‘વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં
ફરવા જવાનું તો સૌને ગમે. અમુક જણને બહુ ગમે. એને રખડપટ્ટી કહેવાય! પરંતુ ગમે તેટલું ફરો, હરો કે રખડો પણ છેવટે તો ઘેર પાછા જ આવવાનું ને? કહે છે ને કે, ‘પૃથ્વીનો છેડો ઘર.’
પણ કોઈક એવા પણ અલગારી હોય છે, જે રખડ્યા જ કરે. એમને ઘર પાછા ફરવાનો ઉમળકો લગીરે હોતો નથી. કદાચ એમને ઘર હોતું જ નથી!
એક એવા અલગારીની આ વાત છે. એનું નામ છે – પોલ સલોપેક.
એને કોઈ પુછે કે, “તમારું ઘર ક્યાં? “
તો એનો લાક્ષણિક જવાબ છે ,” જન્મ – અમેરિકામાં, ઉછેર – મધ્ય મેકિસિકોમાં, જુવાનીનો મોટા ભાગનો સમય આફ્રિકામાં ઠેર ઠેર રખડપટ્ટી. મારું ઘર જ્યાં હું ઊભો હોઉં, તે એક મિટર x એક મિટર જમીન .“
આ પોલ ભાઈને નેશનલ જ્યોગ્રાફિકે એક કામ સોંપ્યું છે – રખડયા કરવાનું! અને કોઈ વાહનમાં નહીં – બસ પગપાળા પ્રવાસ જ! દુનિયાના ચારેય ખંડોને આવરી લેતી આ સફર આફ્રિકાના જિબુતી દેશમાંથી જાન્યુઆરી – ૨૦૧૩ માં શરૂ થઈ હતી. ૨૧,૦૦૦ માઈલ લાંબી અને દસેક વર્ષ સુધી ચાલુ રહેનારી આ સફર આર્જેન્ટિનાના છેક દક્ષિણે આવેલ ટેરા ડેલ ફુએગોમાં પૂરી થશે. હાલમાં પોલ ભારતમાં છે.
એના પ્રવાસી અનુભવો જાતજાતના છે અને ભાતભાતના લોકો સાથે છે. પંજાબમાં એની સાથે રસ્તા પર ચાલી રહેલા ખેડૂત યુવાનોનો ધખારો છે – ગમે તેમ કરીને ન્યુઝિલેન્ડ પહોંચી જવું અને જીવનમાં નવો નિખાર લાવવો. આવા તો અસંખ્ય અનુભવો પોલને આટલા વર્ષોમાં થયા છે, થતા રહે છે. એનો એક ઇન્ટરવ્યૂ લાંબો છે, પણ નીચેની લિન્ક પર વાંચવા જેવો છે
https://www.nationalgeographic.com/travel/intelligent-travel/2015/08/07/walking-the-world-with-paul-salopek/
પોલના સચિત્ર અનુભવો નેશનલ જ્યોગ્રાફિકાની વેબ સાઈટ પર અપડેટ થતા રહે છે.
આપણને સ્વાભાવિક રીતે થાય કે, ‘શું કામ આ બધા ઉધામા?’
વાત એમ છે કે, નેશનલ જ્યોગ્રાફિકે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે ‘Out of Eden walk’ એ પ્રોજેક્ટને સમજવા આપણે માણસજાત આખી દુનિયા પર શી રીતે ફેલાઈ ગઈ, તે વિશે થોડુંક જાણવું જોઈશે. આમ તો આ બહુ મોટો વિષય છે. ઇથિયોપિયા, જિબુતી દેશોના વિસ્તારમાંથી સૌથી જૂનું માનવ હાડપિંજર મળી આવ્યું હતું. (આશરે ૩૨ લાખ વર્ષ જૂનું ) એક માન્યતા પ્રમાણે એ સ્ત્રીને માનવ જાતની આદિમદાદી ગણવામાં આવે છે! આ શાસ્ત્રના તજજ્ઞોમાં એ લ્યુસી તરીકે જાણીતી છે.
એક માન્યતા એવી છે કે, ત્યાંની માનવ વસ્તીની નાની નાની ટુકડીઓ જાતજાતનાં કારણોને લીધે આગળ અને આગળ વધતી ગઈ અને લાખો વર્ષોના અંતે આખી દુનિયામાં ફેલાઈ ગઈ. જો કે, આ માન્યતાને પડકારતા બીજા પુરાવા પણ મળ્યા છે. પણ અહીં આપણે એ ચર્ચામાં નથી પડવા માંગતા.
નેશનલ જોગ્રાફિકે ‘આ માન્યતા મુજબના રૂટ પર હાલ શી હાલત છે?’ – એ જાણવા આ પ્રોજેક્ટ વિચાર્યો હતો અને એ કામ પોલ ભાઈને સોંપ્યું હતું. એણે આખા રૂટ પર ચાલતા જઈને જાતતપાસ કરવાની છે કે, ‘હાલમાં આ રૂટ પર માનવ હિજરત જારી છે કે, કેમ? અને એનાં શાં કારણો છે?’
જ્યાં જ્યાં પોલ રખડયો, ત્યાંથી એ બાતમી લાવ્યો છે કે, માણસને એક સ્થાયી સ્થિતિ સ્વીકાર્ય નથી, અને તે હમ્મેશ હિજરત કરતો આવ્યો છે. ઘણી વખત આવી હિજરત મજબૂરીના કારણે પણ થતી હોય છે. ગરીબી, ભૂખમરો, જાતિ જાતિ વચ્ચેના સંઘર્ષો, ધાર્મિક અસહિષ્ણુતા વિગેરે અનેક કારણોના લીધે માણસ પોતાનું વ્હાલું વતન છોડવા મજબૂર બની જતો હોય છે. આવી અનેક દુખિયારી જનતાનો અને એમની વ્યથાઓનો પોલે અનુભવ કર્યો છે. એમના માટે એના દિલમાં દર્દ અને સહાનુભૂતિ છે.
પણ મજબૂરીથી થતી હિજરતની વ્યથાઓ બે ત્રણ પેઢી પછી હળવી બની જતી હોય છે અને હિજરતી જાત નવા સમાજમાં સમાઈ જતો હોય છે. વખાના માર્યા ગુજરાત આવેલા પારસી લોકો આનું સરસ ઉદાહરણ છે. કેરાલાના સિરિયન ખ્રિસ્તી લોકો પણ આવી જ રીતે ભારતીય સમાજમાં ભળી ગયેલી જાતિ છે.
સાથે સાથે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા પણ માણસ કાયમને માટે વતન છોડતો હોય છે. આખી દુનિયામાં ફેલાઈ ગયેલા ડાયાસ્પોરા ગુજરાતીઓ અંગે આપણને સૌને ખ્યાલ છે જ. અમેરિકાના બન્ને ખંડના બધા દેશો પણ મૂળ હિજરતી લોકોના સ્વદેશ બની ગયા જ છે ને?
વેપાર માટે પણ સોદાગરો સૈકાંઓથી દૂર દૂર જઈ, સસ્તી કિમતમાં માલ ખરીદી વતનમાં એની ઉપર અઢળક નફો પણ રળતા આવ્યા જ છે ને? એ સ્વાર્થી વેપારી રસમ ભલે હોય, પણ એના કારણે માનવજાતિઓ વચ્ચે અનેક જાતનાં આદાન પ્રદાન પણ થયાં જ છે. એક માન્યતા એવી પણ છે કે, આવાં આદાન પ્રદાનના કારણે પણ જ્ઞાન અને વિજ્ઞાનનો વિસ્તાર થયો છે.
વૈશ્વિક સ્તરે એક નાનું જૂથ એમ પણ માને છે કે, માણસજાત અત્યારે જે તબક્કે આવીને ઊભી છે, તેમાં વૈશ્વિક નાગરિકતા સ્થાપિત કરવાનો સમય પાકી ગયો છે. દેશ દેશ વચ્ચેના સીમાડા ભૌગોલિક નકશાઓમાં નથી હોતા! ‘વિશ્વમાં કોઈ પણ માણસને પોતાની હાલત સુધારવા હિજરત કરવાનો હક્ક હોવો જોઈએ.’ – એ પ્લેટોનિક ખ્યાલ ભલે હોય, પણ એના વિશે જાગરૂકતા વધતી જાય છે.
પોલના એક સરસ વિચાર સાથે આ લેખનું સમાપન કરીએ –
The world is growing complicated. To understand it, we don’t need more information, we need more meaning. A walked journey spanning four continents and seven years is just one way to try and tackle this challenge.
Like this:
Like Loading...
Related
very interesting and inspiring story of paul Salopek
બાળપણ માં માધ્યમિક શાળા ના પાઠ્ય પુસ્તક માં એક કવિતા હતી, તેની દોઢ પન્ક્તિઓ યાદ રહી ગયેલ છે જે આ હતી
ભમરા ને ફરવાની લાલચ, રખડે દિન આખો યે
સાંજ પડે પણ ઘેર ન આવે …………………………..
કદાચ આ સાચું હોય : કોલંબસે સમુદ્ર માં રખડતા રખડતા અમેરિકા શોધી કાઢયું
________________________________
Pingback: નદીની રેતમાં રમતું નગર – વેબગુર્જરી
Pingback: નદીની રેતમાં રમતું નગર – ગઝલાવલોકન | સૂરસાધના
કર્મવીર તથા પ્રક્ષાવાન શાક્ષરોને તે શબ્દો અર્પણ કરવા યોગ્ય છે.
થાકે, ન થાકે છતાંયે
હો માનવી, ન લેજે વિસામો !
ને ઝૂઝજે એકલ બાંયે
હો માનવી, ન લેજે વિસામો .
ઝાંખા જગતમાં એકલો પ્રકાશજે,
આવે અંધાર તેને એકલો વિદારજે,
છો ને આ આયખું હણાયે
હો માનવી, ન લેજે વિસામો !
કર્મના મર્મને સમજીને જીવતર જીવી જનાર લોકોને સમાજ કદી ભૂલી શકતો નથી.
તેમનું ઋણ સમાજ પર હંમેશા રહે છે.આફતાબ-આફતાબ . સૂર્ય જેમ સતત પ્રવૃત્તિશીલ-ગતિશીલ રહે છે અને આરામ કરવા માટે રજા રાખતો નથી તેમજ માણસે જીવવું જોઇએ. ભાવનગર રાજ્યના દીવાન પદે રહી ચૂકેલા સર પ્રભાશંકર પટૃણીને જીવનની સંધ્યા ટાણે આરામ કરવાને બદલે ગામડાઓમાંફરતા જોયા ત્યારે જે શબ્દો (ઝૂલણા છંદમાં) લખાયા તે ખૂબ જ સુંદર તથા માણવા યોગ્ય છે.
આભના થાંભલા રોજ ઉભા રહે
વાયુનો વીંઝણો રોજ હાલે,
ઉદય અને અસ્તના દોરડા ઉપરે
નટ બની રોજ રવિરાજ મ્હાલે,
ભાગતી ભાગતી, પડી જતી પડી જતી,
રાત નવ સૂર્યને હાથ આવે,
કર્મવાદી બધા કર્મ કરતા રહે
એમને ઉાંઘવું કેમ ફાવે ?
નીર સાગર તણાં સ્થિર રેતા નથી
ધીર ગંભીર દિન રાત જાગે,
સામટી સરિતા પાણી પાતી રહે
તોય નવ આપનો ગુણ ત્યાગે
ઓટમાં કદીયે આંસુ નથી પડતો
ભરતીમાં નથી છલકાઇ જાતો
જગતને કર્મના પાઠ સમજાવતો
ભરતીને ઓટમાં લહેર કરતો
દેવ વસુદેવ ને દેવકી કેદમાં
કૌરવો સતી તણાં ચીર ઝોંટે,
ધર્મને કર્મ બે સાથ હાકલ કરે
શામળો સેજમાં કેમ લોટે ?
લાલ ચક્રો ફરે ઘોર પરદેશના
દુઃખનો અગન-રસ વહે જ્યાંથી
ભારતી આરતી નાદ ઉચ્ચારતી
ગાંધીને હોય આરામ ક્યાંથી ?
કવિ શ્રી કાગ લખે છે કે, કુદરતનું સમગ્ર ચક્ર સ્વયં કર્મમાં રત રહીને પોતાનું હોવાપણું સાર્થક તેમજ સાબિત કરે છે. સાંઇ મકરંદ લખે છે તેમ રોજ સવારે કુદરતના હસ્તાક્ષર સાથે ‘‘સૂરજનું પત્તુ‘‘ જગતને નિયમિત મળતું રહે છે. ઋતુચક્ર સતત બદલાતું રહે છે. આપણું ધ્યાન ન હોય તો પણ વસંતના વધામણાં કરીને કોયલ તેના આગમનની છડી પોકારે છે. મેઘાડંબરનું સૌંદર્ય દર્શન અષાઢ આવતાંજ સહેજે નજરે પડે છે. સારા દિવસો તથા નબળા દિવસો પચાવીને પણ સમુદ્ર તેની પ્રક્રિયા નથી ચૂકતો કે નથી વ્યાકૂળ થતો. વાયુ પોતાની ગતિ થકી જ ધીમા સ્વરે કર્મનો સંદેશો ગણગણાવતા નિત્ય વહેતા રહે છે. કૃષ્ણ કે ગાંધીએ જ્યાં અસત્ય અન્યાય જોયા ત્યાં દોડીને જવાના કર્મના ઉજળા પાઠ તેમના જીવનકાર્યો થકીજ આપણને શીખવ્યા છે. આથી આ મહામૂલા જીવનમાં અકર્મણ્યતાને સ્થાન હોઇ શકે નહિ. કર્મયોગીનું જીવન આજની તથા આવતી કાલની પેઢીઓને ચરૈવતી….ચરૈવતી….નો અર્થસભર સંદેશ ચિરકાળ માટે સંભળાવતું તથા પ્રેરણા આપતું રહેશે તે નિર્વિવાદ છે
Pingback: The woes of senior citizens | Expressions