સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મિત્રો મળ્યા – વલી’દા

૫મી ડિસેમ્બર -૨૦૧૦ના રોજ સાંજના સાત વાગ્યા છે. અમદાવાદની વી.એસ. હોસ્પિટલ પાસે આવેલ ‘મે રોઝ’  ટાવરના સાતમા માળે એક એપાર્ટમેન્ટનો કોલબેલ હું દબાવું છું. આશ્ચર્ય મિશ્રિત ભાવ સાથે મને અંદર આવકારવામાં આવે છે. અંદર પેંસતાંની સાથે જ એક થોડોક અપરિચિત ચહેરો મારું અભિવાદન કરે છે. એ જ વલી’દા છે; એમ ખબર પડતાં હું તેમને ભેટી પડું છું.

દિવાનખંડના બીજા  છેડે બે ચાર મુસ્લીમ સજ્જનો ભોજન કરી રહ્યા છે. વલી’દા સાથે  બેચાર પ્રાથમિક વાતચીત બાદ; દૂરથી આવ્યો હોવાને કારણે થોડી હળવાશ માટે હું બાથરૂમ શોધી કાઢું છું.

પાછા આવતાં ડાઈનિંગ ટેબલ ઊતાવળમાં ખાલી થઈ ગયેલું જણાય છે; અને એની પર બેઠેલ, વલી’દાના  પરિવારજનો હવે દિવાનખંડમાં બેસવાની જગ્યાએ મારી રાહ જોઈ રહેલા જણાય છે.

ઘણા દિવસો બાદ મને આ ઘટનાનો રાઝ ખબર પડે છે. હું આઠને બદલે સાત વાગ્યે પહોંચી ગયો હતો; અને તેમના નોન વેજ ભોજનમાં ખલેલ પહોંચાડી હતી. એ સજ્જનોએ મારી લાગણી ન દૂભાય ; તે માટે બધો ખોરાક સમેટી ભોજન કરવાનું મોકૂફ રાખ્યું હતું. આશ્ચર્ય મિશ્રિત ભાવ સાથે મને અંદર આવકારવામાં આવ્યો; તેનું રહસ્ય હવે મને સમજાયું અને આઠને બદલે સાત વાગે પહોંચી જવા બદલ અફસોસ થયો.

….

‘ હું  આઠને બદલે સાત વાગ્યે કેમ પહોંચ્યો?’ તે પણ એક સરસ મજાની વાત છે. અમદાવાદનું તે પહેલા દિવસનું કામ વહેલું પતી ગયું હતું. આથી વલી’દાને મળવાના અતિ ઉત્સાહના  કારણે હું વહેલો પહોંચી ગયો હતો.

આટલો બધો ઉત્સાહ કેમ?

નવેમ્બર મહિનામાં મેં ખાસ મિત્રોને મારી અમદાવાદ મૂલાકાતની આગોતરી જાણ કરી હતી. મારી ફ્લાઈટનો નમ્બર જાણવા માટે વલીભાઈના બે ત્રણ ઈમેલ આવી ગયા હતા. પણ હું જાણી જોઈને આ માહિતી તેમને આપવા માંગતો ન હતો. રાતના અઢી વાગે, જરૂર સિવાયના કોઈને એ તકલિફમાં મૂકવાનું સ્વાભાવિક રીતે જ મને મુનાસિબ લાગ્યું ન હતું.

પણ વલી’દા કોનું નામ? એ જનાબે મને પ્રેમભર્યો ઠપકો આપેલો,” સુરેશ ભાઈ, તમે એમ ઇચ્છો છો કે, અમારે તે દિવસની દરેકે દરેક ફ્લાઈટ ચેક કરવી?”

અને એ પ્રેમનો પડઘો પાડવા, હરખઘેલો હું એ દા’ડે એમના ફ્લેટ પર વહેલો પૂગી ગયેલો.

અને અઢી મહિનાના મારા દેશવાસ દરમિયાન આ પડઘા પડતા જ રહ્યા, અને શમવાને સ્થાને ઉતરોત્તર વધતા જ ગયા.

આ છે વલી’દા અને તેમના કુટુમ્બીજનોની ઓળખ. અમીરી અને ખાનદાની એકમેકથી દૂર રહેતાં હોય છે; એવી સામાન્ય માન્યતાને સાવ જૂઠી પાડતા,  એ કુટુમ્બનો હું એક હિસ્સો બની ગયો છું; એમ કહું તો એમાં જરાય અતિશયોક્તિ નથી.

બે હોટલો, ઓટોમોબાઈલ સ્પેરની દુકાન, અનેક જમીનો અને બહોળો અને વગપાત્ર પથારો ધરાવતા આ પરિવારના ભાવના નાયગ્રામાં હું નખશિશ ભીંજાયો, તણાયો છું.

—————

મારા અઢી મહિનાના દેશરોકાણ દરમિયાન એમની સજ્જનતા અને પ્રેમભાવના અનેક અનુભવો મને થઈ ચૂક્યા છે. એમના પરિવારજનોને પણ એમના આ શુભ ભાવનો પડઘો પાડતાં જોયાં છે. કોઈ પણ સારા કાર્યમાં ઉત્સાહપૂર્વક મદદરૂપ થવાની વલી’દાની આદત મને આમ તો સાવ અજાણી ન જ હતી. ડો. રાજેન્દ્ર ત્રિવેદીએ સહેજ જ અંધજન મંડળ વિશે માહિતી આપી અને વલી’દા ત્યાં પહોંચી ગયા. સેવાનું જે અપ્રતિમ કાર્ય ત્યાં થઈ રહ્યું છે; તેનાથી એ એટલા તો પ્રભાવિત થઈ ગયા કે, એમના ગામમાં આ ઉમદા કાર્યમાં મદદરૂપ થવા ટહેલ નાંખી; અને ઘણી બધી સહાય ભેગી કરી આપી.

આવા મારા વાલીડા વલી’દા સાથે ગાળેલ યાદગાર ક્ષણોની આ ઝલક જાતે જ જોઈ લો ને?

 

અમદાવાદ ખાતેના ફ્લેટમાં

સાથે નાસ્તા પાણી

નાનકડા કાણોદર ગામની મસ મોટી હાઈસ્કૂલ

પાલણપુરની એમની હોટલમાં

વલી’દા અંગ્રેજીમાં લખીએ તો વાલીડા વંચાય ને? !

વલીભાઈનો બ્લોગ – ‘Wiliam’s tales’

27 responses to “મિત્રો મળ્યા – વલી’દા

  1. Valibhai Musa માર્ચ 22, 2011 પર 8:37 એ એમ (am)

    મિલે જો ‘સુર’ ભાઈએ આગમનની આગોતરી જાણ કરી દીધેલી હોઈ તેમણે અતિથિ બનવાનો સવાલ જ ન હતો, પણ વહેલા પધારીને તેઓ અકાલિ તો જરૂર બની ગયા. અમારે તો ‘નાસ મંગળિયા આંધી આવી’ જેવું થયું. સરકસમાં ખેલ બદલાય અને બધું ટપોટપ ઊપડી જાય તેમ અમારા મહેમાનો અને ઘરનાં સુદ્ધાં હાથમાં થાળીઓ સાથે અંદરના ખંડોમાં સરકી ગયાં. અકાલિને શંકા પડી હશે એમ તો ન જ કહી શકાય, પણ તેઓ લઘુશંકા કરવા તો અવશ્ય ગયા અને એટલી વારમાં તો અહીં મેદાન સાફ!

    અમારી હોટલો શુદ્ધ અને સંપૂર્ણ શાકાહારી હોઈ બિનશાકાહારી વિદેશી મહેમાનો અને દેશી-વિદેશી મિત્રોની સરભરા અન્ય એ પ્રકારની હોટલે કે ઘરે કરવામાં આવશે, માટે કોઈએ શરમાવું નહિ અને જે કંઈ મનમાં હોય તે આવવા પહેલાં અમને જણાવી દેવું જેથી એ પ્રમાણે વ્યવસ્થા થઈ શકે!

    સુરદાજીએ પોતાના લઘુલેખમાં અર્થાત્ ગાગરમાં સાગર ભરવાની કોશીશ કરી છે, પણ ત્રણ મહિના દરમિયાન અમે એટલા બધા જલસા કર્યા છે કે ગાગર છલકાય તો નહિ, પણ ફૂટી તો અવશ્ય જ જાય.

    બારોટ (બાર હોઠ) બનીને સુરભાજીએ બબ્બે મોંઢે નહિ, પણ છ છ મોંઢે મારાં/અમારાં વખાણ કરીને અમને ચણાના ઝાડ ઉપર ચઢાવી દીધાં છે. એ ઝાડ અમારો ભાર ખમશે કે?

  2. Chirag માર્ચ 22, 2011 પર 8:45 એ એમ (am)

    વાહ, નાના લેખમાં પણ વાલીડાઓની સુગંધની છોલો ઉડતી જરૂર દેખાય છે.

    કદાચ એ ચણા નાળીયેર જેટલા મોટા છે એટલે એ વૃક્ષ હરખભેર ઉપાડી લેશે.

  3. chandravadan માર્ચ 22, 2011 પર 9:40 એ એમ (am)

    Read the Post.
    Suresh & Vali are Friends.
    And the important Fact.
    And…Chandra wishes that this Friendship Blossom from a Kali to a Flower as the Time pass on.
    It is this Love that will be left in this World with or without our presence.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Thanks ,Sureshbhai for the Link to my Blog.
    Now…inviting BOTH Friends to Chandrapukar to read the New Post on Japan & Libya !

  4. AKHIL sutaria માર્ચ 22, 2011 પર 10:06 એ એમ (am)

    વલીભાઇ અને તેમના પરિવારને ‘મે રોઝ’ ટાવરના સાતમા માળે મળવાના આનંદ સાથે મહેમાનગતિ માણવાનો અવસર તૃપ્તિ અને મને પણ મળી ગયો. સુરેશભાઇ અને વલીભાઇ …. બન્ને જણ ભાષાના ભારે જાણકાર .. મારા જેવો તો બસ … એમના આશિર્વાદ અને શુભેચ્છાઓથી તરબતર લાગણીમાં ભીંજાયા કરે. …. અને બન્ને વડિલમિત્રોની તંદુરસ્ત તબિયત માટે ઇશ્વરને અરજી કર્યા કરે.

  5. sapana માર્ચ 22, 2011 પર 10:20 એ એમ (am)

    સુરેશભાઈ
    વલીભાઈની મહેમાનગતી મે પણ માણી છે અને નાનો મુશાયરો યાદ છે આપ તથા વલીભાઈ અને પરીવાર જેવાં ભાવુક મળે અને દોસ્તો મળે પછી શું કમી છે..આપણી મિત્રતા પર મને ગર્વ છે..
    સપના

  6. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! માર્ચ 22, 2011 પર 1:31 પી એમ(pm)

    જાની સાહેબ, લાગે છે કે નેક્સ્ટ વિઝીટ અહિયાં કેરોની કરી નાખવી જોઈએ…

    એક ‘અહમ’દાવાદી ને ત્યાં બીજો અમદાવાદીને આંગણે આવે ગુજ્જુ ‘કેરો’ અહમ સંતોષાય!

    • સુરેશ જાની માર્ચ 22, 2011 પર 1:52 પી એમ(pm)

      વાહ! અહમ અને કેરોની જુગલબંધી ગમી ગઈ.
      જો કે, કેરો કરતાં કેરી વધારે મીઠી હોં! સિવાય કે, તમારા ઘરની મીઠાશ.

      વધારામાં તમારી જાણ સારૂ – વલીભાઈની અમદાવાદી હોટલ ‘ સફર ઈન’ તમારા ઘરની નજીક મિર્ઝાપુરમાં છે. એ હોટલમાં અક રાત વલી’દા હારે રાતના બાર -એક વાગ્યા લગણ ગપસપ કીધી’તી. અને વલી’દાને રમજ્હાનના રોજા કરવા આ બામણે એક કલાક વે’લા જગાડી દીધા’તા.

      મિત્રો સાથેની મીઠી યાદો… ભૂલી ના ભૂલાયે ….

  7. pragnaju માર્ચ 22, 2011 પર 1:44 પી એમ(pm)

    તમને તો

    પરિચય છે મંદિરમાં દેવોને તમારો
    અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે
    નથી તમારું વ્યક્તિત્વ છાનું કોઇથી
    અમારા પ્રતાપે બધા ઓળખે છે.

    યાદ આવી અજ્ઞાતની પંક્તીઓ

    શુક્રીયા કર મેરા કી
    તેરે ઘર આયા હૂં
    મેં મેરે હક્કકા ખા રહા હૂં
    તેરે મેજ પર બૈઠ કર

  8. Valibhai Musa માર્ચ 22, 2011 પર 2:45 પી એમ(pm)

    ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાજીને પારખનારા જ પારખી શકે. શેરો-શાયરીમાં ફક્ત વાચ્યાર્થ લેવાથી ગેરસમજ પણ બંધાય.

    મિરઝા ગાલીબ સાહેબનો એક શેર છે :

    ‘અગર બાજુઓંમે જોર હૈ તો મસ્જિદકો હિલા દે,
    વરના, આ, બૈઠ, દો ઘૂંટ પી ઔર મસ્જિદકો હિલને દે.

    (અહીં સર્જનહારની યાદના નશાની વાત છે)

    પૃથ્વીની તસુએ તસુ જગ્યા મસ્જિદ/મંદિર/ચર્ચ કે કોઈપણ ધર્મસ્થળ જ છે. પાક (પવિત્ર) જગ્યા શોધી લઈને પાક તન, પાક મન અને પાક લિબાસ થકી ઈશ્વર/અલ્લાહની બંદગી ગમે ત્યાં કરી શકાય. અફસોસ કરશો મા.

    સુરેશભાઈ, ઈશ્વર/અલ્લાહ સર્વવ્યાપી છે. તમારા ઘરે પણ તમારી રીતે બંદગી (ભક્તિ) કરી શકો છો.

    ગાલિબ સાહેબ એક વખતે માથે પગરખાં મૂકીને ઘરમાં પ્રવેશ્યા. બેગમે તેમના ગાંડાવેડા જોઈને તેમને ઠપકો આપ્યો. ગાલિબ સાહેબે જવાબ આપ્યો, ‘ બેગમ, તમે ઘરમાં ઈબાદત કરીને ઘરને જ મસ્જિદ બનાવી દીધું છે. તો મારે મસ્જિદની અહેમિયત જાળવવી જોઈએ અને તેની ઈજ્જત પણ કરવી જ પડે.

  9. Arvind Adalja માર્ચ 23, 2011 પર 3:26 એ એમ (am)

    સુરેશભાઈ વલીદાના બ્લોગ ઉપર તો મુલાકાત થતી રહેતી હતી આપે જાણે રૂબરૂ કરાવી દીધી ! અલબત્ત આપની સાથે હતા ત્યારે ફોન ઉપર પણ તેમનો અવાજ સાંભળવા મળેલો ત્યારે પણ ખૂબા જ આનંદ આવેલો. તેઓએ આપેલું તેમ્ના ગામની મુલાકાતનું નિમંત્રણ યાદ રાખ્યું છે અને જો મોકો મળશે તો જરૂર મુલાકાત લઈશ ! તેઓ પણ આ તરફ આવવાનો કાર્યક્રમ બનાવશે તો મને ખૂબ જ ગમશે !
    સ-સ્નેહ
    અરવિંદ

  10. atul bhatt માર્ચ 23, 2011 પર 3:35 એ એમ (am)

    suresh,
    pela vahala valida parivarni sugandh manu chu..manav sugandh kadi asta nathi pamati.karan deha pachi atamani sugandha ave che.valida parivarne pranam.
    atul

  11. rekha sindhal માર્ચ 23, 2011 પર 8:14 એ એમ (am)

    આપ બન્નેની સાથે જ હોઈએ તેવી ખુશી આ પળોની અનુભવી. મિત્રો મળે અને પ્રેમ છલકાતો હોય તે જ્ગ્યા મંદિર કે મસ્જીદથી કમ ન ગણી શકાય. મૈત્રીભાવનું આ ઝરણું સદાય વહેતું રહે તેવી શુભેચ્છાઓ. વલીભાઈ, ક્યારેક જો તક મળશે તો તમારા અકાલિ અતિથિ થવાનો લ્હાવો નહી ચૂકીએ.

  12. Valibhai Musa માર્ચ 23, 2011 પર 1:06 પી એમ(pm)

    રેખાબેન
    માત્ર તમે જ નહિ, આપણાં સૌ નેટર-બ્લોગર ભાઈબહેનો દેશી હોય કે વિદેશી તમામે તમામની મહેમાનગતી માટે મુસાભાઈનાં દ્વાર ખુલ્લાં છે. સૌ કોઈએ નિર્ભય બનીને પોતાનાં જૂતાં બહાર કાઢીને ઘરમાં દાખલ થવું. કોઈનાં જૂતાં સાવ નવાં હોય, મોંઘાં હોય અને બહાર કાઢીને આવવાનું મન માનતું ન હોય, તો વિના સંકોચે પોલીથીન માગી લેવી. અમે એક કવિસંમેલનમાં ગયા હતા, ભારતીય બેઠક વ્યવસ્થા હતી અને જૂતાં ભરવા માટે કાઉન્ટર ઉપરથી જ બેગ અને એક ગ્રોસમાં માત્ર 143 જ ઓછી એટલી ચીકી (સીંગદાણાવાળી) કોમ્પ્લીમેન્ટ તરીકે આપી હતી. મેરી ન માનો તો સુરૈયા (સોરી, સુરભૈયા)સે પૂછો! હું ભૂલતો ન હોઉં તો આ કડી ‘થાકીજા’ (રખડી રખડીને) ફિલ્મમાંથી રિમેક કરવામાં આવી છે.

  13. Dilip Gajjar માર્ચ 24, 2011 પર 4:29 એ એમ (am)

    સુંદર મૈત્રી ભાવપ્રસંગ વાચી મનને ખૂબ સારું લાગ્યું ..માનવમાં શુભત્વ રહેલું જ છે ..બધા ભેદ ભાવોથી પરે…તે સ્તરે માનવીને મળવાથી તેનું સાચું ગૌરવ થાય ..

  14. jjugalkishor માર્ચ 25, 2011 પર 8:41 પી એમ(pm)

    ગુજરાતની મુલાકાતોનો વધુમાં વધુ લાભ લઈને તમે સૌમાં વહેંચી રહ્યા છો…

    શ્રેણી ઉપયોગી બની રહેશે.

  15. chandravadan માર્ચ 28, 2011 પર 8:21 એ એમ (am)

    સુરેશ કહું કે સુરેશભાઈ કહું ..કે પછી ટુંકામાં વલીભાઈના “સુર” કહું ?

    ચાલો છોડો એ વાતને !

    પહેલા આવ્યો હતો, એ બે શબ્દો ચીતરી ગયો હતો.

    પાછો આવ્યો તો જાણે વલીભાઈ અને ‘સુર’નો સંવાદ ચલો હતો.

    ગણી ( બ્લોગે કહી) તો ૧૯ ટીપણીઓ હતી..વાંચી..

    અને થયું કે ૨૦ નંબરનો સીક્કો લઈ લઉ.

    આવા ઈનામ માટે “દક્ષીણા” તો આપવી જોઈએને ?

    તો વિચારમાં પડ્યો…શું લખું ???

    વાલી’ડા અને સુર બાળ બની મસ્તી કરતા નજરે આવ્યા તો થયું જરા “ખબર” કાઢું !

    સુર તો મને મળવા “ચંદ્રપૂકાર” પર આવ્યા..તમે કેમ મસ્તીમાં જ સમય બગાડો છો.

    વહેલા વહેલા આવીને અત્યાર સુધી કરેલી મસ્તીનો હિસાબ આપી, જે કંઈ “છુટા પરચૂરણ”રૂપે હોય તે મને આપી દેજો.

    તો તમોને માફી મળી જશે !

    >>>ચંદ્રવદન.

    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Chandrapukar Par Avjo !

  16. chandravadan માર્ચ 31, 2011 પર 7:00 પી એમ(pm)

    To complete my previous Comment……Valibhai did come to Chandrapukar…& even posted a “very nice” Comment for a Post.
    I thanked him too.
    Now I am revisitng & posting my Final Comment for this Post.
    DR. CHANDRAVADAN MISTRY

  17. dhavalrajgeera જૂન 10, 2011 પર 10:46 એ એમ (am)

    મિત્રો મળ્યા,
    વલી’દા…
    ભાઈ સુરેશ !
    યાદગાર ક્ષણોની ઝલક જોઈ ભાઈ !
    મોકો મળશે મુલાકાત !

  18. Pingback: વલીદાને ઝડપ્યા ! | હાસ્ય દરબાર

  19. Pingback: મિત્રો મળ્યા – હિસાબનીશ અંતરયાત્રી « ગદ્યસુર

  20. Pingback: મળવા જેવા માણસ | સૂરસાધના

  21. dhavalrajgeera એપ્રિલ 3, 2014 પર 8:46 એ એમ (am)

    More news of Valida…
    April 3rd 2014.
    (મારી આ લેખમાળાનો કોઈપણ લેખ આપ આપના બ્લોગમાં લઈ શકો છો. મને આ અંગે જાણ કરશો તો આનંદ થસે.)

    વલીભાઈ મુસા
    વલીભાઈનો જન્મ ૧૯૪૧ માં આવેલા બનાસકાંઠા જીલ્લાના કાણોદર ગામમાં થયો હતો. કાણોદર એ સમયમાં ટેક્ષટાઈલ ઉદ્યોગમાં આગળ પડતું હતું. વલીભાઈના પિતા પણ ટેક્ષટાઈલના ધંધામાં હતા. વલીભાઈના માતા-પિતા અભણ હતા, પણ એમણે પોતાના બધા બાળકોને સારૂં શિક્ષણ અપાવ્યું. આજે એમના પરિવારના બધા સભ્યો અલગ અલગ વિષયોમાં પારંગત છે, જેમાં એંજીનીઅરીંગ અને મેડિકલ નો પણ સમાવેશ થઈ જાય છે.
    વલીભાઇ શાળામાં હતા ત્યારે તેમના અભ્યાસક્રમના એક પાઠમાં William Tell ની વાર્તા હતી, તેથી વલીભાઈના મિત્રોએ તેમનું હુલામણું નામ વિલિયમ પાડી દીધું. આજે પણ એમના કેટલાક મિત્રો એમને વિલિયમ નામથી જ બોલાવે છે.
    વલીભાઈ ૧૯૫૯ માં મેટ્રીક પાસ કરનાર કુટુંબના પહેલા સભ્ય હતા. ૧૯૬૬ માં એમણે બી.એ.(ઓનર્સ) ગુજરાતી, અંગ્રેજી અને સોશ્યોલોજી વિષયો સાથે કર્યું. નાની વયથી એમને સાહિત્યમાં રસ પડતો.
    વલીભાઈ માત્ર ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું. ત્યારથી જ વલીભાઈ ઉપર બહોળા કુટુંબનું નેતૃત્વ કરવાની જવાબદારી આવી પડી, જે છેલ્લી અર્ધી સદીથી તેઓ સંભાળી રહ્યા છે. આજે એમના માર્ગદર્શન હેઠળ કુટુંબના સભ્યો, ભણતર, ખંત અને ઈમાનદારીથી ઓટોમોબાઈલ, હોટેલ્સ, મેડિકલ ફેસીલીટીસ વગેરે અનેક ધંધાઓમાં પ્રગતિ કરી રહ્યા છે.
    ગુજરાતી સાહિત્ય રસિકોમાં વલીભાઈનું નામ જાણીતું છે. ૧૯૬૬ માં તેમની પહેલી વાર્તા “જલસમાધી” એક ગુજરાતિ સામયીકમાં પ્રસિધ્ધ થઈ, ત્યાર બાદ વલીભાઈએ કદી પાછું વળીને જોયું નથી.
    ૨૦૦૭ માં કેનેડા સ્થિત એમના પુત્ર સમાન ભત્રીજાએ એમને બ્લોગ્સની સમજણ આપી, અને એમણે પોતાના બ્લોગ “William’s Tales” ની શરૂઆત કરી. આ બ્લોગમાં શરૂઆતમાં તેઓ માત્ર અંગ્રેજીમાં જ લખતા, પણ પાંચ વર્ષના ગાળા બાદ એમાં ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષાઓમાં લખવાની શરૂઆત કરી. આજસુધીમાં વલીભાઈએ અનેક લેખ, વાર્તાઓ અને હાયકુ લખ્યા છે અને બ્લોગ્સ દ્વારા ગુજરાતીઓને આપ્યા છે.
    ખૂબ નાની વયથી જ વલીભાઈ ગાંધીવાદી ધારાથી પ્રભાવિત થયા હતા. “જીવો અને જીવવા દો” મંત્ર નાનપણથી જ એમણે આત્મસાત કરી લીધો છે. જયપ્રકાશ નારાયણ, વિનોબા ભાવે અને રવિશંકર મહારાજ ની સામાજીક ન્યાયની પ્રવૃતિઓથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયેલા. તેઓ કહે છે, “ક્યાં પણ લડાઈ ઝગડા થાય, માણસ માણસને મારી નાખે તો મને ખૂબ જ માનસિક પીડા થાય છે. આજે દુનિયામાં પર્યાવરણની રક્ષા અને માણસાઈ ભર્યા કાર્યો કરવાવાળાની સંખ્યા ઝડપથી ઘટવા લાગી છે. સામાજીક ન્યાય અને શાંતિની વાતો કરનારાનું કોઈ સાંભળતું નથી. કોઈપણ એક ધર્મ બીજા ધર્મ કરતાં વધારે સારો કે ખરાબ નથી, બધા ધર્મ એકબીજા સાથે સદભાવથી રહેવાનું શીખવે છે, કોઈનો તિરસ્કાર કરવા કે કોઈને નુકશાન પહોંચાડવાની વાત કોઈપણ ધર્મમાં કહેલી નથી. સૌથી મોટો ધર્મ તો માનવ ધર્મ છે.”
    વલીભાઈ કહે છે, “ વલીનો અર્થ આમ તો સંત થાય છે, પણ હું કોઈ સંત નથી. હું આ દુનિયાના અનેક લોકોની જેમ દુન્યવી જરૂરતોથી ઘેરાયલો સામાન્ય માણસ છુ. આ તો ઈશ્વરની કૃપા છે કે આટલા વર્ષો સુધી મારૂં સંયુક્ત કુટુંબ ટકી રહ્યું છે, કુટુંબીઓ વચ્ચે સદભાવના અને પ્રેમ ટકી રહ્યાં છે. આજે આ કુટુંબ ભાવનાને લીધે અમે આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી છે અને આવતી પેઢીને પ્રેરણા આપી છે.”
    આજે વલીભાઈ નિવૃત જીવન ગાળે છે. કુટુંબમાં એમનાથી નાની વયના સભ્યોએ કારોબાર સંભાળી લીધો છે. વલીભાઇની આજે મુખ્ય બે પ્રવૃતિઓ છે, સાહિત્ય સર્જન અને મહેમાન ગતિ. મને એક દુહો યાદ આવે છે,
    “એકવાર કાઠિયાવાડમાં તું ભૂલો પડ ભગવાન,
    થા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા.”
    બસ વલીભાઈ પણ પોતાના મિત્રોને કંઈક આવું જ કહે છે. વલીભાઈની મહેમાનગીરી માણવાની તક મેં હજી ઝડપી નથી, પણ એમની મહેમાનગીરી માણી આવેલા લોકોની પાસેથી એની વાતો સાંભળી છે. મારા એક બ્રાહ્મણ મિત્ર એમની મહેમાનગીરી માણી આવ્યા છે અને એમણે મને કહ્યું, એ તો બાહ્મણનો પણ બ્રાહ્મણ છે.”
    વલીભાઈ વિશે લખવું એ એમના મિત્રોને સૂરજને અરિસો દેખાડવા જેવું લાગસે.
    -પી કે. દાવડા

    Geeta + Rajendra Trivedi enjoyed the Brotherly love home – Home away from Home December2013 – JANUARY 10TH2014 WITH vALIDA pARIVAR…….
    DHAVALRAJGEERA
    http://WWW.BPAINDIA.ORG

  22. Pingback: મળવા જેવા માણસ – વલીભાઈ મુસા | ગુજરાતી પ્રતિભા પરિચય

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: