ગદ્યસુર

વૃક્ષ અને વેલી – એક અવલોકન

July 9, 2009 · Leave a Comment

વસંત ઋતુની શરુઆત હતી. હું પાર્કમાં ચાલવા ગયો હતો. ચોમેર શીયાળાની ભુખ્ખડતાનું સ્થાન લીલીછમ  હરીયાળીએ લઈ લીધું હતું. એક વૃક્ષ પર નજર ઠરી. એના થડને વીંટળાયેલી વેલીના લીલાં છમ પાન પણ દેખીતા રુક્ષ થડને લીલું છમ બનાવી રહ્યાં હતાં.

હું નજીક ગયો અને જોયું તો વેલ થડને બાથ ભરીને વીંટળાયેલી હતી. મેં આ આલીંગનને તોડવા પ્રયત્ન કર્યો. પણ એ બહુ ગાઢ આશ્લેષ હતો! સખત પ્રયત્ન કરીને હું આમ કરવા સફળ થયો. પણ આ શું? ઠેકઠકાણે વેલીએ ઝાડના થડને વીંધીને, છેક અંદર સુધી મુળ ઘાલ્યાં હતાં –  અને તે પણ અનેક ઠેકાણે. વેલને વૃક્ષના રસમાંથી પોષણ મળતું હતું. એ તો સાવ પરોપજીવી હતી. મહામહેનતે પેદા કરેલા ઝાડના જીવનરસનો એ મફતીયા ઉપભોગ કરતી હતી.

મેં એ વેલને કાપી નાંખી.

ગઈકાલે  બે મહીના બાદ ફરીથી હું એ જ વૃક્ષ પાસેથી પસાર થયો. ઉનાળાની ગરમી સવારના દસ વાગે પણ લુ વરસાવી રહી હતી. બરાબર મારી અમદાવાદી સવાર જેવી એ સવાર હતી! મને વેલ તોડી નાંખ્યાની વાત યાદ આવી ગઈ. મને એમ કે, ‘મુળથી ઉચ્છેદન પામેલી એ વેલ મૃતપ્રાય જ થઈ ગઈ હશે ને?’

અને મારા આશ્ચર્ય વચ્ચે, એ વેલ તો મઝાથી વીલસી રહી હતી. ઉલટાની વૃક્ષ ઉપર એ વધારે ઉંચે સુધી પહોંચી  ગઈ હતી. મેં જ્યાંથી એને કાપી હતી, તેની નજીકથી બે એક ઈંચ જેટલો છેડો ફરીથી કાપ્યો. એ મુળ સાવ સુક્કાં લાગ્યાં. વૃક્ષની સંસ્થીતીએ (સીસ્ટમ) પોતાની બધી તાકાત લગાવી , મારી જેમ જ વેલને મફતનું પોષણ મેળવતાં અટકાવવા, નીષ્ફળ પ્રયત્ન કર્યો હતો.  પણ દેખીતી રીતે, વેલનું પરોપજીવીપણું  એના ફેલાવાને રોકવાના વૃક્ષના કે મારા પ્રયત્નોથી વધારે તાકાતવાન હતું.

અને મન વીચારે ચઢી ગયું ..

માનવસમાજને ભરડો નાંખી, એનાં રસકસ ચુસી લેતી આવી તો કેટકેટલી વેલીઓ હાજરા હજુર હોય છે? પુર્વગ્રહો, ધીક્કાર, ક્રુરતા, સ્વલક્ષીતા, દુર્જનતા, વર્ગ વીગ્રહ, જાતી અને જ્ઞાતી ભેદ, ધાર્મીક અને વૈચારીક મત મતાંતરો, શારીરીક/ વૈચારીક/ આર્થીક હીંસા, અત્યાચાર, આતંકવાદ… ગણી ન ગણાય એટલી સામાજીક વીષવેલો… એને ગમે તેટલી ઉખાડો એમનું આક્રમણ તો જેમનું તેમ જ. એમાં મીનમેખ ફરક ન પડે. ભલે ને મહાન વીચારકો અને સંતો મથી મથીને મરી જાય. અનેક ઈસુઓ વધસ્થંભ  પર ખીલે ઠોકાતા રહે. આ વીષવેલનો તો  કોઈ અંત જ નહીં. ગમે  એટલા અવતાર ઉપરવાળો  ધારણ ન કરે, ‘શેઠની શીખામણ .. ઝાંપા સુધી’ જ રહેવાની?

એટલીજ આશાયેશ કે, જ્યાં સુધી મહેનત કરીને  જમીનમાંથી  છેક ટોચ સુધી પોષણ આપતું વૃક્ષનું જીવન તત્વ બળવાન છે; અરે ! નાનકડા ઘાસનાં તણખલાનું તત્વ પણ પૃથ્વી પરના જીવનને પોષણ આપવાનો શ્રમ કરી રહ્યું છે; જ્યાં સુધી પાયાનો છેવાડાનો માણસ  જીજીવીષા અને જીવન સંઘર્ષની લગોલગ પાયાનું પ્રદાન કરતો રહેશે; જ્યાં સુધી સમાજના મોભી જેવા ધીંગા સજ્જનો અને સન્નારી રત્નો અથાક પ્રયત્નોથી સમાજના પોતને સુરેખ રાખવા પ્રયત્નશીલ છે……

ત્યાં સુધી જીવનની સતતતા અક્ષુણ્ણ રહેવાની છે.

સલામ એ મુળને!  સલામ એ ઘાસના તણખલાને! સલામ એ પાયાના છેવાડાના અદના આદમીને! સલામ એ સમાજના મોભીઓને! સલામ એ માતૃત્વને! સલામ એ જીવનના પાયાના તત્વને !

→ Leave a CommentCategories: અવલોકન · સુરેશ જાની

ઈશ્વરનો જન્મ

July 7, 2009 · 4 Comments

ગીચ જંગલમાં, ઝાડની એક ડાળી પર, સાંજના ધુંધળા ઉજાસમાં મનુ ફસાયેલો પડ્યો હતો. આખી બપોર તે એક હરણના શીકાર માટે તેની પાછળ દોડતો રહ્યો હતો. આમ તો જો કે તે નીશાન  તરફ પથ્થર ફેંકવામાં પાવરધો હતો; પણ આ હરણ તેનાથી વધારે ચપળ હતું. મનુનાં બધાં નીશાન તેણે ચુકવી દીધાં હતાં અને મનુની કમર પરની ચામડાની કોથળીમાં સંઘરેલા બધા પથ્થર પણ ખલાસ થઈ ગયા હતા. ઘાસ અને ઝાડીથી ભરેલી જંગલની જમીન પરથી તે બીજા પથ્થર વીણી લે એટલી વારમાં તો એ ચાલાક હરણું ગીચ ઝાડીઓની  પાછળ રફુચક્કર થઈ ગયું હતું.

મનુ ગુફાવાસી હતો. તેની બે પત્નીઓ અને પાંચ બાળકો સાથે જંગલના એક કોરાણે આવેલા પર્વતની ગુફામાં એ રહેતો હતો. બીજાં કુટુમ્બો પણ આજુબાજુની ગુફાઓમાં રહેતાં હતાં. શીકાર કરવો અને ઝાડ પરથી ફળો અને સુકા મેવા પાડવા; આ બે પર જ એમનો ગુજારો થતો. આમ તો બધા પુરુષો સાથે જ  શીકાર માટે સવારે નીકળી પડતા. પણ તે દીવસે મનુ તેમનાથી અનાયાસ વીખુટો પડી ગયો હતો. આ કમબખ્ત હરણનો પીછો એકધ્યાનથી કરવામાં આમ બન્યું હતું.

ઝાડીઓમાં તે હરણની ભાળ મેળવતાં મેળવતાં, તેને બે લીલી ચળકતી આંખો દેખાણી. તેની ચાલાક આંખોને સમજતાં વાર ન લાગી કે કોઈક જંગલી અને માંસાહારી જાનવર તેની તરફ ધ્યાનથી તાકી રહ્યું હતું. અને મનુ ભાગવાનો વીચાર કરે તે પહેલાં જ એક જોરાવર વાઘ ઝાડીમાંથી તેની તરફ લપક્યો. અને લો ! શીકારીનો જ શીકાર થઈ જવાની નોબત બજી !

બીજી તરફની ખુલ્લી જમીન પર મનુ એની બધી તાકાત ભેગી કરી, મુઠીઓ વાળીને ભાગ્યો. અને એ વાઘે તેનો પુર ઝડપે પીછો કર્યો. મનુને ખબર પડી ગઈ કે તેનાથી એ વાઘ કરતાં વધારે ઝડપથી દોડી શકાય તેમ ન હતું અને થોડીક જ વારમાં વાઘ તેનો કોળીયો કરી જશે.

મનુને તરત જ સુઝ્યું કે, પોતે ઝાડ પર ચઢી જાય તો જ મોતના આ સાક્ષાત પીછામાંથી બચી શકે. તે નજીકના એક ઝાડ તરફ ગાંડાની માફક દોડ્યો અને ઠીક ઠીક ઉંચે પણ ચઢી ગયો. પણ વાઘે ઉંચા થઈને એક થપાટ તો મારી જ લીધી અને તેના ઘુંટણને ચીરી નાંખ્યો. મનુ અત્યંત પીડામાં ચીસ પાડી ઉઠ્યો. તેના ડાબા પગમાંથી દડ, દડ, દડ લોહી નીતરતું હોવા છતાં; બધી તાકાત ભેગી કરીને વાઘ તેને પકડી ન શકે એટલી ઉંચાઈએ તો તે ચઢી જ ગયો. તેને લાગ્યું કે તે બેભાન થઈ જશે. પણ તેણે ઉંડો શ્વાસ લઈ, દાંત ભીડી, તેના બન્ને હાથે ઝાડની એક ડાળી સાથે બાથ ભીડેલી રાખી.

અને આ જ સ્થીતીમાં તે સખત હાંફતો પડ્યો રહ્યો. વાઘ તેના નીચે પડી જવાની રાહ જોતો, ઝાડની નીચે જ ઉભો રહ્યો. લાગ જોઈને અને થોડીક કળ વળતાં, તે થોડોક વધારે ઉંચે, સલામત જગ્યાએ ચઢી ગયો. વાઘને બદલે દીપડો હોત તો તો તે ક્યારનોય મરણ શરણ થઈ ગયો હોત, તે વીચારે તેને પોતાનું નસીબ કાંઈક સારું લાગ્યું.

આમ ને આમ કલાકેક વીતી ગયો.  સુરજ  ક્ષીતીજની પાર જવા માંડ્યો અને અંધારું ઘેરાવા લાગ્યું. નીચે વાઘ પણ દેખાતો બંધ થઈ ગયો. અને આ જ સમે તેને ક્યાંક બાજુમાંથી એક સીસકારો સંભળાયો. સાવ આછા પ્રકાશમાં તેને બાજુમાંથી કાંઈક સળવળાટ થતો જણાયો. કશુંક લીસ્સું તેને સ્પર્શીને સરકી રહ્યું હતું. કાળોતરો નાગ તો નથી ને ?  ભયનું એક લખલખું તેના શરીરમાં ફરી વળ્યું. તેણે ચુંચી નજર કરીને આજુબાજુ જોઈ લીધું. સદ્ભાગ્યે એક વેલો  તેની સાવ નજીકમાં લબડતો હતો.  તેણે બધું બળ એકઠું કરી તેને પકડી, ગાંડા વાંદરાની જેમ હીંચ્યો. જુની આવડતથી તે ઝાડની બીજી ડાળી પર આવી પહોંચ્યો અને મરજીવાની જેમ, વેલો છોડી તે ડાળી તેણે પકડી લીધી. તે માંડ માંડ નીચે પડવામાંથી બચ્યો. તેના ડાબા પગમાં જબરદસ્ત સણકારો  તો થયો જ , પણ એની તરફ લક્ષ્ય આપવાનું તેને પોસાય તેમ ક્યાં હતું ?

અને આ ડાળી ઉપર જ મનુ અમાસની એ કાજળ કાળી રાતમાં પડેલો રહ્યો. આખા દીવસનાં ભુખ અને સખત પરીશ્રમને કારણે તેના પેટમાં તો વણાંચુટાં થતાં હતાં. દુર ક્ષીતીજમાં કાળાં ડીબાંગ વાદળો ઘેરાયેલાં હતાં. તે વધારે ને વધારે ઘનઘોર થવાં લાગ્યાં અને છેવટે ઝરમર ઝરમર ટીપાં પડવાની શરુઆત પણ થઈ ગઈ. થોડી વારમાં જ તો હળવી બુંદાબાંદી અને પછી તો બારે મેઘ મુશળધાર તુટી પડ્યા. તે બરાબર લથપથ થઈ ગયો હતો અને અશક્તીમાં કણસતો હતો. શીયાળાની તે નીષ્ઠુર રાતે ઠંડો, જલ્લાદ જેવો પવન પણ તીણા સુસવાટા મારતો, તેના શરીરને આરપાર વીંધી નાંખતો હતો.  તેની કાયા ઠંડી અને ભયના કારણે થરથર ધ્રુજતી હતી. આટલું અધુરું હોય તેમ, તેને બીજા ભયની કલ્પના થવા લાગી કે આ દુશ્મન વરસાદે ગુફામાં સલામત પાછા ફરવાના જંગલમાં રસ્તે છોડેલાં બધાં જ સગડ ધોઈ નાંખ્યાં હશે.  અને વળી સાંજની આ ભયાવહ ઘટનામાં ગુફા તરફની દીશાનો અંદાજો તો તે ક્યારનોય ગુમાવી ચુક્યો હતો !

મનુને લાગ્યું કે, તેનું મરણ હવે નીશ્ચીત છે. તે શબની જેમ ડાળી પર જેમ તેમ લટકેલી દશામાં પડ્યો રહ્યો. આ અવસ્થામાં તેની આંખો ક્યારે મીંચાઈ ગઈ, તેની તેને ખબર જ ન પડી.  તેની આ દયામણી નીયતીમાં, પોતાના  જીવનના કરુણ અંતના સપનાની ભયાવહ દુનીયામાં તે ખોવાઈ ગયો. મોંમાંથી ભયાનક આગ અને ઝેર ઓકતા, ઉડતા ડ્રેગનોએ તેને ચારે  તરફથી ઘેરી લીધો હતો. ભયની પરાકાષ્ઠાની તીવ્ર લાગણી સીવાય કશું જ તેના હોવાપણામાં બાકી રહ્યું ન હતું.

તેની આવી અવસ્થા કંઈ કેટલાય સમય માટે જારી રહી. અને એવી જાગ્રત–અજાગ્રત અવસ્થામાં જ ક્યાંકથી વહેલી સવાર સળવળવાટ કરવા  લાગી. ઘેરાં વાદળો તો ક્યારનાંય સમેટાઈ ગયાં હતાં. રહ્યાં સહ્યાં  વાદળોની આડશમાંથી, દુર દુરથી સુર્યનાં પહેલાં કીરણો અંધકારનાં અંચળાને હળુ હળુ સમેટવાં લાગ્યાં.  ઉષાના એ ઝાંખા ઉજાસમાં તેના શબવત શરીરમાંથી તેની પાંપણો, જીવનના રહ્યા સહ્યા અસ્તીત્વને ઝંકૃત કરતી ખુલી. ન કશો  વીચાર, ભય કે મૃત્યુની કોઈ લાગણી પણ હવે બચી હતી. જીવન અને મૃત્યુની વચ્ચેની એ કોઈક અણજાણ અવસ્થા હતી. તેની ખુલ્લી આંખો શુન્યવત્ બનીને આકાશના ઝાંખા ઉજાસને તાકી રહી અને એમાં ધીમે ધીમે વધુ ને વધુ પ્રકાશ પ્રવેશતો રહ્યો.

ઝાડની ડાળીઓની આડશમાંથી તેણે દુર દુર કાળા આકાશમાં વાદળો આકાર લેતાં જોયાં. ધીમે ધીમે તેને તેનો આકાર દેખાવા માંડ્યો. એનો રંગ પણ ધીમે ધીમે બદલાવા માંડ્યો. પહેલાં થોડોક રાખોડી, પછી આછો પીળો, પછી હળવો કેસરી, પછી ઘેરો કેસરી, પછી લાલાશ પડતો અને છેવટે અંગાર જેવા લાલ રંગોમાં   વાદળો રંગાયાં. આ લાલચોળ વાદળોને વીંધીને એમની વચ્ચેથી સુર્યનાં પ્રથમ કીરણો તેની સમક્ષ આવી ઉભાં. કોઈ મહાન અસ્તીત્વની વીશાળ અને લાલચોળ આંખ ઉભરવા માંડી. તેનું સમગ્ર હોવાપણું એક ઉંડી એકલતામાંથી આળસ મરડીને અંગડાવા લાગ્યું. હળુ–હળુ તેના શરીરમાં જીવનનો આછો–પાતળો સંચાર થવા લાગ્યો. કશાય આકાર કે રુપ વીનાનું, અજાણ્યું અને અતીવીશાળ હોવાપણું તેના સમસ્ત હોવાપણાને ઘેરી વળ્યું હોય તેવી અનુભુતી તેને થવા માંડી. એ લાલચોળ આંખમાંથી સુર્યનાં સોનેરી કીરણો રેલાવા માંડ્યાં. તે જાણે કે, એને કાંઈક કહી રહ્યાં હતાં. એનો એ ગુપ્ત સંદેશ તેનું જાગૃત મન ઝીલી શકે તેવા કોઈ જાણીતા શબ્દ કે ઈશારા વીનાનો હતો. એ સંદેશની તો તેનું હોવાપણું માત્ર અનુભુતી જ કરી શકે તેમ હતું – કોઈ સમજણ તો નહીં જ.

આ સાવ નવા નક્કોર અનુભવથી તેના રોમેરોમમાં કોઈક અજાણી ઝણઝણાટી થઈ આવી. અને આ નુતન અનુભુતીના આવીર્ભાવે તેની જીવંતતા પણ ધીમેથી સંચાર કરતી સળવળવા લાગતી હોય તેમ તેને લાગવા માંડ્યું. તે અ–હોવાપણામાંથી હોવાપણામાં ધીમા પગરવ પાડી રહ્યો હતો. તેનાં અંગ–પ્રત્યંગ ધીમે ધીમે જાગૃત થવાં માંડ્યાં અને  નુતન જીવનના પગરણ તે અનુભવી રહ્યો. તેના પગનો દુખાવો અને પીડા આશ્ચર્યજનક રીતે ઓછાં થઈ ગયાં હતાં. મનુ ધીમે ધીમે ડાળ પરથી નીચે ઉતરવા લાગ્યો. છેવટે થડ પરથી સરકીને જમીન પર આવીને ઉભો અને કોઈ ઈચ્છા વગર, દીશાના કોઈ ભાન વગર કે તે શોધવાની કોઈ આકાંક્ષા વગર ચાલવા લાગ્યો.

કોઈક અજાણી તાકાત તેને ચાલવા અને ચાલતા જ રહેવા માટે   લાલાયીત કરી રહી હતી. હવે સુર્ય તો ઉંચો આવી ગયો હતો અને પેલા અજ્ઞાત હોવાપણાની મહાકાય આંખ પણ અદૃશ્ય થઈ ગઈ હતી. બધાં વાદળોને વાયરો વાળી ગયો હતો. પ્રગલ્ભ અને તરોતાજા સવારમાં તે ક્યાં જઈ રહ્યો હતો : તેના કોઈ ભાન વગર, કેવળ આનંદની પરાકાષ્ઠાના અપ્રતીમ ભાવમાં તે બસ ખેંચાઈ રહ્યો હતો. અપાર શાંતી અને સમાધીની અનુભુતીમાં  કોઈ અજાણ બળ વડે તે દોરાઈ રહ્યો હતો. તેની આજુબાજુની સૃષ્ટીનું તેને કશું જ ભાન ન હતું, અથવા એનો એને માટે કોઈ અર્થ ન હતો.

ધીમે ધીમે તેની સમાધી–સ્થીતી ઓસરવા માંડી. તેને આજુબાજુનું પર્યાવરણ પરીચીત લાગવા માંડ્યું. ઝાડ, પાન, ઘાસ, પાષાણ, ધીમે ધીમે તેને જાણીતાં લાગવા માંડ્યાં. તેને હવે સમજાયું કે તે પોતાના જુના અને જાણીતા નીવાસસ્થાનની નજીક સરકી રહ્યો છે. તેની ગુફા દુરથી દેખાઈ રહી હતી. ડાબો પગ સહેજ લંગડાતો હોવા છતાં, આનંદના અતીરેકમાં હવે તે દોડવા લાગ્યો.

થોડા જ વખતમાં મનુ તેના આપ્તજનો વચ્ચે ઘેરાઈ ગયો. તેની વહાલી પત્નીઓ અને તેનાં બાળકો; તેના સાથીઓ અને પાડોશીઓ વીંટળાઈ વળ્યાં. આનંદની કીલકારીઓ, વહાલની બાથો, ખોરાક અને પાણીની વચ્ચે તે પોતાના ગઈ બપોર પછીના અનુભવો વર્ણવવા લાગ્યો. ભાવી સાથેની તેની મુઠભેડ અને તેમાંથી તેના ચમત્કારીક ઉગારાની અજાયબ વાતો તેના મુખેથી ઉતરવા લાગી. પણ મનુના માનસમાં એ પ્રલયકારી પળોની વીશાળ અને લાલચોળ આંખ સતત  ડોકાતી રહી.

તે ઘટના આકારહીન, રુપહીન, અજાણી હોવા છતાં મનુએ તેનો આભાર માન્યો. તે જ દીવ્ય અને સોનેરી આંખે તેને નવજીવન  બક્ષ્યું હતું અને તેને હેમ–ખેમ ઉગારી, સ્વજનો વચ્ચે ગુફા ભેગો કર્યો હતો. મનુએ તેને ‘ઈશ્વર’ કહ્યો.

ત્યારે જ ઈશ્વરનો જન્મ થયો અને ત્યારથી જ માનવમનમાં તે હરહમેશ વસતો રહ્યો છે.

———————–

મારી જ મુળ અંગ્રેજી રચનાનો  ભાવાનુવાદ

→ 4 CommentsCategories: અનુવાદ · વાર્તા · સુરેશ જાની
Tagged:

ગુફાઓ : ભાગ -1

July 4, 2009 · 3 Comments

ગુફામાંથી મેદાનમાં વસતા થયેલા લોકોની કથા લખતાં ગુફાઓ વીશેની ચોપડી હાથમાં આવી ગઈ. વાંચતાં જ ગમી પણ ગઈ. આથી ગુફાઓ વીશેનો આ માહીતી લેખ લખવા પ્રેરાયો છું.  આશા રાખું કે, ગદ્યસુરના વાચકોને આ માહીતીપ્રધાન લેખ ગમશે.

————————-

વીશ્વમાં જાતજાતની ગુફાઓ  મળી આવે છે. આખી દુનીયામાં હજારોની સંખ્યામાં ગુફાઓ અસ્તીત્વ ધરાવે છે. કોઈક ગુફા એક નાનકડા ટેલીફોન બુથ જેવડી પણ હોઈ શકે છે, તો કોઈક એક મોટા ઘર કે હોટલ જેવી મોટી પણ હોઈ શકે છે. અમુક ગુફાઓ તો લાંબી લચક હોય છે. અમેરીકાના કેન્ટકી રાજ્યમાં આવેલી મમુથ ગુફા 300  માઈલ લાંબી છે ! અમુક ગુફાઓ બહુ ઉંડી હોય છે. ફ્રાન્સની જીન બર્નાર્ડ ગુફા 5256 ફુટ ઉંડી છે! ખાલી યુ.એસ.ની જ વાત કરીએ; તો તેમાં 17,000 ગુફાઓ આવેલી છે.

રઝળતા આદીમાનવો રક્ષણ માટે આવી ગુફાઓઅમાં વસતા હતા. એમની સંસ્કૃતીના વીકાસ સાથે ગુફાઓ એમના માટે રહેઠાણ ઉપરાંત ઈશ્વરની પુજાના સ્થાન તરીકે, કે અંતીમ ક્રીયા માટે કે ચીત્રકામ માટે પણ વપરાતી હતી. આવી પણ ઘણી ગુફાઓ આદીમ સંસ્કૃતીની સાક્ષી પુરે છે.

અલ્ટા મીરા ગુફા, સ્પેનમાં બાઈસનનું ચીત્ર

અલ્ટા મીરા ગુફા, સ્પેનમાં બાઈસનનું ચીત્ર - ઈ.સ. પુર્વે 16,000 વર્ષ

પ્રાથમીક રીતે ગુફાઓ ચાર પ્રકારની હોય છે.

લાવા ટ્યુબ ગુફા ,  દરીયાઈ ગુફા,  રેતાળ પથ્થરની ગુફા ( સેન્ડ સ્ટોન),  સોલ્યુશન ગુફા

લાવા ટ્યુબ ગુફાઓ

લાવા ટ્યુબ ગુફા

લાવા ટ્યુબ ગુફા

રેલ્વેના બોગદા જેવી આ ગુફાઓ જ્વાળામુખી ફાટતાં બહાર નીકળતી લાવાની નદીને કારણે બનતી હોય છે. લાવા બહાર વહી જતાં બાકી રહી ગયેલો ખડક ઠંડો પડી જતાં તે બનતી હોય છે. ઉંડી ગુફાઓ લાવાના ઉભા પ્રવાહને કારણે બનેલી હોય છે. પણ પર્વતના ઢોળાવ અથવા સપાટ મેદાનમાંથી વહેલા લાવાને કારણે મમુથ ગુફા જેવી ગુફા બનતી હોય છે. આવી ગુફાઓ ત્રીસેક ફુટ જેટલા વ્યાસની અને માઈલોના માઈલો લંબાઈની પણ હોઈ શકે છે.

દરીયાઈ ગુફાઓ

દરીયા કે મોટા સરોવરના કીનારે મળી આવતી આ ગુફાઓ લાખો વર્ષોથી પાણીના મોજાં વડે કીનારાના થતા ઘસારા અને ધોવાણના કારણે બનતી હોય છે. નબળા ખડકો આમ તુટી જતાં પોલાણો પેદા થાય છે. પાણીના મોજાંની સાથે આવતા પથ્થરના નાના ટુકડા અને રેતી ઘસારાની આ પ્રક્રીયાને વેગ આપે છે – જાણે કે અનેક નાનકડી હથોડીઓ ન હોય! યુ.એસ.ના ઓરેગોન  રાજ્યમાં આવેલી સી લાયન ગુફાઓ વીસ માળના મકાન જેટલી ઉચી અને ફુટબોલના મેદાન જેટલી લાંબી છે!

રેતાળ પથ્થરની ગુફાઓ

અનાસાઝી ક્લીફ પેલેસ ગુફા

અનાસાઝી ક્લીફ પેલેસ ગુફા

ટેકરીઓની તળેટીમાં પોચા ખડકો ઝરા અને નદીના પ્રવાહને કારણે ધોવાતાં આવી ગુફાઓ બને છે. હજારો વર્ષો આમ બનતું રહેવાના કારણે મોટી ગુફાઓ આકાર લે છે. આદીમાનવો સમાન્ય રીતે આવી ગુફાઓમાં રહેતા હતા કારણકે, જીવવા માટે જરુરી પાણીનો પુરવઠો ત્યાં હાથવગો રહેતો. કોલોરાડોની મેસા વર્દ ગુફા ક્લીફ પેલેસ તરીકે જાણીતી છે, જેમાં ઈ.સ. 1200 ની આસપાસ આનાસાઝી નેટીવ અમેરીકનોએ ભવ્ય રહેઠાણો બનાવ્યાં હતાં.

સોલ્યુશન ગુફાઓ

કાર્લ્સ બાડ ગુફા, ન્યુ મેક્સીકો, યુ.એસ.

કાર્લ્સ બાડ ગુફા, ન્યુ મેક્સીકો, યુ.એસ.

સૌથી વધારે સંખ્યામાં અને ભવ્યતા માટે જાણીતી ગુફાઓ આ પ્રકારની હોય છે. ચુનો, ડોલોમાઈટ, જીપ્સમ, આરસ જેવા પથ્થરોમાંથી આવી ગુફાઓ બનતી હોય છે. આ ગુફાઓ બનવાની પ્રક્રીયા બહુ જટીલ હોય છે અને તેના કારણે અદભુત પ્રાકૃતીક શીલ્પ આકાર લેતું હોય છે.

….  પણ એની વાત આવતા અંકે.

→ 3 CommentsCategories: અવનવું · વીજ્ઞાન · સુરેશ જાની
Tagged: ,

ગૂઢ રહસ્ય – જય ગજજર

July 1, 2009 · 17 Comments

અમદાવાદથી કેનેડા આવીને વસેલા શ્રી. જય ગજ્જર મારા મોટા ભાઈની ઉમ્મરના છે. તેઓ કેનેડાના વ્યવસાય, સમાજ અને ગુજરાતી સાહીત્યના ક્ષેત્રે પ્રતીષ્ઠાનું સ્થાન ધરાવે છે. વળી તેઓ જોડણી બાબત ઉદારમતવાદી પણ છે.

આ વાર્તા ઉંઝા જોડણીમાં પરીવર્તીત કરીને પ્રગટ કરી હોત; તો પણ તે માટે તેમણે રાજીખુશીથી પરવાનગી આપી હોત. પણ એમના સૌજન્ય અને મારા માટેના સ્નેહને વશ થઈ; આવી કોઈ તરખડ કર્યા વીના, આ વાર્તા તેમણે જે રીતે મોકલી છે; તે જ રીતે રજુ કરી છે.

——

વાચકોને નમ્રતા ભરી વીનંતી કે, આપણે આ વાર્તામાં આવતાં પાત્રોના નામ, જાતી અને ધર્મને ગૌણ ગણી; આવા વાડાઓ કેવા ભયાવહ  અનીષ્ટો સરજે છે, તેની તરફ અણગમો વ્યક્ત કરી; આવા સંકુચીત અને જમાના જુના ખયાલોને તીલાંજલી આપી;  સમાજમાં એખલાસ અને ભાઈચારાના ઉમદા વીચારોને કાર્યાન્વીત કરીએ.

——————————–

દશ દિવસથી ઘરમાં કલ્પાંત કરતો મહમદ દશમા દિવસે હિંમત કરી ઘર બહાર નીકળી નમાઝ પઢવા મસ્જિદે ગયો. દસ દિવસ પહેલાં ગુમ થયેલ એની વહાલસોયી દીકરીનો પત્તો લગાડવા સહાય કરવા માટે અલ્લાહને પ્રાર્થના કરી. નમાઝ પઢી પાછો ફરતો હતો ત્યાં રસ્તામાં કાળકામાનું મંદિર આવ્યું. બહાર એક બોર્ડ હતું, ‘આજની પૂનમના દિવસે જે શ્રધ્ધાથી કાળકામાની પૂજા કરી સંકલ્પ કરે એની મનોકામના પૂર્ણ થાય છે.’

એ પાકો મુસલમાન હતો પણ હિંદુ મંદિરમાં જઈ એણે પ્રાર્થના કરી, “હે મહાકાળી મા, મને મારી દીકરી પાછી મેળવી આપશો તો હું સવાસો રૂપિયાના પેંડા ધરાવીશ અને તમને ચૂંદડી ચઢાવીશ.”

સંકલ્પ કરી એ પાછો ફરતો હતો ત્યાં એના કાને શબ્દો પડયા, “હે માડીના ભકત, એકાદ સારું કામ કરીશ તો તારી મનોકામના પૂર્ણ થશે.”

એણે ખિસામાંથી પાંચ રૂપિયા કાઢી એની સામે પડેલી ચાદરમાં નાખ્યા.

ઘેર પહોંચી ઉદ્વિગ્ન મને ખાટલામાં આડો પડયો. વિચારે ચઢયો, “મારી પંદર વર્ષની દીકરીને કોણ ઉપાડી ગયું હશે? હે અલ્લાહ, એના વિના હું જીવી નહિ શકું.” અને કલ્પાંત કરવા લાગ્યો.

વીશ વર્ષ પહેલાંનો એ દિવસ એને યાદ આવ્યો.

ભૂતકાળ યાદ આવતાં એ બબડયો, “મારી દીકરીને કોઈએ એવા નાલાયક એજન્ટ પાસે તો નહિ પહોંચાડી હોય?”

એ વિચાર મનમાં ઝબૂકતાં એ ધ્રૂજી ઉઠયો. વધુ વિચાર્યા વિના પહેલી ટ્રેઈન પકડી મુંબઈ પેલા એજન્ટને ઘેર પહોંચી ગયો. એના ઘેર  તાળું  હતું. પૂંઠ ફેરવી તો એક પાડોશીએ કહ્યું, “રાજારામનું કામ છે? એ તમને  ફોકલેન્ડના એમના હડ્ડા પર મળશે.”

એ તરત જ ફોકલેન્ડ પહોંચી ગયો. પાનના એક ગલ્લાવાળાને રાજારામ વિષે પૂછતાં એણે એક વિશાળ કંપાઉન્ડ તરફ આંગળી ચીંધી.

કંપાઉન્ડમાં દોડી જઈ અંદરના એક ઘરના બારણે બેલ મારતાં એક ત્રીસેક વર્ષની યુવતીએ દરવાજો ખોલી પૂછયું, “કોનું કામ છે?” સામે મહમદને જોતાં રંભા પળભરતો એને નખશીખ નિરખી રહી. સ્મૃતિપટ પર ઝબકારો થતાં એણે પૂછયું,  “રાજારામને શોધો છો? કેમ કોઈ નવી છોકરીને ઉપાડી લાવ્યા છો?”

“ના બહેન, મારે જાણવું છે કે મારી વહાલી દીકરીને કોઈ અહીં તો નથી લાવ્યું?”

“તમે કયાંથી આવો છો?” મનની ખાત્રી કરવા એણે પૂછયું.

“અમદાવાદથી.”

“વીશ વર્ષ પહેલાં માંડવીની પોળની એક છોકરીને તમે તો અહીં નહોતા લાવ્યા?”

મહમદ એની સામે તાકી રહ્યો. ચહેરો કંઈક યાદ આવતાં ગભરાટને કારણે એનાં અંગે અંગ ધ્રૂજવા લાગ્યાં. એક હરફે ઉચ્ચારી ન શકયો. શું જવાબ આપવો એના વિચારમાંં સ્તબ્ધ બની ગયો. શરમથી એનું મસ્તક નીચે ઢળી ગયું.

એને ચૂપ જોઈ રંભા બોલી, ” છેલ્લા પંદર દિવસમાં પાંચ છોકરીઓ આવી છે.  ઉપર આવો,  તમારી દીકરી જો અહીં હોય તો લઈ જઈ શકો છો.”

પસ્તાવાનાં આંસુ છૂપાવી  આશાભર્યો મહમદ ઉપર ગયો. ચારે બાજુ દેવદેવીઓ અને વિશ્વની મહાન સન્નારીઓના ફોટાજોઈ એનું હૈયું અને મન નાચી ઉઠયાં. એણે ચારે બાજુ નજર ફેરવી. એ ખંડમાં પચાસેક યુવતીઓને એક આધેડ વયની બહેન સંસ્કારના પાઠ શીખવતાં હતાં. એકાએક વચ્ચેથી અક છોકરી દોડી આવી.

“ડેડી, તમે અહીં કયાંથી?” મહમદની દીકરી પાસે દોડી આવી એને ભેટી પડી.

મહમદનું હૈયું પીગળી ગયું. એના માથે હાથ ફેરવતાં એ બોલ્યો, “હા, બેટા હું તને લેવા આવ્યો છું. ચાલ, સંસ્કારની આ મહાદેવીને નમસ્કાર કરી એમના આશીર્વાદ લઈ ઘેર ચાલ. તારા વિના હું જીવી નહિ શકું.” અને પૂંઠ ફેરવી રંભાને બે હાથ જોડી વંદન કરી ઉમેર્યું, “આપના જેવી મહાન મહાદેવીને નરકવાડે લાવનાર કયો કાળમુખો અભાગી હશે? સાત ભવ એ નરકમાં સબડયા કરશે!”

રંભા અને મહમદની આંખો મળી પણ બેમાંથી એકેયે એ ગૂઢ રહસ્ય ન  ઉકેલવામાં ડહાપણ માન્યું.

————————————-

-  જય ગજ્જર ( એમની જીવન ઝાંખી વાંચવા અહીં ‘ક્લીક’ કરો.)

કુમાર મે, નવે

41 Palomino Drive, Mississauga, Ontario, Canada L4Z 3H6 Tel 905-568-8025 Email : gajjar@mail.com

“Neil”, Plot # 207, Sector 29, Gandhinagar, 382 029 Tel 23234273

મારા બીજા ઈ-પુસ્તક ‘ સ્વૈર વીહાર ‘ માટે તેમણે લખી આપેલી પ્રસ્તાવના વાંચો.

→ 17 CommentsCategories: જય ગજ્જર · વાર્તા
Tagged:

બુંદસે ગઇ વો હોજસે નહી આતી – ભરત પંડ્યા

June 29, 2009 · 5 Comments

કહેવાય છે, તક એકજ વાર દરવાજો ખટખટાવે છે. તમે ચુક્યા તો મોકો હાથમાથી સરી જાય છે. ફરી  પાછો તે મોકો તો આવતો જ નથી.

એક્વાર ઓફીસના કામે  આણંદથી  અમદાવાદ જઇ રહ્યો હતો. ખેડાનો માથુ ફાડી નાખે તેવો તડકો, આભમાથી આગ વરસી રહી હતી હું તો જે ઘરાક્નુ કામ હતું, તેની એરકંડીશન મોટરમા બેઠો હતો . રસ્તામા  ડ્રાઇવરને કાંઈક જોઈતુ હતુ તે ગાડી ઉભી રાખી. હું પણ સીગરેટ  પીવા  નીચે ઉતર્યો.

એક મોટા ઝાડ નીચે કેબીન  હતી. પાસે એક બુટ ચંપલ રીપેર કરવાવાળો બેઠો હતો. એની પાસે ચાર પાંચ જોડી, ટાયરના સોલવાળા, સસ્તા ચંપલ હતા. હું ઉભો ઉભો સીગરેટ પીતો હતો. ત્યાં એક મજુર જેવો  માણસ આવી ચંપલ જોવા માંડયો. તેણે આ ધોમ ધખતા તડકામા પણ ચંપલ પહેર્યા ન હતા, ઉઘાડે પગે હતો.

બહુ  જ બીતાં બીતાં એણે પુછ્યું ” કેમ આપ્યા ભાઇ ?”

વેચવાવાળાએ કહ્યું, ” આઠ રુપીયા.”

પેલાએ  કહ્યું ” મારી  પાંહે ચાર રુપીયા છે. ”

“તો એક ચંપલ લઇ જા”

મજુર આ ઉપાલંભ સમજે તેમ  ન હતું.

” એક પગે થોડુ હલાય છે ભાઇ ?” એ બોલ્યો.

ચંપલવાળો કહે,  ” ઓછામા ઓછા  પાંચ રુપીયા લઇશ. ”

પેલાને એ કાંઇ પોસાતુ  ન્હોતુ. એ તો ચાલવા માંડ્યો. ડ્રાઇવરનુ કામ અને મારી સીગરેટ પતી ગયાં હતાં. હું ગાડીમા ગોઠવાણો અને ગાડી આગળ ચાલી. કામ પતાવી હું ઘેર  પાછો આવ્યો.

રાત્રે જમતાં જમતાં ઘરની વાતો ચાલી.

પત્ની કહે “મોંઘવારીએ તો માઝા મુકી છે, બોલો! બેબીના સેન્ડલના અઢીસો રુપીયા. ”.

રેડીયો પર કોઇ સંત પ્રવચન આપી રહ્યા હતા -”ક્યાં અને ક્યારે પ્રભુ તમને સેવાનો મોકો આપે છે તે ખબર નથી પડતી.” વી.વી.

તે રાત્રે મને ઉંઘ ન આવી , સવાલ માત્ર પાંચ રુપીયાનો હતો અને આમ જુવો તો માત્ર એક રુપીયાનો જ.  ચારતો તે મજુર પાસે હતા .

મને સમજાણુ કે, મેં મોકો ગુમાવ્યો હતો. અને હવે આ મોકો કદી નહી આવે. ક્યાં હું ને ક્યાં એ મજુર! એની જરુરીયાત કેટલી નાનકડી હતી? ત્યારબાદ દરેક વરસે લગભગ પાંચ્-દસ હજારનુ દાન કરું છું; પણ પેલા મજુરનો  ઉતરી  ગયેલો  ચહેરો નજર સમક્ષ તરે છે; અને થાય છે : -

“બુંન્દસે  ગઇ વો હોજસે નહી આતી. “

- ભરત પંડ્યા – ભાવનગર

( સ્વાનુભવની  વાત – સત્ય કથા)

——————–

ભરતભાઈને તો આટલો પણ વસવસો  રહી ગયો; તે તેમની માનવતા. ઘણાને તો આવો વીચાર પણ નહીં આવતો હોય !

→ 5 CommentsCategories: ભરત પંડ્યા · સત્યકથા · સ્વાનુભવ
Tagged:

પ્રકરણ – 30 પર્વતની તળેટીમાં

June 27, 2009 · 2 Comments

વીતેલી વાર્તા વાંચવા
પહેલી હરોળમાં છેલ્લી ટેબ ‘નવલકથા‘ પર ક્લીક કરો.

—————————————– —————————

જેમ જેમ લશ્કર આગળ વધતું ગયું; તેમ તેમ, દુરથી દેખાતી ગીરીમાળા નજીક આવતી ગઈ અને મોટી અને મોટી  થવા માંડી. આખાયે ક્ષીતીજને તેણે ઘેરી લીધું; અને આકાશને પણ તે પડકારવા લાગી. વળી આજુબાજુનો પ્રદેશ  પણ સાવ વેરાન થવા માંડ્યો. શીકાર મળવો હવે બહુ જ મુશ્કેલ હતો. ઘોડેસવારો સાથે હોવાને કારણે ઘાસવાળા પ્રદેશમાંથી એ લોકો શીકાર મેળવી લાવતા. પણ આને કારણે લશ્કરની આગેકુચ બહુ જ ધીમી થઈ હતી. પાણી મળવું પણ મુશ્કેલ હતું. પર્વત ઉપર જમા થયેલા બરફના પીગળવાથી થોડા ઘણા નાના ઝરા અને સાવ નાની અને સુકાવાની તૈયારીમાં હોય તેવી નદીઓ જ પાણીનો સ્રોત હતાં. હજાર માણસો માટે એ પાણી અને એ શીકાર માંડ પુરા પડતાં. ગરોળી અને સાપ જેવા સરીસૃપ પ્રાણીઓથી ધીમે ધીમે સૈનીકો અને સરદારો ટેવાવા માંડ્યા. હવે છાવણીની સાંજની રંગતોનું સ્થાન પ્રાર્થના અને પરમ તત્વને દયાની યાચનાએ લેવા માંડ્યું. કેમ કરીને આ મુસીબત દુર થાય અને પર્વતની નજીક પહોંચી જવાય; તે જ ચીંતા ખાનને કોરી ખાવા લાગી.

આ એ જ પ્રદેશ હતો; જ્યાં ભુલાએ ગરોળીઓ આરોગીને પોતાનો માર્ગ પસાર કર્યો હતો.  મહીનાઓના રઝળપાટથી ભરેલી પોતાની એ દુર્ગતી  ભુલાને બરાબર યાદ આવવા માંડી. ભુતાવળના ભયાનક નૃત્યનું એ દુઃસ્વપ્ન  પણ તેના માનસને આક્રોશતું રહ્યું. ફરીથી પ્રતીશોધની દબાઈ ગયેલી લાગણી બળવત્તર બનવા માંડી. પણ ખાનના રાજ્યમાં અને ખાનની દોસ્તીએ એમાં પરીવર્તન આવ્યું હતું.

“ખાનના દેશની ઘણી રીત રસમો મારા સાથીઓએ અપનાવવા જેવી છે. તીરકામઠાં અને ઘોડેસવારીના પ્રતાપે આ સેના દુર્જેય છે. કોઈ પ્રજા આ સાધનોનો મુકાબલો ન કરી શકે. ગોવાનો પરાજય નીશ્ચીત જ છે. પણ એ બધું પતી ગયા પછી, આ બે જાતીઓનો મનમેળ થાય અને મારા વતનીઓ વીકાસના નવા પંથે વળે તો કેવું સારું?”

આવા વીચારોમાં બદલાયેલા ભુલાનું મન પરોવાયેલું રહેતું.

ખાન વારંવાર ભુલાને પુછતો ,” હજુ પર્વતો કેટલા દુર છે? કેટલા દીવસ ત્યાં પહોંચતા લાગશે?”

પણ ભુલા પાસે તેનો કોઈ ઉત્તર ક્યાં હતો? તેણે જે માનસીક સ્થીતીમાં રસ્તો પસાર કર્યો હતો; તેમાં તેને સમયનું ભાન જ ક્યાં હતું?

ભુલાએ કહ્યું,” મને તો આ દલ દલ પસાર કરતાં ખાસ્સો સમય લાગ્યો હતો. આખો શીયાળો મેં અહીં વીતાવ્યો હતો. જગ્ગાના થાનકે પહોંચ્યા બાદ તરત જ સુરજની ગરમી વધવા માંડી હતી અને ઘાસ અને ફુલો ઉગવા માંડ્યા હતા. પણ એ વખતે તો હું એકલો હતો , અને મારી ચાલવાની ઝડપ ઘણી ધીમી હતી. આપણે તો એનાથી ઘણા વધારે ઝડપથી આગળ વધીએ છીએ. ”

પણ ખાનના માથે બહુ મોટી જવાબદારી હતી. આખી સેનાની સુખાકારી માટે તે જવાબદાર હતો. તેણે ઘોડેસવારોની એક ટુકડીને છેક પર્વતની લગોલગ જઈ અંદાજ લગાવવા મોકલ્યા. દસ જ દીવસમાં એ ટુકડી સારા સમાચાર લઈ પાછી આવી ગઈ. એમના અંદાજ પ્રમાણે – ‘;બીજા વીસ દીવસ બાદ સેના ત્યાં પહોંચી શકશે. ત્યાં પર્વત પર બકરીઓ અને બીજાં જનાવરો પણ છે અને પાણી પણ સારા પ્રમાણમાં છે.’

આ શુભ સમાચાર જાણી સેનામાં હરખની લાગણી પુનઃ સ્થાપીત થઈ. બધાને હવે એ નવા પ્રદેશમાં પહોંચી જવાની તાલાવેલી થવા માંડી.

અને છેવટે લશ્કર પર્વતની સાવ લગોલગ આવી પહોંચ્યું. હવે થોડેક જ આગળ ચઢાણ શરુ થતું હતું. લશ્કરના તંબુઓ ખોડાઈ ગયા. દલદલમાંનો આ છેલ્લો પડાવ હતો. જે રસ્તો પસાર કરતાં ભુલાને પાંચ મહીના લાગ્યા હતા તે માત્ર દોઢેક મહીનામાં જ સેનાએ કાપી નાંખ્યો હતો. ઘોડા અને  તીરકામઠાં આ સીધ્ધી માટે  ખરા કામમાં આવ્યાં હતાં.

ભુલા અને બીજા સાથીઓ સાથે ખાન જાતે આગળની યાત્રાની જાતતપાસ કરવા નીકળી પડ્યો. પણ બે જ કલાકમાં પર્વત પરનો ઢોળાવ અત્યંત કપરો બની ગયો. સીધું ચઢાણ અને સાવ નાની ચઢવાની જગ્યા. ઘોડા આગળ ચઢી શકે તેમ ન હતું. એકલદોકલ જણને માટે પણ આ કામ દુશ્કર હતું. ભુલો આવ્યો ત્યારે તો તે માંડ માંડ નીચે ઉતર્યો હતો. પણ હવે તો ભયાનક ઉંચાઈ વાળા પર્વતની ટોચ પાર કરી તેનીયે પાર જવાનું હતું. અને તે પણ ઘોડાઓ અને બધા સરંજામ સાથે. જે રસ્તે ભુલો નીચે તળેટીમાં આવી પહોંચ્યો હતો તે રસ્તે તો આ કામ અશક્ય જ હતું.

ખાન વીચારમાં   પડી ગયો. ‘શું આખું અભીયાન મોકુફ રાખવું પડશે? પર્વતની લગોલગ પહોંચીને છેવટે કુદરત આગળ હાર સ્વીકારવી પડશે?’

ખાને બધા સરદારોને મસલત માટે ભેગા કર્યા અને પોતાની મનોવ્યથા તેમની આગળ ઠાલવી. સૌ આ નવી અને મુશ્કેલ પરીસ્થીતીમાં શું કરવું તેના મનોમંથનમાં ગરકાવ થઈ ગયા. ત્યાં જ જગ્ગાના મગજમાં ઝબકારો થયો

જગ્ગો ,” ખાન બહાદુર! મને એક રસ્તો સુઝે છે. આપણે છાવણીનો પડાવ અહીં રાખીએ તો કશો વાંધો નથી. કોઈ તકલીફ વગર ખાવા પીવાની સગવડ થઈ જશે. પણ ત્રણ ચાર ઘોડેસવારની બે ટુકડીઓ પર્વતની સમાંતરે, બે વીરુધ્ધ દીશામાં  તપાસ કરવા જાય. આપણે ક્યાંક આ પર્વતોની અભેદ્ય દીવાલ તુટતી હોય તો તેની તપાસ  કરીએ. આપણું નસીબ હશે તો ક્યાંક ઘોડાઓ પસાર થઈ શકે તેવો રસ્તો મળી પણ આવે.”

ખાનને આ વાતમાં તથ્ય જણાયું . બધા સરદારો પણ આ નવી આશાથી ઉત્સાહમાં આવી ગયા. અને બીજા દીવસે એક ટુકડી જગ્ગાની અને બીજી ટુકડી ભુલાની સરદારી નીચે રવાના થાય એમ નક્કી થયું. લાંબા સમયના આ નીષ્ક્રીય પડાવ માટે મને કમને સૌ તૈયાર થઈ ગયા.

બીજા દીવસની સવાર પડી અને ચાર ચાર ઘોડેસવારોની બે ટુકડીઓ સામસામી દીશામાં જવા રવાના થઈ. ખાન અને બીજા સરદારોએ તેમને સફળ થવા માટે શુભેચ્છા આપી. આખી સેનાએ જયજયકારના નાદથી આ નવા અભીયાનને વધાવી લીધું. ઢોલીઓએ જોર જોરથી સૌના ઉત્સાહને દ્વીગુણીત કર્યો.

અને આ જ ક્ષણે, દુર દુર, પર્વતની ટોચ ઉપરથી છ આંખો આ બધો તાયફો નીહાળી રહી હતી.

→ 2 CommentsCategories: નવલકથા · સુરેશ જાની
Tagged:

બાર ગાઉએ બોલી બદલાય

June 26, 2009 · 8 Comments

કયા ગુજરાતીએ આ કહેવત નહીં સાંભળી હોય?

લ્યો તાણીં ઈની પ્રતીતી કરી લો !!

—————————————————-

પ્રશ્ન : ખરચું એટલે શું ?

રુપીયા ખરચું?

  • ના!

સમય ખરચું?

  • ના!

પ્રયત્ન ખરચું?

  • ના!

તમે કહેશો , “ ત્યારે બોલોને મારા બાપલીયા, શું ખરચું? “

અલ્યા ભાઈ! સવાલ તો સમજો … પુછ્યું છે  - ‘ ખરચું એટલે શું? ‘

જવાબ જાણવા ડો. મૌલિક શાહના બ્લોગ પર જવા અહીં ‘ક્લીક’ કરો

આ હાસ્યલેખ વાંચ્યા પછી, આ અદકપાંસળી જીવને થ્યું કે. હાલ્ય! આ કાઠીયાવાડી શબદ જોડણીકોશમાં છે કે નહીં, તેની ચકાસણી કરું. રતીકાકાના લેક્સીકોનમાં તો ન મળ્યો પણ સાર્થ જોડણીકોશમાં એ મળી ગયો. અને અર્થ પણ ડો. મુકુલ પરીખે સમજીને સમજાવ્યો એ જ તો !!

( અહીં નહીં કહું , નહીં તો ડોકટરના કોપીરાઈટનો ભંગ થાય તો?! )

પણ તેની વ્યુત્પત્તી ડોક્ટર સાહ્યેબને હું સમજાવું !!

એનું મુળ છે ફારસી શબ્દ - આપણને   … સોરી! મારા જેવા અમદાવાદીને ન ગમે તેવો  ….  ખર્ચ…

અને ભારતમાં કુલ કેટલી ભાષાઓ બોલાય છે તે ખબર છે?

325 !!

( અને સ્થાનીક બોલીઓ તો અલગ!)

આ લીસ્ટ પણ જોઈ લો .

→ 8 CommentsCategories: ભાષા · સુરેશ જાની
Tagged:

ટોળાંશાહી

June 23, 2009 · 14 Comments

નયન સહગલ, તમે તમારા ઘરથી ત્રીસેક માઈલ દુર આવેલી એક જગ્યાએ જવા બસમાં બેઠા છો. તમારે જવાની જગ્યા હાઈવેથી થોડેક દુર છે. ત્યાં જવા માટેના આડા રસ્તા પાસે બસ ધીમી પડે છે અને એ રસ્તા પાસે અટકે છે. તમે બસમાંથી ઉતરી પડો છો અને તમારા એ નાનકડા રસ્તા પર માંડ કદમ માંડો છો; ત્યાં જ એક ભયાનક ધડાકો હાઈવે પરથી સંભળાય છે.

તમે પાછા વળીને હાઈવે પર નજર માંડો છો. તમારા એ રસ્તા પરથી સ્કુટર પર એક  યુવતી પુર ઝડપે હાઈવે પર પ્રવેશ કરતી હતી; ત્યાં જ . હાઈવે પરથી વેગમાં આવી રહેલી વાન સાથે તે અથડાઈ પડી હતી. તેનું માથું લોહીલુહાણ થઈ ગયું હતું. કારવાળા મહાશય ઉદ્વીગ્ન ચહેરે નીચે ઉતરીને તેણીને મદદ કરવા જઈ રહ્યા છે. તમે પણ આ આઘાતમાં અટકી પડો છો. થોડીક જ મીનીટોમાં હાઈવે પર એક ટોળું ભેગું થઈ જાય છે; અને કશું સમજ્યા કર્યા વીના કારચાલકને પીટવા માંડે છે. એનું ખમીસ ફાટી જાય છે અને તે પણ લોહી લુહાણ થવાની તૈયારીમાં છે.

તમારા વાસ્તવદર્શી સ્વભાવના કારણે તમે આ ટોળાંશાહી સહન નથી કરી શકતા. તમે પણ ઝડપભેર ઘટના સ્થળે પહોંચી જાઓ છો. આંખે દેખેલા આ અકસ્માતની પુરી જવાબદારી એ યુવતીની જ હતી ; તે તમે સામાન્ય સમજથી સમજી ગયા છો. એ તો ઠીક પણ વધારે અગત્યની વાત એ છે કે, એ યુવતીને તત્ક્ષણ સારવારની  જરુર છે. એ પણ તમારા દીમાગમાં ઝબકી જાય છે.

તમારી નજર બાજુમાં પડેલા પાઈપના એક ટુકડા પર પડે છે. અને ટોળાંશાહીનો .ઉન્માદ તમને પણ ઘેરી વળે છે. તમે એ પાઈપ ઉઠાવી એ ટોળાંની વચ્ચે પહોંચી જાઓ છો અને પાઈપ ઉગામી મોટેથી બરાડી ઉઠો છો ,” અરે અક્કલના ઓથમીરો ! આ છોકરીની તરફ તો નજર કરો. એને સીધી હોસ્પીટલ ભેગી કરવાને બદલે આ બધું શું માંડી બેઠા છો? “

તમારા બોલવાથી નહીં પણ, તમારા હાથમાં રહેલા અમોઘ શસ્ત્રના પ્રતાપે મારઝુડ બંધ પડે છે! ત્રણ હરોળ વાળી એ મોટી કારમાં વચ્ચેની સીટ પર એ યુવતીને સુવાડી, બીજા ત્રણ વટેમાર્ગુ અને તમને સાથે બેસાડી પેલા મહાશય નજીકની હોસ્પીટલ તરફ તેમની કાર હંકારી મુકે છે. રસ્તામાં પણ તેમની ઉપર આક્ષેપોની વર્ષા તો ચાલુ જ છે. તે તો ચુપચાપ બેઠેલા છે. એમના માથે કોઈ મોટી અંગત ચીંતા સવાર છે, એમ તમને ચોક્કસપણે લાગે છે. તમે એટલી જ ખબર પડે છે કે. તેમનું નામ મહેશ ગુપ્તા છે.

હોસ્પીટલમાં સ્ટાફ સદભાગ્યે સારો છે. એ પોલીસ તપાસની તરખડમાં પડ્યા વીના, યુવતીને ઈમર્જન્સી રુમમાં લઈ જાય છે. .ડોક્ટર કહે છે,” આ બહુ જ  મુશ્કેલ કેસ છે. તેનું બહુ જ લોહી વહી ગયું છે. મને સહેજ પણ આશા નથી કે, તેને હું બચાવી શકીશ. પણ  મારાથી બનતા બધા પ્રયત્ન હું કરીશ. પણ કોઈકે તત્કાળ લોહી આપવું પડશે.”

આ વાત  સાંભળી મહેશ અને તમારા સીવાયના બીજા સજ્જનો રફુ ચક્કર થઈ જાય છે. તમારું લોહી , એ યુવતીને માટે યોગ્ય નથી એમ ખબર પડે છે. મહેશ ગુપ્તાના લોહીનો બાટલો ભરી એ યુવતીને ચઢાવવામાં આવે છે. તેની પર્સમાંથી મળેલી માહીતી મુજબ ફોન કરતાં તેનાં સગાંવહાલાં પણ એટલામાં ત્યાં આવી પહોંચે છે. મહેશ એમને પોતાનો સમ્પર્ક કરવાની  પુરી માહીતી અને પ્રારંભીક જોગવાઈ માટે  10,000/-  રુપીયા એક વડીલને પકડાવી દે છે. તમે અને મહેશ હોસ્પીટલની બહાર નીકળો છો.

મહેશ તમને તમારા સ્થાને પહોંચાડવાની તૈયારી બતાવે છે. પણ તેની પત્નીને બીજી હોસ્પીટલમાં પહેલું જ બાળક આવવાની તૈયારી હોવાના કારણે પહેલાં ત્યાં થઈ તમને ઉતારી દેશે, એમ ક્હે છે. તમારું કામ એટલું અગત્યનું ન હોવાથી અને મહેશની સજ્જનતાથી પ્રભાવીત થઈ, તમે એની સાથે જવા કબુલ થાઓ છો.

બીજી હોસ્પીટલે પહોંચતાં  સારા સમાચાર મળે છે કે, ઈશ્વર કૃપાએ પ્રસુતી સારી રીતે પતી ગઈ હતી, અને મા અને બાળક બન્નેની તબીયત સારી છે.

     મહેશ ગુપ્તા તમને તમારી જગ્યાએ ઉતારી તો જાય જ છે;  પણ આ સમગ્ર ઘટનાના કારણે દસ લાખની કાર વાપરનાર કરોડપતી મહેશ ગુપ્તા, અને એસ.ટી બસમાં મુસાફરી કરનાર તમે જીગરી દોસ્ત બની ગયા છો તમારી આ મીત્રતા ઘણી લાંબી ટકવાની છે.

    પરંતુ, કોઈ પણ જાતની અને ઉંડી માહીતી વગર, કાયદો હાથમાં લઈ લેવાની ટોળાંની વૃત્તી,  લઘુમતી પ્રત્યે કૃર આચરણ; વીચારવીહીંનતા અને પાગલપન વીશે તમે વીચારતા થઈ જાઓ છો.

……………………

દીલ્હીસ્થીત શ્રી. નીતિન નરેશના સ્વાનુભવ પર આધારીત સત્યકથા

મુળ ઘટના વાંચવા અહીં ‘ ક્લીક’ કરો. .

.

→ 14 CommentsCategories: નીતિન નરેશ · સત્યકથા
Tagged:

પ્રકરણ – 29 ડ્રેગન

June 20, 2009 · 6 Comments

વીતેલી વાર્તા વાંચવા
પહેલી હરોળમાં છેલ્લી ટેબ ‘નવલકથા‘ પર ક્લીક કરો.

—————————————– —————————

…….. આવી જ કોઈક રાતે આખી છાવણી નીદ્રામાં ગરકાવ હતી. ચાર દીશામાં આઠ  રખોપાઓ ખડે પગે ચોકી કરતા બેઠા હતા. દરેક દીશામાં બબ્બે જણ આ અગત્યના કામ માટે નીયુક્ત હતા. દરેક દીશામાં બેમાંથી એક જણ આરામ કરતો અને બીજો ચોકી. દરેક ઠેકાણે બે મોટી મશાલો ભડકતી હતી. એના ઉજાસમાં દીવસે રમ્ય લાગતી, આસપાસની ઝાડી ભુતાવળ જેવી ભાસતી હતી. પણ એમાં ધબકતા જીવનનો  કોઈ અણસાર જણાતો ન હતો. આમ આખી રાત દેખીતા નીર્વીઘ્ને પસાર થઈ રહી હતી.

…….. અમાસની એ ઘનઘોર મધરાતે, ઘોર અંધકાર છવાયેલો હતો. તમરાં જેવાં જીવજંતુઓનો અવાજ પણ શમી ગયો હતો. કશા અણસાર વગરની એ નીસ્તબ્ધતામાં રખોપા પણ થોડાક બેધ્યાન બને એ સ્વાભાવીક હતું. અને ત્યાંજ એક દીશામાંથી કાળજું કંપાવી નાંખે તેવો, સુસકારા જેવો કોઈ અજાણ્યો અવાજ સંભળાયો. એ દીશામાંનો ચોકીયાત ઉંઘરાટી  આંખે અવાજની દીશામાં નજર કરે ન કરે; ત્યાં તો એક મહાકાય, વીકરાળ  ડ્રેગન સામેની ઝાડીમાંથી ધસી આવ્યો. એની કાયા કોઈ મગર મચ્છને પણ શરમાવે તેવી લાંબી હતી; અને તેનાથીય લાંબી તેની પુંછડી હતી. એના ખુલ્લા મોંમાંથી લપકતી જીભમાં જાણે કે, આગની લાલ જ્વાળાઓ ઓકાતી હતી. એની મોટી આંખો લીલા અને ક્રુર પ્રકાશથી ચકળવકળ થતી હતી. એના ટુંકા, પણ જાડા પગના આધાર પર, તેનું શરીર ઢસડાતું હતું. એ વારે ઘડીએ જમીન પર પુંછડી અફાળતો હતો; અને એ અફડાટે ઝાડીઓનો કચ્ચરઘાણ વળી જતો હતો. જાણે કે, વીનાશનું એક ઘોડાપુર કાળા ભમ્મર અંધકારમાંથી ધસી આવી રહ્યું હતું. એની દોટમાં જ આખી છાવણીનો કચ્ચરઘાણ કરી શકે; તેવી તેની તાકાત જણાતી હતી.

Giant Iguana

Giant Iguana

…….. આ ભયાનક દૃશ્ય જોઈ, એ ચોકીયાતના મોતીયા જ મરી ગયા. એની નીંદર તો ક્યાંય વેરણ થઈ ગઈ હતી. એણે પોતાના સાથીને ઢંઢોળીને જગાડ્યો. બન્નેએ થઈ શકે તેટલા પ્રયત્નો કરી; પોતાની પાસે પડેલા પથ્થરો ડ્રેગન પર નાંખવા માંડ્યા. પણ ડ્રેગનની પથ્થર જેવી, જાડી ચામડી પર આની કોઈ જ અસર ન થઈ. એ તો વધારે ગુસ્સામાં ફુંફવાડા નાંખવા માંડ્યો. એ જોઈ ભયના માર્યા ચોકીદારોએ મોટી રાડ નાંખી. બીજી દીશામાંના ચોકીદારોએ પણ આ  પોકમાં સાથ પુરાવ્યો. આ બધા અવાજોથી આખી છાવણી જાગી ગઈ. બેબાકળા બનેલા સૈનીકો આંખો ચોળતાં ડ્રેગનનું આ ભયાનક સ્વરુપ જોઈ થરથર કાંપી ઉઠ્યા. આવું નવતર પ્રાણી તેમણે કદી જોયું ન હતું. હાથમાં જે પથ્થર આવ્યો તેનો વરસાદ ડ્રેગન પર થવા લાગ્યો. અમુક શુરવીરો તો અણીદાર પથ્થરના ભાલા લઈ ડ્રેગનની નજીક પહોંચી, તેના પગ અને શરીર પર ઘા કરવા માંડ્યા.

…….. પણ ડ્રેગન પર આની કોઈ જ અસર થતી ન હતી. તેણે એક ચોકીયાતને મોંમાં ઘાલીને ચાલવા માંડ્યું. જોકે, તેની મહાન કાયાને કારણે તેની ચાલ સાવ ધીમી હતી. તેની અવીરત ચાલને કોઈ રોકી શકવા સમર્થ ન હતું. બધે કાગારોળ મચી ગઈ. આ બધી ધમાલ, હોંકારા,  પડકારા અને ચીસો સાંભળી, છાવણીની છેક વચ્ચે આવેલા સરદારો પણ જાગી ગયા. ખાન, ભુલો અને જગ્ગો પણ. બધા આંખો ચોળતા ચોળતા, પોતપોતાના તંબુઓની બહાર આવી; મશાલોના આછા ઉજાસમાં આ અભુતપુર્વ દૃષ્ય નીહાળી હેબતાઈ ગયા. ભુલાએ પોતાના હાથ ઉપર ચીમટો ખણી ચકાસી જોયું કે, ‘પેલા હાડપીંજરોના ખોફનાક નાચ જેવું આ ભયાનક સ્વપ્ન તો નથી ને?’ પણ આ તો જીવતે જીવ આવી પડેલી, સાવ નવતર આપત્તી  હતી.

……..  ડ્રેગનની દોટ હવે છાવણીના મધ્ય ભાગ તરફ ફંટાઈ. તેના મોંમાં સપડાયેલો ચોકીયાત મરણ ચીસો નાંખી રહ્યો હતો. છાવણીના સૈનીકોના ઉહાપોહથી ડ્રેગન ચીડાયો હતો;  અને ઉશ્કેરાટમાં, વધારે સુસકારા બોલાવતો હતો. તેની મહાકાય પુંછડી વધારે જોરથી તંબુઓ સાથે અફળાતી હતી અને તેમને પળમાં ધરાશાયી કરી દઈ રહી હતી.

…….. પરીસ્થીતીનું નીરીક્ષણ કરવા તે છાવણીની વચોવચ આવીને ઉભો. તેનાથી થોડેક જ દુર ખાનનો તંબુ હતો. તંબુની બહાર ખાન તેના ચાર અંગરક્ષકોની સાથે ઉભેલો હતો. બે અંગરક્ષકોના હાથમાં  મોટી મશાલો હતી. એ મશાલોના અજવાળામાં ખાનનું ક્રોધાયમાન મુખારવીંદ ઝગમગી રહ્યું હતું.

…….. ખાન બોલ્યો,” મશાલનું અજવાળું બરાબર ડ્રેગનના મોં પર જાય એ રીતે મશાલ ફેરવતા રહો.”

…….. જેમ જેમ ડ્રેગન નજીક આવતો ગયો, તેમ તેમ ખાનના મોં પર શાંતી છવાવા માંડી. તેના બત્રીસ લક્ષણા સ્વભાવના પ્રતાપે, આ નવી આપત્તીનો શી રીતે પ્રતીકાર કરવો, તે અંગે તે વીચારવા માંડ્યો. ક્ષણનાય વીલંબ વગર તેણે આ ભીષણ પરીસ્થીતીનો અંદાજો કાઢી લીધો. તેનો નીર્ધાર અને વ્યુહ હવે નક્કી હતાં. તેણે તંબુની બાજુમાં પડેલા પથ્થરોના ઢગલામાંથી વીણીને ડ્રેગન સાથે મુકાબલાના પોતાના નીર્ણયને અનુરુપ થાય તેવા બે ચાર પથ્થર વીણી લીધા. તેની ધારદાર અને દેદીપ્યમાન આંખો, તેના તેજસ્વી નીર્ણયનું પ્રતીબીંબ પાડતી, ચમકી ઉઠી. તેની આખી કાયા આ નીર્ણયનો અમલ કરવા પ્રતીબધ્ધ બની રહી.

…….. તેનો પથ્થર ધાર્યું નીશાન પાડી શકે એટલા અંતરે ડ્રેગન આવતાં; ખાને એક સાવ નાનકડો, પણ અણીયાળો પથ્થર સીધો ડ્રેગનની એક આંખ તરફ ફેંક્યો. અને ધાર્યું નીશાન ચુકે તો તે ખાન શાનો? ડ્રેગનની જમણી આંખ બરાબર વીંધાઈ  ગઈ. બીજો એવો જ પથ્થર; બીજું લક્ષ્યવેધી નીશાન; અને ડ્રેગનની ડાબી આંખ પણ વીંધાણી.

…….. આંધળો બની ગયેલો  ડ્રેગન, ભયાનક દર્દની ચીંઘાડ સાથે, ભોંય પર પટકાઈ, ઉંધો વળી ગયો. તેની બન્ને આંખોમાંથી મશાલોના આછા ઉજાસમાં પણ, લોહીના ફુવારા નીકળતા દેખાયા. તેના ખુલ્લા થયેલા મોંમાંથી સખત ઘવાઈ ગયેલો ચોકીદાર બહાર ઢળી પડ્યો. તેનું મોત હવે હાથ વેંતમાં હતું. પણ ડ્રેગનનું નાજુક પેટ હવે ખુલ્લું થઈ ગયું હતું. આ કુમળા મર્મસ્થાન પર સેંકડો પથ્થરોની વર્ષા થવા માંડી. દસ બાર અણીદાર, પથ્થરના ફણાવાળા ભાલાઓના ઉપરાઉપરી ઘા પણ થવા લાગ્યા. લોહીના ફુવારાઓથી ધરતી તરબોળ થઈ ગઈ. થોડીક વારમાં જ  તરફડીયાં મારતો અને મરણ ચીસો પાડતો તે ભયાનક ડ્રેગન માણસજાતની સામુહીક સંહાર શક્તી આગળ હારી ગયો. એના છેલ્લા શ્વાસ ગણાવા લાગ્યા. બધાએ પ્રચંડ જયઘોષ સાથે એમના લાડીલા નેતા ખાનના આ વીજયને વધાવી લીધો.

……..  હવે ખાને તેનું હમ્મેશ યાદ રહી જાય તેવું બ્રહ્મવાક્ય સુણાવ્યું. “તમે જોયું હશે કે, આ રાક્ષસના શરીર પર પથ્થર નાંખવાનો કે ભાલા ઉગામવાનો  કશો જ અર્થ ન હતો. દુશ્મનની નબળી કડી પર વાર કરતાં આપણે સૌ શીખીએ. ગમે તેવા સંજોગો હોય; આપણે ધૈર્ય અને એકાગ્રતા ગુમાવવા ન જોઈએ.

…….. બધાએ તાળીઓના ગડગડાટથી ખાનને ફરીથી વધાવી લીધો. નસીબ સંજોગે ડ્રેગન ફરીથી ઉઠવા ન પામે; તે માટે વધારાના ચાર સૈનીકો તેની પાસે ચોકી કરતા રહ્યા. મરણ પામેલા સૈનીકની અંત્યેષ્ટી વીધી બીજા દીવસે સવારે કરવી;  તેવો નીર્ણય લેવાયો.  આખું સૈન્ય ફરીથી નીંદરદેવીને શરણે થયું. પણ એ બીજી નીદરમાં પણ સૌને  ડ્રેગન અને ખાનનો એ અજોડ મુકાબલો નજીકના ભવીષ્યમાં આવી પડનાર, નવા યુધ્ધ માટે પ્રેરતો રહ્યો

———————————–

નોંધ :

……  ખાનના મુકાબલાની પ્રેરણા બાઈબલની ‘ડેવીડ અને ગોલીઆથ’ ની પ્રખ્યાત વાર્તા પરથી મળી છે – તેનો સાભાર સ્વીકાર

→ 6 CommentsCategories: નવલકથા · સુરેશ જાની
Tagged:

મજલી આપા – રઝીયા મીર્ઝા

June 19, 2009 · 4 Comments

ઘર માં કોહરામ મચ્યો હતો. કારણ કે ઘર ના વડીલ ‘શૌકત આપા’ આજે ખુદા ની  રહેમતે પહોંચી ગયા હતા.પાંચ પુત્રો,એક પુત્રી તથા પૌત્રો પૌત્રીઓ ને,નાતી- નવાસીઓ ને વહુઓ તથા સગા સબંધીઓ ને રડતા મૂકી ને અનંતયાત્રા એ ચાલી નીકળ્યા હતા.ઘર નું વાતાવરણ ગમગીન હતું. રડારડ અને શોરગુલ માં એક અવાજ દબાઇ જતો હતો

….

અલ્લાહે પંદર વર્ષ બાદ તેમની સામે ક્રુપા દ્રષ્ટિ કરી,અને ‘મજલી આપા’ ત્રણ પુત્રીઓ અને એક પુત્ર ની માતા બન્યા.પતિ ‘અલીરઝા’ એક સરકારી કર્મચારી હતા.નાનકડા પગાર માં ત્રણ દીકરીઓ તથા એક દીકરા ની ભણતર ની જવાબદારી કંઇ સહેલી નહોતી.જ્યારે મોટા ભાઇ ’અલીહૈદર’ ની નોકરી પણ છૂટી ગઈ હતી.અલીરઝા મોટા ભાઇ ને પિતા સમાન જ ગણતા. વિધવા માતા પણ અલીહૈદર સાથે જ વતન માં રહેતા.ખૂબજ ગરીબાઇ માં ‘શૌકત આપા-અલીહૈદરે’તેમના પાંચેય પુત્રો ને સારુ શિક્ષણ આપ્યું

….

જીવન ના કદાચ આ જ ઊતાર-ચઢાવ જોઇ ને ‘મજલી આપા’ એ પુત્રી શિક્ષણ પર ભાર મૂક્યો હશે એમ ‘મજલી આપા’ ની ‘મજલી દીકરી’ વિચારતી  રહી.અને આજે‘મજલી આપા’ ના પેટે જન્મ લઇ પોતાને ધન્ય માનતી રહી.

—————————————————

આ સત્યકથા આપને સ્પર્શી ગઈ ને?

મધ્યમ વર્ગના મુસ્લીમ સમાજની આખી સત્યકથા વાંચવા રઝીયા બેનના બ્લોગ ‘ શ્વાસ ‘ ની મુલાકાત  લેવા અહીં ‘ક્લીક’ કરો.

→ 4 CommentsCategories: રઝીયા મીર્ઝા · સત્યકથા
Tagged: