યે જઇશું.”
બીજે દિવસે પાંચીએ, તેમની માતાએ આપેલા સાવ સાદાં કપડાં પહેર્યાં, હાથમાં બંગડીઓ પહેરી, કપાળમાં મોટો ચાંદલો કર્યો. ‘બી એમ ડબલ્યુ’ ગાડી ‘ડ્રાઇવ’ કરીને પોતાના પિતાના ઘરે વિદેશી મહેમાનને લઈ ગઈ.
એક કાચા ઘર આગળ ગાડી ઉભી રહી. પાંચીના માતા-પિતા વેવાઈને સામા આવ્યા, બે હાથ પકડી રામરામ કર્યા. ખાટલો ઢાળી માથે ગોદડું પાથરી બેસાડ્યાં, ખબર-અંતર પૂછ્યાં. એક ગરીબ ખેતમજૂર પાસે દુનિયાની કઈ વાત હોય?! તે, ઉમળકાથી ખેતરની, પોતાની ગાયની, વાડામાં વાવેલ ચીભડાં વગેરેની વાતો કરી. એક ‘એલ્યુમિનીયમ’ની કિટલીમાં ચા લાવી હાથમાં રકાબી આપી તેમાં ચા રેડી. લીંબુના પાંદડાં અને લીલી ચા ઉકાળીને ચા બનાવેલ. ગાયતો વસુકી ગયેલ હોઈ, દૂધતો ઘરમાં ક્યાંથી હોય?
વાતો કરતાં હતાં ત્યાં ગાય સુરાવા મંડી. ગાય વિંયાણી. પાંચીએ કછોટો વાળ્યો અને ગાયને દોહી. બાજરાની ઘઉંરી ખવડાવી. ઓર ઉકરડે નાંખી આવી. ગમાણ સાફ કરી. ગાયને ધુમાળી કરી પછી પોતે નાહીધોઇને તૈયાર થઈ ગઈ. મહેમાન તો જોતાં જ રહી ગયા. તેને થયું ક્યાં કાલની પાંચી મેડમ અને કયા આજની! તેમને અહીં કશો નવો જ આધ્યાત્મિક અહેસાસ થતો હતો. તેમને પોતાના વૈભવ સુખ વામણા લાગવા મંડ્યા.
પાંચીના પિતાએ કહ્યું, “વાળુંનો ટેમ થઈ ગયો છે તો વાળું કરીને જજો.” કોઈ કાંઈ બોલે તે પહેલાં જ મહેમાને કહ્યું, “હા… હા.. જમીને જઈશું.” જમવામાં બાજરીના રોટલા, તુરિયાનું શાક અને ડુંગળી જ હતાં.
જમીન ઉપર બેસીને પતરાવળીમાં જમ્યાં. મહેમાને જમવાનો આવો અમૃતનો સ્વાદ તેની જિંદગીમાં ક્યારેય નો’તો ચાખ્યો. જવા સમયે પાંચીના પિતાએ મહેમાન અને વેવાઈને ‘ધડકી’ ભેટ આપી. પાંચીને ફાળિયાના છેડેથી 10ની નોટ કાઢીને આપી.
વિદેશી મહેમાને પાંચીના નાના ભાઈને બે હજારની પાંચ ‘નોટ’ કાઢીને મોકલાણી આપવા ગયા તો પાંચીના પિતા કહે: “દીકરીના ઘરનું ન લેવાય, અમારામાં અગરજ હોય.” ત્યારે વિદેશી મહેમાનને થયું.. સાચા શ્રીમંત તો આ લોકો છે. જ્યારે મારા વેવાઈને ૫૦૦ કરોડની સહાય કરી, બેન્કમાંથી ૩૦૦ કરોડની ‘લોન’ મારી શાખે અપાવી દીધી તોય વેવાઈને વાકું પડ્યું. જ્યારે અહીં દીકરીના ઘરનું અગરજ હોય.
એક વિદેશી મહેમાન જે અરબપતિ હતો તે, જતી વખતે, એક સાવ ગરીબ ખેતમજુર એવા પાંચીના પિતાને ભેટીને રડી પડ્યાં અને બોલ્યા: “સાચા સુખી તો તમે જ છો.”
કેમ નવાઈ લાગીને આ શબ્દ વાંચીને? પક્ષીગણ તો જીવશાસ્ત્રનો શબ્દ. પણ આ તો જણ છે, જણ – જીવતો જાગતો જણ. પણ અફસોસ! એ સ્પાઈડરમેનની જેમ ઊડી નથી શકતો – એ ઊડતા પક્ષીઓના પ્રેમમાં ગળાડૂબ બની ગયેલો, માણસ’ કહેવાય એવો એક જણ છે!
આમ તો જોસેફ સેકર સાવ સામાન્ય માણસ છે. ચેન્નાઈના રોયાપેટ્ટા વિસ્તારમાં ભાડાના મકાનમાં ૨૭ વર્ષથી તે રહે છે. મકાન પણ પચાસ વર્ષ જૂનું છે અને પાંચ ભાડવાત એમાં રહે છે. વ્યવસાયે તે ઇલેક્ટ્રિશિયન છે અને કેમેરા પણ રિપેર કરે છે. ઘણી વાત ઘરાક ન મળતાં તેને બે ટંક ભેગા કરતાં ફાંફાં પણ પડતા હતા. પણ જોસેફનું દિલ અમીર છે. ૬૩ વર્ષના જોસેફે ૨૦૦૫ ની સાલમાં આવેલ ત્સુનામી વખતે જોયું કે, બે ચાર પોપટ તેની અગાસી પર ચકલીઓએ ન ખાધેલા થોડાક ચોખા શોધવા આમ તેમ ઘૂમી રહ્યા હતા. આમ તો ત્યાં ચકલીઓ અને કબૂતર જ ચણ માટે આવતાં હતાં. તે ઘરમાં પાછો ફર્યો અને થોડાક ચણા લઈ આવ્યો અને અગાસી પર વેરી દીધા. બીજા આઠ દસ પોપટ પણ થોડીક જ વારમાં ત્યાં ભેગા થઈ ગયા અને આનંદની કિકલારીઓ કરવા લાગ્યા.
બસ , ત્યારથી જોસેફને આ નિર્દોષ પક્ષીઓની ભુખ શમાવવાનું ઘેલું લાગ્યું છે. વધારે પક્ષીઓ ચણી શકે અને ચણનો બગાડ ઓછો થાય એ માટે અગાસી પર લાકડાના પાટિયા પર તે રોજ સવારે ૬ વાગે અને બપોરે ચાર વાગે આ પક્ષી વીશી ચાલુ કરે છે!
એક અંદાજ મુજબ, રોજના ૧,૦૦૦ પક્ષીઓ આ લોજમાં પધારે છે. શિયાળામાં તો આ આંકડો ૮,૦૦૦ સુધી પહોંચી જાય છે. આગંતુકોમાં મોટા ભાગે પોપટ હોય છે. પણ કબૂતર અને ચકલી પણ ખરાં જ. એ બે જાતનાં ચણ નીરે છે. પાણીમાં પલાળેલા અને વિટામિન પાવડર ઊમેરેલા ચોખા અને ચણા. પોતાની આવકનો ૪૦ % એ જીવદયાના આ કામમાં વાપરી નાંખે છે. સવારે ચાર વાગે જોસેફ ઊઠી જાય છે અને ૭૫ કિલોગ્રામ ચોખા પલાળી દે છે. કલાક બાદ પાંચ છ ફેરા કરી અગાસી પર ચોખા પીરસે છે.
આ કામ પતી જાય પછી તે મકાનના ભોંયતળિયે આવેલી દુકાન ચાલુ કરે છે. બિમાર હોય અને માંડ ઊડી શકતાં હોય તેવાં પક્ષીઓને તે પોતાના ઘરની હોસ્પિટલમાં સારવાર પણ આપે છે, અને તંદુરસ્ત બની જાય પછી એમને છોડી મૂકે છે. આવાં પક્ષીઓ તો તેનાં મિત્ર બની જાય છે. કોઈક વખત તેને બહારગામ જવાનું હોય, ત્યારે એના કુટુમ્બના સભ્યો આ કામ ચાલુ રાખે છે. આમ ૩૬૫ દિવસ આ અભિયાન પંદર વર્ષથી અટક્યા વિના ચાલુ જ છે.
જોસેફનું આ સત્કાર્ય એટલું તો બધું જાણીતું બની ગયું છે કે,એની આ વીશી ચેન્નાઈના ઘણા પ્રવાસીઓ માટે યાદગાર મુલાકાત લેવાનું સ્થળ બની ગઈ છે!
વાચકોના પ્રતિભાવ