સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મિત્રો મળ્યા – કાજી કવિ

      નેટ ઉપર ભાગ્યે જ કોઈ એમને જાણે છે. એ નેટ સેવ્વિ જણ નથી. પણ ક્યાંક કવિતાનું નામ સંભળાય અને એ તરત ત્યાં દોડી જાય છે. કવિતા સાથે પ્રાસ મેળવવા એમને કાજી કહ્યા છે. સામાન્ય ભાષામાં એ ન્યાયાધીશ એટલે કે, જજ છે. એમના પ્રભાવશાળી ચહેરા પર એ સ્થાન પર બેસનાર જણનો કડપ લગીરે જણાતો નથી. એમની સાથે મારો અંગત પરિચય પણ નહીંવત્‍ જ છે. પણ જેટલોય છે. એટલો જડબેસલાક છે!

    આ રહ્યો તેમનો મોહી પડાય તેવો ચહેરો…

praful-dave.jpg

અને આ રહ્યો તેમનો ટૂંક પરિચય…

” એક પથ્થર શાંત જળમાં ફેંકીને
એ વમળમાં ડૂબવાનું છે વલણ.”

      શ્રી. પ્રફુલ્લ દવેને આ વખતે બે વખત મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પહેલી વખતની એમની સાથેની મુલાકાતનો અહેવાલ તો જુગલકિશોરભાઈએ અહીં વિગતવાર આપેલો જ છે; માટે એનું પુનરાવર્તન નહીં કરું.

     એક રસ જગાવે તેવી વાત… માત્ર એક જ વખત એમને આ સભામાં પધારવા ફોન કર્યો હતો; અને સાહિત્ય રસિક મિત્રોને મળવાની ઉત્સુકતાએ એ આવી પહોંચ્યા. એમની સાહિત્યરૂચિ માટે આનાથી વધારે સારો પુરાવો શો હોઈ શકે?

     પણ આ લેખ એમની સાથેની અંગત મુલાકાત વિશે છે. ઉપરોક્ત સભામાં એમની એક બે રચનાઓ અને વિચારો જ સાંભળવા મળ્યા હતા. આથી એમની સાથે નિરાંતે સંગત થાય એવો અભરખો હતો. આથી એમને આ માટે ફોન કર્યો – એવી જ આશંકા સાથે કે, ‘ગાંધીનગરમાં મોટા સ્થાન શોભાવતા અધિકારીઓની વિરૂદ્ધ ફરિયાદોની સુનાવણીની નાજૂક જવાબદારી સંભાળતા આવા મોટા ગજાના કાજી થોડાક જ મારા જેવા મામૂલી, પરદેશી જણના ઘેર પધારવા કબૂલ થાય?’ – અને તે પણ ચાલુ કામના દિવસે? જો કે, સાથે એવો લોલીપોપ પીરસેલો કે, એ સભામાંના ત્રણ ચાર સાહિત્ય રસિકો પણ આવવાની વકી છે!

      અને સાનંદાર્શ્ચર્ય પ્રફુલ્લભાઈ આવવા કબૂલ થઈ ગયા. અને વળી એ દિવસે હું ઘર ઠીક ઠાક ગોઠવીને માંડ હાશ કરતો બેઠો હતો; ત્યાં એમનો ફોન આવ્યો,” થોડોક વહેલો આવું તો વાંધો નથી ને?’

       લે કર વાત! આ તો લક્ષ્મી ચાંલ્લો કરવા જ આવી ગઈ.  મારા નાનકડા ફ્લેટમાં એ શુક્રવારે શુક્કરવાર વળી ગયો! વલી’દા અને જુગલકિશોર વ્યાસ પણ આવી પૂગ્યા. લતાબેન હીરાણીને કાંઈક અંગત કામ આવી પડતાં, તેઓ ન આવી શક્યાં; પણ એમનોય ઉમંગ તો હતો જ. એવું જ શરદ ભાઈનું પણ હતું.

      અને જે મિજલસ ભરાણી છે!

વલીદા, સુજા, જુ.ભાઈ અને પ્રફુલ્લભાઈ

વલીદા, સુજા, જુ.ભાઈ અને પ્રફુલ્લભાઈ

      એનો વિગતવાત અહેવાલ તો નબળી યાદદાસ્તના કારણે આપી શકું એમ નથી; પણ પ્રફુલ્લભાઈએ પુનરોચ્ચારણ કરેલી વ્યથા આ રહી-

“આપણે ત્યાં સમાજો અને ટોળાંઓ જ  જન્મે છે.
ભાગ્યે જ વ્યક્તિઓ જન્મે છે
અથવા
જન્મ્યા બાદ વ્યક્તિ તરીકે જીવી જાય છે.”

કાજીનો આ ચૂકાદો કેટલો સાચો છે, નહીં વારૂ?

         આધ્યત્મિક ચેતનાના ક્ષેત્રે આખી દુનિયાને માર્ગદર્શન આપી રહેલા અનેક  સંતો પેદા કરનાર દેશ સામાજિક ચેતનાના ક્ષેત્રે કેમ અધોગતિ તરફ પ્રચંડ વેગે ગતિ કરી રહ્યો છે- એ બળાપાનો એમનો ધખારો અને આર્ત નાદ આપણોય પોતીકો નથી?

       આ ઉપરાંત તેમણે એક બે કવિતાઓ તો સંભળાવી જ; પણ સાથે એક સરસ સમાચાર પણ આપ્યા, કે તેઓ એક નવલકથા પણ લખી રહ્યા છે.

       જુ. ભાઈ અને પ્રફુલ્લાભાઈની જૂનાગઢના સહવાસની ગોઠડીએ એ બે જણને ગોઠિયા બનાવી દીધા; અને સોનામાં સુગંધ ભળે તેવું સત્ય તો એ પ્રગટ્યું કે, બન્ને અમદાવાદમાં એકબીજાની ઘણી નજીક પણ રહે છે.

       જુ’ ભાઈના ભાષાપ્રેમના સબડકા અમે પણ માણ્યા. બદલામાં મેં  ઇજિપ્તના ‘રોઝેટા પથ્થર’ ની વાત કહી; તો એમને બહુ જ રસ પડ્યો. (એની વાત તો ઇજિપ્ત કથામાં વિગતે કરવી જ પડશે.)

     વલીદા સાથે કાંઈ લખાણ લાવ્યા ન હતા, એટલે એમનો પ્રસાદ માણવા ન મળ્યો; પણ વાતોમાં એમની લાક્ષણિક ટાપશીઓએ રંગ જમાવ્યો જ.

       અને આ જણે ‘ઘાસ’ પરનું આ ગદ્યકાવ્ય વાંચી, વિજ્ઞાન આધારિત કઠોર સત્ય દર્શન કરાવ્યું.( એ કેવું યાદ રહ્યું?! અહંકાર હજી ક્યાં ઓગળ્યો છે?)

      છેલ્લે પેટછૂટી વાત કરું તો.. સંગતનો રસ એવો જામ્યો હતો કે, આખી રાત પણ ગોઠડીમાં પસાર  થઈ જાત. પણ શરદ ભાઈના ફોને એ યાદ કરાવી દીધું કે, અમારે રાતે દસ વાગ્યાની જૂનાગઢની બસ પકડવાની છે. આથી અમદાવાદી રસમ પ્રમાણે મિત્રોને ‘જન…ગણ…મન’ પીરસી કમને વિદાય કરવા પડ્યા!

5 responses to “મિત્રો મળ્યા – કાજી કવિ

  1. pragnaju જાન્યુઆરી 5, 2013 પર 11:14 એ એમ (am)

    પેટછૂટી વાત
    ઠગનકી ટોળી………………………………………
    માત પિતા સુત ભાઈ ને ભગિની, ઈ સબ ઠગનકી ટોળી રે;
    પ્રીત લગાડી તારું સર્વ લૂંટી લેશે, પછી રહેશે આંખ્યો ચોળી રે..
    …………………………………………..
    કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.
    જગત-કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!
    જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.
    નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!
    રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે
    જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !
    અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો,
    ન માગ્યે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે!
    કવિ રાજા થયો છે,- શી પછી પીડા તને કાંઇ?
    નિજાનંદે હંમેશાં* ‘બાલ‘-મસ્તી*માં મઝા લેજે !
    અને
    “મેરા મુનસફ હી મેરા કાતિલ હૈ.
    વો હક્કમેં ક્યા ફેંસલા દેગા… ?

  2. Anila Patel જાન્યુઆરી 5, 2013 પર 12:25 પી એમ(pm)

    કાજીનો ચૂકાદો માન્ય—– “આધ્યાત્મિક ચેતનાના…………………..આપણોય પોતિકો નથી” સો ટકા સહમત.

    ઘાસ પરનુ ગદ્યકાવ્યુ પણ હ્રુદયને ઘાસ જેમ લિલુછમ બનાવી ગયુ.

  3. dee35 જાન્યુઆરી 5, 2013 પર 7:20 પી એમ(pm)

    “મેરા મુનસફ હી મેરા કાતિલ હૈ.
    વો હક્કમેં ક્યા ફેંસલા દેગા… ?
    વાહ!વાહ!

  4. jjkishor જાન્યુઆરી 5, 2013 પર 8:06 પી એમ(pm)

    જ્યોતિબહેન તમને સતત કંપની આપીને મહેમાનોને માટેનો ગૃહસ્થીધર્મ બજાવતાં રહ્યાં ને સ્વાદીષ્ટ અલ્પાહાર પીરસીને ને ખાસ કરીને એકદમ મજાની ફ્લેવરનો આઈસ્ક્રીમ પીરસીને સભાને કુટુંબ બનાવી રહ્યાં.

    જુનાગઢ પ્રદેશ અને એના કેટલાક મહાનુભાવો બાબતે શ્રી દવે સાહેબ સાથે સરસ જોડાણ અનુભવ્યું તે વાત સુ.ભાઈની સાવ સાચી.

  5. Valibhai Musa જાન્યુઆરી 20, 2013 પર 2:16 એ એમ (am)

    માનનીય દવે સાહેબ સાથેની બબ્બે મુલાકાતો ઓછી પડ્યાનો ભાવ અનુભવું છું. કોચરબ આશ્રમ ખાતે છૂટા પડતી વખતે તેમણે મને કાનમાં ઈશારો કર્યો હતો કે જ્યારે પણ કોઈ જગ્યાએ આવું નાનું કે મોટું સાહિત્ય સંમેલન યોજાય ત્યારે મારે તેમને SMS કરી દેવો. મણિનગર/કાંકરિયા ખાતેની Best High School માં દર મહિનાના ચોથા શનિવારે કવિસંમેલન યોજાય છે. મને ઉમ્મીદ છે કે ત્યાં ખાતે અવારનવાર તેમની સાથેની વિશેષ મુલાકાતો થતી રહેશે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: